ફિલ્મોના ગીતોમાં વાંસળી વગાડનાર રોનુ મજુમદારે ગાયક કિશોરકુમાર સાથે કામ કર્યું હોવાથી એમના ઘણા રસપ્રદ કિસ્સાઓ એક મુલાકાતમાં યાદ કર્યા હતા. એમ કહેવાય છે કે કિશોરકુમાર પોતાની ફી લેવા બાબતે બહુ ચોક્કસ હતા. ફી વગર કામ કરતાં ન હતા. રોનુએ એક બંગાળી ગીતના રેકોર્ડિંગનો કિસ્સો યાદ કરતાં કહ્યું છે કે અભિનેતા ઉત્તમકુમાર મૃત્યુ પામ્યા પછી એમની યાદમાં એક ફિલ્મમાં ‘સબ ચિતા મેં જાકર જલ જાયેગા’ અર્થવાળું ગીત સાંભળીને પોતે તો રડી જ પડ્યા હતા પણ કિશોરકુમારની આંખોમાં પણ આંસુ જોયા હતા. તે સ્ટુડિયોની બહાર આવી ચશ્મા ઉતારી આંસુ લૂંછતા હતા.
જ્યારે એમને ગાયનની ફીનું કવર ધરવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે પૈસાની વાત ના કરીશ. આવું ગીત ગવડાવે છે અને પૈસાની વાત કરે છે. એ ફી લીધા વગર જ જતાં રહ્યા હતા. રોનુએ કહ્યું કે એ સમય પર બધા ગાયકો ગીતનું રેકોર્ડિંગ કર્યા પછી પોતાનો આવાજ સાંભળી જોતાં હતા. કિશોરકુમારને એટલો વિશ્વાસ રહેતો હતો કે એ ગીત ગાઈને સાંભળતા ન હતા. ગીત પૂરું થયા પછી વાળ ઓળતા અને નીકળી જતાં હતા. પૈસા પહેલાં જ લઈ લેતા હતા. જો પૈસા ના મળે તો ગળું ખરાબ છે એમ કહી નીકળી જતાં હતા.
ફિલ્મ ‘દોસ્તાના’ (1980) ના ‘સલામત રહે દોસ્તાના હમારા’ નું મહેબૂબ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ હતું ત્યારે મોહમ્મદ રફી સમય પર આવી ગયા હતા પણ કિશોરકુમાર મોડા આવ્યા. અને આવીને રફી સાહેબના શરીર પર ગલીપચી કરવા લાગ્યા હતા. ત્યારે હસતાં હસતાં રફી સાહેબે કહ્યું કે તું મજાક રહેવા દે ગીત બહુ ગંભીર છે. કિશોરકુમાર મજાકમાં બોલ્યા કે હું તો ગીતો ગાતો જ નથી. થોડીવાર પછી રફી સાહેબનું ટૂંકું શર્ટ ખેંચીને એમ કહ્યું કે એને લાંબુ કરો! મજાક મસ્તી સાથે રેકોર્ડિંગમાં પહોંચ્યા ત્યારે રોનુને થયું કે રફી સાહેબે ત્રણ વખત ગીતનું રિહર્સલ કરી લીધું છે. એ વધારે જોરદાર ગાશે. કેમકે કિશોરદાએ એકપણ વખત રિહર્સલ કર્યું નથી અને ગીત પ્રત્યે ગંભીર નથી.
ગીતની શરૂઆત રફી સાહેબે કરી. પણ જ્યારે કિશોરકુમાર ગાવા લાગ્યા ત્યારે રોનુના રૂંવાડા ઊભા થઈ ગયા. એમનો અવાજ પહાડી હતો. સ્પીકર એમના અવાજથી જાણે ભરાઈ ગયા. રોનુને થયું કે કોઈ ચમત્કાર થઈ ગયો. આખા ગીતમાં એમણે રફી સાહેબ કરતાં વધારે પ્રવાવશાળી અવાજ આપ્યો અને એક જ ટેકમાં ગીત ગાઈ લીધું.
ફિલ્મ ‘સાગર’ (1985) નું ‘સાગર જૈસી આંખોવાલી’ ગીત કિશોરકુમારે એક જ ટેકમાં ગાઈ લીધું હતું પરંતુ ‘સાગર કિનારે’ માટે એ રિહર્સલ કરી રહ્યા હતા. લતા મંગેશકરની તબિયત સારી ન હોવાથી પોતાનો ભાગ ગાઈને નીકળી ગયા હતા. કિશોરકુમાર એકલા જ રિહર્સલ કરતાં હતા. રોનુએ આ ગીતનું રિહર્સલ છુપાઈને સાંભળ્યું હતું. આ ગીત માટે તે મોટી સ્કેચપેનથી લખી રહ્યા હતા અને જ્યાં કંપન આવવાનું હોય ત્યાં પક્ષી જેવો આકાર દોરતા હતા. રોનુએ ગીતના સંગીતમાં એ જ જગ્યાએ કંપન લીધું હતું. કિશોરકુમાર જે રીતનું કંપન આપી શકતા હતા એ કોઈના વશનું કામ ન હતું.
