ગોવિંદા આલા રે આલા…!! મુંબઈમાં ઉત્સાહ-ઉમંગપૂર્વક ઉજવાયો દહીંહાંડી ઉત્સવ

હિન્દુ શ્રદ્ધાળુઓએ મુંબઈમાં 19 ઓગસ્ટ, શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અથવા જન્માષ્ટમી તહેવારની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. આ તહેવારમાં દહીંહાંડી (મટકી) ફોડવાનું અનેરું મહત્ત્વ હોય છે. સાહસિક તરૂણો-યુવકોએ ‘ગોવિંદા’ સ્વરૂપે અલગ અલગ જૂથ બનાવીને વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળો, માર્ગો પર ઊંચાઈ પર બાંધવામાં આવેલી મટકીઓ (દહીંહાંડી)ને માનવ-પિરામીડ બનાવીને ફોડીને ઉત્સવની ઉજવણી કરવાનો આનંદ માણ્યો હતો. ગોવિંદા તરૂણો-યુવકો રંગબેરંગી પોશાકમાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા. એમનાં પરાક્રમને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કોરોનાવાઈરસ ચેપી બીમારીને કારણે નિયંત્રણોવાળા બે વર્ષ બાદ આ વખતે દહીહાંડી ઉત્સવ પરથી તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે, તેથી મોટા પાયે ઉજવણી થતી જોવા મળી. આ તસવીરો મધ્ય મુંબઈના દાદર ઉપનગરની છે. (તસવીરોઃ દીપક ધુરી)