અમદાવાદ પ્લેન ક્રેશ: 31 મૃતકોના DNA સેમ્પલ મેચ, 12ના મૃતદેહ સોંપાયા

અમદાવાદ: ગુરૂવારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બની હતી. આ સ્થળ પર આજ દિન સુધી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા બે મૃતદેહ ભડથું થયેલા મળ્યા હતાં. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. યુવતીનો મૃતદેહ ફ્‌લાઇટની ક્રુ-મેમ્બરનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ, DNA મેચ કરવાની સાથે એક મૃતદેહ પાસેથી મળી આવેલી ચીજવસ્તુઓના આધારે પણ ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

31 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મીડિયા બ્રીફમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ રજનીશ પટેલે કહ્યું કે અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં ડી.એન.એ. સેમ્પલ મેચ થઈ ગયા છે અને 12 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે.

શનિવાર સુધીમાં 248 લોકોના DNA સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે. જેમાં 15 લોકોના DNA મેચ થતા તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં જે મૃતકો છે તેમાં ગુજરાતના અલગ અલગ 18 જિલ્લાના છે. જેઓના મૃતદેહોને વતનમાં પહોંચાડવા માટે કુલ 230 ટીમ બનાવવામાં આવી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મેસમાં અને આસપાસના વિસ્તારમાં હાજર 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 8ની હાલ સારવાર ચાલી રહી છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્યને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.