શ્રીનગર- ભારતની જમ્મુ-કશ્મીર સરહદ પર પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગતરોજ પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં ભારતીય સેનાના એક કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા હતાં. સમગ્ર દેશમાં આ ઘટના અંગે રોષની લાગણી છે.લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની અને ચારના બદલામાં પાકિસ્તાનના ચાલીસ સૈનિકો મારવાની માગ કરી રહ્યાં છે. આ દરમિયાન ભારતીય સેનાના ઉપસેનાપ્રમુખે જણાવ્યું કે, સેના તેની કાર્યવાહી ચાલુ રાખશે. અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપશે. વધુમાં સેના પ્રમુખે કહ્યું કે, પાકિસ્તાન સામે સેના નહીં બોલે, સેનાની કાર્યવાહી બોલશે.
સેના ઉપપ્રમુખે દાવા સાથે જણાવ્યું છે કે, પાકિસ્તાની સેના સરહદ ઉપર આતંકીઓને ભારતીય સીમામાં ઘુસાડવા મદદ કરે છે. અને આતંકવાદનું સમર્થન કરે છે. પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધવિરામના ઉલ્લંઘન પર સવાલનો જવાબ આપતાં સેનાના ઉપપ્રમુખે કહ્યું કે, પાકિસ્તાન સામેની અમારી કાર્યવાહીથી આપને જવાબ મળી જશે.
આપને જણાવી દઈએ કે, હાલમાં જ પાકિસ્તાને જમ્મુ-કશ્મીરના પૂંછ અને રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા ઉપર યુદ્ધ વિરામનો ઉલ્લંઘન કર્યો હતો અને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ભારતીય સેનાના 22 વર્ષના કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા હતાં. પાકિસ્તાનની આ હરકતો બાદ ફરી એકવાર પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરવાની માગ પ્રબળ થઈ રહી છે.