નરેન્દ્ર મોદીનું સાહસિક નેતૃત્વ અને કુટનીતિ

સિંદૂર શોભનં રકતં સૌભાગ્યં સુખવર્ધમનમ્ ।

શુભદં કામદં ચૈવ સિંદૂરં પ્રતિગુહ્યાતામ્. । ।

લાલ રંગનું સિંદૂર શોભા,સૌભાગ્ય અને સુખ વધારનારૂં છે. શુભ અને તમામ ઈચ્છાઓ પૂરી કરનારું છું. હે દેવ, તમે તેનો સ્વીકાર કરો.

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 26 લોકોની ઘાતકી હત્યાઓ દ્વારા મહિલાઓના સિંદૂર ભૂંસનાર પાકિસ્તાનના આતંકવાદીઓ સામે ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને “ધર્મો રક્ષતિ રક્ષિતઃ”ને ચારિતાર્થ કરતું નરેન્દ્ર મોદીના પ્રેરક નેતૃત્વમાં થયેલ “ઓપરેશન સિંદૂર” એ વિશ્વમાં અજરા-અમર રહેશે. દેશની 140 કરોડની જનતાએ જ નહીં, વિશ્વના તમામ દેશોએ ‘સિંદૂર’નો અર્થ,ભાવ અને શક્તિ વિશેષ નોંધ લીધી છે. આ ઓપરેશને વિશ્વને આતંકવાદ સામે અને નારી સુરક્ષા માટેની અકલ્પનીય અને અદભૂત દિશાદર્શન તેમજ શક્તિની પ્રેરણા આપી છે.

જેમ દેશનાં દરેક નાગરીકો માટે ‘તિરંગો’ એ ભારતની આન-બાન-શાન છે તેમ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે ‘સિંદૂર’ આન-બાન-શાન છે. તે નરેન્દ્રભાી મોદીએ સૈન્યશક્તિના “ઓપરેશન સિંદૂર”થી વિશ્વને પ્રતિતી કરાવી દીધી છે. વિશ્વમાં સૌથી વધુ ચર્ચા, લેખો અને સમાચારોમાં તેની વિશેષ નોંધ લેવાઈ છે. ગુજરાતમાં ચાર જગ્યાએ તિરંગાયાત્રામાં મારે પ્રત્યક્ષ જવાનું થયું. સતત દેશ-વિદેશની ચેનલો, સમાચારપત્રો જોયાં-જાણ્યાં પછી એટલું ચોક્કસ કહી શકાય કે..રામાયણમાં માતા સીતાજીને માથામાં સિંદૂર પૂરતા જોઈને શ્રી હનુમાનજીએ સીતામાતાને કહ્યું કે, તમે કેમ સિદૂંર કેમ લગાવો છો ?

સીતાજીએ કહ્યું કે હું મારા પતિ શ્રી રામના લાંબા આયુષ્ય અને મંગલકામના માટે આ સિંદૂર લગાવું છું. સીતાજીની આ વાત સાંભળીને હનુમાનજી એ પણ આખા શરીર ઉપર સિંદૂર ચોપડી દીધું. જે રીતે પ્રભુભક્તિ માટે સિંદૂરીયા હનુમાનજી પ્રચલિત થયાં. તે રીતે દેશભક્તિ અને નારીસુરક્ષા ગૌરવ માટે સિંદૂરીયા નરેન્દ્રભાઈ મોદી યુદ્ધના ઈતિહાસમાં યાદગાર રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રણ વાક્યોમાં ભારતની સ્પષ્ટ યુદ્ધનીતિના દર્શન થાય છે. 

1) આતંકવાદીઓને એવી સજા મળશે. તેની કલ્પના પણ નહીં કરી શકે.

2) લોહી અને પાણી એક સાથે વહી ન શકે. 

3) ટેરર, ટ્રેડ અને ટોક એક સાથે નહીં થાય. 

ભારતના વીરજવાનોએ માત્ર 22 મિનિટમાં પાકિસ્તાનના 9 સ્થાન ઉપર 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને 12 જેટલા એરબેઝને નુકસાન પહોંચાડ્યું. તેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની પ્રજા કે સૈન્યને ટાર્ગેટ કરી નથી. અત્યારે ભારતના તમામ રાજકીય પક્ષોના 59 જેટલાં નેતાઓ સાથે 85 રાજપૂતો સાથે 7 પ્રતિનિધી મંડળો 32 જેટલાં દેશોમાં પ્રવાસ કરીને આતંકવાદી પાકિસ્તાનને કરતુતોને વિશ્વ સમક્ષ ખુલ્લા પાડી રહ્યાં છે અને ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોરેલેન્સ નીતિ સાથે ભારતનું ગૌરવ વધારી રહ્યાં છે. આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વને એક કરવા માટેના સમર્થનમાં આજે ભારત નેતૃત્વ કરી રહ્યું છે.

નરેન્દ્રભાઈ મોદીના સાહસિક નેતૃત્વ, યુદ્ધ નીતિ અને કુટનીતિથી પાકિસ્તાન સતત ધ્રુંજી રહ્યું છે. ભારતના કોઇપણ આતંકવાદી દૂશ્મનને પાકિસ્તાનમાં શોધી શોધીને મારવામાં આવે છે અને તેના અડ્ડાઓને પણ નાશ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં રાજકીય ભયંકર અસ્થિરતા છે. બલુચિસ્તાનમાં બળવો છે. તેના લશ્કર સામે જનતાનો ભયંકર આક્રોશ છે અને તેનું અર્થતંત્ર ખલાસ થઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુઓનો અભાવ છે. પાકિસ્તાનમાં ભયંકર મોંઘવારી અને બેરોજગારીમાં જનતાની હાલત કફોડી છે.

જયારે બીજીબાજૂ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને વિશ્વમાં માન-સન્માન અને ગૌરવ વધ્યું છે. અત્યારે વિશ્વમાં ચીનના પ્રેસિડેન્ટ ઝીંનપીંગની ‘વિસ્તારવાદી’, રશિયાના પ્રમુખ  પુતિનની ‘યુદ્ધવાદી’, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટેરીફવાદી’ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘વિકાસવાદી’ છાપ બની છે.  જાપાનને પાછળ રાખીને ભારત વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે. વર્ષ 2014માં ભારતનું અર્થતંત્ર 2 ટ્રિલીયન ડોલર હતો. હવે, એપ્રિલ-25માં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રીપોર્ટ મુજબ અર્થતંત્રને 4 ટ્રિલીયન પર પહોંચાડીને આત્મનિર્ભર ભારતે વિશ્વને વિરાટ શક્તિનું દર્શન કરાવી દીધું છે.

મિડીયા વોર અને માઈન્ડ વોરના જમાનામાં લોકોને યુદ્ધનો “માહોલ” ગમતો હોય છે પરંતુ, યુદ્ધ પછીની “બેહાલી” ગમતી નથી. અત્યારે વર્લ્ડવોર જેવી પરિસ્થિતિ છે. ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેના દૃશ્યો સતત ટીવી પર આવતાં જોઈને નિર્દોષ લોકોના જાનમાલની ખુવારી, ખંડેર થતાં બિલ્ડીંગો, ભાંગેલા-તુટેલા ઘરો, રોટી માટેની રોક્કળ સાથે ફાંફા મારતા ટોળાઓ, મહિલા અને બાળકોના હ્યદયદ્વાવક દૃશ્યોથી ભારતની માનવતાને પીડા થતી હોય છે. એટલે જ, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયા સહિત દેશોને ‘‘આ સમય ‘યુદ્ધ’નો નહીં, પરંતુ ‘બુદ્ધ’નો છે’’.તેમ કહીને વિશ્વ શાંતિ અને લોકકલ્યાણનો સંદેશ આપ્યો હતો.

(ભરત પંડયા)

વિશ્વના કેટલાંક દેશો ભારતના નેતૃત્વ, વિકાસ અને પ્રગતિની ઈર્ષ્યા કરી રહયાં છે. કેટલાંક દેશોને પોતાના શસ્ત્રો વેચવામાં રસ છે. એટલે યુદ્ધ થાય એમાં રસ છે. પરંતુ શ્રી મોદીજી કોઈનાં દબાણમાં કે યુધ્ધની ટ્રેપમાં ન આવ્યાં. ભારતે પાકિસ્તાનની જનતા કે લશ્કરને નુકશાન પહોચાડ્યાં વગર માત્ર આતંકવાદીઓ , તેના અડ્ડાઓને અને એરબેઝનો ખાત્મો કરીને યુધ્ધની શુધ્ધતા દ્વારા પોતાની મજબુત સૈન્ય શક્તિના દર્શન કરાવી દીધાં છે. ભારતની નીતિ એ “યુદ્ધ – શુદ્ધ – બુદ્ધ”ની નીતિ રહી છે. તે વિશ્વને બતાવી દીધું છે. અને સાથે સાથે નરેન્દ્ર મોદીએ “નયા ભારત”ની ચાણકયનીતિ અને યુધ્ધ નીતિ દ્વારા સ્પષ્ટ જણાવી દીધું છે કે “પાકિસ્તાન કોઈપણ આતંકી કૃત્ય કરશે તો તે યુધ્ધ જ ગણાશે. અને ભારત યુધ્ધની જેમ જ તેનો જડબાતોડ જવાબ આપશે. એટલે કે ‘ઓપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી. એ ચાલુ જ રહેશે.”

અત્રે ઉલ્લેનીય છે કે, વિશ્વ અને યુ.એન.માં સૌ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વશાંતિ માટે વૈશ્વિક આતંકવાદને ડામવા સહુએ એક થઈને યોગ્ય દિશામાં કામ કરવું પડશે.તેવી હાંકલ કરી હતી. ફરીથી, તેમણે પાકિસ્તાન અને સમગ્ર આતંકવાદ સામે લડાઈ લડવા માટે ભારતના 144 પ્રતિનિધીઓને 32થી વધુ દેશોમાં મોકલીને વિશ્વને એક થવા માટે આહવાન કર્યું છે.

પ્રહારાય સન્નિહિતાઃ જયાય પ્રશિક્ષિતાઃ 

હુમલો કરવા માટે તૈયાર, જીતવા માટે પ્રશિક્ષિત

 

(ભરત પંડયા)

(લેખક ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રવકતા છે)