Home Blog Page 527

અમદાવાદ: દિવાળી નિમિત્તે રોશનીથી ઝળહળી ઉઠ્યું નગર

અમદાવાદ: દિવાળીના તહેવારો શરુ થાય એ પહેલાં શહેરનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. અંધકારને ભગાડી ઉજાસ પાથરતા આ તહેવારમાં આધુનિકતાએ પ્રવેશ કર્યો છે. જેના કારણે દીવડાંની જ્યોતિની સાથે હવે ડીઝાઈનર રોશનીથી ઈમારતો અને માર્ગો ઉજાસ પાથરી રહ્યા છે.

દિવાળી નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ, સાબરમતી નદી પરના બ્રિજ, નવા બંધાયેલા ઓવર બ્રિજ, અંડરબ્રિજ તમામ દરવાજા પર રોશની કરી છે. આ સાથે કેટલીક સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. હેરિટેજ સ્થાપત્યોની સાથે મંદિરોને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.દિવાળીના તહેવારો નજીક આવતાં જ શહેરમાં ધીરે ધીરે બજારોમાં તેજી આવતી જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)

સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલનું વાર્ષિક સ્ટાર્ટ-અપ પિચ ચેલેન્જ

અમદાવાદ: સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ (SJIS) એ પોતાના વાર્ષિક સ્ટાર્ટ-અપ ધ પિચ ચેલેન્જ 2025નું સફળ સમાપન કર્યું. જેમાં ધોરણ 10ના 43 વિદ્યાર્થીઓએ પોતાના નવીન બિઝનેસ આઇડિયાઝ રજૂ કર્યા હતા.SJIS કેમ્પસમાં યોજાયેલી આ શાર્ક ટેંક -સ્ટાઇલ સ્પર્ધામાં વિધ્યાર્થીઓએ સંપૂર્ણ બિઝનેસ પ્લાન રજૂ કર્યા. જેમાં પ્રોડક્ટ ડિઝાઇન, નાણાકીય અંદાજ, માર્કેટિંગ સ્ટ્રેટેજી અને ફંડિંગ પ્રસ્તાવનો સમાવેશ હતો — અને તે પણ પેનલ સામે જેમાં અનુભવી ઉદ્યોગપતિઓ સામેલ હતા.

વિદ્યાર્થીઓના વિચારોમાં પુનઃઉપયોગી બોટલથી લઈને રેકેટ ગ્રિપ, પરફ્યુમ્સ અને હાઇબ્રિડ બાઇક જેવી વિવિધતા જોવા મળી. છેલ્લા છ મહિનામાં, વિદ્યાર્થીઓએ શાયના શાહના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગસાહસિકતાના દરેક તબક્કાઓ શીખ્યા — પ્રોડક્ટ રિસર્ચ અને બિઝનેસ વેલિડેશનથી લઈને પિચ તૈયાર કરવી અને જાહેર ભાષણ આપવાની કુશળતા સુધી.શાયના શાહએ જણાવ્યું “આ માત્ર સ્કૂલ પ્રોજેક્ટ નથી. આ ખરેખર વિશ્વ-તૈયાર બિઝનેસ પ્લાન છે. અમારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે તેઓ વિચારવા, બોલવા અને કાર્ય કરવા માટે તૈયાર છે — એક સાચા ફાઉન્ડર તરીકે.”

2025ની આવૃત્તિના વિજેતાઓ હતા:

  • પ્રથમ પુરસ્કાર: જોના અને ગ્રેસી — તેમની નવીન પુનઃઉપયોગી બોટલ વ્યવસાય માટે
  • પ્રથમ રનર્સઅપ: ગ્રીમા અને સમ્યક — રેકેટ ગ્રિપ પર આધારિત સ્પોર્ટ્સ એક્સેસરી સ્ટાર્ટઅપ માટે
  • બીજા રનર્સઅપ: નમન અને હિર્વી — તેમના સુંદર અને સ્કેલેબલ પરફ્યુમ વેન્ચર માટે

વિજેતાઓને ₹50,000 અને વધુ મૂલ્યની સ્કોલરશિપ આપવામાં આવી, પરંતુ સૌથી મોટું ઇનામ હતું — અનુભવ, સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ જે દરેક વિદ્યાર્થી સાથે લઈને ગયા.

જ્યુરી પેનલમાં મૃણાલ વેદ (સ્થાપક, ફિટફોર્મન્સ), અભિવંદન લોઢા (ડાયરેક્ટર, એવોકેબ), જૈનિલ શાહ (પ્રોફેસર અને જાહેર વક્તા), નિરાલી પંડિત (કાઉન્સિલર અને મોટિવેશનલ કોચ), શિવમ પટવાલા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), અને શ્રીરામ નાયર (રેસ્ટોરેન્ટર)નો સમાવેશ થાય છે.

SJIS છેલ્લા 25 વર્ષથી ઉદ્યોગસાહસિક શિક્ષણમાં અગ્રણી રહ્યું છે, જેનો અનોખો અભ્યાસક્રમ ડૉ. હિના શાહ દ્વારા રચાયેલ છે. આ કાર્યક્રમ ધોરણ 1 થી ધોરણ 10 સુધી ચાલે છે, જેમાં દરેક વર્ષે વિદ્યાર્થીઓના બિઝનેસ જ્ઞાન, સમીક્ષાત્મક વિચાર અને વાસ્તવિક વિશ્વના ઉપયોગને વિકસાવવામાં આવે છે.

હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ પર 32 FIR: કરોડોના ક્રિપ્ટો કૌભાંડનો આરોપ

નવી દિલ્હી: પ્રસિદ્ધ હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબનું નામ હવે એક મોટા ક્રિપ્ટો છેતરપિંડી કેસમાં સામેલ છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના પોલીસ દળે બુધવારે દિલ્હીમાં તેમના ઘરે દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓ ત્યાં હાજર નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર હબીબ હાલ પૂછપરછથી બચી રહ્યા છે અને ફરાર છે. પોલીસે તેમને જલદી હાજર થઈ તપાસમાં સહકાર આપવા આદેશ આપ્યો છે.

કરોડોની છેતરપિંડી, 32 FIR નોંધાઈ

હબીબ પર અંદાજે 5થી 7 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ સ્કેમનો આરોપ છે. અત્યાર સુધી તેમના વિરુદ્ધ 32 FIR નોંધાઈ ચૂકી છે. આ કેસમાં તેમના પુત્ર અનસ અને ભાગીદાર સૈફુલનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ કહે છે કે આ લોકોએ ઊંચા વળતરના લાલચમાં લોકો પાસેથી રૂપિયા લીધા, પરંતુ નક્કી કરેલા સમય બાદ પણ રોકાણકારોને પૈસો પાછા આપ્યા નથી.

શું છે જાવેદ હબીબનો ફ્રોડ કેસ?

હબીબ અને તેમના સાથીઓએ Follicle Global Company (FLC) નામની નકલી યોજના દ્વારા લોકો પાસેથી મૂડીરોકાણ કરાવ્યું હતું. આ યોજનામાં રોકાણકારો પાસેથી 5થી 7 લાખ રૂપિયા સુધી લેવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે તેમને બિટકોઈન (Bitcoin) અને બાઈનાન્સ કોઈન (Binance Coin)માં 50 ટકાથી 70 ટકા સુધીનું રિટર્ન મળશે.

સંભલના રોયલ પેલેસ વેન્કેટ હોલમાં 2023માં એક ઇવેન્ટ પણ યોજાઈ હતી, જેમાં આ સ્કીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર આશરે 150 લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ કોઈને રિટર્ન નથી મળ્યું.

પોલીસની કડક કાર્યવાહી, લુકઆઉટ નોટિસ જાહેર

સંભલ પોલીસે જણાવ્યું છે કે કુલ 5થી 7 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ કારણે જાવેદ હબીબ, તેમના પુત્ર અને પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.

વકીલ પવન કુમારે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ રીતે પોલીસની તપાસમાં સહકાર આપી રહ્યા છીએ, પરંતુ હબીબની તબિયત હાલ સારી નથી.

શું સોનાક્ષી સિન્હા પ્રેગ્નેન્ટ છે? પતિ ઝહીરે આપ્યું આવું રિએક્શન

અભિનેત્રી સોનાક્ષી સિંહાના ગર્ભાવસ્થાના સમાચાર પર ઝહીર ઇકબાલે રમુજી પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડિયો પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં સોશિયલ મીડિયા પર તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. તાજેતરના એક કાર્યક્રમમાં તેના લુકથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, જેનાથી તેણી ગર્ભવતી હોવાની અફવાઓ ફેલાઈ ગઈ. જોકે, આ અફવાઓ ફેલાતાં જ તેના પતિ ઝહીર ઇકબાલે એક એવો જવાબ આપ્યો જેનાથી ચાહકો મજાક ઉડાવી રહ્યા છે.

જ્યારે સોનાક્ષી સિંહા તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ફિલ્મ નિર્માતા વિક્રમ ફડનીસની 35મી વર્ષગાંઠની ઉજવણીમાં પહોંચી, ત્યારે તેના ઢીલા ઓફ-વ્હાઇટ અને ગોલ્ડન આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે અનુમાન લગાવ્યું હતું કે અભિનેત્રી કદાચ બાળકની અપેક્ષા રાખી રહી છે. જોકે, આ અફવાઓ અંગે અભિનેત્રી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, તેના પતિએ રમૂજી પ્રતિભાવ આપ્યો જેણે અફવાઓનો અંત લાવ્યો.

ઝહીરનો રમૂજી પ્રતિભાવ

ગઈકાલે ઝહીર અને સોનાક્ષી રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઝહીરે કેમેરા સામે મજાકમાં સોનાક્ષીના પેટ પર હાથ મૂક્યો. આ હાવભાવ જોઈને સોનાક્ષી હસવા લાગી, અને ત્યાં હાજર બધા હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. નેટીઝન્સે કહ્યું કે આ પ્રકારની રમૂજ તેમની કેમિસ્ટ્રીને પ્રતિબિંબિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોનાક્ષી-ઝહીરનું ટેટૂ વાયરલ થયું

4 ઓક્ટોબરના રોજ આ દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના મેચિંગ ટેટૂઝના ફોટા શેર કર્યા. તેમના બંને હાથ પર “એકબીજાની જીવનરેખા 04.10.2024” લખેલું હતું. ચાહકોએ ટેટૂઝ જોઈને કહ્યું કે તેમનો સંબંધ ફક્ત પ્રેમ પર નહીં, પરંતુ ઊંડી સમજણ અને વિશ્વાસ પર આધારિત છે.

અલગ અલગ ધર્મો હોવા છતાં એક સુંદર સંબંધ
સોનાક્ષી અને ઝહીરે 23 જૂન, 2024 ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે એક સાદા સમારંભમાં લગ્ન કર્યા. બાદમાં તેઓએ બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું. લગ્ન પછી એક મુલાકાતમાં, સોનાક્ષીએ તેના આંતરધાર્મિક લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણીએ કહ્યું કે ધર્મ તેમની વચ્ચે ક્યારેય આવ્યો નથી.

 

વિદેશી ભાગેડુઓ સામે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સઃ અમિત શાહ

નવી દિલ્હીઃ આર્થિક ગુનેગારો, સાયબર ગુનેગારો, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો અને અન્ય તમામ ભાગેડુઓ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય એમ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

દિલ્હીમાં CBI દ્વારા આયોજિત ભાગેડુઓનું પ્રત્યાર્પણ — પડકારો અને રણનીતિઓ વિષયક પરિષદને સંબોધિત કરતાં શાહે કહ્યું હતું કે ફક્ત ભ્રષ્ટાચાર, ગુના અને આતંકવાદ સામે જ નહીં, પરંતુ ભારતની બહારથી સક્રિય ગુનેગારો સામે પણ ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવો જોઈએ.

બધા ભાગેડુઓને કાયદાના ઘેરા હેઠળ લાવવાનું આહવાન

બધા ભાગેડુઓને કાયદાની જાળમાં લાવવા માટે અને તેના માટે એક નિશ્ચિત તંત્ર સ્થાપિત કરવા માટે પ્રયાસ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ચાહે તેઓ આર્થિક ગુનેગારો હોય, સાયબર ગુનેગારો હોય, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય કે સંગઠિત ગુનાહિત નેટવર્કનો ભાગ હોય — દરેક ભાગેડુ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય. હવે એ માટે સમય આવી ગયો છે.

મોદીની સરકારે આવા અચૂક ઉપાયો કર્યા છે કે જેથી કોઈ પણ ગુનેગાર કાયદાની પકડમાંથી છટકી ન શકે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એક શક્તિશાળી ભારત ફક્ત પોતાની સીમાઓની સુરક્ષા જ સુનિશ્ચિત કરી રહ્યું નથી, પરંતુ કાયદાના શાસનને પણ મજબૂત બનાવી રહ્યું છે.

ગુના અને ગુનેગારોની ચાલ ભલે કેટલીય ઝડપી હોય, પરંતુ ન્યાયની પહોંચ એથી પણ વધુ ઝડપી હોવી જોઈએ. તેમણે બધાં રાજ્યોને પોતાના રાજ્યમાં ઓછામાં ઓછી એક આંતરરાષ્ટ્રીય સ્તરની જેલ કોટડી સ્થાપિત કરવાની સલાહ આપી, જેથી વિદેશી અદાલતોમાં ભાગેડુઓ દ્વારા ભારતીય જેલોની નીચી સુવિધા અંગે આપવામાં આવતી દલીલોનો યોગ્ય જવાબ આપી શકાય, એમ શાહે કહ્યું હતું.

CJI ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ પર હવે ચાલશે કેસ

નવી દિલ્હીઃ CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોરની મુશ્કેલીઓ હવે વધી રહી છે, કારણ કે તેમની સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ થવાની છે. આ અંગે ભારતના એટર્ની જનરલે કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠને માહિતી આપી હતી કે ભારતના એટર્ની જનરલે એડવોકેટ રાકેશ કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની સંમતિ આપી છે, જેમણે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

ACBએ અધ્યક્ષ વિકાસ સિંહને લખેલા પોતાના પત્રમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે કિશોરના કૃત્ય અને નિવેદન માત્ર નિંદનીય જ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટની મહિમા અને અધિકારને પણ હાનિ પહોંચાડે છે. તેમણે કહ્યું  કે આવું વર્તન ન્યાય વિતરણ પ્રણાલી (Justice Delivery System)ની પાયાને હચમચાવે છે.

ઘટના પછી CJI એ શું કહ્યું હતું?

વકીલે જૂતું ઉછાળવાની ઘટનાના પછી CJI ગવઈએ આ હુમલાને એક ભુલાયેલો અધ્યાય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બોલતાં તેમણે કહ્યું હતું કે સોમવારે જે બન્યું તેનાથી હું અને મારા સાથી ન્યાયાધીશો અત્યંત આશ્ચર્યચકિત છીએ. આપણા માટે આ એક ભુલાયેલો અધ્યાય છે.

આ અક્ષમ્ય ઘટના હતીઃ SG તુષાર મહેતા

સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ એ સમયે હાજર હતા. તેમણે આ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે આ અક્ષમ્ય ઘટના હતી અને મુખ્ય ન્યાયાધીશે આ બાબતને ભુલાઈ ગયેલી ગણાવીને જે મહાનતા અને ઉદારતા બતાવી છે, તે પ્રશંસનીય છે.

છઠ્ઠી ઓક્ટોબરની ઘટના

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન 6 ઓક્ટોબર, 2025એ CJI ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. રાકેશ કિશોર નામના વકીલે મુખ્ય ન્યાયાધીશ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ આખા હંગામા દરમિયાન મુખ્ય ન્યાયાધીશ શાંત રહ્યા અને કાર્યવાહી ચાલુ રાખી હતી.

રશિયાથી ઓઇલ ન ખરીદવાને મુદ્દે ટ્રમ્પથી ડરે છે PM મોદીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરે છે. તેમનું નિવેદન ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા એ દાવા પછી આવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયન તેલની ખરીદી બંધ કરશે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી વારંવાર થયેલી અવગણના છતાં ટ્રમ્પને અભિનંદન સંદેશ મોકલતા રહે છે.

રાહુલ ગાંધીએ X પર લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી ડરે છે. તેમણે સોશિયલ મિડિયા મોદીની વિદેશ નીતિ પર પાંચ મુદ્દામાં હુમલો કર્યો હતો.

  1. વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને એ નક્કી કરવાનો અને જાહેર કરવાનો અધિકાર આપ્યો કે ભારત રશિયન તેલ નહીં ખરીદે.
  2. વારંવારની અવગણના છતાં મોદી ટ્રમ્પને અભિનંદન સંદેશ મોકલતા રહે છે.
  3. ભારતે નાણાપ્રધાનનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો.
  4. વડા પ્રધાન મોદીએ શર્મ અલ-શેખમાં યોજાનારી પરિષદમાં ભાગ લીધો નહોતો.
  5. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ટ્રમ્પના દાવાનું ખંડન કર્યું નથી.

એ  પહેલાં કોંગ્રેસ પાર્ટીએ પણ વડા પ્રધાન મોદી પર દેશના ગૌરવ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને રશિયાને ભારતનો નજીકનો સહયોગી ગણાવ્યો હતો. કોંગ્રેસે ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ફરી એક વાર દેશના ગૌરવ સાથે સમાધાન કર્યું છે. ટ્રમ્પ મુજબ તેમના ગુસ્સા અને ધમકીઓ સામે નમીને મોદીએ આશ્વાસન આપ્યું કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે. એક વાત સ્પષ્ટ છે — નરેન્દ્ર મોદી નબળા વડા પ્રધાન છે અને તેમની કામગીરીએ દેશની વિદેશ નીતિને અસ્તવ્યસ્ત કરી છે.

World Anaesthesia Day: એનેસ્થેસિયાથી સૌપ્રથમ કયા રોગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું?

16 ઓક્ટોબર, 1846 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં એક દર્દીને એથર આપવામાં આવ્યું. ત્યારબાદ સર્જનોએ દર્દીના ગળામાંથી પીડારહિત ગાંઠ કાઢી નાખી. આ પ્રથમ રેકોર્ડેડ એનેસ્થેસિયા ઓપરેશન હતું.

દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ એનેસ્થેસિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, આપણે એવા ડોકટરોનો આભાર માનીએ છીએ જે ઓપરેશન દરમિયાન દર્દીઓને પીડાથી બચાવે છે. ડોકટરો સામાન્ય રીતે પીડારહિત ઓપરેશન માટે એનેસ્થેસિયા આપે છે, જેથી દર્દીઓને સર્જરી દરમિયાન કોઈ અગવડતા ન અનુભવાય. એનેસ્થેસિયા દિવસ પણ ઉજવવામાં આવે છે કારણ કે તે આપણને યાદ અપાવે છે કે એનેસ્થેસિયાએ સર્જિકલ અનુભવને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. તો, વિશ્વ એનેસ્થેસિયા દિવસ પર જાણીએ કે એનેસ્થેસિયા હેઠળ સૌપ્રથમ કયા રોગ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પ્રથમ એનેસ્થેસિયા આધારિત ઓપરેશન

16 ઓક્ટોબર, 1846 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં એક દંત ચિકિત્સકે દર્દીને એથર આપ્યું. ત્યારબાદ સર્જને દર્દીના ગળામાંથી પીડારહિત ગાંઠ કાઢી. આ પ્રથમ રેકોર્ડેડ એનેસ્થેસિયા ઓપરેશન હતું. આ ઓપરેશન એનેસ્થેસિયાની દુનિયામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયું. આ એનેસ્થેસિયા પહેલા, વિક્ટોરિયન યુગમાં ઓપરેશન અત્યંત પીડાદાયક અને ખતરનાક હતા. તે સમયે દર્દીઓને લાકડાના બેન્ચ પર રાખવામાં આવતા હતા અને પછી સર્જનો ઓપરેશન કરતા હતા. પીડાને કારણે ઓપરેશન ખૂબ જ ઝડપથી કરવામાં આવતા. જો કે, આ ગતિ ચેપ અને મૃત્યુદરમાં પણ વધારો કરતી હતી. કેટલીકવાર, દર્દી અથવા દર્દીને સંભાળતી વ્યક્તિ ઓપરેશન દરમિયાન મૃત્યુ પામતી હતી. ત્યાં સુધી કે ઓપરેશન ફક્ત છેલ્લા ઉપાય તરીકે કરવામાં આવતા હતા, કારણ કે હાડકાના ફ્રેક્ચર અથવા ગંભીર ઈજાને સુધારવા માટે મર્યાદિત વિકલ્પો હતા. તેથી, એનેસ્થેસિયાની શોધ દર્દીઓ અને ડોકટરો બંને માટે ક્રાંતિકારી સાબિત થઈ.

એનેસ્થેસિયાની શોધ કેવી રીતે થઈ?

1846 પહેલા, ઓપરેશન દરમિયાન દુખાવો ઘટાડવા માટે ઘણી તકનીકોનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1845માં, દંત ચિકિત્સક હોરેસ વેલ્સે નાઈટ્રસ ઓક્સાઇડનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આ પ્રયોગ નિષ્ફળ ગયો હતો. થોડા મહિનાઓ પછી વિલિયમ મોર્ટને સફળતાપૂર્વક ઈથરનો ઉપયોગ કર્યો. બાદમાં, ક્લોરોફોર્મની પણ શોધ થઈ, જેનો વ્યાપકપણે ઉપયોગ થતો હતો. જો કે, શરૂઆતના દિવસોમાં એનેસ્થેસિયાના ઉપયોગથી ઘણા જોખમો ઉભા થયા. ત્યારબાદ, વૈજ્ઞાનિકો અને ડોકટરોએ એનેસ્થેસિયાને સલામત બનાવવા માટે યોગ્ય માત્રા અને તકનીક વિકસાવી. જો કે, એનેસ્થેસિયાના આગમન પછી પણ લગભગ પાંચમાંથી એક વ્યક્તિમાં હજુ પણ સુરક્ષિત એનેસ્થેસિયાનો અભાવ છે.

સેબીએ IEXમાં ઇનસાઇડર ટ્રેડિંગનો પર્દાફાશ કર્યોઃ રૂ. 173 કરોડનું મોટું કૌભાંડ

મુંબઈઃ સેબીએ બુધવારે ઇન્ડિયન એક્સચેન્જ (IEX)ના શેરોમાં ઇનસાઇડર ટ્રેડિંગની માહિતીને આધારે ટ્રેડિંગ કરનારી આઠ વ્યક્તિઓને બજારમાંથી પ્રતિબંધિત કર્યા છે. એ સાથે જ તેમની રૂ. 173 કરોડની ગેરકાયદે કમાણી જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.

IEX ઇનસાઇડર ટ્રેડિંગનો મામલો કેવી રીતે બહાર આવ્યો?

આ લોકો સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC)ના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી અંદરની માહિતીનો દુરુપયોગ કરીને IEXના શેરોમાં ટ્રેડિંગ કરતા હતા. સેબીને આ બાબતનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે CERCની એક જાહેરાત પહેલાં IEXના શેરના ભાવમાં અચાનક ભારે ઘટાડો થયો અને ટ્રેડિંગ વોલ્યુમમાં અસામાન્ય વધારો નોંધાયો હતો.

CERCની જાહેરાત શું હતી અને તેનો શેર પર શી અસર થઈ?

CERCએ 23 જુલાઈએ માર્કેટ કપલિંગ લાગુ કરવાનો એલાન કર્યું હતું. તેનો અર્થ એ છે કે હવે વીજળીની ખરીદી-વેચાણ માટે અલગ-અલગ એક્સચેન્જની બોલીઓને એકસાથે જોડીને યોગ્ય ભાવ નક્કી કરવામાં આવશે. આ સમાચારનો IEXના શેર પર મોટી પ્રતિકૂળ અસર પડી હતી અને 24 જુલાઈએ શેરની કિંમત લગભગ 29.5 ટકા સુધી ઘટી ગઈ.

 સેબીની તપાસમાં શું ખુલાસા થયા?

સેબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લોકોની ટ્રેડિંગની રીત સામાન્ય રોકાણકારોથી અલગ હતી. તેઓ ખાસ કરીને IEXના શેર નીચે જશે તેવા Put Optionમાં મોટું રોકાણ કર્યું હતું, જે સ્પષ્ટ દર્શાવે છે કે તેમને શેરના ભાવમાં ઘટાડાનો પૂર્વાનુમાન પહેલેથી જ હતું.

સેબીની તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ બધા લોકો એકબીજા સાથે સંબંધી છે અને CERCની સિનિયર અધિકારી યોગિતા એસ. મહેરા સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા હતા. સેબીને તેમની વોટ્સએપ ચેટ અને જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં એક જ્યોતિષીનું નામ પણ મળ્યું હતું, જે આ લોકો અને અધિકારી વચ્ચે સંપર્કનો માધ્યમ હતો. આ જ જ્યોતિષી તેમને ટ્રેડિંગ માટે સલાહ આપતો હતો.

CERCના અન્ય એક અધિકારી ગગન દીવાને પણ આ લોકોને માર્કેટ કપલિંગ અંગેની માહિતી આપી હતી. સેબીએ જેમની પર કાર્યવાહી કરી છે, તેમાં ભુવન સિંહ, અમરજિત સિંહ સોરન, અમિતા સોરન, અનીતા, નરેન્દ્ર કુમાર, વીરેન્દ્ર સિંહ, બિંદુ શર્મા અને સંજીવ કુમાર છે. સેબીએ જણાવ્યું કે આ લોકોની ટ્રેડિંગની વ્યૂહરચનાનીતિથી સ્પષ્ટ થાય છે કે આ આખી યોજના ખૂબ મોટા પાયે તૈયાર કરવામાં આવી હતી. સેબીના પૂર્ણ સમયના ટાઇમ મેમ્બર કમલેશ ચંદ્ર વર્શનએ કહ્યું હતું કે જો માત્ર થોડા લોકો જ બજારમાં અંદરની માહિતીનો લાભ લઈ શકે તો સામાન્ય રોકાણકારોનો વિશ્વાસ તૂટી જશે અને તેમનું નુકસાન થશે.

ભારત હવે રશિયાથી તેલ નહીં ખરીદેઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત હવે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે. ભારત પર ટેરિફ લગાવ્યા પછીના કેટલાક મહિનાઓ બાદ ટ્રમ્પે આ વાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે મને આશ્વાસન આપ્યું છે કે રશિયાથી હવે કોઈ તેલ ખરીદાશે નહીં. હા, તમે જાણો છો કે આ તરત થઈ શકતું નથી. આ એક નાની પ્રક્રિયા છે, પરંતુ તે પ્રક્રિયા જલદી પૂર્ણ થઈ જશે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. મને ખુશી નહોતી, કેમ કે ભારત રશિયાથી તેલ ખરીદી રહ્યું હતું, પરંતુ આજે તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયાથી તેલ નહીં ખરીદે. આ એક મોટો પગલું છે. હવે અમારે ચીન પાસેથી પણ એ જ કરાવવું પડશે.

ટ્રમ્પે આ ટિપ્પણી ઓવલ ઓફિસમાં FBI ડિરેક્ટર કાશ પટેલ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી.ટ્રમ્પે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ‘બિનજરૂરી’ ગણાવતાં કહ્યું હતું કે આ એવું યુદ્ધ છે જે ક્યારેય શરૂ જ ન થવું જોઈએ હતું, પરંતુ એ એવું યુદ્ધ હતું જે રશિયાને પહેલેલા અઠવાડિયામાં જ જીતી લેવું જોઈએ હતું અને હવે તેઓ ચોથા વર્ષે પ્રવેશી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હું ઈચ્છું છું કે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થાય.