Home Blog Page 558

પંચાંગ 05/10/2025

ફરહાન અખ્તરની માતા સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી

બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરની માતા હની ઈરાની સાથે તાજેતરમાં ₹1.2 મિલિયન (12 લાખ)ની છેતરપિંડી થયાની જાણ થઈ છે.

બોલીવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરની માતા હની ઈરાની સાથે તાજેતરમાં 12 લાખની છેતરપિંડી થઈ હતી. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, કારણ કે આ કોઈ બહારના વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેમના ડ્રાઇવર, નરેશ સિંહ અને પેટ્રોલ પંપના કર્મચારી, અરુણ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જાણીએ સમગ્ર મામલો વિશે.

હની ઈરાનીની છેતરપિંડી મામલે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “હની ઈરાનીના મેનેજર દિયા ભાટિયાએ 1 ઓક્ટોબરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડ્રાઈવર નરેશ લાંબા સમયથી ફરહાન અખ્તરના નામે જારી કરાયેલા કાર્ડનો દુરુપયોગ કરી રહ્યો હતો. આ કાર્ડ ફ્યુઅલ રિફિલ માટે જારી કરવામાં આવ્યું હતું, પરંતુ નરેશ તેનો ઉપયોગ છેતરપિંડી માટે કરતો હતો.”

છેતરપિંડીનો પર્દાફાશ કેવી રીતે થયો?

તપાસ દરમિયાન હની ઈરાનીની ટીમને શંકા ગઈ જ્યારે તેમને કેટલાક પેટ્રોલ બિલોમાં વિસંગતતાઓ જોવા મળી. ડ્રાઇવરે જે વાહનમાં પેટ્રોલ ભર્યું હોવાનો દાવો કર્યો હતો તેની ક્ષમતા 35 લિટર હતી, જ્યારે બિલમાં 62 લિટરની ચુકવણી દર્શાવવામાં આવી હતી. વધુમાં, હની ઈરાની પરિવારે સાત વર્ષ પહેલાં વેચેલા વાહનોમાં પેટ્રોલ ભરવાના રેકોર્ડ પણ હાજર હતા.

જ્યારે મેનેજર દિયા ભાટિયાએ ડ્રાઇવર નરેશને પૂછપરછ કરી, ત્યારે તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. ત્યારબાદ સંપૂર્ણ તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે નરેશ સિંહે ફરહાન અખ્તરના નામે જારી કરાયેલા ત્રણ અલગ-અલગ કાર્ડનો દુરુપયોગ કર્યો હતો.

આ આખું રેકેટ કેવી રીતે ચાલતું હતું?

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નરેશ સિંહ બાંદ્રા તળાવ નજીક એસવી રોડ પર એક પેટ્રોલ પંપ પર નિયમિતપણે પોતાના કાર્ડ સ્વાઇપ કરતો હતો. ત્યાંનો કર્મચારી અરુણ સિંહ કાર્ડ સ્વાઇપ કર્યા પછી ઇંધણ આપ્યા વિના રોકડ રકમ પરત કરતો હતો. બંને પૈસા તેમની વચ્ચે વહેંચી દેતા હતા – નરેશને પ્રતિ ટ્રાન્ઝેક્શન આશરે ₹1,000 થી ₹1,500 ની કમાણી થતી હતી. નરેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે આ કાર્ડ 2022 માં ફરહાન અખ્તરના ભૂતપૂર્વ ડ્રાઇવર પાસેથી મેળવ્યા હતા અને ત્યારથી તે આ છેતરપિંડી કરી રહ્યો હતો.

મુંબઈ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 316(2), 318(4), અને 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે છેતરપિંડીના આરોપી તરીકે ડ્રાઈવર નરેશ સિંહ અને પેટ્રોલ પંપ કર્મચારી અરુણ સિંહનું નામ આપ્યું છે.

આ મામલે ફરહાન અખ્તર કે તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, સૂત્રો કહે છે કે ફરહાનની ટીમ આ મામલે સક્રિય રીતે કાનૂની કાર્યવાહી કરી રહી છે અને તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

શા માટે રોહિત પાસેથી વનડે કપ્તાની લેવામાં આવી?

નવી દિલ્હીઃ લગભગ આઠ મહિના પહેલા કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જિતાડનાર રોહિત શર્મા  આગામી એક-બે વર્ષ નહીં, પરંતુ વર્ષ 2027ના વર્લ્ડ કપમાં પણ ભારતના કપ્તાન રહેશે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું, પરંતુ રવિવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર કરાયેલી વનડે ટીમમાં આગરકર એન્ડ કંપનીએ ટેસ્ટ કપ્તાન શુભમન ગિલને વનડેની કપ્તાની આપીને તમામ અંદાજોને ખોટા સાબિત કર્યા. ચીફ સિલેક્ટર અજિત આગરકરે આ નિર્ણય હેડ કોચ ગૌતમ ગંભીર અને BCCIના સચિવ દેવજિત સૈકિયા સાથે ચર્ચા કર્યા બાદ લીધો. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં આ પણ સ્પષ્ટ કર્યું કે તેમને આ નિર્ણય વિશે પૂર્વ જાણ કરવામાં આવી હતી.

જોકે આગરકરને રોહિત અને વિરાટ 2027ના વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું.આગરકરે કહ્યું હતું તે ત્રણ ફોર્મેટમાં ત્રણ અલગ-અલગ કપ્તાન હોવું ખૂબ અવ્યવહારિક છે. તેથી જ અમે શુભમન ગિલને વનડે કપ્તાન બનાવવા નિર્ણય કર્યો છે. આગરકરે વધુમાં કહ્યું હતું કે રોહિત અને વિરાટ હાલમાં એક જ ફોર્મેટ રમી રહ્યા છે. જ્યાં સુધી 2027ના વર્લ્ડ કપમાં તેમના રમવા અંગેની વાત છે, તે અંગે હાલ વાત કરવાની જરૂર નથી, પરંતુ કપ્તાનીમાં ફેરફાર એ બાબત હતી, જેને લઈને અમે વિચાર કર્યો હતો.

 ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વનડે ટીમ

શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકપ્તાન), અક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મહંમદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જૈસવાલ.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અભિષેક શર્મા, શુભમન ગિલ (ઉપકપ્તાન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જેટેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.

 

ફ્લિપકાર્ટ, એમેઝોન પર મોટો આરોપ, કેન્દ્ર સરકાર કરશે તપાસ

નવી દિલ્હીઃ દેશમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે અને ફ્લિપકાર્ટ તેમ જ એમેઝોન જેવા મોટા ઈકોમર્સ પ્લેટફોર્મ લાખો વેપારીઓને તેમની પ્રોડક્ટ્સ વેચવાની તક આપે છે, પરંતુ તાજેતરમાં આ બંને કંપનીઓ પર મોટો આરોપ લાગ્યો છે કે તેઓ વેપારીઓ પાસેથી તેમની આખી વેચાણની રકમ, એટલે કે 100 ટકા પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહી છે. તેનો અર્થ એ થયો કે વેપારીઓ નફો પૂરો કંપનીને આપી રહ્યા છે, જેને કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે આ મામલે ઝડપથી તપાસ શરૂ કરી છે અને કંપનીઓ પાસેથી જવાબ પણ માગ્યો છે.

પ્લેટફોર્મ ફી શું છે

ઈ-કોમર્સ કંપનીઓ જેમ કે ફ્લિપકાર્ટ અને એમેઝોન વેપારીઓને પોતાનો માલ વેચવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ આપે છે. તેના બદલામાં તેઓ વેચાણના નક્કી કરાયેલા હિસ્સા પ્રમાણે ફી વસૂલ કરે છે, જેને પ્લેટફોર્મ ફી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ફી 5 ટકા થી 20 ટકા સુધી હોય છે. પરંતુ આક્ષેપો છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન વેપારીઓ પાસેથી તેમની સંપૂર્ણ વેચાણ રકમ એટલે કે 100 ટકા ફી વસૂલ કરી રહી છે.

આક્ષેપો અને વેપારીઓની મુશ્કેલી

ઘણા નાના અને મધ્યમ વેપારીઓએ સરકારને ફરિયાદ કરી છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન તેમની સંપૂર્ણ વેચાણ રકમ પ્લેટફોર્મ ફીને નામે લઈ લે છે. તેના કારણે વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેઓ પોતાનો વેપાર ચાલુ રાખવામાં અસમર્થ બની રહ્યા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી ‘ઓફર હેન્ડલિંગ ફી’, ‘પેમેન્ટ હેન્ડલિંગ ફી’ અને ‘પ્રોટેક્ટ પ્રોમિસ ફી’ જેવા ચાર્જ લીધા છે. આ ઉપરાંત, ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટો જેવી સેવાઓ પણ વરસાદને કારણે ‘રેન ફી’ સહિતના વધારાના ચાર્જ લઈ રહી છે, જેને કારણે ઓનલાઇન ખરીદી મોંઘી બની રહી છે અને ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ભારતે વેસ્ટ ઈન્ડીઝને ઇનિંગ્સ, 140 રનથી હરાવ્યું

અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટેસ્ટ માત્ર અડધા ત્રીજા દિવસે જ પૂર્ણ થઈ ગઈ હતી. ભારતે આ મેચ ઇનિંગ્સ અને 140 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે બે મેચોની સિરીઝમાં ભારતીય ટીમે 1-0ની લીડ મેળવી છે. ભારત માટે રવીન્દ્ર જાડેજાએ આ મેચમાં 104 રન બનાવ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી.

આ પહેલાં ભારત માટે પ્રથમ ઇનિંગ્સમાં કે.એલ. રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાએ પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જાડેજાએ બોલિંગમાં પણ કમાલ દેખાડ્યો હતો. ભારતે ત્રીજા દિવસની શરૂઆત પહેલાં જ પોતાની પહેલી ઇનિંગ્સ પાંચ વિકેટ પર 448 રન બનાવીને ડિક્લેર કરી હતી અને 286 રનની લીડ મેળવી હતી. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ બીજી ઇનિંગ્સમાં ફક્ત 146 રન પર જ ઓલઆઉટ થઈ હતી

ભારત માટે આ મેચમાં બેટ્સમેન ઉપરાંત બોલરોનું પણ ઉત્તમ પ્રદર્શન રહ્યું. મોહમ્મદ સિરાજે આખી મેચમાં સાત વિકેટ લીધી, કુલદીપ યાદવે 4 વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ ચાર વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે પ્રથમ ઇનિંગ્સમાં ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેને કોઈ વિકેટ મળી નહોતી. હવે સિરીઝનો બીજી મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.

રવીન્દ્ર જાડેજા બન્યા પ્લેયર ઓફ ધ મેચ

ભારતીય ઓલરાઉન્ડર અને ઉપ-કપ્તાન રવીન્દ્ર જાડેજાને અમદાવાદ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર 104 રન ફટકાર્યા હતા અને એ પછી વેસ્ટ ઈન્ડીઝની બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ લઈ ઝળહળતું પ્રદર્શન કર્યું હતું.

JITO-અમદાવાદના ચેરમેન તરીકે રાજીવ છાજર, સેક્રેટરી તરીકે જૈનિક વકીલની પસંદગી 

અમદાવાદ: જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO)જૈન ઉદ્યોગપતિઓ, વેપારીઓનું વિશ્વ ફલક ઉપર કાર્યરત આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જે મુખ્યત્વે સેવા, જ્ઞાન તથા આર્થિક સશક્તિકરણ એમ ત્રણ ઉદ્દેશો પર કામ કરે છે.JITO-અમદાવાદ ચેપ્ટરની વાર્ષિક સામાન્ય સભા તારીખ 29 સપ્ટેમ્બરના રોજ મળી હતી. સામાન્ય સભા બાદ JITO અગ્રણીઓની બનેલી સ્ટિયરીંગ કમિટીએ આગામી કાર્યકાળ માટે JITO અમદાવાદ ચેપ્ટરના ચેરમેન તરીકે રાજીવ છાજર, ચીફ સેક્રેટરી તરીકે જૈનિકભાઈ વકીલ તથા ટ્રેઝરર તરીકે અશોક બાફનાની નિયુક્તિ કરી છે.

સિનિયર વાઇસ ચેરમેન તરીકે વૈભવ શાહ તથા વાઇસ ચેરમેન તરીકે સંપત્તરાજ ચૌધરી, પ્રવેશ મહેતા અને ધવલ તેલીને પદનામિત કરેલ છે.

IIMAમાં ધમાલ, મસ્તી અને ભક્તિ સાથે નવરાત્રીની ઉજવણી

અમદાવાદ: IIM-A ખાતે 30 સપ્ટેમ્બરના રોજ નવારાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિદ્યાર્થીઓ સામેલ થાય હતા. બધાએ સાથે મળીને ભક્તિ અને આનંદ સાથે નવરાત્રીની ઉજવણી કરી હતી. હાથમાં દાંડિયા, તાળીઓના ગડગડાટ અને વાતાવરણમાં આનંદ-ઉલ્લાસ સાથે લોકો ગરબામાં ઝૂમતા જોવા મળ્યા. બધાએ સાથે મળીને ખરેખર IIM-Aની શૈલીમાં નવરાત્રીની ભાવનાની ઉજવણી કરીને હૃદય ખોલીને ગરબા ગાયા. આ ઉજવણી ટ્રેન્ડિ કપડાં, એનર્જેટિક સંગીત અને ઉષ્મા અને સાંસ્કૃતિક ગૌરવથી ભરપૂર વાતાવરણ દ્વારા જીવંત બની હતી.

બાળકોના મોત પછી MPમાં કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં નવ બાળકોનાં મોત બાદ રાજ્યમાં (Coldrif) કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. CM મોહન યાદવે કડક કાર્યવાહી કરતાં આ સિરપને રાજ્યમાં પ્રતિબંધિત કરી દીધું છે. CMએ સોશિયલ મિડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે છિંદવાડામાં કફ સિરપને કારણે થયેલી બાળકોની મોતની ઘટના અત્યંત દુઃખદ છે. આ સિરપ બનાવતી કંપનીનાં અન્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ સિરપ બનાવતી ફેક્ટરી કાંચીપુરમ (તમિલનાડુ)માં આવેલી છે અને ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારે તમિલનાડુ સરકારને તપાસ કરવા વિનંતી કરી હતી. આજે સવારે તપાસ રિપોર્ટ પ્રાપ્ત થયો છે અને રિપોર્ટને આધારે કડક પગલાં લેવામાં આવ્યાં છે. બાળકોના દુઃખદ અવસાન બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી શરૂ થઈ હતી. રાજ્ય સ્તરે પણ તપાસ માટે ટીમ રચવામાં આવી છે. CMએ જણાવ્યું હતું કે દોષીઓને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે.

દવા નિયંત્રણ અધિકારી દિનેશકુમાર મૌર્ય દ્વારા જારી કરાયેલો આદેશ

તામિલનાડુ, ચેન્નઈના ડ્રગ કન્ટ્રોલ ડિરેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે દવા Coldrif Syrupઅમાનક અને દોષપૂર્ણ (NSQ) જાહેર કરવામાં આવી છે.આ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે નમૂનો ભેળસેળવાળો જણાયો છે કારણ કે તેમાં ડાયએથિલિન ગ્લાયકોલ મળ્યો છે, જે એક ઝેરી પદાર્થ છે અને તેનો ઉપયોગ આરોગ્ય માટે ગંભીર નુકસાનકારક થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને Coldrif Syrupના વેચાણ અને વિતરણને તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ આપવામાં આવે છે.

 કડક કાર્યવાહી કરવામાં આવશે

જો આ દવા ઉપલબ્ધ હોય, તો તાત્કાલિક સીલ  કરી લો અને સ્પષ્ટ આદેશ આપવામાં આવે છે કે દવાને નષ્ટ અથવા વેચાણ ન કરવામાં આવે, જેમ કે દવા અને કોસ્મેટિક્સ અધિનિયમ, 1940 અને તેના નિયમો મુજબ જોગવાઈ છે.

What did Bhakti Rathod reveal about Sunny Deol and Ameesha Patel?

ગુલકંદ – ૦૪ ઑક્ટોબર ૨૦૨૫