મૌલાના મસૂદ અઝહર પર સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ મુકશે તો શું અસર થશે?

નવી દિલ્હી- અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ આતંકવાદ મામલે ભારતનો સાથ આપી રહ્યાં છે. આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરવામાં આવ્યો છે. આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદનો સંચાલક મસૂદ પર તાજેતરમાં જ પુલવામામાં થયેલા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાનો આરોપ છે. અમેરિકા સહિત ત્રણેય દેશોના પ્રસ્તાવ ભારત માટે મોટી કૂટનીતિક સફળતા છે. જ્યારે સમા પક્ષે પાકિસ્તાન માટે મોટા આંચકારૂપ છે.

જો જેશનો સંચાલક મસૂદને ગ્લોબલ આંતકી જાહેર કરવાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મંજૂર કરી દેશે તો, મસૂદ કોઈ પણ સ્થળે યાત્રા નહીં કરી શકે. તેની સંપત્તિ જપ્ત થવાની સાથે હથિયારોની સપ્લાય પણ તેને નહીં મળી શકે.

સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ સંયુક્ત રાષ્ટ્રના તમામ દેશો તેમના ઘરેલુ કાયદા હેઠળ પર મસૂદ પર પ્રતિબંધ લગાવી દેશે. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ વિશ્વભરના દેશોમાં અઝહરની એન્ટ્રી પર પ્રતિબંધ લાગી જશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની આર્થિક ગતિવિધિઓની પણ મંજૂરી નહીં મળે.

ફાઈનાન્શિયલ એક્શન

સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ તેમના ફંડ્સને ફ્રીઝ કરવા પડશે. ફાઈનાન્શિયલ એસેસ્ટ્સ, ઈકોનોમિક રિસોર્સિસને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે.

સભ્ય દેશોએ પોતાના દેશમાં રહેલી મસૂદની કોઈ પણ પ્રકારની સંપત્તિને જપ્ત કરવાની સાથે સંબંધિત વ્યક્તિ કે સંસ્થાઓના આર્થિક સંસાધનોને બ્લોક કરવાનું રહેશે. સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલ કોઈ પણ દેશના લોકો આતંકી અઝહરને કોઈ પણ પ્રકારની મદદ નહીં કરી શકે.

ટ્રાવેલ પ્રતિબંધની શું થશે અસર

મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘના કોઈ પણ સભ્ય દેશની યાત્રા મસૂદ નહીં કરી શકે. યૂએનના તમામ સભ્ય દેશોએ તેમના હથિયારો, હથિયાર નિર્માણની ટેકનિક, સ્પેર પાર્ટ્સ સહિતના આર્મ્સ સાથે જોડાયેલ કોઈ પણ વસ્તુ તેમના સુધી પહોંચતી રોકવી પડશે.