અવિનાશી આનંદ એજ પ્રાપ્ત કરી શકે જે ઈશ્વરના બની જાય

એશ તથા આરામ ફક્ત શરીરને નહીં પરંતુ મનને પણ જોઈએ. જીવાત્મા અર્થાત શરીર તથા આત્માનું સાથે હોવું. જો એશો આરામના ફક્ત ભૌતિક ભાગ પર ધ્યાન આપવામાં આવે તો જીવન નર્ક સમાન બની જાય છે. સમય જતા એશો આરામમાં વીતાવેલ પળોની સ્મૃતિઓ પણ કાંટાની જેમ પીડાનો અનુભવ કરાવે છે.

એક બહેન એવો દાવો કરતી હતી કે તેના પતિ પાસે ખૂબ પૈસા છે. તે પૈસા મોજ-મસ્તી થી જીવન જીવવા માટે છે. માટે તેણે જીભ રસની તૃપ્તિ માટે શહેરની એક પણ હોટલ બાકી ન રાખી. આ મોજ મસ્તીમાં અનેક બેનપણીઓને પણ ભાગીદાર બનાવી. બધા તેને એશના મામલામાં પોતાનો આદર્શ માનવા લાગ્યા. પરંતુ આદર્શ રૂપી પૂતળું તે સમય લાચાર બની ગયું કે જ્યારે ફક્ત 30 વર્ષની ઉંમરે તે ડાયાબિટીસનો શિકાર બની ગઈ તે ઉપરાંત મોટાપો, બીપી, તણાવ, ક્રોધ વિગેરેએ તેના ઉપર સંપૂર્ણ અધિકાર જમાવી દીધો. આ પરિસ્થિતિમાં તે જ બહેનપણીઓ તે બહેનની પીઠ પાછળ કેતી હતી કે દરેક વ્યક્તિ એ કોઈપણ કાર્ય મર્યાદામાં રહીને કરવું જોઈએ પરંતુ તેણે તો ખાવા-પીવાના મામલામાં તમામ હદો પાર કરી દીધી. હવે પોતાના કર્મનું ફળ તો ભગવું જ પડશે. આમ ગઈકાલ સુધી જે મજા આતી તે આજે સજા બની ગઈ.

કબીરદાસજીનો એક દોહો છે .
चलती को गाड़ी कहे, बना दूध का खोया।
रंगी को नारंगी कहे, देख कबीरा रोया।

કબીરદાસજી આજે હોત તો શું કહેત ? પહેલા તો સાધનોને એકઠા કરવા માટે અંદર તથા બહારની આંખો બંધ કરીને દોડો. રામ ધુનના બદલે સાધન-સાધનની ધૂન લગાવો. પછી તે સાધનોના દાસ બનીને એક-એક કરીને પોતાની કર્મેન્દ્રિયોને તેના પર ભેટ ચડાવો. આ સાધનોને એકઠા કરવા માટે કરેલ પૈસાનો ખર્ચ અથવા દેવા થી ઊંઘ હરામ કરો. તેના બગડવા પર ફરીથી પૈસાનો ખર્ચ કરો. વ્યક્તિગત અધિકારની ભાવના પૂરી ન થવાના કારણે ઘરના સભ્યો તથા મિત્રો પર ક્રોધ કરો. આ રીતે સમસ્યાઓથી ધરાયેલા રહેવાનું અવિનાશી વરદાન પ્રાપ્ત કરો. સાધનો વસાવાની આ દોડમાં જો પડોશીની ચીજ આપણાથી સારી હોય તો ઇર્ષ્યાની આગમાં દિવસ રાત વિતાવો. કોઈપણ ભોગે
તેનાથી પણ સારી ચીજ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો.

આ બધા પ્રયત્નોમાં સુખની ઊંઘ તથા મનની શાંતિને સ્વાહા કરી દો. આટલું બધું થવા છતાં પણ હું એશો આરામની જિંદગી જીવી રહેલ છું કેવું કહેતા રહો. આ કહેવાતી એશની જિંદગી ઘણી વ્યક્તિઓના દુશ્મન બનાવી દે છે. ઘણા ચોરને આકર્ષિત કરે છે.

હવે સમય છે કે એશ-આરામના અર્થને આપણે બદલીએ તથા બધું ઈશ્વરનું છે તેવો સાક્ષી ભાવ કેળવીએ. અવિનાશી આનંદ તેજ પ્રાપ્ત કરી શકે છે કે જે ઈશ્વરના બની જાય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)