NEET વિદ્યાર્થિની બળાત્કાર કેસ: બિહાર સરકારે CBI તપાસની માગ કરી

પટનાઃ બિહારની રાજધાની પટનામાં શંભુ હોસ્ટેલમાં રહીને NEETની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિની સાથે કથિત રીતે બળાત્કારની ઘટના બની હતી. સારવાર દરમિયાન પીડિતાનું હોસ્પિટલમાં મોત થયું હતું. હવે આ મામલે બિહાર સરકારે CBI તપાસની ભલામણ કરી છે. આ મુદ્દે વિપક્ષ સતત સરકાર પર દબાણ બનાવી રહ્યો હતો અને પીડિતાના પરિવારે પણ CBI તપાસની માગ કરી હતી.

સમ્રાટ ચૌધરીએ શું માહિતી આપી?

રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીએ ખુદ આ માહિતી આપી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું કે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે ભારત સરકારને પટનામાં થયેલા NEET વિદ્યાર્થિની હત્યાના કેસ (કાંડ નંબર 14/26)ની CBI દ્વારા તપાસ કરવાની વિનંતી કરી છે. આ ઘટનાની પારદર્શક અને ન્યાયસંગત તપાસ સુનિશ્ચિત કરવામાં આવે.

સંપૂર્ણ મામલો શું છે?

પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ જાન્યુઆરીએ પટનાના એક ગર્લ્સ હોસ્ટેલમાં NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીને અચેત હાલતમાં મળી હતી. તેને તરત પ્રભાત મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 6 થી 8 જાન્યુઆરી સુધી સારવાર ચાલી. હાલત બગડતાં 9 જાન્યુઆરીએ તેને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને 11 જાન્યુઆરીએ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું?

આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલીસ તપાસ પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. રિપોર્ટ મુજબ વિદ્યાર્થિની સાથે બળજબરી કરવામાં આવી હતી. ગળા અને ખભા પાસે નખોનાં ઊંડાં નિશાન મળ્યાં, છાતી અને ખભાની નીચે ખંજવાળ જેવા ઘા હતા, ખાનગી ભાગમાં તાજી ઇજા જોવા મળી અને બળજબરીથી પ્રવેશ (ફોર્સફુલ પેનેટ્રેશન)ની પુષ્ટિ થઈ. સૌથી મહત્વની વાત એ હતી કે પીડિતા બેભાન નહોતી અને તેણે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.