ડોકલામ વિવાદના ટેન્શન વચ્ચે સીતારામને ચીનાઓને ‘નમસ્તે’નો અર્થ સમજાવ્યો
નવી દિલ્હી – સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન શનિવારે સિક્કીમમાં નાથુ-લા ખાતે ભારત-ચીન સરહદે ગયાં હતાં અને ત્યાં એમણે ચાઈનીઝ સૈનિકોને ‘નમસ્તે’ કહ્યું હતું અને એનો અર્થ સમજાવ્યો હતો.
સંરક્ષણપ્રધાનનાં કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલા વિડિયોમાં સીતારામનને ચીનનાં એક અધિકારી સાથે વાતચીત કરતાં જોઈ શકાય છે. એ ચીની અધિકારી બાદમાં પોતાના સાથીઓની સીતારામન તથા અન્ય ભારતીય લશ્કરી અધિકારીઓને ઓળખાણ કરાવે છે.
સીતારામને ચીની સૈનિકો-અધિકારીઓને હાથ જોડીને ‘નમસ્તે’ કર્યું હતું.
ત્યારબાદ એમણે ચીની સૈનિકોને અંગ્રેજીમાં પૂછ્યું હતું કે તમે ‘નમસ્તે’નો અર્થ જાણે છો ખરા?
જ્યારે ત્યાં હાજર ભારતીય સૈનિકોએ એનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે સીતારામને હળવેકથી એમને અટકાવ્યા હતા.
સીતારામને ત્યારબાદ ચીની અધિકારીને ‘નમસ્તે’ના અર્થ વિશે પૂછ્યું હતું તો ચીનાએ જવાબમાં અંગ્રેજીમાં લગભગ બરાબર જ કહ્યું હતું: ‘તમને મળીને આનંદ થયો’.
ત્યારબાદ સીતારામને એમને પૂછ્યું હતું કે તમારી ભાષામાં ‘નમસ્તે’ને શું કહેવાય? ત્યારે સિનિયર જણાતા અધિકારીએ કહ્યું કે ‘ની હાઓ’.
સીતારામને ચીની અધિકારીના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની પ્રશંસા કરી હતી.
httpss://twitter.com/DefenceMinIndia/status/916904341411323904
આમિરને ભાવી ‘ગુજરાતી થાળી’; વડોદરાના મહારાજ (શેફ)ને આપી શાબાશી
ગુજરાતી થાળી જે એકવાર જમે એ વારંવાર જમે. બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને પણ આ ગુજરાતી થાળીનો ચટાકો લાગ્યો છે.
ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ ગુજરાતી ભોજન. દાળ, ભાત, શાક, રોટલી, પાપડ, દહીં/છાશ, અથાણું, ચટણી, કચુંબર જેવી વિવિધ વાનગીઓનો સમૂહ એટલે થાળી. મોંઘી હોટલ/રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ ગુજરાતી થાળીમાં ફરસાણ અને મિઠાઈ પણ પીરસવામાં આવે છે.
આમિર ખાન હાલ એની આગામી હિન્દી ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ના પ્રચારમાં વ્યસ્ત છે. તમને યાદ હોય તો, એણે આ ફિલ્મના પ્રચારની શરૂઆત વડોદરા શહેરથી કરી હતી. એણે આ ફિલ્મનું 90 ટકા શૂટિંગ વડોદરામાં કર્યું છે.
પ્રચાર દરમિયાન આમિરે વડોદરાની સુપ્રસિદ્ધ થાલી રેસ્ટોરન્ટ ‘મંડપ’માં ગુજરાતી ભોજન માણ્યું હતું. ત્યાં જમીને આમિર એટલો બધો પ્રભાવિત થયો હતો કે વાત ન પૂછો. ભરપેટ ખાઈને તે એવો ખુશ થઈ ગયો હતો કે એણે રેસ્ટોરન્ટના મહારાજ (શેફ)ને બોલાવીને શાબાશી આપી હતી અને એની સાથે ફોટો પણ પડાવ્યો હતો. એટલું જ નહીં, એણે એક આખો ડબ્બો ભરીને જમવાનું પેક કરાવ્યું હતું જેથી એ મુંબઈ જઈને એની પત્ની કિરણને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન ચખાડી શકે.
આમિરની જીભ પર આ ગુજરાતી થાળીનો સ્વાદ એવો રહી ગયો છે કે એણે એક રસ્તો કાઢ્યો છે. એણે ‘મંડપ’ હોટલ સાથે એક ગોઠવણ/ભાગીદારી કરી છે. હવે દર શનિવારે વડોદરાની ‘મંડપ’માંથી ડબ્બો ભરીને ગુજરાતી ભોજન મુંબઈમાં આમિરના ઘેર પહોંચાડવામાં આવશે. એ ડબ્બામાં મટકાની રબડી ખાસ મૂકવામાં આવશે, કારણ કે આમિરને એ વધારે જ ભાવી હતી.
આમ, હવે આમિરના ઘરવાળાઓ દર શનિવારની આતુરતાપૂર્વક રાહ જોશે કે વડોદરાથી સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન ભરેલું ટિફિન ક્યારે આવે.
આમિર ખાન ‘સીક્રેટ સુપરસ્ટાર’નો નિર્માતા છે અને એમાં તેણે મહેમાન ભૂમિકા પણ અદા કરી છે. ઝાયરા વાસીમને સગીર વયની ગાયિકાનાં રોલમાં પ્રસ્તુત કરતી ‘સીક્રેટ સુપરસ્ટાર’ 19મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
પીએમ મોદી વડનગરવાસીઓના સ્વાગતથી ભાવુક થયા
વડનગર– પીએમ નરેન્દ્ર મોદીએ રોડ શો અને GMRES મેડીકલ કૉલજ અને હોસ્પિટલનું લોકાર્પણ કર્યા પછી જાહેરસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીને આવકારવા વડનગર છેલ્લા એક સપ્તાહથી થનગનતું હતું. વડનગરને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જાહેરસભાના મંચ પર આવ્યા ત્યારે મોદી મોદીના નારા અને ભારત માતાની જય સાથેના નારા લાગ્યા હતા. પીએમ મોદીએ સભાના મંચ પર આવીને ઉપસ્થિત તમામ લોકોને ત્રણ વખત નમીને વંદન કર્યા હતા, ત્યારે સભા સ્થળ પર લાગણીઓથી છલોછલ અને ભાવુક વાતાવરણ સર્જાયું હતું. નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન એવા વડનગરવાસીઓને જોઈને તેમની આંખમાં હર્ષના આસું આવી ગયા હતા. વડનગરની અગ્રણી સંસ્થાઓએ અને વડનગરના અગ્રણીઓએ પીએમ મોદીનું કંઈકને કંઈક ભેટ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું, અને સમ્માન કર્યું હતું.
વડનગરમાં નરેન્દ્ર મોદીના પડોશીઓ અને તેમના બાળપણના મિત્રોને મળ્યા હતા. તમામ વડનગરવાસીઓ પીએમ મોદી માટે અનોખી ભેટ લાવ્યા હતા, અને મોદીને ભેટ આપીને સમુહમાં તસ્વીરો પડાવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વડનગરવાસીઓને મળવા માટે પુરતો સમય ફાળવ્યો હતો. પીએમ મોદીને મળીને તમામ વડનગરવાસીઓ ભાવવિભોર બન્યા હતા. નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી અને પંકજભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના આરોગ્યપ્રધાન શંકરસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં જ મેડિકલ કોલેજોની સુવિધા ઉભી થઇ છે જેથી, રાજ્યના યુવાનો માટે રાજ્યમાં જ મેડિકલ શિક્ષણ લઇ શકે તેવી વ્યવસ્થા સર્જાઈ છે. ડેપ્યુટી સીએમ નિતીન પટેલે કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં તેમના 13 વર્ષના શાસન દરમ્યાન અનેકવિધ યોજનાઓ દ્વારા ગુજરાતનો સર્વાંગી વિકાસ કર્યો છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દોઢ દિવસની વડાપ્રધાનની મુલાકાતમાં તેમના હસ્તે ગુજરાતના 12,000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ થઇ રહ્યું છે. વડનગરમાં વર્ષો બંધ પડેલ એપીએમસીને ચાલુ કરાશે. નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ થકી વિકાસથી વિરોધીઓના મૂળિયાં ઉખડી ગયા છે.
પીએમ મોદીના હસ્તે મિશન ઈન્દ્રધનુષનો પ્રારંભ કરાયો હતો અને આઈએમટેકનોની મોબાઈલ એપ લોન્ચ કરી હતી.
પીએમ મોદીનું વડનગરમાં સંબોધન
- પોતાના જ ગામમાં સ્વાગત થાય તેનો આનંદ કંઈક અલગ જ હોય છે.
- વડનગરવાસીઓએ મારુ સ્વાગત કર્યું છે, હું અપાર સ્નેહથી ગદગદ થયો છું.
- નતમસ્તક થઈને સૌને નમન કરું છું.
- આજે હું કંઈ પણ છું, તે આ માટીના સંસ્કાર છે, આ જ માટીમાં રમ્યો છું.
- હું વડનગરમાં ફર્યો… જૂના મિત્રોને મળ્યો… તમામ જૂની યાદ તાજી થઈ છે.
- હ્રદયમાં ખુબ આનંદ થયો, આ માટીમાંથી જે ઉર્જા મળ તી હતી, આજે મને એજ ઉર્જા આજે મળી છે
- હવે હું વધારે મહેનત કરીશ… અને વધુ પુરુર્ષાથ કરીશ
- વડનગરવાસીઓ માથુ ઊંચું કરીને ફરી શકે તેવું કામ કરીશ
- વડનગરમાં બોદ્ધ ધર્મ સંકળાયેલો છે, વડનગરનું જૂનું નામ આનંદપુર હતું, તે વિગત ચીનમાંથી મળી છે.
- ચીનના ફિલોસોફર દ્વારા લખાયેલ નોટમાં વડનગરનો ઉલ્લેખ છે.
- ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું અમારા અને તમારા સંબધો વર્ષો જૂના છે.
- ચીનના રાષ્ટ્રપતિએ મને ફિલોસોફરનું લખાણ વાંચીને સંભળાવ્યું હતું.
- રસીકરણથી વંચિત બાળકોને રસી અપાશે, મિશન ઈન્દ્રધનુષને પોતાનું મિશન બનાવે
- અટલજીની સરકારમાં આરોગ્યની પૉલીસી બની હતી, તે પછી સરકારોએ કોઈ પૉલીસી બનાવી નથી.
- ત્રણ વર્ષમાં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી આરોગ્યોની પૉલીસીમાં ફેરફાર કર્યા
- હ્રદય રોગના હૂમલામાં ઓપરેશન દરમિયાન સ્ટેન્ડની કીંમત ઘટાડી
- મધ્યમ વર્ગના લોકોને સ્ટેન્ડ લગાવવામાં રાહત મળી છે.
- ડૉકટરોને આહ્વન કરું છું કે દર મહિનાની 9 તારીખે ગરીબ માતા પ્રસુતાની ટ્રીટમેન્ટ ફ્રી કરે… દવાઓ મફત આપે…
- સ્વાસ્થ્યની ગેરંટી ડૉકટરો પર આધારિત નથી. ખાનપાન પર પણ નથી..
- સ્વાસ્થ્યની ગેરંટી સ્વચ્છતા પર આધારિત છે, દેશને સ્વચ્છ બનાવો અને નિરોગી રહો
- આઈએમટેકનોનું નામ બદલીને ટેકો કરવું…. આરોગ્યનો ટેકો છે…
- શર્મિષ્ઠા તળાવ વડનગરનું હ્રદય છે… શર્મિષ્ઠા તળાવ પર હેંગિંગ બ્રિજ બનાવવાનું સુચન આવ્યું છે..
- અરે… શર્મિષ્ઠા તળાવ હેંગિગ બ્રિજ બનાવીશું.
- આને વિકાસ કહેવાય કે નહી… તેમ કહીને પ્રજા સાથે સંવાદ કર્યો
- હાટકેશ દાદા અને કાશીના મહાદેવે મને ઝેર પચાવવાની તાકાત આપી છે…
- આથી જ હું આકરામાં આકરા કામ કરીને દેશનો વિકાસ કરીશ.
- વડનગરવાસીઓના પ્રેમથી હું ભીંજાયો છું…
- વડનગરવાસીઓ, ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતે પ્રેમ આપ્યો તે બદલે સૌનો આભાર…
- જય હાટકેશ… ના નારા સાથે સંબોધનનો અંત કર્યો
PM મોદીએ યોજ્યો રોડ શો, વડનગરવાસીઓમાં ભારે ઉત્સાહ
વડનગર– પીએમ નરેન્દ્ર મોદી આજે રવિવારે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે માદરે વતન વડનગરની મુલાકાતે આવ્યા હતા. વડનગરવાસીઓમાં અદકેરો ઉત્સાહ હતો. ગુંજા હેલીપેડ પર ઉતર્યા પછી પીએમ મોદીએ ખુલ્લી કારમાં વડનગર સુધી રોડ શો કર્યો હતો. અને વડનગરવાસીઓઓનું અભિવાદન ઝીલ્યું હતું. પોતાના ગામના એવા અને આપણા નરેન્દ્ર મોદીને આવકારવા વડનગરવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. આખા વડનગરને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો અને વડનગરને રોશનીથી ઝળાહળા કરવામાં આવ્યું છે. પીએમ મોદી રોડ શો દ્વારા જ્યારે વડનગરમાં પ્રવેશ્યા ત્યારે ભારે આનંદનો માહોલ હતો, અને વડનગરવાસીઓ અને નરેન્દ્ર મોદી માટે આજની ભાવુક ક્ષણ હતી. બધાની આંખમાં ખુશીના ઝળઝળીયા આવી ગયા હતા.
વડનગરવાસીઓનો પ્રેમ જોઈને ખુદ મોદી પણ ભાવુક ચહેરે વડનગરમાં ફર્યા હતા. તેમણે વડનગરના હાટકેશ્વર મંદિરે દર્શન કર્યા હતા, અને હાટકેશ્વર મહાદેવની પૂજા કરી અને આરતી ઉતારી હતી.હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને પીએમ મોદીએ જીએમઈઆરએસ મેડીકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
13 ઓક્ટોબરે હડતાળઃ દેશભરના પેટ્રોલ ડીલર્સનું એલાન
મુંબઈ – દેશભરના હજારો પેટ્રોલ પંપ માલિકોએ એમની માગણીઓના ટેકામાં આવતી 13 ઓક્ટોબરે એક દિવસની હડતાળ પાડવાનું નક્કી કર્યું છે.
જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 13 ઓક્ટોબરના શુક્રવારે દેશભરના 54 હજાર પેટ્રોલ પંપ્સ સંપૂર્ણપણે બંધ રહેશે, એવી જાહેરાત ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને કરી છે.
એસોસિએશને એમ પણ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર એમની માગણીઓ નહીં સ્વીકારે તો 27 ઓક્ટોબરથી તેઓ દેશભરમાં બેમુદત હડતાળ પર જશે.
પેટ્રોલિયમ ઉત્પાદનોના ડીલર્સની માગણી છે કે 2016ની 4 નવેંબરે સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એમની સાથે જે સમજૂતી કરી હતી એનો અમલ કરવામાં આવે, માર્કેટિંગ આચારસંહિતા અંતર્ગત ડીલર્સ પર લાગુ કરવામાં આવનાર દંડની સિસ્ટમને રદ કરવામાં આવે, એમને અપાતું કમિશન વધારવામાં આવે અને પેટ્રોલિયમ ઉત્પાદનોને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કર વ્યવસ્થામાં સામેલ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સરકારે દેશભરમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં રોજેરોજ ફેરફારોની જે પ્રથા ગઈ 1 જુલાઈથી અમલમાં મૂકી છે તેનાથી પેટ્રોલિયમ ડિલર્સ નારાજ છે.