નવી દિલ્હીઃ દેશમાં કોવિડ19ના સક્રિય કેસ વધી 3961 સુધી પહોંચી ગયા છે, જેમાં સૌથી વધુ 1435 કેસ કેરળમાં નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 506 કેસ છે. પહેલી જૂને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 360 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે બે લોકોનાં મોત પણ થયાં છે. કેરળ અને કર્ણાટકમાં એક-એક સંક્રમિતનું મોત થયું છે.
મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કેરળમાં Covid-19ના 35 નવા કેસ, મહારાષ્ટ્રમાં 21 અને દિલ્હીમાં 47 નવા કેસ નોંધાયા છે.
રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમણ વધ્યું
રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 17 કેસ રાજધાની જયપુરમાં અને ઉદયપુર, બિકાનેર અને ડુંગરપુરમાં દરેકમાંથી એક-એક કેસ નોંધાયો છે. નવા સંક્રમિતોમાં 74 અને 82 વર્ષના બે વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 19થી 30 વર્ષના સાત યુવાનો પણ સંક્રમિત થયા છે. કુલ 20 નવા કેસો સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98 લોકો કોરોના પોઝિટિવ થયા છે, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને 15 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દિલ્હી, UP અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાનું સંકટ
દિલ્હીમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 436 છે. અહીં કોરોનાને કારણે 3 લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં સક્રિય કેસ 320 છે અને અહીં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. હરિયાણામાં 30, ઉત્તર પ્રદેશમાં 149 અને પશ્ચિમ બંગાળમાં 287 સક્રિય કેસ છે. UPમાં કોરોનાને કારણે 2 લોકોનાં મોત થયાં છે. તામિલનાડુમાં 199 સક્રિય કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 28 લોકોનાં મોત નોંધાયાં છે.
