જૂનાગઢ: ગિરનાર પર્વત પર શનિવાર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો. સિંહ બાળકને મોંમાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. ભારે શોધખોળ બાદ જંગલમાંથી બાળકના માત્ર કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વન વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની 25 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે.
સિંહે પાછળથી બાળક પર હુમલો કર્યો
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રાએ આવ્યો હતો. 11 જુલાઈના રોજ વહેલી સવારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો, ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી. બાળકના કુટુંબી કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યાનુસાર, ‘પરિવાર ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર જ પહોંચ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી 12 વર્ષના ભત્રીજા મયુરસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને મારા હાથમાંથી જ ખેંચીને ગણતરીની સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો હતો.’
ચીસાચીસ અને ભારે દોડધામ બાદ જંગલમાં શોધખોળ કરતા બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે.આ ઘટનાબાદ સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી આવવા-જવા માટે સૂચના આપવામાં આવી છે.
આ કરુણ ઘટના બાદ મૃતક બાળકના પરિવારે વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. પરિવારની માંગ છે કે, ગિરનારની સીડીઓ પર લાઈટની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. અંધારાના કારણે વન્યજીવ બેઠો હોય તો પણ યાત્રિકોને ખ્યાલ આવતો નથી. જેથી અહીં તાત્કાલિક લાઈટની સગવડ કરવામાં આવે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ગિરનારના પગથિયાં પર અમુક અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસરો તહેનાત કરવામાં આવે.પાંજરા ગોઠવાયા
બનાવની ગંભીરતાને જોતા વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી આવવા-જવા માટે સૂચના આપવામાં આવી છે. વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને જંગલ વિસ્તારમાં સિંહની શોધખોળ શરૂ કરાઈ છે.






