Home Blog Page 74

સોમનાથ અમૃતપર્વ: ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર થશે 11 તીર્થોના જળથી કુંભાભિષેક

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃતપર્વ 2026નો અવસર આવી ગયો છે. આ પાવન પ્રસંગે ફરીએકવાર સોમનાથમાં ઈતિહાસ રચાવાનો છે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા ‘સોમનાથ અમૃતપર્વ-2026’ ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે.પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.

 

‘સોમનાથ અમૃતપર્વ 2026’ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેશે અને સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે.આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. મંત્રોચ્ચાર સાથે 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી શિખર પર અભિષેક કરવામાં આવશે.

આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે 10-12 વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.

રોનાલ્ડો અને કોહલીના લાખો ફોલોઅર્સ રાતોરાત ગાયબ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લા 24 કલાકમાં કંઈક એવું બન્યું છે જેનાથી આખું બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગત ચોંકી ગયું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિરાટ કોહલી, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવા દિગ્ગજ સિતારાઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અચાનક લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. એક જ રાતમાં આટલો મોટો ઘટાડો જોઈને શરૂઆતમાં યૂઝર્સને લાગ્યું કે આ કોઈ ટેકનિકલ ખામી (Glitch) છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે.

મેટાએ કેમ ચલાવી ‘સફાઈ ઝુંબેશ’?

ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’ દ્વારા પ્લેટફોર્મ પર ઓથેન્ટિસિટી એટલે કે વિશ્વસનીયતા વધારવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કંપનીએ લાખોની સંખ્યામાં ફેક એકાઉન્ટ્સ, લાંબા સમયથી બંધ પડેલા (Inactive) એકાઉન્ટ્સ અને બોટ્સ (Bots) એકાઉન્ટ્સને કાયમી ધોરણે રિમૂવ કરી દીધા છે. આ જ કારણ છે કે જે સેલેબ્સના ફોલોઅર્સ લિસ્ટમાં આવા નકલી એકાઉન્ટ્સ હતા, તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કોના કેટલા ફોલોઅર્સ ઘટ્યા?

બોલિવૂડ નાઉના અહેવાલ મુજબ, વિશ્વના સૌથી લોકપ્રિય ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સૌથી વધુ 6.6 મિલિયન ફોલોઅર્સ ઘટ્યા છે. આ યાદીમાં અન્ય સ્ટાર્સના આંકડા પણ ચોંકાવનારા છે:

લિયોનલ મેસી: 4.8 મિલિયન

જસ્ટિન બીબર: 4.3 મિલિયન

વિરાટ કોહલી: 2 મિલિયન

પ્રિયંકા ચોપરા: 1.1 મિલિયન

શ્રદ્ધા કપૂર: 1 મિલિયન

આલિયા ભટ્ટ: 1 મિલિયન

ફેક એકાઉન્ટ્સનો ખેલ અને ઇન્સ્ટાગ્રામનું કડક વલણ

ઘણીવાર સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્ઝર્સ અને એજન્સીઓ પોતાનું સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ વધારવા માટે બોટ્સ અથવા ફેક એકાઉન્ટ્સનો સહારો લેતી હોય છે. આવા નકલી એકાઉન્ટ્સ દ્વારા લાઈક્સ અને કોમેન્ટ્સ વધારીને લોકપ્રિયતાનો દેખાડો કરવામાં આવે છે. મેટાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પ્લેટફોર્મ પર માત્ર રિયલ યૂઝર્સ જ રહેશે. આ સફાઈ અભિયાનની અસર માત્ર મોટા સેલેબ્સ પર જ નહીં, પરંતુ નાના કન્ટેન્ટ ક્રિએટર્સ પર પણ જોવા મળી છે.

તામિલનાડુમાં 120 ધારાસભ્યોના સમર્થન સાથે વિજય બનાવશે સરકાર

ચેન્નઈઃ તામિલનાડુમાં વિજયની સરકાર રચાવાનો માર્ગ હવે લગભગ સાફ થઈ ગયો છે. શનિવારે VCKએ TVKને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી વિજય પાસે 116 ધારાસભ્યોનું સમર્થન હતું. હવે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ પણ TVKને સમર્થન આપતાં આ આંકડો વધીને 120 પર પહોંચી ગયો છે. શનિવાર સાંજે VCKની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં TVKને સમર્થન આપવાને મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિજયને સમર્થન આપવા સહમતી બની હતી. હવે રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે વિજયનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. VCKએ કોઈ પણ શરત વિના TVKને સમર્થન આપ્યું છે.

પાંચ રાજ્યોનાં ચોથી મેએ આવેલાં ચૂંટણી પરિણામો તમિલનાડુના રાજકારણમાં ચોંકાવનારો ફેરફાર લાવ્યા હતા. TVKએ DMK અને AIADMKને પાછળ છોડી રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જોકે પાર્ટી 108 બેઠકો સુધી જ પહોંચી શકી હતી અને બહુમતીથી 10 બેઠકો ઓછી રહી ગઈ હતી.

ત્યાર બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ TVKને સમર્થન આપ્યું હતું, જ્યારે CPI અને CPI(M)ના 2-2 ધારાસભ્યોએ પણ સમર્થન જાહેર કર્યું હતું. જેને કારણે સમર્થનનો આંકડો 116 સુધી પહોંચ્યો હતો. હવે VCK અને IUMLના સમર્થન બાદ આ આંકડો 120 સુધી પહોંચી ગયો છે. TVKએ સમર્થન આપનાર તમામ પક્ષોનો આભાર માન્યો છે. પાર્ટીના નેતા અર્જુને જણાવ્યું હતું કે હવે વિજય સરકાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

AIADMK પ્રમુખના નિવેદનથી પહેલેથી જ રાજકીય ગરમાવો વધ્યો હતો

થોડા સમય પહેલાં AIADMK પ્રમુખ એડપ્પાડી કે. પલાનીસ્વામીએ કરેલી એક પોસ્ટથી રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. તેમણે સરકાર બનાવનારી પાર્ટીને અભિનંદન પાઠવતાં પોસ્ટ કરી હતી, જેને કારણે TVKને મળનારા સમર્થન અંગે અટકળો તેજ બની ગઈ હતી.

ભાજપનો નવો અધ્યાય: 9 રાજ્યોમાં પહેલીવાર બન્યા ભાજપના મુખ્યમંત્રી

ભારતીય રાજનીતિના ઈતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ભાજપ માટે એક એવો વળાંક સાબિત થયું છે જ્યાંથી પાર્ટીની વિજયકૂચ અવિરત ચાલુ રહી છે. 2014માં કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીના કરિશ્માઈ નેતૃત્વમાં ભાજપે એવા 9 રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે જ્યાં અગાઉ ક્યારેય ભાજપના મુખ્યમંત્રી નહોતા. આ યાદીમાં હવે પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થયો છે, જ્યાં દાયકાઓથી પાર્ટી સત્તાથી દૂર હતી.

પશ્ચિમ બંગાળમાં ‘કમળ’નું ઐતિહાસિક આગમન

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિમાં નવો અધ્યાય લખી દીધો છે. મમતા બેનર્જીના 15 વર્ષ જૂના શાસનનો અંત આણીને ભાજપે ૨૯૪ બેઠકોવાળી વિધાનસભામાં 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે રાષ્ટ્રવાદ, વિકાસ અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી. પરિણામે, શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે.

હરિયાણા અને મહારાષ્ટ્રથી થઈ શરૂઆત

ભાજપના આ રાજકીય વિસ્તારની સફર 2014માં હરિયાણા અને મહારાષ્ટ્રથી શરૂ થઈ હતી. હરિયાણામાં પહેલીવાર પોતાના દમ પર બહુમતી મેળવી મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી બન્યા. એ જ રીતે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલા ભાજપે મહાયુતિ ગઠબંધન સાથે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બનાવ્યા.

પૂર્વોત્તર ભારતમાં ભાજપનો ઉદય

2016માં અસમમાં સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં પહેલીવાર ભાજપની સરકાર બની, જે પૂર્વોત્તરમાં પાર્ટીની સૌથી મોટી જીત હતી. ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુના નેતૃત્વમાં સ્થિર સરકાર બની. 2017માં મણિપુરમાં એન. બિરેન સિંઘ અને ૨૦૧૮માં ત્રિપુરામાં બિપ્લબ કુમાર દેબે સત્તા સંભાળીને વામપંથના ગઢને તોડી પાડ્યો હતો.

ઓડિશા અને બિહારમાં પરિવર્તન

2024માં ઓડિશામાં નવીન પટનાયકના ૨૪ વર્ષના શાસનને ઉથલાવી મોહન ચરણ માઝી રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બન્યા. જ્યારે બિહારમાં ૨૦૨૬માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો. નીતીશ કુમાર રાજ્યસભામાં ગયા બાદ ભાજપે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવીને બિહારની કમાન પ્રથમ વખત પોતાના હાથમાં લીધી.

ડેરી ઉદ્યોગને લીધે પર્યાવરણને થતા નુકસાન વિરુદ્ધ યુવાનોનું પ્રદર્શન

અમદાવાદઃ  પૃથ્વી દિવસ પછી દેશના યુવાનો દેશના ડેરી ઉદ્યોગના પર્યાવરણીય અને નૈતિક પ્રભાવ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ છે અને આ જ વ્યવસ્થા દેશના અગ્રણી બીફ નિકાસ ઉદ્યોગનો પણ આધાર છે. અમદાવાદમાં યુવા કાર્યકરોએ પાલડી રિવરફ્રન્ટ ખાતે જાહેર પ્રદર્શન યોજીને ડેરી ઉદ્યોગના પર્યાવરણીય પ્રભાવ અને બીફ ઉદ્યોગ સાથેના તેના અવગણાયેલા સંબંધને ઉજાગર કર્યો હતો. હાલમાં દેશના 20 શહેરોમાં યુવા કાર્યકરો લોકોનું ધ્યાન આ હકીકત તરફ દોરી રહ્યા છે કે દૂધ અને બીફ બંને એક જ પ્રાણીથી શરૂ થાય છે અને લોકોને ડેરી સપ્લાય ચેઇનમાં પ્રાણીઓની સફર તથા અંતે તેઓ કેવી રીતે બીફ ઉદ્યોગમાં પ્રવેશે છે તે અંગે વિચારવા અપીલ કરી રહ્યા છે.

દેશમાં દૂધ અને બીફ વચ્ચેના સંબંધ અંગે વર્ષોથી રહેલું મૌન હવે તૂટતું જોવા મળી રહ્યું છે. @animalsaveindia દ્વારા શેર કરાયેલી એક ઇન્સ્ટાગ્રામ રીલ, જેમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની એક ક્લિપ હતી, તેમાં સ્પર્ધક સિદ્ધાર્થ શર્માએ ડેરી પ્રાણીઓના ભવિષ્ય વિશે વાત કરતાં હોસ્ટ અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત દેખાય છે. આ રીલને 1.2 અબજથી વધુ વ્યૂઝ અને 65 લાખ લાઇક્સ મળ્યા છે, જેને કારણે તે વિશ્વની સૌથી વધુ જોવાતી રીલોમાંની એક બની ગઈ છે. ત્યાર બાદ અમિતાભ બચ્ચને પણ કહ્યું હતું કે ગાય જે દૂધ આપે છે તે તેના વાછરડા માટે હોય છે, માનવીઓની ચા માટે નહીં.

આ જાહેર પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભારતનું ચોથું સૌથી મોટું દૂધ ઉત્પાદન કરતું રાજ્ય બની ગયું છે. વર્ષ 2023–24 દરમિયાન ગુજરાતમાં અંદાજે 183.12 લાખ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. આ પ્રદર્શન દ્વારા લોકોને ભારતના વિશ્વના સૌથી મોટા ડેરી ઉદ્યોગના પર્યાવરણીય પરિણામો અંગે વિચારવા પણ અપીલ કરવામાં આવી હતી. દેશમાં એક લિટર દૂધ ઉત્પાદન કરવા માટે આશરે 1078 લિટર પાણીની જરૂર પડે છે, જે પહેલેથી જ ભૂગર્ભ જળ સંકટનો સામનો કરી રહેલા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવાં દૂધ ઉત્પાદન કરનાર રાજ્યો માટે ગંભીર બોજ છે.

આ ઉપરાંત, ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે 2025ની ઉદ્યોગ વર્ગીકરણ સૂચનામાં ડેરી અને કતલખાનાઓને “રેડ” કેટેગરીમાં રાખ્યા છે, જે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો તરીકે ગણાય છે. આ નુકસાન બીફ ઉદ્યોગથી અલગ નથી, કારણ કે ડેરી અને બીફ બંને એક જ વ્યવસ્થાના ભાગ છે. જ્યારે ગાય અને ભેંસ દૂધ આપવાનું બંધ કરે છે, ત્યારે એમને બીફ સપ્લાય ચેઇનમાં વેચી દેવામાં આવે છે. છતાં ભારતમાં ધાર્મિક પ્રતીકો અને રોજિંદા આહારમાં દૂધને ઘણી વાર નૈતિક રીતે નિષ્પક્ષ માનવામાં આવે છે, એમ પ્રાણી હિતરક્ષક કાર્યકર વિધિએ જણાવ્યું હતું.

સોલા ભાગવત વિદ્યાપીઠમાં પુરુષોત્તમ માસમાં વિવિધ મનોરથોનું આયોજન

અમદાવાદઃ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શ્રીકલ્પતરુ પ્રસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિક માસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે “અધિકસ્ય અધિકં ફલમ્” શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો 17-05-26થી 15-06-26 સુધી અધિક જેઠ સુદ-એકમથી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથ-ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. સોલા ભાગવત વિદ્યાપીઠમાં સંસ્થામાં અભ્યાસ કરતા ઋષિકુમાર માટે સુંદર રહેવાની વ્યવસ્થા સગવડ સ્વરૂપે આગામી સમયમાં ભવ્ય નૂતન છાત્રાલય ભવનનું નિર્માણકાર્ય હાથ ધરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી પૂ. ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવતી કાલે  10 મેએ રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક ભાગવત વિદ્યાપીઠ, શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ, શ્રીકૃષ્ણનિધિ ટ્રસ્ટની 24મી અતિપાવન પુણ્યતિથિ નિમિત્તે ઋષિકુમાર દ્વારા પૂજન-અર્ચન ભાવવંદના કાર્યક્રમ તેમ જ વિખ્યાત વિક્રમ લાબડિયા ગ્રુપના સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ મોટી સંખ્યામાં સૌ વૈષ્ણવો-શ્રદ્ધાળુઓ લે તેવી અમારી નમ્ર અપીલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે અધિક માસને હું મારું નામ આપું છું એટલે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી 17-05-26થી 15-06-26 સુધી અધિક જેઠ સુદ-એકમથી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંવત્સરોવરથયાત્રા, ગોચારણલીલા, વસંતપંચમી, શ્રીનાથજીનું પ્રાગટ્ય, રાધાષ્ટમી-ગોપષ્ટમી, રામનવમી, નાવ મનોરથ, દાનલીલા મનોરથ, પવિત્રા એકાદશ. વામન જયંતી, મોરકુટી મનોરથ, નૃસિંહ જયંતી, શરદોત્સવ રાસ, છાક મનોરથ, ગોકુલ-મથુરા, આકાશ ઝુલા, જન્માષ્ટમી મહોત્સવ-નંદ મહોત્સવ, ગુંસાઈજીનો ઉત્સવ, સાવન-ભાદા, મહાપ્રભુજીનો ઉત્સવ, શીશ મહેલ, ગોવર્ધન પૂજા-અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ લેવા વહાલા ભગવદીય વૈષ્ણવ ભક્તોને અમારુ ભાવભર્યું નિમંત્રણ છે. પૂ. શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠમાં અત્યાર સુધીમાં કુલ 5000થી પણ વધુ બ્રાહ્મણનાં બાળકો (ઋષિકુમારો) સંસ્કૃત તેમ જ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરી તૈયાર થયા છે. જેના પરિણામ સ્વરૂપે મહાનગરોની કોન્વેન્ટ-સી.બી.એસ.સી સ્કૂલોમાં અહીંના વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. અહીંથી વિદ્યાભ્યાસ કરેલા ઋષિકુમારો ઘણાં ઉત્તમ કથાવાચક, કર્મકાંડી, જયોતિષી, તરીકે સમાજમાં પોતાની સેવા આપી રહ્યા છે. વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં અહીંના ઋષિકુમાર ઉચ્ચ પદ ધરાવે છે. વિદેશમાં પચાસથી વધુ ઋષિકુમાર હિન્દુ મંદિરમાં પૂજારી (પ્રિસ્ટ) તરીકે સેવા આપી રહ્યા છે.

થલપતિ વિજય પર નકલી સમર્થન પત્રના ઉપયોગનો આરોપ

ચેન્નઈઃ તામિલનાડુના રાજકારણમાં સરકાર રચનાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. અન્ના મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) એ થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) પર નકલી સમર્થન પત્રનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે AMMKએ ચેન્નાઈના ગિન્ડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસના જણાવ્યાનુસાર AMMKના મહાસચિવ T. T. V. દિનાકરણ દ્વારા અરજી આપવામાં આવી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ FIR નોંધાઈ નથી. પોલીસ હાલમાં ફરિયાદની પ્રાથમિક તપાસ કરી રહી છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દિનાકરણ મોડી રાત્રે ગિન્ડી રેન્જના સહાયક પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે TVKએ રાજ્યપાલને નકલી સમર્થન પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે મન્નારગુડીના AMMK ધારાસભ્ય એસ. કામરાજે TVK સરકારને સમર્થન આપ્યું છે. દિનાકરણનો દાવો છે કે આ દસ્તાવેજ સંપૂર્ણપણે નકલી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે TVK એ સરકાર બનાવવા માટે ખોટા રસ્તાઓ અપનાવ્યા અને દલબદલવિરોધી કાયદાથી બચવાનો પ્રયાસ કર્યો. તેમનું કહેવું છે કે ધારાસભ્ય એસ. કામરાજ પોતે પણ આ દસ્તાવેજ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બીજી તરફ, TVKએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. પાર્ટીએ સ્પષ્ટતા કરતાં એક વિડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં ધારાસભ્ય કામરાજ પોતાની મરજીથી સમર્થન પત્ર પર હસ્તાક્ષર કરતા જોવા મળે છે એવો TVK નો દાવો છે. પાર્ટીનું કહેવું છે કે વિરોધ પક્ષો રાજકીય કારણોસર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

એ દરમિયાન તામિલનાડુના રાજકારણમાં TVK ને સમર્થન મળવાનું ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ VCK ટૂંક સમયમાં TVK ને સત્તાવાર સમર્થનની જાહેરાત કરી શકે છે. VCK પ્રમુખે પહેલેથી જ સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ડાબેરી પક્ષોના નિર્ણય મુજબ આગળ વધશે. ડાબેરી પક્ષો પહેલેથી જ TVKને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. TVK નેતાઓનો દાવો છે કે થલપતિ વિજય ટૂંક સમયમાં તામિલનાડુના મુખ્ય મંત્રી બની શકે છે.

જગતગુરુ મામા સરકાર દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન

અમદાવાદ: શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે.

અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય “શ્રી શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ટ, જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરિ મહારાજ, અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર” ના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે.

આ યાત્રા પ્રથમ દિવસે સવારે ૩૩ મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ બાવળાથી શરૂ થશે. જે, બિંદુ સરોવર ખાતે પહોંચશે અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવશે. ત્યાર બાદ, પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, યાત્રીઓ અંબાજી તરફ આગળ વધશે. શ્રી જગતજનની મા અંબાનાં દર્શન બાદ યાત્રા પુષ્કરના શ્રી પંચ દશનામ જૂના અખાડા આશ્રમમાં, રાત્રિભોજન કરી રાત્રે આરામ કરી બીજા દિવસે આ યાત્રા પુષ્કરરાજ શ્રી બ્રહ્માજી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે. ત્યાર બાદ જયપુરમાં શ્રી બાંકે બિહારી ઠાકોરજીના “સંકલ્પ દર્શન” કર્યા બાદ તેઓ દિલ્હી રવાના થશે. ત્યાર બાદ દિલ્હી આરામ કરીને ત્રીજા દિવસે દિલ્હીમાં નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદસભ્યોને આશીર્વાદ આપ્યા પછી, આ યાત્રા હરિદ્વાર જવા રવાના થશે.

ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે. સાતમા દિવસે આ યાત્રા શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડ પહોંચશે. આઠમા દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરનાં દર્શન કરવામાં આવશે. નવમા દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાશ સંકલ્પ દર્શને પહોંચશે. જ્યાં  શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરનાં દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી ઓમ પર્વતનાં દર્શન કરી ત્યાંથી પૂજા-પાઠ કરી પવિત્ર જળ લઇશું, એ પછી અયોધ્યા પહોંચી 11મા દિવસે ભગવાન શ્રીરામનાં દર્શન કરવામાં આવશે અને છેલ્લે 12મા દિવસે  શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પ દર્શન કરવામાં આવશે. આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે.

મુંબઈ: ઈસ્કોન મંદિરમાં ‘કૃષ્ણા માયા’કાર્યક્રમમાં કથકની વિશેષ પ્રસ્તુતિ થશે

મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર ખાતે ભક્તિ અને નૃત્યનો અનોખો સંગમ જોવા મળશે. આવતી કાલે એટલે કે 10 મેના રોજ મંદિરના પરિસરમાં ‘કૃષ્ણા માયા’નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

​કૃષ્ણભક્તો અને ભારતીય પરંપરાગત નૃત્યકલાના શોખીનો માટે એક અવિસ્મરણીય અવસર છે. આ રવિવારે એટલે કે 10 મે ના રોજ, જુહુ સ્થિત ઇસ્કોન મંદિરમાં બપોરે “કૃષ્ણા માયા” નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

​આ કાર્યક્રમમાં કથક નૃત્ય દ્વારા શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ પ્રસ્તુત કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમમાં ઈચ્છુક દરેક કૃષ્ણભક્ત અને કલાપ્રેમી સામલ થઈ શકે છે.કથક નૃત્યમાં સુવર્ણ પદક વિજેતા નયના મલ્લાપુલકર તેમના સાથી કલાકારો સાથે ખાસ પ્રસ્તુતિ રજૂ કરશે.

બંગાળમાં PM મોદી જેમને પગે લાગ્યા એ 98 વર્ષીય માખનલાલ કોણ છે?

પશ્ચિમ બંગાળમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ કાર્યકર્તાને પગે લાગ્યા હતાં. 1952માં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીર ચળવળમાં ભાગ લેનારા અને બંગાળમાં ભાજપને મજબૂત બનાવનારા 98 ​​વર્ષીય પીઢ કાર્યકર્તા માખનલાલ કોણ છે?

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો પાયો નાખનારા સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક, 98 વર્ષીય માખનલાલ સરકાર ફરી એકવાર ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ માંગ્યા, જે તેના વરિષ્ઠ નેતાઓ અને સ્થાપક સભ્યો પ્રત્યે પક્ષના આદરનું પ્રતીક છે. માખનલાલ સરકારની રાજકીય સફર પક્ષના શરૂઆતના સંઘર્ષો અને વિસ્તરણની વાર્તા કહે છે.

રાષ્ટ્રવાદી ચળવળ અને કાશ્મીર મુલાકાત

માખનલાલ સરકાર સ્વતંત્રતા પછીના ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળના શરૂઆતના અને સૌથી અગ્રણી પાયાના નેતાઓમાંના એક હતા. રાષ્ટ્રવાદ પ્રત્યેનું તેમનું સમર્પણ દાયકાઓ જૂનું છે.

1952માં, જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં ભારતીય ત્રિરંગો ફરકાવવા માટે ઐતિહાસિક ચળવળનું નેતૃત્વ કર્યું, ત્યારે આ અભિયાનમાં માખણલાલ તેમની સાથે હતા.

આ ચળવળ દરમિયાન કાશ્મીરમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ભાજપના સંગઠનાત્મક વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા

1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સત્તાવાર રીતે રચના થઈ, ત્યારે તેમણે પશ્ચિમ બંગાળમાં સંગઠન બનાવવાની જવાબદારી સંભાળી.

તેમને પશ્ચિમ દિનાજપુર, જલપાઇગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓ માટે સંગઠનાત્મક સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

તેમનું નેતૃત્વ અને સંગઠનાત્મક કૌશલ્ય એટલું પ્રભાવશાળી હતું કે માત્ર એક વર્ષમાં તેમણે પક્ષમાં લગભગ 10 હજાર નવા સભ્યો ઉમેર્યા.

અપવાદરૂપ સંગઠનાત્મક રેકોર્ડ: સતત સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ

માખનલાલ સરકારની રાજકીય કારકિર્દી પક્ષ પ્રત્યેની તેમની વફાદારી અને કાર્યક્ષમતાનો પુરાવો છે.

1981થી, તેમણે સતત સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી.

તે સમયે આ એક અસાધારણ અને દુર્લભ સિદ્ધિ હતી, કારણ કે ભાજપના નેતાઓ સામાન્ય રીતે સમાન સંગઠનાત્મક પદ પર બે વર્ષથી વધુ સમય સુધી રહેતા ન હતા.

માખનલાલ સરકારની 98 વર્ષની ઉંમર સુધીની સફર પશ્ચિમ બંગાળ જેવા પડકારજનક રાજ્યમાં ભાજપના પ્રારંભિક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. મંચ પર વડા પ્રધાનનું શૌર્ય એ વાતની પુષ્ટિ કરે છે કે દાયકાઓ સુધી સંગઠનનું પોષણ કરનારા આ દિગ્ગજોને હજુ પણ પક્ષના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા યાદ કરવામાં આવે છે.