Home Blog Page 73

પંચાંગ 10/05/2026

દેશની રાજધાનીમાં આતંકી હુમલાનો ઓછાયો,’હાઈ એલર્ટ’ જાહેર

દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આતંકીઓ આત્મઘાતી હુમલા, વાહન આધારિત IED વિસ્ફોટ અથવા અંધાધૂંધ ગોળીબાર કરવાની ફિરાકમાં છે. આ ગંભીર ખતરાને જોતા દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓએ રણનીતિક વિસ્તારોમાં કિલ્લેબંધી કરી દીધી છે.

ભાજપ મુખ્યાલય અને સંવેદનશીલ સ્થળો પર સખત પહેરો

સૂત્રોના જણાવ્યા અનુસાર, દીન દયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલી ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ઓફિસ અને તેની આસપાસની સરકારી કચેરીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં વધારાના સશસ્ત્ર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે, ઠેર-ઠેર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારો, બજારો અને ટ્રાન્સપોર્ટ હબ પર એન્ટી-સબોટાજ તપાસ તેજ કરવામાં આવી છે.

ISI મોડ્યુલ અને જૂના બનાવોની કડીઓ

તાજેતરમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરતા શહઝાદ ભટ્ટી મોડ્યુલના 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ મોડ્યુલ દિલ્હીમાં ‘ટાર્ગેટ કિલિંગ’ અને પ્રખ્યાત મંદિરો પર હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ ઉપરાંત, 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 12 લોકોના મોત બાદ NIA સતત તપાસ કરી રહી છે. આ વિસ્ફોટમાં જૈશ-એ-મોહમ્મદના કનેક્શન અને ડોક્ટરોના મોડ્યુલની સંડોવણી સામે આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હવે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી.

૧૦ મે ૨૦૨૬

PL 2026: ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવ્યું

આઈપીએલ ૨૦૨૬ની ૫૨મી મેચમાં ગુજરાત ટાઈટન્સે (GT) રાજસ્થાન રોયલ્સ (RR) સામે એકતરફી વિજય મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની વિસ્ફોટક બેટિંગ બાદ રાશિદ ખાનની ધારદાર બોલિંગના જોરે ગુજરાતે રાજસ્થાનને તેમના જ ઘરમાં ૭૭ રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ગુજરાત પોઈન્ટ્સ ટેબલમાં સીધું બીજા ક્રમે પહોંચી ગયું છે.

મેચમાં ટોસ જીતીને રાજસ્થાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે ખોટો સાબિત થયો. ગુજરાતની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર સાઈ સુદર્શને માત્ર ૩૦ બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી દીધી હતી. શુભમન ગિલ અને સાઈ વચ્ચે ૧૧૮ રનની મજબૂત ભાગીદારી થઈ હતી. સાઈ ૫૫ રન બનાવી આઉટ થયો, પરંતુ ગિલે ૮૪ રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં સુંદરે ૩૭ રનનું યોગદાન આપતા ગુજરાતે ૪ વિકેટના નુકસાને ૨૨૯ રનનો ડુંગર ખડક્યો હતો.

૨૩૦ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત આક્રમક રહી હતી. વૈભવે ૧૬ બોલમાં ૩૬ રન ફટકારી આશા જગાવી હતી, પરંતુ તેની વિકેટ પડતા જ રાજસ્થાનની ઇનિંગ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. સ્ટાર બેટર યશસ્વી માત્ર ૩ રન બનાવી આઉટ થયો હતો. મધ્યક્રમમાં જુરેલે ૨૪ અને જાડેજાએ ૩૮ રન બનાવી સંઘર્ષ કર્યો હતો, પરંતુ તે પૂરતું નહોતું. રાજસ્થાનની આખી ટીમ ૧૫૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે જેસન હોલ્ડરે ૩ અને રબાડાએ ૨ વિકેટ મેળવી હતી.

આ જીત સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાનેથી સીધું બીજા સ્થાને પહોંચી ગયું છે અને પંજાબ કિંગ્સને પાછળ છોડી દીધું છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને સરકી ગયું છે. હાલમાં પંજાબ ત્રીજા અને આરસીબી (RCB) ચોથા સ્થાને છે.

કેરલમમાં કોંગ્રેસની જીત બાદ CM પદ માટે ખેંચતાણ

કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ભવ્ય વિજય મેળવ્યો છે, પરંતુ હવે મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ મોટી ધર્મસંકટની સ્થિતિ ઉભી થઈ છે. આ ગૂંચ ઉકેલવા માટે શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે ૩ કલાકથી વધુ સમય સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી.

ત્રણ પક્ષો અને ત્રણ મજબૂત દાવેદારો

UDF ગઠબંધનને જનતાએ સ્પષ્ટ બહુમતી આપી છે, પરંતુ ગઠબંધનના ત્રણેય મુખ્ય પક્ષો મુખ્યમંત્રી પદ માટે પોતપોતાના નેતાઓની પેરવી કરી રહ્યા છે. કોંગ્રેસના પોતાના નેતાઓ ઉપરાંત, CPI(M) અને કેરલમ કોંગ્રેસ પણ આ પદ માટે ઈચ્છુક છે. પક્ષમાં આંતરિક અસંતોષ ન ફેલાય તે હેતુથી હાઈકમાન્ડ અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે.

હાઈકમાન્ડને સોંપાયો આખરી અધિકાર

દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં કેરલમના વરિષ્ઠ નેતાઓ રમેશ ચેન્નીથલા, વી. ડી. સતીશન અને કેરલ કોંગ્રેસ યુનિટના પ્રમુખ સની જોસેફ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ AICC ના જનરલ સેક્રેટરી દીપા દાસમુનશીએ જણાવ્યું હતું કે, કેરલમના તમામ નવ-નિયુક્ત ધારાસભ્યોએ એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં મુખ્યમંત્રીની પસંદગીનો આખરી નિર્ણય લેવાની સત્તા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને સોંપવામાં આવી છે.

કેરલમમાં નવી સરકાર રચવા માટે ૨૩ મે છેલ્લી તારીખ છે. જો આ સમય સુધીમાં મુખ્યમંત્રીના નામ પર મહોર નહીં લાગે તો રાજ્યપાલ દ્વારા બંધારણીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે. દીપા દાસમુનશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ‘ખૂબ જ જલ્દી’ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં ખડગે અને રાહુલ ગાંધી તમામ પક્ષોના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય ચહેરાની શોધમાં છે.

પેન્શનરો માટે મોટા સમાચાર: શું ₹1000 ના બદલે હવે મળશે ₹7500 પેન્શન?

ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે પીએફ (PF) અને પેન્શન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તાજેતરમાં EPFO એ કર્મચારીઓની સુવિધા માટે અનેક ફેરફારો કર્યા છે, જેનાથી પીએફ ઉપાડવાની પ્રક્રિયા ઘણી સરળ બની છે. આ દરમિયાન, નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. સરકાર EPS-95 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

પેન્શન ફંડમાં કેવી રીતે જમા થાય છે નાણાં?

EPF ના નિયમ મુજબ, કર્મચારી પોતાના બેઝિક પગારના 12 ટકા ફાળો પ્રોવિડન્ટ ફંડમાં આપે છે. આટલો જ હિસ્સો કંપની (નિયોક્તા) દ્વારા પણ આપવામાં આવે છે. જોકે, કંપનીના 12 ટકા ફાળામાંથી બે ભાગ પડે છે:

8.33 ટકા: કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે.

3.67 ટકા: EPF યોજનામાં જમા થાય છે.

બજેટ 2025 અને પેન્શનરોની માંગ

બજેટ 2025 પહેલા, EPS-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિના પ્રતિનિધિઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. પેન્શનરોની લાંબા સમયથી માંગ છે કે તેમને દર મહિને લઘુત્તમ 7,500 રૂપિયા પેન્શન અને સાથે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે. નાણામંત્રીએ આ માંગણીઓ પર વિચાર કરવાની ખાતરી આપી છે.

કેવી રીતે થાય છે પેન્શનની ગણતરી?

તમને મળનાર માસિક પેન્શનનો આધાર તમારા ‘પેન્શન પાત્ર પગાર’ અને ‘નોકરીના વર્ષો’ પર રહેલો છે. તેની ગણતરી માટે સરેરાશ બેઝિક પગાર અને છેલ્લા 12 મહિનાના મોંઘવારી ભથ્થાની સરેરાશ લેવામાં આવે છે.

ગણતરીનું સૂત્ર:

માસિક પેન્શન = (પેન્શન પાત્ર પગાર X નોકરીના વર્ષો) / 70

અહીં એક મહત્વનો નિયમ એ છે કે, જો તમારો બેઝિક પગાર 15,000 રૂપિયાથી વધુ હોય, તો પણ પેન્શનની ગણતરી માટે મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા જ ગણવામાં આવે છે.

12 વર્ષની નોકરી પર: (15,000 x 12) / 70 = અંદાજે 2,571.42 રૂપિયા દર મહિને.

20 વર્ષની નોકરી પર: (15,000 x 20) / 70 = અંદાજે 4,285.71 રૂપિયા દર મહિને.

આ ગણતરી મુજબ, જેમ જેમ તમારા નોકરીના વર્ષો વધશે તેમ તેમ પેન્શનની રકમમાં પણ વધારો થશે.

DRDOએ ‘અગ્નિ’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતે ‘અગ્નિ’ મિસાઈલના અત્યાધુનિક સંસ્કરણનું સફળ ઉડાન પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. આ પરીક્ષણ માત્ર એક મિસાઈલ લોન્ચિંગ નથી, પણ આધુનિક યુદ્ધ ટેકનોલોજીમાં ભારતનું વધતું પ્રભુત્વ છે, જે દુશ્મન દેશો માટે સીધી ચેતવણી સમાન છે.

આ પરીક્ષણની સૌથી મહત્વની બાબત એ છે કે અગ્નિ મિસાઈલને મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. આ ટેકનોલોજીનો અર્થ એ છે કે આ મિસાઈલ એક જ ઉડાનમાં અલગ-અલગ લોકેશન પર રહેલા અનેક લક્ષ્યોને એકસાથે નિશાન બનાવી તેમને ધ્વસ્ત કરી શકે છે. સંરક્ષણ ક્ષેત્રે આ પ્રકારની ક્ષમતા ધરાવતા ગણ્યાગાંઠ્યા દેશોમાં હવે ભારતનું નામ વધુ મજબૂતીથી જોડાયું છે.

રક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત આ મિસાઈલે પરીક્ષણ દરમિયાન તેની સાથે અનેક હથિયારો (પલોડ્સ) વહન કર્યા હતા. હિંદ મહાસાગર વિસ્તારમાં મિસાઈલે તેના નિર્ધારિત તમામ લક્ષ્યોને અત્યંત સચોટતાથી વીંધી નાખ્યા હતા. જમીન પરના ટ્રેકિંગ સ્ટેશનો અને દરિયામાં તૈનાત જહાજો દ્વારા તેની ઉડાન પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. પ્રાપ્ત ડેટા મુજબ, આ પરીક્ષણ ૧૦૦% સફળ રહ્યું છે અને તમામ ટેકનિકલ માપદંડો પૂર્ણ થયા છે.

જોઈ લો, સંજય દત્તની ફિલ્મ ‘આખરી સવાલ’ની ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ

સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ સીધી સિસ્ટમ પર હુમલો કરે છે. મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં સંજય દત્ત સહિતના ફિલ્મના કલાકારો સામેલ થયા હતાં.

RSS પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન અભિજીત મોહન વારંગે કર્યું છે. તેનું નિર્માણ નિખિલ નંદા અને સંજય દત્તે કર્યું છે. આ ફિલ્મ 15 મે, 2026ના રોજ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.

ટ્રેલરમાં સંજય દત્ત એક પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળે છે. ટ્રેલરમાં સમીરા રેડ્ડી અને નમાશી ચક્રવર્તી પણ છે. તે બંને સંજય દત્તને અનેક મુખ્ય રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે.

આ ટ્રેલર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે સંબંધિત ઐતિહાસિક ઘટનાઓ વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તે મહાત્મા ગાંધીની હત્યામાં RSSની કથિત સંડોવણી, બાબરી મસ્જિદનો ધ્વંસ અને કટોકટી જેવા સંવેદનશીલ વિષયોને સંબોધિત કરે છે.

(તસવીરો: માનસ સોમપુરા)

 

હોર્મુઝની ખાડીમાં ફાયરિંગ: દ્વારકાના નાવિકનું મોત, 5 ઘાયલ

દરિયાઈ માર્ગે દુબઈથી યમન જઈ રહેલા એક ભારતીય જહાજ પર થયેલા ગોળીબારમાં ગુજરાતના સલાયાના એક નાવિકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 નાવિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે હોર્મુઝની ખાડીમાં બની હતી જ્યારે ભારતનું આ જહાજ બે પક્ષો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ક્રોસફાયરિંગમાં ફસાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ, લાકડાનું બનેલું આ જહાજ જેનું નામ ‘અલ ફેઝ નૂર-એ-સુલેમાની 1’ છે, તે 7 મેના રોજ દુબઈથી યમનના મુક્કમ જવા રવાના થયું હતું. 8 મેના રોજ રાત્રે અંદાજે 1 વાગ્યે જ્યારે જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી રહ્યું હતું, ત્યારે અચાનક થયેલા ગોળીબારની ચપેટમાં આવી ગયું. આ જહાજમાં કુલ 18 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

ઈન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશન (ગુજરાત) ના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ ઘટના અમેરિકા અને ઈરાનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણનું પરિણામ છે.

શહીદ નાવિક અને બચાવ કામગીરી

હુમલામાં જહાજના એન્જિન ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અલ્તાફ તાલાબ કેર (રહે. સલાયા, દેવભૂમિ દ્વારકા) નું મોત થયું છે. અન્ય ઘાયલ સભ્યોને 8 મેના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ અન્ય એક જહાજ ‘MSV પ્રેમ સાગર-I’ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને તે જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં દુબઈ પોર્ટ પર લાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ સતત તેમના સંપર્કમાં છે.

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે હોર્મુઝની ખાડી હાલમાં સંઘર્ષનું કેન્દ્ર બની છે. ઈરાને મંજૂરી વગર કોઈપણ જહાજની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હાલમાં પણ 13 ભારતીય જહાજો પર્સિયન ગલ્ફમાં છે, જ્યારે 11 જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.

સોમનાથ અમૃતપર્વ: ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર થશે 11 તીર્થોના જળથી કુંભાભિષેક

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃતપર્વ 2026નો અવસર આવી ગયો છે. આ પાવન પ્રસંગે ફરીએકવાર સોમનાથમાં ઈતિહાસ રચાવાનો છે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા ‘સોમનાથ અમૃતપર્વ-2026’ ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે.પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.

 

‘સોમનાથ અમૃતપર્વ 2026’ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેશે અને સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે.આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. મંત્રોચ્ચાર સાથે 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી શિખર પર અભિષેક કરવામાં આવશે.

આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે 10-12 વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.