Home Blog Page 708

પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાની GST ચોરી પકડાઈ: નાણાં રાજ્યમંત્રી

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષોમાં (2020-21થી 2024-25 સુધી), કેન્દ્રીય GST (CGST) ફીલ્ડ અધિકારીઓએ લગભગ રૂ. 7.08 લાખ કરોડની GST ચોરી પકડી છે, જેમાં માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો હિસ્સો રૂ. 1.79 લાખ કરોડ છે, એમ આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપી હતી.

વિત્ત વર્ષ 2024-25માં જ રૂ. 2.23 લાખ કરોડની GST ચોરી પકડવામાં આવી હતી, જેમાંથી લગભગ 15,283 કેસોમાં ITC કૌભાંડ દ્વારા ₹58,772 કરોડની હેરાફેરી કરવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન કુલ 30,056 કેસ પકડાયા હતા, એટલે કે આ વર્ષે પકડાયેલા કુલ કેસોમાંથી અડધાથી વધારે કેસો ITC કૌભાંડ સાથે સંકળાયેલા હતા.

વર્ષ 2023-24માં રૂ. 2.30 લાખ કરોડની GST ચોરી પકડી હતી, જેમાંથી રૂ. 36,374 કરોડ ITC કૌભાંડથી સંકળાયેલા છે. વર્ષ 2022-23માં રૂ. 1.32 લાખ કરોડની ચોરી, જેમાં ₹24,140 કરોડ ITC દાવા કરવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં રૂ. 73,238 કરોડની ચોરી થઈ હતી, જેમાં રૂ. 28,022 કરોડ ITCનું કૌભાંડ અને 2020-21માં રૂ. 49,384 કરોડની ચોરી થઈ હતી, જેમાં રૂ. 31,233 કરોડ ITC કૌભાંડ હતું.

છેલ્લાં પાંચ વર્ષમાં CGST અધિકારીઓએ કુલ 91,370 કેસોમાં ટેક્સ ચોરી પકડીલી છે. આ કેસોમાંથી આશરે ₹1.29 લાખ કરોડની વસૂલાત વોલેન્ટરી ડિપોઝિટ દ્વારા કરાઈ છે. GST ચોરી રોકવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે  ઈ-ઈનવોઈસિંગ, GST એનાલિટિક્સ  સિસ્ટમ દ્વારા પકડાઈ રહેલી ખામીઓનું મોનિટરિંગ, ઇન્ટેલિજન્સ શેરિંગ, ઓડિટ માટે હાઈ-રિસ્ક કરદાતાઓની ઓળખ વગેરે. રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા મુજબ આ પગલાં આવક સુરક્ષા માટે અને ઠગોને પકડવા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે.

IND vs ENG: ક્રિસ વોક્સે દિલ જીતી લીધા, એક હાથે બેટિંગ કરવા ઉતર્યા, જુઓ VIDEO

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. આ મેચમાં ક્રિસ વોક્સે જે જુસ્સો બતાવ્યો તેણે ચાહકોના દિલ જીતી લીધા. ઇજાગ્રસ્ત વોક્સ આ મેચમાં ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. વોક્સના ડાબા ખભામાં ફ્રેક્ચર થયું હતું, પરંતુ તે બેટ લઈને મેદાનમાં ઉતર્યો હતો.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં 9 વિકેટ પડ્યા બાદ વોક્સ બેટિંગ કરવા ઉતર્યો હતો. જ્યારે વોક્સ બેટિંગ કરવા ઉતર્યો ત્યારે દર્શકોએ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું. મેચ પછી, ભારતીય ખેલાડીઓએ પણ ક્રિસ વોક્સની પ્રશંસા કરી. ગૌતમ ગંભીર આ ફાસ્ટ બોલરને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા.

ઓવલ ટેસ્ટ મેચના પહેલા દિવસે, ક્રિસ વોક્સને લોંગ ઓફ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ડાબા ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે વોક્સને મેદાન છોડવું પડ્યું હતું. તે સમયે વોક્સનો ખભા વિચિત્ર રીતે વળી ગયો હતો. મેદાન છોડતા પહેલા આ ફાસ્ટ બોલર ખૂબ જ પીડામાં દેખાતો હતો.

વૈશ્વિક એકતા માટે પોતાનામાં વિશ્વાસ જરૂરી: બ્રહ્માકુમારી જયંતીદીદી

અમદાવાદ: વિજ્ઞાન ભવન ખાતે બ્રહ્માકુમારી મહાદેવનગર સબઝોન દ્વારા આયોજિત “વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન સેવાયોજના” કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આરંભમાં બ્રહ્માકુમારીઝના અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા બ્રહ્માકુમારી જયંતી દીદી ખાસ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વિશ્વની પરિસ્થિતિ ગંભીર છે, પરિવારો વિખરાઈ અને તૂટી રહ્યા છે. કારણ કે આધ્યાત્મિકતા અને પરસ્પર વિશ્વાસનો અભાવ છે. ધ્યાન આપણને પોતાની જાત, પરિવાર અને પરમાત્મા સાથે સંબંધ જોડવામાં મદદ કરે છે. વૈશ્વિક એકતા માટે આપણે પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ.” કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીએ ધ્યાન દ્વારા સ્મૃતિ શક્તિ વિકસાવવા પ્રેરણા આપી. પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહરીએ કહ્યું કે, “માનસિક સ્વાસ્થ્ય વિના શાંતિ અને સુખ શક્ય નથી, અને ધ્યાન એકમાત્ર ઉપાય છે.” ઉદ્યોગપતિ રુચિર પારેખ અને ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે ધ્યાનની ઉપયોગીતા અને સંસ્થાના કાર્યોની પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે પ્રસિદ્ધ ગાયક હરીશ મોયલ દ્વારા સુંદર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાંતા: ગંછેરાના ડુંગર નીચે જોડિયાં શિવલિંગ જય વિજય મહાદેવ

દાંતા: યાત્રાધામ અંબાજી તરફ જતાં અરવલ્લીના ગીરીમાળાની વચ્ચે જ ગંછેરા ગામ આવેલું છે. આ ગામના ડુંગર પાસેની ગુફામાં જય-વિજય નામના જોડિયા શિવલિંગ આવેલા છે. વરસાદી ઋતુના નયનરમ્ય વાતાવરણમાં હિલ સ્ટેશન જેવાં આ ધાર્મિક સ્થળે પવિત્ર શ્રાવણ મહિનાના દર સોમવારે મેળા જેવું વાતાવરણ ઉભું થાય છે.

આ પંથકમાં રહેતાં હરેશસિંહ ચિત્રલેખા.કોમને કહે છે, “આ શિવલિંગ પાંડવકાળના છે. અહીંની લોકવાયકા પ્રમાણે જય-વિજય મહાદેવજીના આ શિવલિંગ સ્વયંભૂ છે. એ પણ ડુંગરની તળેટીમાં ગૂફામાં શિવજીના શિવલિંગ પ્રગટ થયેલા છે. અહીં પહેલાંના વખતમાં ગુફામાં બેસીને શિવલિંગના દર્શન કરવા જવું પડતું હતું. આ જય-વિજય મહાદેવ દાંતા સ્ટેટમાં આવે છે એટલે એના રાજવી મહારાજા ભવાનીસિંહજીએ એમના ભાઇ સવાઇસિંહજીની યાદમાં સવાઇસિંહજીની ધર્મપત્ની ગુલાબકુંવરના હસ્તે મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. એ પછી પાંચ ફૂટના બે વિશાળ શિવલિંગના દર્શન મંદિરમાં જઇને શ્રધ્ધાળુઓ કરી શકે એવી વ્યવસ્થા થઇ હતી. જય-વિજય મહાદેવ શિવલિંગ પાંડવકાળની અનેક યાદો છે. આ સાથે આજ ડુંગર પર બીજા બે વિશાળ શિવલિંગ પણ છે. ભૂતકાળમાં અહીં એક વિશાળ રાજાશાહીનું નગર હોવાના પુરાવા ઘર ઇંટો સાથે મળે છે.”

ડુંગરોની વચ્ચે ગુફામાં આવેલું જય વિજય મહાદેવ મંદિર આસપાસ લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં અહીં પૂજા આરતી બીલીપત્ર અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

પ્રતીક ગાંધી સ્ટારર સ્પાય વેબ સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’નું ટ્રેલર રિલીઝ

પ્રતીક ગાંધી સ્ટારર સ્પાય વેબ સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર સોમવારે નેટફ્લિક્સ ઈન્ડિયા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ડ્રામા અને પરમાણુ સંઘર્ષની ઝલક દર્શાવે છે.

ટ્રેલરની વાત કરીએ તો પ્રતીક ગાંધીએ ભારતના RAW એજન્ટની ભૂમિકા ભજવતા જોવા મળે છે. તે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પોસ્ટેડ છે. તે પાકિસ્તાનમાં થઈ રહેલી પરમાણુ પ્રવૃત્તિને રોકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન, તેને ઘણો સંઘર્ષ કરવો પડે છે.

જેમ જેમ પ્રતીક ગાંધી પાકિસ્તાનમાં રાજદ્વારી બાબતોની નજીક પહોંચે છે, તેમ તેમ તે એક પાકિસ્તાની ISI એજન્ટને મળે છે. આ પાત્ર સન્ની હિન્દુજા દ્વારા ભજવવામાં આવ્યું છે. પ્રતીક ગાંધી પાકિસ્તાનમાં ગમે તે કરે, તેના દુશ્મનો તેની દરેક ગતિવિધિ પર નજર રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

ગાંધી અને હિન્દુજા ઉપરાંત ટ્રેલરમાં તિલોતમા શોમ, કૃતિકા કામરા, રજત કપૂર અને અનુપ સોની પણ છે. ‘સારે જહાં સે અચ્છા’ સીરિઝ ગૌરવ શુક્લા દ્વારા બનાવવામાં આવી છે.

ટ્રેલર બતાવે છે કે જો ભારતના એજન્ટો સહેજ પણ ભૂલ કરે છે, તો પાકિસ્તાન પરમાણુ યુદ્ધ શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં, ભારતીય એજન્ટે પાકિસ્તાની દુશ્મનોને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવા પડશે. ટ્રેલરનો એક સંવાદ પ્રખ્યાત છે. રજત કપૂર પ્રતીક ગાંધીને કહે છે, ‘જો આપણે પરમાણુ પ્રવૃત્તિ બંધ ન કરી શકીએ, તો શું તમે જાણો છો કે શું થશે?’ આના પર ગાંધી કહે છે, ‘ત્રીજું વિશ્વ યુદ્ધ.’ આના પર રજત કપૂર કહે છે, ‘ના, છેલ્લું વિશ્વ યુદ્ધ.’ શ્રેણીના તમામ પાત્રોએ ઉત્તમ અભિનય કર્યો છે.’સારે જહાં સે અચ્છા’ 13 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

ટીમ ઇન્ડિયાએ પાંચમી ટેસ્ટ છ રનથી જીતીઃ સિરીઝ 2-2થી બરાબર

ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચાલી રહેલા પાંચમા ટેસ્ટના પાંચમા દિવસે રોમાંચક તબક્કે  ભારતે મેચ છ રને જીતીને એન્ડરસન-તેન્ડુલકર સિરીઝ 2-2થી બરાબર કરી છે. મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી હતી.

આજ સુધીના રમાયેલી રમતની વાત કરીએ તો હેરી બ્રુક (98 બોલમાં 111 રન) અને જો રૂટ (152 બોલમાં 105 રન)ની શતકીય ઈનિંગ બાદ, ચોથા દિવસે અંતિમ સત્રમાં પ્રસિદ્ધ કૃષ્ણા (109 રનમાં 3 વિકેટ) અને મોહમ્મદ સિરાજ (95 રનમાં 2 વિકેટ)ની શાનદાર બોલિંગથી મેચ એક રોમાંચક દિશામાં પ્રવેશી ગયો છે.

ચોથા દિવસે ઇંગ્લેન્ડે એક વિકેટે 50 રનથી રમતની શરૂઆત કરી હતી. પ્રથમ સત્રમાં તેણે ઝડપી રીતે બેન ડકેટ અને ઓલી પોપના વિકેટ ગુમાવ્યા હતા. ત્યાર બાદ જો રૂટ અને હેરી બ્રુકે ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી અને ટીમની સ્થિતિ મજબૂત બનાવી હતી. હેરી બ્રૂકને 19 રન પર સિરાજ પાસેથી જીવતદાન મળ્યું હતું, જેનો તેમણે સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને પોતાનું 10મી ટેસ્ટ સદી ફટકારી. બ્રુકે 98 બોલમાં 111 રનની ઇનિંગ રમી. જ્યારે ટીમનો સ્કોર 301 હતો ત્યારે તેઓ ચોથી વિકેટ તરીકે આઉટ થયા. ત્યાર બાદ બેથેલ 5 રન પર આઉટ થયો અને છઠ્ઠી વિકેટ તરીકે જો રૂટ 105 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. જો રૂટ 39મી ટેસ્ટ સદી ફટકારી હતી. આજે ક્રીઝ પર જેમી સ્મિથ 2 અને જેમી ઓવર્ટન 0 રને નોટઆઉટ છે.

ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર, મોહમ્મદ સિરાજે પાંચ અને આકાશ દીપે 1 વિકેટ ઝડપી હતી. તેના પહેલા, ભારતની બીજી ઇનિંગ 396 રને સમાપ્ત થઈ હતી. યશસ્વી જયસ્વાલની સદી બાદ રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે 53-53 રનની અર્ધસદી ફટકારી હતી, જેના કારણે ટીમનો સ્કોર 396 સુધી પહોંચ્યો હતો. ઇંગ્લેન્ડે ભારતની પ્રથમ ઇનિંગના 224 રન સામે 247 રન બનાવીને 23 રનની લીડ મેળવી હતી. આ રીતે ઇંગ્લેન્ડને જીત માટે કુલ 374 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

અનિલ અંબાણીનો લોન ફ્રોડ કેસઃ ED બેંકરોની પૂછપરછ કરશે

નવી દિલ્હીઃ EDએ અનિલ અંબાણીની કંપનીઓ સાથે જોડાયેલા 17,000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડી મામલે મોટું પગલું લીધું છે. તપાસ એજન્સીએ 12થી 13 બેંકોના મેનેજમેન્ટને પત્ર લખીને અનિલ અંબાણીના જૂથને અપાયેલી લોનની સંપૂર્ણ માહિતી માગી છે. આ લોન બાદમાં NPA બની ગઈ હતી.

જો બેંકોના જવાબ સંતોષકારક નહીં હોય તો બેંકરોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. EDએ અનિલ અંબાણી સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યો છે અને તેમને પાંચ ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા નિર્દેશ આપ્યો છે. આ મામલો રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સને આપવામાં આવેલી લોનોથી જોડાયેલો છે.

બેંકો પાસેથી માગવામાં આવી માહિતી

EDએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, UCO બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક જેવી બેંકો પાસેથી લોન મંજૂરી પ્રક્રિયા, ડિફોલ્ટની સમયરેખા અને વસૂલાત માટે લીધેલા પગલાંની વિગતો માગી છે.

આ ઉપરાંત EDએ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ સાથે જોડાયેલી 50 કંપનીઓ અને 25 વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગ રોકથામ કાયદા (PMLA) હેઠળ મુંબઈમાં 35 સ્થળે દરોડા પાડ્યા હતા.

આ તપાસમાં જાણવા મળ્યું છે કે અનિલ અંબાણીની કંપનીઓએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) ને રૂ. 68.2 કરોડની નકલી બેંક ગેરંટી આપી હતી. આ ગેરંટી રિલાયન્સ NUBESS લિ. અને મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિ.ને નામે આપવામાં આવી હતી, જે અનિલ અંબાણીના ADAG જૂથ સાથે જોડાયેલી છે.

EDનો દાવો છે કે ખોટી ગેરંટીને સાચી દર્શાવવાની કોશિશમાં “s-bi.co.in” નામનો નકલી ઇમેઇલ ડોમેન વપરાયો હતો, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અસલ ડોમેન “sbi.co.in” સાથે મળતો આવે છે.

કેપ્સ કાફે પર હુમલાની ઘટના પર આખરે કપિલ શર્માએ તોડ્યુ મૌન

કોમેડિયન કપિલ શર્માએ કેનેડામાં ‘કેપ્સ કાફે’ નામનું એક કાફે ખોલ્યું છે. તાજેતરમાં જ આ કાફે પર હુમલો થયો હતો, જેનાથી બધાને આશ્ચર્ય થયું હતું. જોકે, કોમેડિયને 20 જુલાઈએ માહિતી આપી હતી કે તેમનો કાફે ફરી ખુલી ગયો છે. હવે કપિલ શર્માએ કેટલાક વીડિયો અને ફોટા શેર કર્યા છે, જેમાં પોલીસ અધિકારીઓ તેમના કાફેમાં સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખતા જોવા મળે છે. આ ઉપરાંત, કોમેડિયને ફાયરિંગની ઘટના પર પહેલીવાર પ્રતિક્રિયા પણ આપી છે.

કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેનેડાના શહેર સરેના પોલીસ અધિકારીઓ કોમેડિયનના કાફેની મુલાકાતે ગયા છે. તેઓ બધા સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખતા, હસતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. આ સાથે, બીજી પોસ્ટમાં, કપિલે તે જ સમયના કેટલાક ફોટા પણ શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કોમેડિયન કપિલ શર્માએ આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેનેડાના સરે શહેરના મેયર બ્રેન્ડા અને તમામ પોલીસ અધિકારીઓ, અમારા કાફેમાં આવવા અને તમારો પ્રેમ અને સમર્થન આપવા બદલ આભાર. સાથે મળીને આપણે હિંસા સામે લડી શકીએ છીએ. અમે તમારા આભારી છીએ.’

કોમેડિયન કપિલ શર્મા અને તેમની પત્ની ગિન્ની ચતરથે કેનેડામાં એક કાફે ખોલ્યું હતું. થોડા દિવસો પછી જ આ હુમલો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 10 જુલાઈના રોજ, સ્થાનિક સમય મુજબ સવારે 1:50 વાગ્યે સરેમાં ‘કેપ્સ કાફે’ ની બહાર અનેક ગોળીબાર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર સમયે કેટલાક કર્મચારીઓ રેસ્ટોરન્ટની અંદર હાજર હતા. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

PM મોદી શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનના અવસાન પર શ્રદ્ધાંજલિ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શિબુનું સોમવારે સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું. પીએમ હોસ્પિટલમાં ગયા અને શિબુના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી અને પછી તેમના પુત્ર અને મુખ્યમંત્રી હેમંત સોરેનને મળ્યા અને શોક વ્યક્ત કર્યો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સીએમ હેમંત સોરેન અને તેમના પરિવાર સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પીએમ મોદીએ કહ્યું, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારને મળીને મારી સંવેદના વ્યક્ત કરી. તેમનું આખું જીવન આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું, જેના માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

શિબુ સોરેન એક પાયાના નેતા હતા: પીએમ મોદી

ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેન, જે ગુરુજી તરીકે જાણીતા હતા, તેમનું આજે અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અવસાનના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, શિબુ સોરેનજી એક પાયાના નેતા હતા જે લોકો પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને કારણે જન નેતા બન્યા હતા. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતા. તેમણે વધુમાં કહ્યું કે, તેમનું અવસાન ખૂબ જ દુઃખદ છે. મારા સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.

ઐતિહાસિક વાવ માટે અસારવામાં આંદોલન

અમદાવાદ: કોટ વિસ્તારની અંદર શહેર અને બહાર ચારેય તરફ અનેક ગામડાં અને કસ્બા વસેલા હતા. ઝડપથી થતાં શહેરીકરણના કારણે આજે અનેક ગામડાંઓ શહેરમાં સમાઈ જઈને તેનો એક વિસ્તાર બની ગયા છે. એમાનું એક ગામ એટલે આજનો અસારવા વિસ્તાર. સરકારી કચેરીઓ, રેલવે યાર્ડ, સિવિલ હોસ્પિટલના જુદા-જુદા વિભાગ, જૂની મિલો, નાના-મોટાં ઉદ્યોગોથી અસારવા વિસ્તાર ધમધમી રહ્યો છે. આ જ અસારવા વિસ્તારમાં પૌરાણિક મંદિર અને વાવ પણ આવેલા છે. અસારવાથી ચામુંડા બ્રિજ તરફના માર્ગ પરના તળાવને અડીને આવેલી માતા ભવાનીની વાવ એક આગવું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.સ્થાનિક અસારવા ગામ પરિવારના સંજય પટેલ કહે છે, “શ્રી માતર ભવાની માતાજીની પૌરાણિક વાવ હાલમાં જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા આ હેરિટેજ સાઈટના સંરક્ષણ માટે લાંબા સમયથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓ અને ભક્તજનો દ્વારા સતત રજૂઆતો પછી પણ હાલત યથાવત છે.”આવા સંજોગોમાં આસ્થાના સ્થાન અને ઐતિહાસિક પૌરાણિક ધરોહરના સંરક્ષણ માટે સ્થાનિકોએ ઝુંબેશ શરૂ કરી છે. તંત્રની નિષ્ક્રિયતા સામે અસારવાના લોકોએ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વાવમાં ટાંકેલી માહિતી અનુસાર માતા ભવાનીની આ વાવ 11મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી.સોલંકી યુગમાં રાજા કરણે 1083 થી 1093 દરમિયાન આ કુવા, ઝરુખા સાથેની કલાત્મક બહુમાળી વાવ બનાવી હોવાનું અનુમાન છે. વાવની અંદર માતા ભવાની બિરાજમાન છે. આ સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. શિવલિંગ સાથે મહાદેવજી પણ આ ઐતિહાસિક વાવમાં છે. માતા ભવાનીની વાવની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં નવરાત્રિએ વાવમાં આસ્થાથી ગરબાની માંડવીઓને સજાવવામાં આવે છે. દીપોત્સવ દરમિયાન આખીય વાવને સજાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)