ઈરાનમાં 32 લાખ લોકો વિસ્થાપિત થયા

નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે 14મા દિવસે પ્રવેશી ગયું છે. આ સંઘર્ષ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ ગયો છે. અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ વચ્ચે ઈરાનમાં માનવીય સંકટ ઝડપથી ઊંડું થઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી અનુસાર અત્યાર સુધીમાં લગભગ 32 લાખ લોકો પોતાનાં ઘર છોડીને વધુ સુરક્ષિત વિસ્તારો તરફ જવા મજબૂર બન્યા છે. ઘણાં શહેરોમાં ભારે વિનાશ થયો છે અને 30થી વધુ હોસ્પિટલોને નુકસાન પહોંચ્યું છે.

અમેરિકા અને ઇઝરાયલના સતત હવાઈ હુમલાઓ વચ્ચે ઈરાનમાં માનવીય સંકટ દિવસે ને દિવસે ગંભીર બની રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR)ના જણાવ્યા મુજબ યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં અંદાજે 32 લાખ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે, તેમાં મોટી સંખ્યામાં લોકો તહેરાન અને અન્ય મોટા શહેરોમાંથી સુરક્ષિત વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. એજન્સીએ ચેતવણી આપી છે કે જો હુમલાઓ ચાલુ રહેશે તો સ્થળાંતરિત લોકોની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે.એજન્સી મુજબ આ સંખ્યા લગભગ છ લાખથી 10 લાખ ઈરાની પરિવારો જેટલી થાય છે.

UNHCRની અધિકારી અયાકી ઈતોએ જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો તહેરાન અને અન્ય મોટા શહેરી વિસ્તારોમાંથી દેશના ઉત્તર ભાગો અને ગ્રામીણ વિસ્તારો તરફ જઈ રહ્યા છે, જ્યાં તેઓ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત વાતાવરણની શોધમાં છે.  UNએ ચેતવણી આપી છે કે યુદ્ધની આ વિનાશકારી અસર લેબેનોન અને મધ્ય-પૂર્વના અન્ય દેશોને પણ ચપેટમાં લઈ શકે છે. લેબેનેનમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાનાં ઘરો છોડીને ભાગી રહ્યા છે.

હિઝ્બુલ્લાનો હુમલો

ઉગ્રવાદી સંગઠન હિઝ્બુલ્લાહે ઈઝરાયલના ઉત્તર વિસ્તારો પર લગભગ 200 રોકેટ ફાયર કર્યા છે. આ હુમલામાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી, પરંતુ લોકોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ છે.

હવાઈ માલવહનના દરોમાં વધારો

અમેરિકા-ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યા બાદ કેટલાક માર્ગો પર એર કાર્ગો (હવાઈ માલવહન)ના દરોમાં લગભગ 70 ટકા સુધીનો વધારો થયો છે.