વજુભાઈ શ્રદ્ધાંજલિ…


યુગસર્જક લેખક

લોકપ્રિય સામયિકો ‘ચિત્રલેખા’, ‘જી’ તથા ‘બીજ’ના સંસ્થાપક અને તંત્રી વજુ કોટકે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે નવો ચીલો પાડ્યો હતો. ફિલ્મનાં કથા-પટકથા લેખનથી કારકિર્દીનો આરંભ કર્યા પછી વજુભાઈની કલમે આલેખાયેલી નવલકથાઓ અને તત્વચિંતનની રત્નકણિકા પ્રભાતનાં પુષ્પોએ વાચકોની અપૂર્વ ચાહના હાંસલ કરી છે. પુરાણથી વિજ્ઞાન અને રાજકારણથી ફિલ્મ સુધીના અનેક વિષય પર એમનું પ્રભુત્વ રહ્યું છે. ‘ચિત્રલેખા’ અને ‘જી’એ તો સૌથી વધારે ફેલાવાનો વિક્રમ સર્જીને લોકપ્રિયતાની એ પ્રણાલી જાળવી રાખી.

 

 


પ્રભાતનાં પુષ્પો

ઘણા વખત પછી ફરી આપણે આજે મળ્યા છીએ અને તમે મને કહો છો, ‘આપણી વચ્ચે અંતર પડી ગયું. અમે તો તમને રોજ યાદ કરતા હતા.’

ખરેખર, એકબીજાથી વિરોધી એવી વાતો કરીને જ તમે તમારી જાતને વધુ દુઃખી બનાવી દીધી છે. તમે કહો છો કે અંતર પડી ગયું અને રોજ તમે અમને યાદ કરતા હતા! જ્યાં એકબીજાના નામનું સ્મરણ છે ત્યાં કદી અંતર પડતું જ નથી એ વાત તમે જ ભૂલી જાઓ છો! જે પળે તમે અમારું સ્મરણ કરો છો એ જ પળે અમારું સૂક્ષ્મ સ્વરૂપ તમારા અંતરમાં આવીને વસી જાય છે અને આમ છતાં પણ અમે તમારાથી દૂર ચાલ્યા ગયા છીએ એવું કહીને દુઃખ ઉત્પન્ન કરો છો. કારણ કે દેહનો જે આકાર તમે અમારો જોયો હતો એ જ સ્વરૂપની તમે ઝંખના કરો છો. તમે જ કહો છો કે દેહ નાશવંત છે. માટીમાંથી આવ્યા અને માટીમાં મળી જવાના છીએ. અમે માટીમાંથી આવ્યા અને માટીમાં મળી ગયા છીએ એ તમે જાણો છો તો પછી શા માટે તમારી સમક્ષ જે માટી પડી છે એમાં તમે અમારું દર્શન નથી કરતા? ફરી એ જ માટીમાંથી પ્રભાતનાં પુષ્પો સ્વરૂપે હું તમારી સમક્ષ રજૂ થયો છું. કહી દઉં છું કે મારા રૂપરંગ કે આકાર સાથે માયા ન બાંધતા, પણ જે સુવાસ લઈને હું આવ્યો છું એને જો અંતરમાં સંઘરશો તો પછી તમને ચારે બાજુ આ સૃષ્ટિ પુષ્પોથી ભરેલી જ દેખાશે!

આ સ્થિતિ જો પ્રાપ્ત થશે તો ફરી તમને ફરિયાદ કરવાનો વખત નહીં રહે કે તમારી અને અમારી વચ્ચે અંતર છે! પછી તો જ્યારે તમે અમારું સ્મરણ કરશો ત્યારે હું જુદાં જુદાં સ્વરૂપે તમારી આસપાસ જ વસી રહ્યો છું એવું તમને ભાન થશે.

જુઓ તો ખરા, બિંદુમાં હું સાગર બનીને બેઠો છું અને સાગરમાં બિંદુ બનીને તમારા પગ ધોઈ રહ્યો છું!

(લેખકના પુસ્તક ‘પ્રભાતનાં પુષ્પો’માંથી)

 

 

 


વજુ કોટક : જીવનઝરમર

પૂરું નામઃ વજુ લખમશી કોટક

જન્મઃ 30 જાન્યુઆરી, ૧૯૧૫

જન્મ સ્થળઃ રાજકોટ

પિતાઃ લખમશી મંગળજી કોટક

માતાઃ કડવીબહેન

ભાવનગરઃ ૧૯૨૬થી ૧૯૩૫

અમદાવાદઃ ૧૯૩૬

અભ્યાસઃ આલ્ફ્રેડ હાઈ સ્કૂલ, રાજકોટ. સનાતન હાઈ સ્કૂલ, શામળદાસ કોલેજ, ભાવનગર.

લેખનની શરૂઆતઃ ‘જય સૌરાષ્ટ્ર’ રાજકોટ, ‘લોકવાણી’ સુરત.

મુંબઈમાં આગમનઃ ૧૯૩૭

પ્રથમ પુસ્તકઃ ઈસાડોરા ડંકનની આત્મકથાનું રૂપાંતર ‘રૂપરાણી’ ૧૯૪૧ (એકમાત્ર અનુવાદિત પુસ્તક)

પહેલી નવલકથા: રમકડા વહુ

ફિલ્મક્ષેત્રેઃ ‘કસોટી’ ફિલ્મના સહાયક નિર્દેશક-૧૯૪૧

કથા-પટકથા અને નિર્દેશકઃ ‘શતરંજ’ (હિન્દી) અને ‘ગોરખધંધા’ (ગુજરાતી)

સંવાદલેખક તરીકેઃ ‘ખિલૌના’, ‘પરિસ્તાન’, ‘પરિવર્તન’, ‘ભલાઈ’, ‘મંગળફેરા’, ‘નણંદ-ભોજાઈ’, ‘ગોરખધંધા’ અને ‘લગ્નમંડપ’

લેખક-પત્રકાર-તંત્રીઃ ‘ચિત્રપટ’ ૧૯૪૬

લગ્નઃ ૧૯ મે, ૧૯૪૯, ભાવનગર

પત્નીઃ મધુરી કોટક

સંતાનોઃ બે પુત્રો મૌલિક અને બિપિન. એક પુત્રી રોનક

સ્વતંત્ર પત્રકાર-તંત્રીઃ ‘ચિત્રલેખા’ ૧૯૫૦

માલિકી-મુદ્રણાલયઃ સ્ટાર પ્રિન્ટરી-૧૯૫૧

પહેલું માસિકઃ ‘લાઈટ’ (અંગ્રેજી) ૧૯૫૩

બીજું માસિકઃ ‘બીજ’ ૧૯૫૩

ત્રીજું માસિકઃ ‘જી’ સિનેમા મેગેઝિન ૧૯૫૮

સ્વર્ગવાસઃ ૨૯ નવેમ્બર, ૧૯૫૯

પુસ્તકોઃ ‘રૂપરાણી’, ‘રમકડા વહુ’, ‘જુવાન હૈયાં’, ‘ઘરની શોભા’, ‘ચુંદડી અને ચોખા’, ‘આંસુનાં તોરણ’, ‘હા કે ના?’, ‘માનવતાનો મહેરામણ’, ‘આંસુની આતશબાજી’, ‘ડો. રોશનલાલ’, ‘પ્રભાતનાં પુષ્પો’, ‘બુદ્ધિના બ્રહ્મચારી’, ‘કાદવના થાપા’, ‘ગલગોટા’, ‘પુરાણ અને વિજ્ઞાન’, ‘ચંદરવો’, ‘ધોંડુ અને પાંડુ’, ‘શહેરમાં ફરતાં ફરતાં’, ‘બાળપણના વાનરવેડા’.

નવલકથાઃ જુવાનહૈયાં, રમકડાં વહુ, ઘરની શોભા, ચૂંદડીને ચોખા, આંસુની આતશબાજી

વાર્તાસંગ્રહઃ ગલગોટા, કાદવના થાપા

હાસ્યકટારસંગ્રહઃ બુદ્ધિના બ્રહ્મચારી, ધોંડુ અને પાંડુ

સ્મરણલેખઃ બાળપણનાં વાનરવેડાં

અનુવાદઃ રૂપરાણી (ઇસા ડોરા ડંકનનું જીવનચરિત્ર)

ચિંતન: પ્રભાતનાં પુષ્પો, ચંદરવો, પુરાણ અને વિજ્ઞાન