Home Blog Page 709

સમાનતાનું બંધન: ભાઈઓએ બહેનોને રાખડી બાંધી

અમદાવાદ: રક્ષાબંધનના દિવસે રેશમની દોરીથી બહેન ભાઇને રાખડી બાંધી આશિર્વાદ આપે અને ભાઇ દ્વારા જીવન પર્યંત તમામ પ્રકારના રક્ષણની બાંહેધરી અપાય. પરંતુ અમદાવાદમાં 3 ઓગષ્ટને રવિવારે સમાનતા ફાઇન્ડેશનના ભાઇઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી. સમાજના દરેક ક્ષેત્રમાં કામ કરતાં સમાનતા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ભાઇઓએ અમદાવાદના કેટલાક પોલીસ સ્ટેશનોમાં જઇ મહિલા કર્મચારીઓને રાખડી બાંધી.ભાઇઓએ બહેનોને રાખડી બાંધવાના આ કાર્યક્રમ વિશે સુરક્ષા દળના નિવૃત અધિકારી વસંતભાઇ કહે છે, “આજે મહિલા સશક્તિરણનો સમય આવી ગયો છે. મહિલાઓ પણ તમામ વિભાગોમાં ઘણાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. કેટલીક પરિસ્થિતિમાં પુરુષો પણ ખોટાં કેસો દ્વારા મહિલાઓથી પીડા ભોગવી રહ્યા છે. આવા સમયે સરકારના વિવિધ વિભાગોમાં બેઠેલી મહિલાઓ પુરુષોની મદદે આવે અને સાચો માર્ગ બતાવે, ન્યાય અપાવે એ માટે આ રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.” વસંતભાઇ કહે છે, “અમારી સંસ્થાના ભાઇઓએ ચાંદખેડા, સાબરમતી, રાણીપ, સુભાષબ્રિજ જેવા પોલીસ સ્ટેશનો પર જઇ મહિલા કર્મચારીઓને રાખડી બાંધી હતી. સમાનતાના આ બંધન સાથે મહિલા કર્મચારીઓનું સર્ટિફિકેટ સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.”

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)

અદાણી પોર્ટ્સે જુલાઈમાં રેકોર્ડબ્રેક માઈલસ્ટોન હાંસલ કર્યો

મુંદ્રાઃ દેશના અગ્રણી બંદર અને લોજિસ્ટિક્સ હબ અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ જુલાઈ, 2025માં ફરી એક વાર રેકોર્ડબ્રેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે. કન્ટેનર હેન્ડલિંગ અને જહાજ ટર્નઅરાઉન્ડમાં મુંદ્રાએ અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કર્યા છે. મુન્દ્રા પોર્ટે જુલાઈ, 2025માં 898 ડબલ સ્ટેક કન્ટેનર રેકના સર્વકાલીન ઉચ્ચ સ્તરનું સંચાલન કરીને રેલવે કામગીરીમાં એક નવો રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ જુલાઈ, 2025માં ઓપરેશનલ શ્રેષ્ઠતા પુન: વ્યાખ્યાયિત કરી છે. રેકોર્ડ-બ્રેકિંગ ડબલ સ્ટેક કન્ટેનર રેક હેન્ડલિંગની સિદ્ધિઓ ભારતીય દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મુન્દ્રા પોર્ટના નેતૃત્વને રેખાંકિત કરે છે. રેલવે, ટર્મિનલ અને ઓપરેશનલ ટીમો વચ્ચેના સંકલને આ રેકોર્ડ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જૂન, 2025માં સ્થાપિત મુંદ્રા પોર્ટનો 840 રેકનો અગાઉનો રેકોર્ડ જુલાઈમાં રેકોર્ડબ્રેક થયો છે, જેમાં 357 નિકાસ રેક અને 541 આયાત રેકનો સમાવેશ થાય છે, આ સિદ્ધિ રેલ લોજિસ્ટિક્સમાં મુન્દ્રાની અજોડ કાર્યક્ષમતાને ઉજાગર કરે છે. એટલું જ નહીં, તે ભારતમાં વેપાર માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવે છે. અદાણી પોર્ટ્સ દેશના લગભગ એક ચતુર્થાંશ કાર્ગો પરિવહનનું સંચાલન કરે છે.

મુન્દ્રા પોર્ટના પશ્ચિમ બેસિને પેનામેક્સ જહાજ MV માચેરાસના અત્યાર સુધીના સૌથી ઝડપી ડિસ્ચાર્જ ઓપરેશન સાથે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 76,172.55 MT કાર્ગો વહન કરતું આ જહાજ, નોંધપાત્ર 20 કલાક અને 40 મિનિટમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ વેસ્ટ બેસિનની ઓપરેશનલ શ્રેષ્ઠતાની પ્રતિષ્ઠાને મજબૂત બનાવતા ભારતમાં પેનામેક્સ જહાજ હેન્ડલિંગ માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે.

મુન્દ્રા પોર્ટ પર સિંગલ પોઇન્ટ રેલ હેન્ડલિંગ (SPRH) કામગીરી પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની હતી. ૨૬ જુલાઈ, ૨૦૨૫એ ૨૪ કલાકમાં રેકોર્ડ ૬૩૪૮ TEUs હાંસલ કરી હતી. આ સીમાચિહ્નો અદાણી પોર્ટ્સ મુન્દ્રાની ઓપરેશનલ શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતના લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં તેની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

શાહરુખને નેશનલ ફિલ્મ એવોર્ડ મળવા પર શશિ થરૂરે શું કહ્યું?

સુપરસ્ટાર શાહરૂખ ખાનને તેમના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં પહેલીવાર ફિલ્મ ‘જવાન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ જાહેરાત થતાં જ, દેશની જાણીતી હસ્તીઓ તરફથી અભિનેતાને અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. શાહરુખ ખાનને નેશનલ ફિલ્મ એવોર્ડ મળવા પર રાજકારણી શશિ થરૂરે અભિનેતાને અભિનંદન પાઠવ્યા છે.

શાહરૂખ ખાનને રાષ્ટ્રીય પુરસ્કાર મળવા પર, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે તેમના X એકાઉન્ટ પર અભિનંદન સંદેશ ટ્વીટ કર્યો, ‘એક રાષ્ટ્રીય વારસાને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, શાહરૂખ ખાનને અભિનંદન.’

આ અભિનંદન સંદેશ સ્વીકાર્યા પછી, બોલિવૂડના કિંગ ખાને તેના ભૂતપૂર્વ પ્રેમીના એકાઉન્ટ પર જવાબમાં ટ્વિટ કર્યું. તેણે મજાકમાં લખ્યું કે આટલી સરળ રીતે તેની પ્રશંસા કરવા બદલ આભાર, કારણ કે અભિનેતા તેની મુશ્કેલ અંગ્રેજી સમજી શકતો નથી. જોકે, તમને જણાવી દઈએ કે અભિનેતાએ તેના સંદેશમાં મેગ્નિલોક્વેન્ટ અને સેસ્ક્વિપેડાલિયન શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે વપરાશકર્તાઓ સમજી શકતા નથી, કારણ કે આ શબ્દો સામાન્ય શબ્દોમાં ઉપયોગમાં લેવાતા નથી. સરળ શબ્દોમાં કહીએ તો, તેનો અર્થ એવી વ્યક્તિ છે જે મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરે છે.

શાહરૂખ ખાનનો મેસેજ જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. એક યુઝરે લખ્યું કે આ શું મેગ્નિલોક્વન્ટ અને સેસ્કિવેડેલિયન છે. બીજા યુઝરે કહ્યું કે મને સમજાતું નથી કે તેણે શું લખ્યું છે. બીજા યુઝરે લખ્યું કે મારે આ શબ્દો ગુગલ કરવા પડ્યા. આ સિવાય કેટલાક યુઝર્સ અભિનેતાને રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

સાંસદ મહિલા સાથે મોર્નિંગ વોકમાં સોનાની ચેઇનની લૂંટઃ FIR દાખલ

નવી દિલ્હીઃ દિલ્હી હવે નેતાઓ માટે પણ સુરક્ષિત રહી નથી. કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ સુધા રામકૃષ્ણનની સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ચેઇન છીનવી લેવામાં આવી હતી. તામિલનાડુનાં સાંસદ રામકૃષ્ણન કહે છે કે ઘટના ત્યારે બની જ્યારે તેઓ પોતાના સાથી સાંસદ સાથે સવારના સમયે મોર્નિંગ વોક કરતાં હતાં. દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

રામકૃષ્ણને ગૃહમંત્રીને પત્ર લખ્યોઆ મામલામાં સાંસદ રામકૃષ્ણને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. લોકસભા સાંસદે કહ્યું હતું કે સવારે આશરે 6.15થી 6.20 વચ્ચે જ્યારે અમે પોલેન્ડ દૂતાવાસના ગેટ-3 અને ગેટ-4 નજીક હતાં, ત્યારે એક વ્યકતિ હેલ્મેટ પહેરીને સ્કૂટી પર ઊંધી બાજુથી આવ્યો અને મારી સોનાની ચેઇન છીનવીને ભાગી ગયો.

રામકૃષ્ણને આગળ જણાવ્યું હતું  કે તે વ્યક્તિ ધીમે-ધીમે રોંગ સાઇડથી આવી રહ્યો હતો, તેથી શંકા ન આવી કે તે ચેઇન સ્નેચર હોઈ શકે. જેણે મારી ગળાની ચેઇન ખેંચી, ત્યારે મારી ગળામાં ઇજાઓ થઈ. અમે કોઇ રીતે પડી જવાથી બચી ગયા અને બંનેએ મદદ માટે બૂમો પાડી. રામકૃષ્ણને જણાવ્યું હતું કે ત્યાર બાદ તેમની નજર પોલીસની એક ગાડી પર પડી અને તેમણે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી.

કોંગ્રેસ સાંસદે અમિત શાહને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મહાશય, ચાણક્યપુરીની જેમ હાઈ સિક્યુરિટી ઝોનમાં જ્યાં ઘણા દૂતાવાસો છે, ત્યાં એક મહિલા સાંસદ પર હુમલો થવો ખૂબ જ આઘાતજનક છે. તેમણે લખ્યું હતું કે જો ભારતની રાષ્ટ્રીય રાજધાનીના આ વિસ્તારમાં પણ એક મહિલા સુરક્ષિત રીતે ચાલીને પોતાની દૈનિક ક્રિયાઓ કરી શકતી નથી, તો પછી આપણે ક્યાં સુરક્ષિત અનુભવીશું?

મુંબઈમાં કબૂતરખાના પર પ્રતિબંધ અંગે મંત્રી મંગલ પ્રભાત લોઢાનો પાલિકા કમિશનરને પત્ર

મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કબૂતરોને ચણ નાખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કબૂતરોને ચણ નાખવા પર ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ત્યારે કબૂતરખાના બંધ કરી ચણ નાખવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રતિબંધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાપાલિકા કમિશનરને પત્ર લખી એક અપીલ કરી છે.

કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાપાલિકાકમિશનરને પત્ર લખીને પક્ષી પ્રેમીઓ, સંતો અને નાગરિકો દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે. તેમણે પત્ર દ્વારા કોર્ટના નિર્ણયનો આદર કરીને કોઈ ઉકેલ શોધવાની અપીલ કરી છે. પ્રભાત લોઢાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ચણના અભાવે કબૂતરો રસ્તા પર મરી રહ્યા છે, જે જાહેર આરોગ્ય માટે નવી સમસ્યા છે.

આ સાથે જ તેમણે મહાનગરપાલિકા આ સંદર્ભમાં વ્યાપક અને સંતુલિત અભિગમ અપનાવાની આશા વ્યક્ત કરી છે. પત્રમાં તેમણે કેટલાક સૂચનો કહ્યાં છે, જેમ કે

  • કબૂતરોને ચણ નાખવા માટે વૈકલ્પિક પગલાં અમલમાં મૂકવા જોઈએ
  • બીકેસી, રેસકોર્સ, આરે કોલોની, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન જેવી ખુલ્લી જગ્યાઓને સલામત અને નિયંત્રિત ખોરાક ક્ષેત્રો તરીકે માન્યતા આપવી જોઈએ
  • લાંબા સમયથી ચાલતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો આદર કરીને નિર્ણયો લેવા જોઈએ
  • જાહેર લાગણી, જાહેર આરોગ્ય અને જીવદયા એમ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંતુલિત વિકલ્પ અમલમાં લાવવો જોઈએ.

મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે મહાનગરપાલિકા એક જવાબદાર સંસ્થા છે અને અબોલજીવોની રક્ષા માટે અહીં માનવીય અને જીવદયાનો અભિગમ અપનાવવામાં આવે તેવી જનતા મહાપાલિકા પાસે આશા રાખે છે.

ચીન મામલે રાહુલ ગાંધીને કોર્ટની ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટની આ ટીકા 9 ડિસેમ્બર, 2022એ ભારત અને ચીનના સૈન્યો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ ભારતીય સેના પર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન કબજે કરી છે? તમારા પાસે શી વિશ્વસનીય માહિતી છે? જો તમે સાચા ભારતીય હો તો તમે આવું નહીં કહો. જ્યારે સરહદ પર કોઈ વિવાદ થાય છે, ત્યારે શું તમે આવું કહી શકો? તમે સંસદમાં પ્રશ્ન કેમ નથી પૂછતા?

રાહુલ ગાંધીની ટિપ્પણી શી હતી

રાહુલ ગાંધીએ 2023ની ભારત જોડો યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે એક ભૂતપૂર્વ સેના અધિકારીએ તેમને જણાવ્યું હતું કે ચીને 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન કબજે કરી છે. આ ટિપ્પણીને લઈને દાખલ માનહાનિ કેસ સામે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે સવાલ કર્યો હતો કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિ.મી. જમીન કબજે કરી છે? અને ભાર આપીને કહ્યું હતું કે જો તમે સાચા ભારતીય હો તો આવું નહીં કહો.

જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની બેંચે આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને નોટિસ જારી કરી હતી. બેંચે કહ્યું હતું કે તમે વિરોધ પક્ષના નેતા છો. સંસદમાં વાત કરો, સોશિયલ મિડિયામાં કેમ કહો છો? આ દરમ્યાન, સુપ્રીમ કોર્ટએ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન ભારતીય સેના અંગે આપમાનજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધી સામે નીચલી અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.

AI દ્વારા ‘રાંઝણા’ નો ક્લાઈમેક્સ બદલવા પર ધનુષે વાંધો ઉઠાવ્યો

ધનુષે 2013 માં ‘રાંઝણા’ થી બોલિવૂડમાં જબરદસ્ત એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી અને આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ધનુષ અને સોનમ કપૂર ઉપરાંત, આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત ‘રાંઝણા’ માં અભય દેઓલ, સ્વરા ભાસ્કર અને ઝીશાન અય્યુબ જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ સાબિત થઈ હતી.

વાત એમ છે કે તાજેતરમાં જ ફિલ્મ ફરીથી રિલીઝ થઈ હતી, પરંતુ મોટા ટ્વિસ્ટ સાથે. ફિલ્મનો ક્લાઈમેક્સ AI દ્વારા બદલીને તેને ફરીથી રિલીઝ કરવામાં આવ્યો હતો, જેનાથી ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય અને હીરો ધનુષ નિરાશ થયા છે. ધનુષે તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મના બદલાયેલા ક્લાઈમેક્સ પર નારાજગી વ્યક્ત કરી હતી.

ધનુષે X (પહેલાનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે AI દ્વારા રાંઝણાના ક્લાઇમેક્સ બદલવા પર નિરાશા વ્યક્ત કરી અને એક મોટી આગાહી પણ કરી. ધનુષે પોતાની પોસ્ટમાં લખ્યું,’AI દ્વારા બદલાયેલા ક્લાઇમેક્સ સાથે ‘રાંઝણા’ની ફરીથી રિલીઝથી મને સંપૂર્ણપણે દુઃખ થયું છે. આ નવા ક્લાઇમેક્સે ફિલ્મનો આત્મા છીનવી લીધો છે. મારો સ્પષ્ટ વાંધો હોવા છતાં સંબંધિત પક્ષોએ આ કર્યું.’

ધનુષે પોતાની પોસ્ટમાં AI વિશે એક મોટી ભવિષ્યવાણી કરી હતી અને તેને ફિલ્મના વારસા માટે ખતરો ગણાવ્યો હતો અને આગળ લખ્યું હતું કે,’આ એવી ફિલ્મ નથી જે હું 12 વર્ષ પહેલાં કરવા માટે સંમત થયો હતો. ફિલ્મો અથવા સામગ્રી બદલવા માટે AI નો ઉપયોગ કલા અને કલાકારો બંને માટે ખૂબ ચિંતાનો વિષય છે. વાર્તા કહેવાની કળા અને સિનેમાના વારસા માટે આ એક મોટો ખતરો છે. મને નિષ્ઠાપૂર્વક આશા છે કે ભવિષ્યમાં આવા કૃત્યોને રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવશે.’

અગાઉ, ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ રાયે પણ ફિલ્મના ક્લાઈમેક્સ બદલવા પર નારાજગી વ્યક્ત કરતી એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસો તેમના માટે ખૂબ જ પરેશાન કરનારા હતા કારણ કે તેમની ફિલ્મ ‘રાંઝણા’નો ક્લાઈમેક્સ તેમની ઇચ્છા વિરુદ્ધ, તેમને પૂછ્યા વિના બદલવામાં આવ્યો હતો અને બદલાયેલા ક્લાઈમેક્સ સાથે તેને ફરીથી રિલીઝ કરવામાં આવ્યો હતો. કોઈપણ દિગ્દર્શક માટે, આ તેમની ફિલ્મ બરબાદ થતી જોવા જેવું છે. જે વાત વધુ ખરાબ બનાવે છે તે એ છે કે આ બધું ખૂબ જ સરળતાથી કરવામાં આવ્યું હતું.

બે મતદાર કાર્ડ મામલે ECએ તેજસ્વી યાદવને ફટકારી નોટિસ

પટનાઃ વોટર લિસ્ટ વિવાદમાં તેજસ્વી યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની સામે પટનાના દીઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવ પાસે બે એપિક (EPIC) નંબર છે, જે નિયમોનું ઉલ્લંઘન છે. આ અરજી દીઘા વિસ્તારમાં રહેતા વકીલ રાજીવ રંજને કરી છે. તેજસ્વી યાદવ દીઘા વિધાનસભા ક્ષેત્રના મતદાતા છે. પોલીસને માગ કરવામાં આવી છે કે તેમણે આ નિયમભંગ માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. ચૂંટણી પંચે પણ તેજસ્વી યાદવને નોટિસ આપી છે અને જવાબ માગ્યો છે. પટના પોલીસનું કહેવું છે કે મળેલી ફરિયાદને આધારે તપાસ ચાલી રહી છે.

તેજસ્વી યાદવના સમર્થનમાં પપ્પુ યાદવ

સાંસદ પપ્પુ યાદવ પણ તેજસ્વી યાદવના સમર્થનમાં આવી ગયા છે. તેજસ્વી યાદવના વિરોધી ગણાતા પપ્પુ યાદવે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી નોટિસને મામલે તેમનો બચાવ કર્યો છે. પપ્પુ યાદવે કહ્યું હતું કે ચૂંટણી પંચ કોણ છે? શું ચૂંટણી કમિશન ભાજપના પ્રવક્તા છે? ભાજપના પ્રવક્તાઓ જે કહે છે તે પ્રમાણે ચૂંટણી પંચ નોટિસ મોકલી દે છે. પહેલાં ચૂંટણી પંચે આ જણાવવું જોઈએ કે કેટલાય લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે.

ચૂંટણી પંચ પર આરોપો

તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પંચ શું અલાઉદ્દીનનો ચિરાગ છે કે જે કંઈ પણ કહેશે એ સાચું થઈ જશે? ભાજપ અને નરેન્દ્ર મોદીએ દેશમાં ભારે કન્ફ્યુઝન ફેલાવ્યું છે. આવી નોટિસ મોકલવી ખોટી વાત છે. ક્યારેક માણસના મુખમાંથી કંઈક ઊલટસૂલટ નીકળી જાય છે.

પપ્પુ યાદવે જણાવ્યું કે રાહુલ ગાંધી બિહારમાં તેજસ્વી યાદવ સાથે યાત્રા કરશે. અમે લોકો ગરીબોનો અવાજ બનીને રસ્તા પર ઊતરીશું. અનેક જગ્યાએ હું પણ રાહુલ ગાંધી સાથે રહીશ. ગરીબોનો અવાજ દબાવવા નહિ દઈએ. ગરીબોને મતથી વંચિત નહીં થવા દઈએ અને રાહુલજી ગરીબોની અવાજ બનીને બિહારની સડકો પર ઊતરી રહ્યા છે.

A ફોર અખિલેશ, D ફોર ડિમ્પલ ભણાવનારા SP નેતા વિરુદ્ધ FIR

લખનૌઃ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં સમાજવાદી પાર્ટીના એક સ્થાનિક નેતા વિરુદ્ધ બાળકોને રાજકીય ABCD ભણાવવા અંગે FIR નોંધવામાં આવી છે. આ ઘટનાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે.  SPના પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું  હતું કે ફરિયાદમાં આરોપ મુકાયો છે કે બાળકોને A ફોર અખિલેશ, B ફોર બાબાસાહેબ, D ફોર ડિમ્પલ અને M ફોર મુલાયમ સિંહ યાદવ ભણાવવામાં આવતું હતું.

SP સિટી વ્યોમ બિન્દલના જણાવ્યાનુસાર કલ્લરપુર ગુર્જર ગામના નિવાસી મેનસિંહે ફરિયાદ નોંધાવી હતી કે સ્થાનિક સમાજવાદી પાર્ટીના નેતા ફરહાદ આલમ ગાડા એક PDA પાઠશાળામાં બાળકોને રાજકીય ABCD ભણાવી રહ્યા હતા. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ગાડાના રામનગર સ્થિત નિવાસે બનાવાયેલો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ વિડિયોમાં બાળકો સ્કૂલે યુનિફોર્મમાં જોવા મળ્યા હતા અને તેઓ ખાનગી શાળાના વિદ્યાર્થી હોવાનું માનવામાં આવે છે.

આ ઘટનાની પ્રતિક્રિયા આપતાં અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું. અખિલેશે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે ભણતર માટે તો FIR અંગ્રેજોએ પણ ન નોંધાવી હતી. BJPનો શિક્ષણવિરોધી ચહેરો હવે જનતાને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે BJP હંમેશ માટે જશે. નિંદનીય.

સપા નેતાએ બચાવ કર્યો?

સ્થાનિક સપા નેતા ફરહાદ ગાડાએ પોતાના બચાવમાં દાવો કર્યો હતો કે PDA પાટશાળા માત્ર ABC શીખવવા માટે નથી, પણ બાળકોને સમાજવાદી વિચારધારાના મહાન હસ્તીઓ વિશે શિક્ષિત કરવાનો પણ ઉદ્દેશ છે. તેમણે આખા જિલ્લામાં આવી પાઠશાળાઓ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આવા જ પ્રકારનો બીજો કેસ પણ સામે આવ્યો છે. સપાની નેતા રચના સિંહ ગૌતમ વિરુદ્ધ પણ FIR નોંધાઈ છે. તેઓ કાનપુરના બિલ્હૌર બ્લોકના શાહમપુર ગઢી ગામમાં સરકારી પ્રાથમિક શાળાની બહાર PDA પાઠશાળા ચલાવતા હતા.

રાશિ ભવિષ્ય 04/08/2025 થી 10/08/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.