આ બ્રહ્માંડમાં બે પ્રકારનો લોકો છે. એક જે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે અને જે થાય તે, એમન શ્રદ્ધા ડગતી નથી, આ લોકનાં સુખ-દુઃખ તેમને સ્પર્શતા નથી. બીજા એવા લોકો છે, જેમને ભગવાનની સેવાભક્તિની અંતરમાં ઈચ્છા તો હોય છે, પરંતુ એ જ્યારે પોતાના રોજબરોજના પ્રશ્રો સામે જુએ છે ત્યારે તેમની ચિંતા જંપીને બેસવા દેતી નથી. પરિણામે, મન અસ્થિર અને અસ્વસ્થ રહે છે.
અહીં સવાલ એ થાય કે શું ઉદ્વેગ, અજંપો અને અશાંતિમાંથી સુખ તરફ જવાનો કોઈ રસ્તો ખરો? તણાવમુક્ત જીવન જીવવાની ચાવી ખરી? આંસુ સરી પડે એવી પરિસ્થિતિમાં પણ એયને મોજથી રહી શકીએ એવી કોઈ જાદુઈ ચાવી ખરી છે? કેટલાંક દષ્ટાંતોથી આને સમજવાનો પ્રયાસ કરીએ.
ધારો કે એક વ્યક્તિને એક કરોડ રૂપિયાનો જેકપૉટ લાગે છે. તેના આનંદનો પાર રહેતો નથી. બૅન્કમાં ટ્રાન્સફર થયેલા પૈસા એ ઘરે લાવે છે ને રૂપિયા ફરીથી ગણે છે ત્યારે ખબર પડે છે કે એમાંથી લાખ રૂપિયા ઓછા છે. એ અત્યંત દુઃખી થઈ જાય છે કે, “મારા લાખ રૂપિયા ખોવાઈ ગયા.” તે હીબકાં ભરીને રડે છે. આપણને સલાહ આપવાનું મન થાય કે “ભ’ઈ રડે છે શું? 99 લાખ છે એનો આનંદ કરને.”
અમેરિકાના વિસા માટે કેટલા ધક્કા ખાઈને, ધોમધખતા તાપમાં લાઈનમાં ઊભા રહ્યા. ત્યારે ગરમીમાં લાઈનમાં ઊભા રહેવાનું દુઃખ નથી, પણ પાસપૉર્ટ પર વિસાનો સ્ટેમ્પ લાગ્યાનો આનંદ રહે છે.
વિદ્યાર્થીને ડૉક્ટર બનવાની અભિલાષા હોય છે. એ દિવસ-રાત કે ખાવાપીવાની દરકાર કર્યા વિના ભણ્યા જ કરે છે. રમતવીરને દૌડની સ્પર્ધામાં કલાકો સુધી દોડવું પડે છે, તેમ છતાં નજર વિદ્યાર્થીની ડૉક્ટરની ડિગ્રી પર અને રમતવીરની ગોલ્ડ મેડલ તરફ નજર હોય છે. થાક લાગે કે શ્રમ પડે તો પણ એમનો ઉત્સાહ મોળો પડતો નથી.
આ ચારેય દષ્ટાંતોથી એક વાત સ્પષ્ટ સમજાય છે કે જ્યારે દષ્ટિ ઉત્કૃષ્ટ સુખ સામે હોય ત્યારે દુઃખ સામેથી દષ્ટિ આપોઆપ દૂર થઈ જાય છે. કંઈ નહીં, 99 લાખ તો છે, યુએસ વિસા તો મળી ગયા, એમબીબીએસની ડિગ્રી મળી ગઈ કે દૌડમાં પહેલો નંબર તો આવી ગયો. આવા સમયે વેઠેલાં દુ:ખની કલ્પના કરવી પણ નિરર્થક લાગે છે.
આપણા સંતકવિઓએ ભગવાનના સુખમાં દષ્ટિ પહોંચાડી તો આ લોકનાં સુખને તુચ્છ બનાવી દીધાં. ગોપીઓએ જે દિવસથી ભગવાન શ્રીકૃષાના ચરણાવિંદનો સ્પર્શ કર્યો ત્યારથી સંસારનાં સર્વે સુખને ઝેર જેવા કરી દીધાં. સીતાજી જનક રાજાનાં પુત્રી હતાં, સુખ-સમૃદ્ધિની વચ્ચે તેમનો ઉછેર થયો હતો, પરંતુ જ્યારે રામ ભગવાનને વલ્કલ પહેરીને વનમમાં જવાની વાત આવી ત્યારે એ પોતે પણ દુઃખ વેઠવા તૈયાર થઈ ગયાં. સીતાજીને ખબર હતી કે વન્યજીવન સહેલું નહીં હોય. રાક્ષસોનો, જંગલી પશુનો ભય હશે, એશઆરામ નહીં હોય, ખાવા-રહેવાની સુવિધા નહીં હોય. આમ છતાં ભગવાન રામ તરફ વૃત્તિ હતી તો દુઃખ જેવું તેમને ક્યારેય લાગ્યું જ નહોતું.
ભગવાન સ્વામિનારાયણના નિષ્કંચન સાધુ સંતો ગામોગામ લોકકલ્યાણ કાજે વિચરણ કરે છે, લોકોને નિર્વ્યસની બનાવે છે, ત્યારે એમની સામે માત્ર ભગવાન સ્વામિનારાયણને, એમના ગુરુને રાજી કરવાની દષ્ટિ જ હોય. આથી જ બીએપીએસ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે આ વર્ષે તમામ ભક્તોને ભગવાનના મહિમાનો વિચાર કરવાનો આદેશ આપ્યો છે.
કવિ મકરંદ દવેએ બહુ સુંદર વાત કરી છેઃ
“કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક? કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક…
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.”
કદાચ આપણી પાસે પૈસા ઓછા હશે તો ચાલશે, પરંતુ ભગવાન સાથેનું કનેક્શન હશે તો પ્રશ્નોની વચ્ચે પણ આપણે સ્થિર, સુખી અસંતોષી રહી શકીશું, કારણ કે ભગવાનના સુખની સાપેક્ષમાં આપણા પ્રશ્નો અને આ લોકનાં સુખ-દુઃખ નહિવત્ અનુભવાશે.
માટે, તમે જે કોઈ ભગવાનમાં માનતા હો તેમાં મન પરોવવાનો અભ્યાસ કરીએ, તેમની સેવા અને ભક્તિ કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
