ખોટ કરી રહેલી બીએસએનએલ કંપની કદાચ 54 હજાર કર્મચારીઓને છૂટા કરશે

મુંબઈ – સરકાર હસ્તકની ટેલિકોમ સર્વીસીસ પ્રોવાઈડર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એના કર્મચારીઓની સંખ્યામાં ધરખમપણે કાપ મૂકવા વિચારે છે.

સૂત્રોનું કહેવું છે કે BSNL 54,451 કર્મચારીઓને છૂટા કરવા વિચારે છે. આ માટે તે કર્મચારી નિવૃત્તિ વયને ઘટાડીને 58 વર્ષ કરશે.

સૂત્રોનું કહેવું છે કે કંપનીનાં કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) રજૂ કરવામાં આવે એવી ધારણા છે.

BSNLની બોર્ડ મીટિંગ 15 ફેબ્રુઆરીના શુક્રવારે નવી દિલ્હીમાં મળવાની છે. એ વખતે આ પ્રસ્તાવો અંગે ચર્ચા કરવામાં આવશે એવી ધારણા છે.

જો વીઆરએસનો અમલ કરાશે તો BSNLમાં કર્મચારીઓ માટે નિવૃત્તિ વય ઘટીને 58 થશે જે હાલ 60 વર્ષ છે.

આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરીને કંપની આવતા છ વર્ષ માટે રૂ. 13,895 કરોડ જેટલી માતબર રકમ બચાવી શકશે એવી ધારણા છે.

હાલ કંપની આર્થિક ખોટમાં છે. એણે વર્ષ 2017-18 દરમિયાન રૂ. 7,993 કરોડની ખોટ દર્શાવી હતી, જે તેના પાછલા વર્ષ કરતાં 66 ટકા વધારે હતી.