સદગુરુ: રૂણાનું બંધ એ કર્મનું એક નિશ્ચિત પાસું છે; તે કર્મશીલ પદાર્થની ચોક્કસ રચના છે. તે એક ચોક્કસ દરની મૂલાકાત અને ભળવાને કારણે થાય છે જે લોકો વચ્ચે બને છે. જ્યાં પણ મૂલાકાત અને ભળવાની એક નિશ્ચિત માત્રા હોય ત્યાં કેટલાક રૂણાનું બંધ બને છે. ખાસ કરીને જ્યારે બે શરીર એક સાથે આવે છે, ત્યારે રૂણાનું બંધ ખૂબ ઊંડું હોય છે. તે શરીરમાં એક પ્રકારનું રેકોર્ડિંગ છે, શરીર જે કઈ બન્યું છે તેનો તમામ રેકોર્ડ રાખે છે. જો આત્મીયતા બીજા શરીર સાથે થઈ હોય, તો તે ચોક્કસ પ્રકારની ઉર્જાનો રેકોર્ડ રાખે છે.

હવે કારણ કે શરીર યાદ રાખે છે, જો ઘણા જીવનસાથી હોય, તો શરીર ધીમે ધીમે સમય જતાં મૂંઝવણમાં આવે છે અને આ મૂંઝવણ તમારા જીવનમાં દસ લાખ જુદી જુદી રીતે બહાર આવશે. તમારું મન મૂંઝવણમાં છે, પરંતુ તમે તેની સાથે કોઈક રીતે જીવી રહ્યા છો. જો શરીર મૂંઝવણમાં આવે છે, તો પછી તમે ઊંડી મુશ્કેલીમાં છો.
ઘણી રીતે, અસ્વસ્થતાના સ્તર, અસલામતીનું સ્તર અને ડિપ્રેસનનું સ્તર, જે અત્યારે ચાલી રહ્યું છે, તેનું એક મુખ્ય કારણ ફક્ત તે છે કે શરીર મૂંઝવણમાં છે. થોડા સમય પછી, તમારે પાગલ થવા માટે કોઈ કારણની જરૂર નથી. લોકો કોઈ પણ કારણ વિના માત્ર પાગલ થઇ રહ્યા છે કારણ કે શરીર પોતે જ મૂંઝવણમાં છે.
શરીર બહુવિધ આત્મીયતાઓ સાથે મૂંઝવણમાં આવશે, તે એક વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે તમે જે પ્રકારનો ખોરાક ખાઓ છો. જ્યારે પણ થોડું ધન આવે, ત્યારે લોકો વિચારે છે કે તેઓએ એક જ સમયના ભોજનમાં બધું ખાવું છે. ભારતમાં, રૂઢિચુસ્ત લોકો ભોજનમાં ક્યારેય બે અથવા ત્રણ વસ્તુઓ કરતાં વધુ ખાતા નહોતા, અને તે ત્રણ વસ્તુઓ હંમેશા મેળ ખાતી, મેળ વિનાની નહોતી. લોકો શરીરને એટલી સારી રીતે સમજી ગયા હતા કે આપણાં ઘરોમાં, તેઓ જાણતા હતા કે જ્યારે તેઓ કોઈ ખાસ શાકભાજી રાંધશે, ત્યારે તેઓ ફક્ત એક ખાસ પ્રકારની રસમ બનાવશે. જ્યારે તેઓ આ શાકભાજીને રાંધશે, ત્યારે બીજો પ્રકાર ક્યારેય નહીં બને કારણ કે પરંપરાગતરૂપે, આપણે સમજી ગયા કે જો આપણે આ અને આને એક સાથે રાખીએ તો, શરીર મૂંઝવણમાં આવે છે.
નાના છોકરાઓ તરીકે, અમને તાલીમ આપવામાં આવતી – જો આપણે બજારમાં જઈએ, તો આપણે શાકભાજી કેવી રીતે પસંદ કરવું જોઈએ. આજનાં દિવસોમાં તે સંપૂર્ણ રીતે ચાલ્યું ગયું છે, પરંતુ જ્યારે હું નાનો હતો ત્યારે તેઓએ મને તાલીમ આપી હતી – જ્યારે અમે બજારમાં જઇએ છીએ, “જો તમે આ શાકભાજી ખરીદો છો, તો તમે આ ખરીદી શકતા નથી, કારણ કે આને બે દિવસની અવધિમાં ખાઇ શકાતા નથી. જો તમે આ ખાધું હોય, તો તમારે તે ન ખાવું જોઈએ”, કારણ કે શરીર મૂંઝવણમાં આવશે. એકવાર તમારું શરીર મૂંઝવણમાં મૂકાઈ જાય છે, પછી તમે ઘણી બધી રીતે હેરાન થઈ જશો. આ સમજ હંમેશા હતી.

હું જે જોઉં છું તે છે, જો તમે કોઈ સમૃદ્ધ રાત્રિભોજ માટે જાઓ છો, તો તે ગાંડપણ બની ગયું છે. તાજેતરમાં જ એક પ્રસંગમાં, કોઈએ ખૂબ જ ગર્વથી ઘોષણા કરી હતી કે તેમની પાસે 270 વિવિધ જાતના ખોરાક છે. લોકો થોડી-થોડી બધી વસ્તુઓ લઇને ખાય છે. શરીર આ પ્રકારના ખોરાકથી મૂંઝવણમાં આવે છે.
તેથી આ બે મુખ્ય બાબતો છે – લોકો યોગ્ય રીતે ખાતા નથી અને અન્ય શરીર સાથે આત્મીયતાની અંધાધૂધ ભાવના – જે શરીરના સ્તર પર ચોક્કસ મૂંઝવણ પેદા કરશે જે લાંબાગાળા દરમિયાન મુશ્કેલ બનશે. “તો શું મેં કોઈ પાપ કર્યું છે? શું આ મારા માટે સજા છે? ” તે એ સ્તર પર નથી. દરેક ક્રિયાનું પરિણામ હોય છે. આ કોઈ નૈતિક વાસ્તવિકતા નથી, તે એક નિશ્ચિત અસ્તિત્વની પ્રક્રિયા છે. જો તમે તમારા મનથી કેટલીક વસ્તુઓ કરો છો, તો ચોક્કસ પરિણામો આવશે. જો તમે તમારા શરીર સાથે કેટલીક વસ્તુઓ કરો છો, તો ચોક્કસ પરિણામો આવશે.
આ એવી વસ્તુઓ છે જે ઊંડાણપૂર્વક સમજી શકાય અને તેની આસપાસ જીવન ચોક્કસ રીતોમાં રચી શકાય. હવે, આઝાદીના નામે આપણે બધું તોડી પાડીને દુ:ખી થવા માંગીએ છીએ. કદાચ સદીઓ પછી આપણે સમજીશું કે જીવવાનો આ માર્ગ નથી.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)




