અંગદાન થકી જીવન આપનારી ૩૦ મહિલાનું સન્માન

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, અમદાવાદના AMA હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શેલ્બી હોસ્પિટલ્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે સાથે મળીને આ અદ્ભૂત કાર્યક્રમ યોજાયો. “She Gave Life Beyond Life” નામના કાર્યક્રમમાં એવી મહિલાઓનું સન્માન કરાયું જેમણે પોતાના અંગોનું દાન કરી પરિવારના એક સભ્યને જીવન આપ્યું. આ કાર્યક્રમમાં ૩૦ એવી અસાધારણ મહિલાઓ કે જેઓ કોઈની માતા, દીકરી, બહેન કે પત્ની છે,  તેમનું સન્માન કરવામાં આવ્યું. આ મહિલાઓએ જીવ તે જીવ અંગદાન કરીને પોતાના પ્રિયજનને નવું જીવન આપ્યું છે. તેમની આ સફર પ્રેમ, ત્યાગ અને આશાની વાર્તા છે. આજના સમયમાં જ્યારે લોહીના સંબંધ ધરાવતા લોકો પણ ખરાબ સમયમાં સાથે આવીને ઊભા રહેતા નથી, ત્યારે એવાં પણ સંબંધોએ પોતાનું એક અંગ દાન આપ્યું છે, જેની કોઈએ કલ્પના જ ન કરી હોય. વિભક્ત કુંટુંબ આજે ઠેર-ઠેર જોવા મળે છે, ત્યારે આ મહિલાઓમાં એવી પણ મહિલાઓ છે કે જેમાં એક ભાભીએ પોતાના દિયરને, મામીએ ભાણિયાને તો સાળીએ બનેવીને પોતાના અંગનું દાન કર્યું છે. આ મહિલાઓ એવી છે કે જેમણે કોઈ પ્રકારના વળતરની આશા વગર એક મોટું પરોપકારનું કામ કર્યું છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રી રિવાબા જાડેજા અને ગાયિકા કિંજલ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દરેક અંગ દાતા મહિલાને સન્માનિત કરી હતી. તેમની સાથે શેલ્બી હોસ્પિટલ્સના કો-ફાઉન્ડર ડો. દર્શિની શાહ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપ ‘દાદા’ દેશમુખ, અને શેલ્બી હોસ્પિટલ્સ (અમદાવાદ ક્લસ્ટર)ના COO પરિમલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિ કરતા રિવાબા જાડેજાએ કહ્યું કે, “મહિલા દિવસની સાચી ઉજવણી આ જ છે. આ મહિલાઓનું નિઃસ્વાર્થ કાર્ય આપણને યાદ અપાવે છે કે માનવતા અને સહાનુભૂતિ એ આપણા સમાજની સૌથી મોટી તાકાત છે”બીજી તરફ કિંજલ દવેએ કહ્યું, “મેં કલાકાર તરીકે માનવતા વિશે ઘણું ગાયું છે, પણ આજે મેં તેને રૂબરૂ નિહાળી. કોઈને નવજીવન આપવું એ ઈશ્વરના કાર્ય સમાન છે.”ડો. દર્શિની શાહએ કહ્યું “આ મહિલાઓ આપણા માટે પ્રેરણા છે. મેં વ્યક્તિગત રીતે મારા તમામ અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે, કારણ કે આપણે પાછળ છોડી શકીએ તેવો શ્રેષ્ઠ વારસો આપણા દ્વારા બચેલા જીવ છે.”

દિલીપ દેશમુખએ જણાવ્યું કે, “હું આજે અહીં ઉભો છું કારણ કે કોઈએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. હું વ્યક્તિગત રીતે જાણું છું કે આ ભેટનું મૂલ્ય શું છે. આ મહિલાઓ માત્ર દાતા નથી, તેઓ જીવનદાતા છે.”પરિમલ પટેલએ જણાવ્યું, “આજે અમે જે મહિલાઓનું સન્માન કર્યું છે, તેઓ ખરા અર્થમાં જીવન આપનારી નારીઓ છે. તેમની આ પ્રેરણાદાયી વાતો સાંભળીને બીજા ઘણા લોકો પણ અંગદાનનું મહત્વ સમજશે અને આ મહાન કામમાં જોડાશે.”ગાયત્રી સપેડિયા કે જેમણે પોતાના ભાણિયાને કિડની ડોનેટ કરી છે, તેમણે જણાવ્યું કે,  “મેં મારા ભાણિયાને કિડની આપી અને કિડની દાન કરવાથી તેને નવજીવન મળ્યું, જે મારા માટે સૌથી મોટી ખુશી છે. જીવંત અંગદાન સુરક્ષિત છે અને આજે અમે બંને સ્વસ્થ જીવન જીવી રહ્યા છીએ.”