મોમો ફેક્ટરીમાં આગની ઘટના પર શાહે મમતા સરકારને ઘેરી

0

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યની મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યો હતો. ઉત્તર 24 પરગણામાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આનંદપુરની મોમો ફેક્ટરીમાં લાગેલી આગ કોઈ અકસ્માત નથી, પરંતુ ભ્રષ્ટાચારનું પરિણામ છે. 25 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 27 લોકો હજુ લાપતા છે. આ ઘટના કેમ બની?

તેમણે મમતા બેનર્જી સરકાર પાસે આ આગની ઘટનાની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરાવવાની માગ કરી હતી.

મોમો ફેક્ટરીમાં કોનું પૈસા લાગેલા છે?

શાહે પ્રશ્ન કર્યો હતો કે આ મોમો ફેક્ટરીમાં કોના પૈસા લાગેલા છે? ફેક્ટરીના માલિક કોણ છે? ફેક્ટરીના માલિક કયા લોકો સાથે વિદેશ પ્રવાસે ગયા છે? અને અત્યાર સુધી ફેક્ટરીના માલિકની ધરપકડ કેમ નથી કરવામાં આવી? જો આ લોકો ઘૂસણખોર હોત તો શું મમતા બેનર્જીની પ્રતિક્રિયા એવી જ હોત? અહીં બંગાળી નાગરિકોનાં મોત થયાં છે; તો પછી તમે વોટબેંકનું રાજકારણ કેમ કરી રહ્યા છો? મમતા બેનર્જીને શરમ આવવી જોઈએ.

મમતા સરકાર ઘટનાની ન્યાયિક તપાસ કરાવે

તેમણે કહ્યું હતું કે આજે અહીંથી હું બંગાળનાં મુખ્ય મંત્રીને માગ કરું છું કે આ ઘટનાની નિષ્પક્ષ, ન્યાયિક તપાસ કરાવવામાં આવે અને જે કોઈ દોષી હોય તેને જેલની પાછળ મોકલવામાં આવે. સુવેંદુ અધિકારી અને સમિક ભટ્ટાચાર્ય પીડિત પરિવારોને મળવા ગયા હતા. અમારા કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને પોલીસે તેમના પર બર્બરતા કરી. મમતા બેનર્જીની પાર્ટી અને સરકારનો ભ્રષ્ટાચાર હવે છુપાવી શકાય તેમ નથી. આનંદપુરના ગોડાઉનમાં લાગેલી આગ ચીસો પાડી રહી છે કે મમતા બેનર્જીના લોકો તેમાં સામેલ છે. જો મમતા બેનર્જી આ બાબતને દબાવવા માગે છે તો દબાવી લે, પરંતુ એપ્રિલ પછી જ્યારે ભાજપની સરકાર આવશે, ત્યારે આ આગના દોષીઓને એક-એક કરીને જેલમાં મોકલવામાં આવશે.