આધુનિકતાના આંધળા આંચકામાં જ્યારે પારિવારિક સંબંધોની સંવેદના ઓઝલ થઈ રહી છે ત્યારે અમદાવાદમાં એક એવું સ્થાન છે જે માનવતાનો જ્યોતિપુંજ બનીને ઝળહળી રહ્યું છે. અહીં બીમારીના ઉપચાર સાથે આત્મીયતાની હૂંફ પણ મળે છે. ઘર જેવી નિશ્ર્ચિંતતા અને પવિત્ર આશ્રયનો અનુભવ કરાવતી આ જગ્યા વરિષ્ઠ નાગરિકો માટે સાચો વિસામો બની છે.

અમદાવાદના એક બગીચામાં સવારના કુમળા તડકા વચ્ચે વડીલોની મંડળી જામી હતી. રોજબરોજની વાતો અને હાસ્યના ફુવારા વચ્ચે અચાનક ચર્ચાનો સૂર ગંભીર બન્યો. એક વડીલે ઊંડો નિસાસો નાખતાં કહ્યું: ‘ખરેખર, અવસ્થા થયા પછી જ સમજાય છે કે લોકોને વૃદ્ધ થવું કેમ નથી ગમતું. આ ઉંમરે જો ક્યાંક અચાનક પછડાયા કે પથારીવશ થયા તો ચાકરી કોણ કરે? આજના સમયમાં ગજવું ખાલી કરીને માણસો તો મળી જશે, પણ વડીલના મનને સમજે એવી માનવતા ક્યાં શોધવા જવી?’ ત્યાં જ બાજુમાં બેઠેલા બીજા એક વડીલે આશાભર્યું સ્મિત વેરતાં સૂર પુરાવ્યો: ‘તમારી વાત સાચી છે, પણ હજીય આપણી આસપાસ સંવેદના જીવતી છે. આપણા શહેરમાં જ એક એવું સ્થળ છે જ્યાં ખર્ચ સાવ નજીવો છે, પણ સેવા અને સંભાળ ઘર કરતાંય ચડિયાતી છે. એ સ્થળ એટલે અમદાવાદના સદવિચાર પરિવાર સંચાલિત વડીલ માવજત કેન્દ્ર.

વર્તમાન સમયની વ્યસ્ત જીવનશૈલીમાં સંતાનો માટે સૌથી મોટી વિટંબણા ત્યારે ઊભી થાય છે જ્યારે ઘરનું મોભીપાત્ર એટલે કે વડીલ બીમાર પડે છે. અકસ્માત, ફ્રેક્ચર, સ્ટ્રોક કે વધતી જતી વયને કારણે આવતી અશક્તિ જ્યારે વડીલને પથારીવશ કરી દે ત્યારે હૉસ્પિટલની સારવાર તો પૂર્ણ થઈ જાય છે, પરંતુ સાચી કસોટી એ પછી શરૂ થાય છે. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ જે રિકવરી પિરિયડ હોય એમાં વડીલને ચોવીસ કલાક દેખરેખ, સચોટ ફિઝિયોથેરાપી અને મનોવૈજ્ઞાનિક સહકારની અનિવાર્યતા હોય છે.
આજના સમયમાં યુવા દંપતી બન્ને વ્યાવસાયિક જવાબદારીમાં વ્યસ્ત હોય ત્યારે ઈચ્છા હોવા છતાં માતા કે પિતાની પથારી પાસે સતત ઉપસ્થિત રહેવું કઠિન બની જાય છે. અઢળક નાણું ખર્ચ્યા પછી પ્રોફેશનલ નર્સ મળી શકે છે, પરંતુ એ વડીલની આંખોમાં ડોકાતી એકલતા અને ખાલીપાને ભરી શકતી નથી. સંતાનોનાં મનમાં સતત એક સવાલ ઘૂમરાતો હોય છે કે શું કોઈ એવું સ્થાન હોઈ શકે જ્યાં અમારા વડીલને ઘર જેવો જ અહેસાસ થાય અને મેડિકલ સેવા પણ શ્રેષ્ઠ મળે?
આ ગહન પ્રશ્ર્નનું નિરાકરણ લાવવાનો દૃઢ સંકલ્પ સદ્વિચાર પરિવારના ચૅરમૅન ડૉ. પંકજ શાહના હૃદયમાં જાગ્યો. વર્ષો સુધી અમદાવાદની કૅન્સર ઈન્સ્ટિટ્યૂટમાં સેવા આપ્યા બાદ જ્યારે એ નિવૃત્ત થયા અને વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચ્યા ત્યારે એમને વડીલોની શારીરિક અને માનસિક પીડાનો ખરો અહેસાસ થયો અને એ અનુભૂતિમાંથી જ વડીલ માવજત કેન્દ્રનો ઉમદા વિચાર જન્મ્યો.
વડીલોને વહાલથી સાજા કરી, હસતા મોઢે ઘરે મોકલવા એ જ અમારો ઉદ્દેશ

ડૉ. પંકજ શાહ કહે છે: ‘આધુનિક સમયમાં જ્યારે સંતાનો પાસે નાનું ઘર હોય અથવા વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે સમયનો અભાવ હોય ત્યારે ફ્રેક્ચર કે સ્ટ્રોક જેવી બીમારીમાં પથારીવશ થયેલા વડીલોની સેવા કરવી પરિવાર માટે મુશ્કેલ બની જાય છે. ખાસ તો હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછીના દોઢ-બે મહિનાનો રિકવરી પિરિયડ ખૂબ નિર્ણાયક હોય છે. આ જરૂરત પૂરી કરવા આ અત્યાધુનિક સેવાસદન તૈયાર કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વડીલોને યોગ્ય સારવાર અને હૂંફ આપીને ફરી સાજા કરી એમના કુટુંબમાં હસતા-રમતા પાછા મોકલવાનો છે.’
આ કેન્દ્ર સાચા અર્થમાં એક રિહેબિલિટેશન સેન્ટર તરીકે કાર્ય કરે છે, જ્યાં વડીલોને માત્ર આશરો જ નહીં, પણ શારીરિક અને માનસિક પુન: સ્થાપન માટેની તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. પૌષ્ટિક અને સાત્ત્વિક આહાર, દિવસમાં બે વાર ચા-નાસ્તો ઉપરાંત કેન્દ્રમાં ફિઝિયોથેરાપી, ડેન્ટલ ચેકઅપ જેવી સેવા ઉપલબ્ધ છે. શારીરિક વ્યાધિની સાથે વડીલોનાં માનસિક સ્વાસ્થ્ય માટે પણ અહીં વિશેષ ધ્યાન અપાય છે, જેથી તેઓ એકલતાનો અનુભવ ન કરે. સાથે જ બહેનોને કૅન્સર નિદાન અંતર્ગત મેમોગ્રાફી અને પેપ ટેસ્ટ જેવી સુવિધા નિ:શુલ્ક આપવામાં આવે છે.

આર્થિક પાસાની વાત કરીએ તો, સંસ્થા વડીલો પાસેથી પ્રતિ દિવસ માત્ર 500 રૂપિયા જેવો ચાર્જ લે છે, જ્યારે એક દરદી પાછળનો વાસ્તવિક માસિક ખર્ચ અંદાજે ત્રીસ હજાર જેટલો થાય છે. દર મહિને ઊભી થતી આ મોટી આર્થિક ઘટને સંસ્થા દાતાઓ અને ઈજછ ફંડ દ્વારા પૂર્ણ કરે છે. આ ઉપરાંત, જે વડીલો સાવ નિરાધાર છે અને જેમને ઘરે પાછા મોકલી શકાય એમ નથી એવા 11 વડીલો માટે સદવિચાર પરિવાર દ્વારા નરોડા કેન્દ્રમાં આજીવન રહેવાની ગૌરવપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડૉ. પંકજ શાહ આ વિશે ચિત્રલેખા સાથે વાત કરતાં કહે છે: ‘અમારું લક્ષ્ય માત્ર રોગની સારવાર કરવાનું નથી, પરંતુ પથારીવશ વડીલના આત્મવિશ્ર્વાસને પુન: જીવિત કરવાનું છે. અહીં જ્યારે કોઈ વડીલ પોતાની લાકડી છોડીને સ્વતંત્ર રીતે ડગલાં ભરે છે ત્યારે એ દૃશ્ય અમારા માટે કોઈ ઈશ્ર્વરીય આશીર્વાદથી ઓછું નથી હોતું. અમે એમને અહેસાસ કરાવીએ છીએ કે એ સમાજ કે પરિવાર પર બોજ નથી, પણ અમારું ગૌરવ છે.’
સદવિચાર પરિવારની પરંપરા હંમેશાં પીડિતોની સેવાની રહી છે

આ સેવાયજ્ઞને વહીવટી અને નૈતિક પીઠબળ પૂરું પાડતા સંસ્થાના મૅનેજિંગ ટ્રસ્ટી પી.કે. (પ્રવીણ) લહેરી કહે છે: ‘સદવિચાર પરિવારની પરંપરા હંમેશાં પીડિતોની સેવાની રહી છે. ડૉ. કે.આર. શ્રોફ સેવાસદન દ્વારા અમે એક એવો સેતુ બાંધ્યો છે જ્યાં અત્યાધુનિક તબીબી સુવિધા અને ભારતીય સંસ્કારોનો સંગમ થાય છે. અહીં અમે વડીલોને દરદી તરીકે નહીં, પણ પરિવારના વરિષ્ઠ સદસ્ય તરીકે સ્વીકારીએ છીએ.’
અહીં સારવાર લઈ રહેલા ૭૦ વર્ષી વિનોદભાઈ ગળગળા થઈને કહે છે: ‘મને ફ્રેક્ચર થયા પછી લાગતું હતું કે હવે મારે આખી જિંદગી બીજાને આધીન રહેવું પડશે. ઘરે મારો પુત્ર અને પુત્રવધૂ બન્ને નોકરીએ જાય એટલે આખો દિવસ છત સામે જોઈ રહેવા સિવાય કોઈ આરો નહોતો, પણ સદવિચાર પરિવારમાં આવ્યા પછી અહીંના પ્રેમાળ સ્ટાફ અને ડૉક્ટરોએ મને જે રીતે હૂંફ આપી છે એનાથી હું આજે મારા મનથી સાજો થઈ ગયો છું.’
એવી જ રીતે, હાડકાંના ઑપરેશન બાદ અહીં રિકવર થઈ રહેલાં મંગળાબહેન કહે છે: ‘અહીંનો સ્ટાફ અમને બાળક ગણીને સાચવે છે. વહેલી સવારે સ્મિત સાથે જ્યારે એ ચા લઈને આવે છે ત્યારે હૉસ્પિટલનો ડર ક્યાંય ઓગળી જાય છે. અહીં અમને ઘરની યાદ નથી આવતી, કારણ કે આ પણ એક પરિવાર જ છે.’
સામાજિક જીવન પણ જીવંત રહે એવા પ્રયાસ…

વડીલ માવજત કેન્દ્રના મેડિકલ ઍડ્મિનિસ્ટ્રેટર ડૉ. સી.આર. કાકાણી (ચૂનીભાઈ કાકાણી) ઉમેરે છે કે: “પથારીવશ દરદીઓની જરૂરતોને કેન્દ્રમાં રાખીને અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. દરેક રૂમમાં માત્ર બે વડીલોને જ રાખવામાં આવે છે, જેથી એમનું સામાજિક જીવન પણ જીવંત રહે. એસી રૂમ, ટેલિવિઝન અને વડીલોને અનુકૂળ આવે એવા ઍન્ટિ-સ્કિડ બાથરૂમની સુવિધા સાથે અમે એ સુનિશ્ર્ચિત કરીએ છીએ કે એમને રિકવરી દરમિયાન લેશમાત્ર અગવડ ન પડે.”
આ વડીલ માવજત કેન્દ્ર આજે માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ એની સેવાની સુવાસ સાત સમંદર પાર પણ પહોંચી છે. અહીં રાજ્યના અંતરિયાળ છેવાડાનાં ગામોમાંથી જ નહીં, મુંબઈ સહિતના મહાનગર કે અમેરિકા સુદ્ધાંથી કોઈ આશરો લેવા આવ્યું છે. અહીંના પ્રત્યેક બેડ પર વિવિધ શહેરો અને રાજ્યોના વડીલો પોતાની શારીરિક વ્યાધિનાં નિવારણ અને માંદગી પછીના આરામ માટે વિસામો લઈ રહ્યા છે.

સમયસર દવા આપવાની સાથે જે વડીલો પથારીવશ છે અને પોતાની દૈનિક ક્રિયા માટે અન્ય પર નિર્ભર છે, એમની મર્યાદા જાળવીને નર્સિંગ સ્ટાફ દ્વારા નાનકડા બાળકની જેમ જ ડાયપર બદલાવવાની કે સ્વચ્છતા જાળવવાની કામગીરી બજાવવામાં આવે છે. લાંબો સમય પથારીવશ રહેવાને કારણે શરીરની ગરમીથી વડીલોને બેડ સોર્સ (ચાંદાં) ન પડે એની પૂરતી કાળજી લેવામાં આવે છે, જેના ભાગ રૂપે સતત પાઉડર છાંટવો અને પડખું ફેરવવા જેવી બાબતોનું પણ ચોકસાઈપૂર્વક ધ્યાન રખાય છે. આમ વિજ્ઞાન અને વહાલના સંગમથી અહીં વડીલોની એવી માવજત થાય છે કે એમને પોતાની શારીરિક અશક્તિનો બોજ ક્યારેય વર્તાતો નથી.

સદવિચાર પરિવારની આ નિ:સ્વાર્થ સેવા માત્ર કામચલાઉ સારવાર પૂરતી મર્યાદિત નથી. સંસ્થાના નરોડા ખાતેના કેન્દ્રમાં એક અલગ જ માનવતાનું ચિત્ર જોવા મળે છે. ત્યાં ૧૧ એવા વડીલો નિવાસ કરે છે જેમનાં જીવનમાં સંજોગોવશાત્ કોઈનો આશરો નથી રહ્યો. આ નિરાધાર વડીલો માટે સદવિચાર પરિવાર જ એમનું કાયમી ઠેકાણું અને સર્વસ્વ છે. ત્યાં એમની અંતિમ શ્ર્વાસ સુધીની તમામ જવાબદારી સંસ્થા નિભાવે છે.
હેતલ રાવ,(અમદાવાદ)
(તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)




