‘આરાધના’નું રહસ્ય : રફી નહીં, કેમ કિશોર કુમારે રાજેશ ખન્નાને અવાજ આપ્યો?

ફિલ્મ ‘આરાધના’ (૧૯૬૯)ના નિર્માણ માટે શમ્મી કપૂર નિમિત્ત બન્યા હતા. ફિલ્મમાં મોહમ્મદ રફીના બદલે કિશોરકુમારનો નંબર લાગ્યો હતો અને રાજેશ ખન્નાના અવાજ તરીકે પણ ઉદય થયો હતો. નિર્દેશક શક્તિ સામંતાના પુત્ર અશીમ સામંતાએ એક મુલાકાતમાં ફિલ્મ ‘આરાધના’ ના જન્મ, ગીત-સંગીત અને ગાયન સાથે જોડાયેલી આવી અત્યંત રોમાંચક અને અનન્ય વાતો કહી છે.

ફિલ્મનું નિર્માણ કેવી રીતે થયું તે જ એક મોટો વળાંક હતો. ખરેખર તો શક્તિ સામંતા શમ્મી કપૂર સાથે ‘જાને અનજાને’ (1971) બનાવી રહ્યા હતા. પરંતુ શમ્મીજીનું વજન ખૂબ વધી ગયું હોવાથી શક્તિદાએ તેમને વજન ઘટાડવા છ મહિનાનો સમય આપ્યો હતો. એ પછી એમણે જોયું તો શમ્મીજી પાતળા થવાને બદલે વધારે જાડા થઈ ગયા હતા. આ સ્થિતિમાં શક્તિદાએ નક્કી કર્યું કે તેઓ અત્યારે એક નવી ફિલ્મ શરૂ કરશે. તે સમયે તેમને વર્ષો પહેલાં સચિન ભૌમિકે ‘આરાધના’ ની વાર્તા સંભળાવી હતી એ મનમાં તાજી હતી. તેમણે આ વાર્તા પર કામ કરવાનું નક્કી કર્યું અને નવા હીરો રાજેશ ખન્નાને લેવાનું વિચાર્યું. ત્યારે રાજેશ ‘બહારોં કે સપને’ (1967) કરી રહ્યા હતા. શક્તિદાએ નાસીર હુસેનને વિનંતી કરીને ફિલ્મની તૈયાર થયેલી એક રીલ જોઈ હતી.

રાજેશ ખન્નાનું કામ જોયા પછી ‘આરાધના’ માટે યોગ્ય લાગ્યા હતા. જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યારે ખન્ના એના માટે બહુ ઉત્સાહિત નહોતા. કેમ કે ખન્નાને એવું લાગ્યું હતું કે આ ફિલ્મ અભિનેત્રી પ્રધાન છે. તેમાં હીરો માટે ખાસ કંઈ નથી. જોકે, યુનાઈટેડ પ્રોડ્યુસર્સ સાથેના કરારને કારણે તેઓ શક્તિ સામંતાની આ ફિલ્મ કરવા માટે બંધાયેલા હતા. તેથી અનિચ્છાએ પણ આ ભૂમિકા સ્વીકારી લીધી હતી. બાકી આ ફિલ્મ એ કરવા માગતા ન હતા. શક્તિદાએ તેમને ખાતરી આપી હતી કે આ સારી વાર્તા છે અને ફિલ્મ સુપરહિટ જશે. આ ફિલ્મના સંગીત સાથે જોડાયેલી કથા પણ એટલી જ રસપ્રદ છે.

મૂળભૂત રીતે બધા ગીતો મોહમ્મદ રફી ગાવાના હતા પરંતુ ત્યારે તે શૉ માટે ત્રણ મહિનાની વર્લ્ડ ટૂર પર હતા. શક્તિદાએ સચિનદેવ બર્મનને પૂછ્યું કે હવે શું કરવું? ત્યારે એમણે સૂચવ્યું કે કિશોરકુમાર પાસે આ ગીતો ગવડાવીએ. આ એક સંજોગ હતો જેણે બોલિવૂડને રાજેશ ખન્ના અને કિશોરકુમારની અમર જોડી આપી. કિશોરદાએ ‘ગાતા રહે મેરા દિલ’ જેવા ગીતો ગાયા હતા એટલે તેમના પર ભરોસો મૂકવામાં આવ્યો.

કિશોરકુમારે રાજેશ ખન્નાના હાવભાવ અને બોલવાની શૈલીનો અભ્યાસ કરવા માટે પહેલાં તેમની મુલાકાત લીધી હતી. જેથી ગીતોમાં એ જ અંદાજ લાવી શકાય. સંગીત નિર્માણ દરમિયાન આર.ડી. બર્મન ‘પંચમદા’ પણ ત્યાં હાજર રહેતા હતા. ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે એસ.ડી. બર્મને બે ધૂન બનાવી હતી. શક્તિદાને બીજી ધૂન વધારે પસંદ પડી હતી પણ એસ.ડી. બર્મનને પહેલી ધૂન ગમતી હતી. પંચમદાએ ચોરીછૂપીથી શક્તિદાને કહ્યું કે બીજી ધૂન જ શ્રેષ્ઠ છે. છેવટે શક્તિદાએ એસ.ડી. બર્મનને મનાવી લીધા હતા અને આજે આપણે જે સાંભળીએ છીએ તે બીજી ધૂન છે.

(હવે પછીના લેખમાં રાજેશ ખન્ના માત્ર ૩ કલાકમાં સુપરસ્ટાર બની ગયા હતા એની રસપ્રદ વાતો વાંચશો!)