નરેન્દ્ર મોદીએ રાજકોટથી શરૂ કરી સંસદીય કારકિર્દીની સફર..

રાજકોટ: આજે 7 ઓકટોબર 2001ના એક ઐતિહાસિક દિવસને 23 વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા. ત્યારે આજે એ પણ યાદ કરાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા બાદ તેમની સંસદીય કારકિર્દી રાજકોટથી શરૂ કરી હતી.ગુજરાતના રાજકારણમાં એ સમયે જબરી ઉથલ-પાથલ મચી હતી. મુદ્દો હતો કે મોદી કઈ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. અંતે રાજકોટ – 2( પશ્ચિમ ) બેઠક ઉપરથી વજુભાઈ વાળાએ રાજીનામું આપી મોદી માટે બેઠક ખાલી કરી આપી હતી. ફેબ્રુઆરી 2002માં આ બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ અને નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ઝુકાવ્યું. તેમની સામે કોંગ્રેસે સહકારી આગેવાન અશ્વિન મહેતાને લડાવ્યા. રસાકસી વચ્ચે મોદી 14,728 મતથી વિજેતા બન્યા હતા.નરેન્દ્ર મોદી તેમના જીવનની આ પહેલી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા અને શરૂ થઈ તેમના જીવનની સંસદીય કારકિર્દી. રાજકોટની આજીથી વારાણસીની ગંગા નદી સુધીની અને ગાંધીનગરથી દિલ્હી સુધીની તેમનો રાજકીય સફરનો સૂરજ તપતો રહ્યો છે.રાજકોટથી જીત્યા બાદ સતત તેમના જીવનમાં રાજયોગ રહ્યો. વર્ષ 2014 સુધી તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી પદે રહ્યા બાદ 2014 માં તેઓ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ રાજકોટના લોકોને ભૂલ્યા નથી. તેઓ જ્યારે જ્યારે રાજકોટ આવ્યા છે ત્યારે તેઓ રાજકોટના લોકોના પ્રેમને યાદ કરે છે. કોઈ યોજનાની જાહેરાત કરે તો તેઓ કહે છે હું રાજકોટના લોકોનું ઋણ ઉતારવાનો પ્રયાસ કરું છું.નરેન્દ્ર મોદી રાજકોટ વિધાનસભાની જે બેઠક ઉપરથી જીત્યા એ રાજકોટ પશ્ચિમની બેઠક એ ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક ઉપરથી બે નેતાઓ પેટા ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી બન્યા છે. તેમાં વર્ષ 2002માં નરેન્દ્ર મોદી અને વર્ષ 2014માં વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. વજુભાઈ વાળા રાજપાલ બનતા આ બેઠક ખાલી પડી હતી.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)