Home Blog Page 499

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની સરકાર બનવાની શક્યતાઃ સર્વે

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત-હારને લઈને દાવ લગાવતા રાજસ્થાનના ફલોદી સટ્ટાબજારના પણ અંદાજ મુજબ આ વખતે પણ બિહારમાં NDAની સરકાર બનવાની શક્યતા છે. સટ્ટા બજારના તાજા અનુમાન મુજબ NDA ગઠબંધનને 135-138 બેઠકો મળશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ચૂંટણી સર્વેની તુલનાએ ઘણી વધુ છે.

બીજી તરફ મહાગઠબંધનની વાત કરીએ તો સટોડિયાના અનુમાન મુજબ તેમને માત્ર 93થી 96 બેઠકો મળવાની શક્યતા  છે. જોકે ફલોદી સટ્ટા બજારના સટોડિયાએ વ્યક્તિગત ઉમેદવારની જીત-હારને લઈને કોઈ ભાવ જાહેર નથી કર્યો.

આ પહેલાં વોટ વાયબના સર્વેમાં મહાગઠબંધનને આગળ બતાવવામાં આવ્યું હતું. જ્યારે બિહારમાં લોકો પાસે પૂછવામાં આવ્યું કે આ વખત કયું ગઠબંધન જીતશે, ત્યારે 34.7 ટકા લોકોએ કહ્યું કે મહાગઠબંધન જીતશે. જ્યારે 34.4 ટકાએ કહ્યું હતું કે આ વખતે પણ NDA જીતશે. 12.3 ટકા લોકોએ જનસુરાજની જીતની વાત કરી. 10.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ કંઈ કહી શકતા નથી.

વોટ વાયબના ફાઉન્ડરએ શું કહ્યું

વોટ વાયબના ફાઉન્ડર અમિતાભ તિવારીએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જન સુરાજને કારણે આ વખત ત્રિકોણીય ચૂંટણી થઈ રહી છે. પ્રશાંત કિશોરની પાર્ટી કોના વધુ મત કાપશે તે અંગે હજી અસ્પષ્ટતા છે. તેમણે જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના “દરેક ઘરમાં સરકારી નોકરી”ના વચનથી ક્યાંક ને ક્યાંક મહાગઠબંધનને ફાયદો થતો નજરે પડે છે. તેમણે એ પણ કહ્યું કે આ વખતની બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો પ્રવેશ આ મુકાબલાને સંપૂર્ણપણે ત્રિકોણીય બનાવી રહ્યો છે. એવામાં લોકોમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવણની સ્થિતિ જોવા મળી રહી છે.

મહાગઠબંધન ઠગોની દુકાનઃ CM રેખા ગુપ્તાનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પણ બિહાર ચૂંટણીઓમાં પ્રચાર કરવા પહોંચી ગયાં છે. પટના પહોંચતાં જ તેમણે મહાગઠબંધન પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહાગઠબંધનને ઠગોની દુકાન ગણાવી હતી. તેમણે મિડિયાને કહ્યું હતું કે આ મહા-ઠગ-બંધન છે, ઠગોની દુકાન છે. જે ચારો ખાઈ ગયા, હવે દાણા નાખીને વિચાર કરે છે કે જનતા આ દાણાની જાળમાં આવી જશે, પણ આવું થવાનું નથી.

ગઈ કાલના રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આપેલા નિવેદન પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે મને જે શીખવવામાં આવે છે, તેઓ તે પોપટની જેમ આવીને બોલી જાય છે. તેમને ખબર નથી હોતી કે તેઓ શું બોલી રહ્યા છે.રાહુલ ગાંધી, જેને ખબર નથી જલેબી ક્યાં બને છે, કેવી રીતે બને છે, જેને ખબર નથી આલુ ક્યાં મળે છે, જ્યારે એવો માણસ ભારતમાં, બિહારમાં ઊભો રહીને ભાષણ કરે છે, ત્યારે મને હસવું આવે છે. તેમને ખબર નથી કે તે શું બોલી રહ્યા છે, કોના માટે બોલી રહ્યા છે. આવી વ્યક્તિના કોઈ પણ નિવેદન પર ટિપ્પણી કરતાં મને શરમ આવે છે, એમ તેમણે કહ્યું હતું.

બિહારમાં આજે દિગ્ગજોની સભાઓ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા બિહારમાં અનેક જનસભાઓ કરશે. પીએમ નરેન્દ્ર મોદી મુઝફ્ફરપુર અને સારણ જિલ્લામાં બે સભાઓને સંબોધશે.

રાહુલ ગાંધી નાલંદા અને શેખપુરા જિલ્લામાં સભાઓ સંબોધશે, જ્યારે અમિત શાહની લખિસરાય, મુંગેર, નાલંદા અને પટણા જિલ્લામાં ચાર ચૂંટણી સભાઓ પ્રસ્તાવિત છે. જેપી નડ્ડા બક્સર અને પટના જિલ્લામાં સભાઓ સંબોધશે.

સુવિચાર – ૩૦ ઑક્ટોબર ૨૦૨૫

૩૦ ઑક્ટોબર ૨૦૨૫

કબીરવાણી: સંકલ્પથી સિદ્ધિનો માર્ગ

 

જલ મેં બસૈ કમોદિની, ચંદા બસૈ અકાસ,

 જો હૈ જા કો ભાવતા, સો તાહી કે પાસે.

 

ગુજરાતીમાં કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય.” મનુષ્યમાત્ર વિચારના પ્રવાહમાં સતત તણાતો રહે છે. વિચાર દૃઢ બને છે ત્યારે સંકલ્પ બને છે. સંકલ્પનું પુરુષાર્થ દ્વારા સિદ્ધિમાં રૂપાંતર થાય છે.

કબીરજી આ સાખીમાં ઈચ્છિત ચીજની પ્રાપ્તિનાં બે ઉદાહરણો આપે છે. જેમ કમળનો ઉદ્ભવ કીચડ અને જળમાં થાય છે તેમ તેનું પોષણ પણ જળ દ્વારા જ થાય છે.

કમળ માટે જળ જીવનનો સ્રોત હોય તે તેને પસંદ પડે છે. તેનો નિવાસ જળ – તળાવમાં, સરોવરમાં છે. ચંદ્ર આકાશની શોભા છે. તેની સતત વધઘટ થતી રહે છે પણ અબજો તારાઓના ઝંડ વચ્ચે ચંદ્ર દૈદીપ્યમાન છે. આકાશને અજવાળે છે. ચાંદની રાતની શીતળતા અનોખી છે.

જે વસ્તુમાં આપણે ભાવ રાખીએ છીએ તે પ્રભુ આપણને સુલભ કરાવે તો નિતિ આનંદ થાય. સાખીના શબ્દો જે વર્ણન કરે છે તેની સાથે કબીરજીનો સંદેશો ગર્ભિત છે. ઈશ્વરભક્તિમાં જો ચિત્ત ચોંટે તો તેના દર્શન થાય. તેની સમીપ પહોંચાય. હકીકતે સર્વત્ર ચૈતન્યનો એકાત્મભાવ જન્મે તો કમળ અને ચંદ્રની જેમ આપણે પણ મનપસંદ માહોલમાં એકાકાર થઈએ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પંચાંગ 30/10/2025

CEPT યુનિવર્સિટી દ્વારા UNM ફાઉન્ડેશનના બે પાર્કને શ્રેષ્ઠ ઉદ્યાન એવોર્ડ-2025

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપની સેવાભાવી સંસ્થા UNM ફાઉન્ડેશનની ‘પ્રતિતિ’ પહેલ હેઠળ પુનઃવિકાસિત બે જાહેર ઉદ્યાનોને CEPT યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ ઉદ્યાન 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદના સ્વાતિ બંગલો પાર્ક (1.5 થી 2 એકર શ્રેણી) અને સુકાન પાર્ક (2 થી 2.6 એકર શ્રેણી) એ આ એવોર્ડ જીત્યા છે. શહેરમાં હરિયાળી વિસ્તારોને સંવર્ધન માટે CEPT યુનિવર્સિટીના MLA પ્રોગ્રામ અને ખંડવાલા ક્રિએટિવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ એવોર્ડમાં કુલ 127 ઉદ્યાનોમાંથી મૂલ્યાંકન કરીને 36 પાર્કને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.


અવકાશી ડિઝાઇન, જૈવવિવિધતા, પર્યાવરણીય ગુણવત્તા, વપરાશકર્તાનો અનુભવ અને માળખાગત સુવિધા જેવા પરિમાણોના આધારે બંને ઉદ્યાનો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. CEPT કેમ્પસ ખાતે આયોજિત સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા પર્યાવરણવિદ શ્રી કાર્તિકેય સારાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પાર્કોની જાળવણીમાં પ્રતિબદ્ધ બાગાયત અને સુરક્ષા ટીમોને CEPT દ્વારા તૈયાર કરાયેલ ‘ઓલ-સીઝન ગાર્ડનર્સ કીટ’ ભેટ આપવામાં આવી.


UNM ફાઉન્ડેશનની ‘પ્રતિતિ’ પહેલ ટકાઉ શહેરી હરિયાળી જાળવવા માટે PPP મોડલ હેઠળ બગીચા અને તળાવોનો વિકાસ અને સંભાળ કાર્ય કરે છે. અત્યાર સુધીમાં આશરે 8.44 લાખ ચોરસ મીટર હરિયાળી જગ્યા વિકસાવવામાં આવી છે અને વધુ વિસ્તરણ માટે મહારાષ્ટ્ર સુધી પહેલનો વ્યાપ વધારવાની યોજના છે.


શહેરના પર્યાવરણ અને સામુદાયિક જીવનને સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતાને CEPT તથા જ્યુરી દ્વારા મળેલ આ માન્યતાએ વધુ પ્રેરણા પૂરી પાડી છે.

ભારત-રશિયા વચ્ચે કરાર: દેશમાં બનશે SJ-100 પેસેન્જર વિમાન

બેંગલુરુ/મોસ્કો: ભારત અને રશિયા વચ્ચે વધતા વ્યૂહાત્મક સંબંધોની નવી કડી તરીકે, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) વચ્ચે 27 ઓક્ટોબર, 2025ના રોજ મોસ્કોમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ ભારતમાં SJ-100 નામના રશિયન ડિઝાઇનના ટ્વિન-એન્જિન નેરો-બોડી પેસેન્જર વિમાનનું ઉત્પાદન થશે. આ ભારત માટે નાગરિક વિમાન ઉત્પાદનની દિશામાં મહત્વનું પગલું છે, જે 1988માં AVRO HS-748 પ્રોજેક્ટના અંત પછી પ્રથમ વખત સંપૂર્ણ વિમાનનું ઉત્પાદન શરૂ કરશે.

SJ-100 વિમાન વિશે માહિતી

  • ડિઝાઇન અને ક્ષમતા: SJ-100 (પહેલાં Sukhoi Superjet 100 તરીકે ઓળખાતું) એક રિજનલ જેટ છે. જે 100થી 103 મુસાફરોને લઈ જઈ શકે છે. તેની ફ્લાઇટ રેન્જ 3,530 કિલોમીટર છે અને તે ટૂંકા અંતરની ઉડાનો માટે આદર્શ છે. આ વિમાન -55 ડિગ્રીથી +45 ડિગ્રી સુધીના તાપમાનમાં કામ કરી શકે છે, જે તેને વિવિધ વાતાવરણ માટે યોગ્ય બનાવે છે. વિશ્વભરમાં 200થી વધુ SJ-100 વિમાન 16થી વધુ એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાય રહ્યા છે.
  • ભારતીય સંદર્ભ: HALને આ વિમાનના ભારતીય ગ્રાહકો માટે ઉત્પાદનના અધિકાર મળશે. તે UDAN (ઉડાન) યોજના હેઠળ ટૂંકા અંતરના હવાઈ કનેક્ટિવિટીને વેગ આપશે, જે નાના શહેરો અને કસ્બાઓને હવાઈ મુસાફરી સુલભ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ભારતમાં આગામી દાયકામાં 200થી વધુ જેટની જરૂરિયાત છે, જેમાં આ વિમાન મહત્વની ભૂમિકા ભજવશે.

કરારનું મહત્વ

  • આત્મનિર્ભર ભારત: HALના અનુસાર, આ કરાર નાગરિક વિમાન ક્ષેત્રમાં ‘આત્મનિર્ભર ભારત’નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે. તે ઘરઆંગણાના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, ખાનગી ક્ષેત્રને આકર્ષિત કરશે અને હવાઈ ઉદ્યોગમાં સીધા-પરોક્ષ રોજગારોનું સર્જન કરશે.
  • ઐતિહાસિક સંદર્ભ: 1961થી 1988 સુધી ચાલેલા AVRO HS-748 પ્રોજેક્ટ પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં સંપૂર્ણ પેસેન્જર વિમાન બનશે. હાલમાં ભારતનું વ્યાવસાયિક વિમાન બેઝ Boeing અને Airbus પર આધારિત છે, જે વૈશ્વિક બજારના 90%થી વધુ ભાગ ધરાવે છે.
  • ભારત-રશિયા સંબંધ: આ કરાર બંને દેશો વચ્ચેના લાંબા સમયના સહયોગને મજબૂત કરે છે. જો કે, UAC અમેરિકા, યુરોપિયન યુનિયન અને બ્રિટનની સંક્રમણો હેઠળ છે. જે ઉડાન ઉત્પાદનમાં પશ્ચિમી ભાગોની અછતને કારણે પડકારો ઉભા કરી શકે છે. રશિયા હવે માત્ર રશિયન ભાગો વાપરીને વિમાન વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમાં વિલંબ થઈ રહ્યા છે.

ભવિષ્યની શક્યતાઓ

આ MoU હેઠળ ટેક્નોલોજી ટ્રાન્સફર અને રોકાણની વિગતો હજુ સ્પષ્ટ નથી. પરંતુ તે ભારતને વૈશ્વિક એરોસ્પેસ ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને નાગરિક વિમાન ક્ષેત્ર માટે ‘લેન્ડમાર્ક’ પગલું ગણાવ્યું છે. આ કરારથી ભારતના હવાઈ બંદરોની સંખ્યા 2047 સુધીમાં 350 સુધી વધારવાના લક્ષ્યને પણ પુષ્ટિ મળશે.

કલાકારોની નજરે સરદાર

અમદાવાદ: સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ રહી છે. એવા સમયે છેલ્લા શ્વાસ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ જે સંસ્થાના પ્રમુખ હતા એ નવજીવન ટ્રસ્ટ માટે બેવડા હરખની ક્ષણ છે. ૩૧ ઑક્ટોબર ૧૯૫૦ના રોજ નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું‌. નવજીવનના આ ઐતિહાસિક ભવને ગૌરવવંતાં ૭૫ વર્ષ પૂર્ણ કર્યાં છે. નવજીવન ટ્રસ્ટના આંગણામાં આવેલા આર્ટિસ્ટ સ્ટુડિયોમાં કલાસાધના કરતા આર્ટિસ્ટ મિત્રો દ્વારા સરદાર માટે એક અનોખું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.આર્ટિસ્ટ સંવેદના વૈશ્ય ચિત્રલેખા.કોમને કહે છે, “આ પ્રદર્શનનો મુખ્ય વિષય છે: ‘દેશ, ગુજરાત અને નવજીવન સાથેનો સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ.’ બીજા શબ્દોમાં કહી શકાય કે સરદારનો ઋણાનુબંધ.”

આ આર્ટ એક્ઝિબિશન સરદારની ૧૫૦મી જન્મજયંતી અને નવજીવન ટ્રસ્ટ ભવનના ૭૫ વર્ષના સંગમને વંદન કરે છે. નવજીવન પરિવાર સાથે જોડાયેલા આ આર્ટિસ્ટ મિત્રો કળાના માધ્યમથી ભવ્ય ભૂતકાળનું પુણ્યસ્મરણ કરી સરદારને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.સંવેદના વધુમાં કહે છે, “મેં ગાંધીજી પર ઘણું કામ કર્યું. પણ જ્યારે સરદાર પર કામ કરવાનો અવસર આવ્યો ત્યારે એમને વાંચ્યા. વલ્લભભાઈ પટેલને વાંચ્યા પછી ખબર પડી કે એ ખરેખર સરદાર હતા. આ સાથે લોખંડી પુરુષ હતા જેમણે આ મહાન દેશમાં રજવાડાને ભેળવ્યા. એમને ભારત રત્ન બહુ જ પહેલા મળવા જેવો હતો. આ પ્રદર્શનમાં ભારત રત્નની કૃતિ અને સરદારનું વિશાળ પોર્ટ્રેટ તેયાર કરવાનો અવસર મને મળ્યો.”ગાંધીજીનું માનસ સંતાન એવા નવજીવનની આ ઇમારતે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા. પણ એની શુભ શરૂઆત ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ થઈ હતી. ગાંધીજીના માર્ગદર્શનમાં ‘નવજીવન’ સાપ્તાહિકનો પ્રથમ અંક પ્રગટ થયેલો. એ પછી દસ વર્ષ બાદ ઈ.સ. ૧૯૨૯માં ગાંધીજીએ કાગળ પર નવજીવન ટ્રસ્ટની રચના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલને ટ્રસ્ટના પ્રમુખ પદે નીમ્યા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી સરદાર નવજીવનની ધુરા સંભાળી હતી. છેલ્લાં ૧૦૬ વર્ષથી નવજીવન માત્ર એક પ્રકાશન સંસ્થા નથી રહી. ગાંધીજીના વિચારોને જીવંત રાખી નવી પેઢી સુધી આ વારસાને પહોંચાડવા અલગ-અલગ સ્વરૂપમાં નવજીવન સક્રિય રહી છે.ભારતના ભવ્ય ભૂતકાળ અને સુરક્ષિત વર્તમાનમાં સરદારની ભૂમિકા એ આ પ્રદર્શનનું મુખ્ય હાર્દ છે. આ દરેક કલાકૃતિમાં સરદારનું વ્યક્તિત્વ છલકાય છે. ભારત દેશ, અમદાવાદ શહેર અને નવજીવન સંસ્થામાં સરદારનું જે પ્રદાન છે એ દરેક પ્રસંગને અહીં ભાવાંજલિ આપવાનો પ્રયાસ થયો છે. આ પ્રદર્શન પુરાવો છે કે ઇમારતો, પુસ્તકો અને દસ્તાવેજો પૂરતું સરદારનું જીવન અને કાર્ય સીમિત નથી. અખંડ ભારતના શિલ્પી, કુશળ લોકનાયક અને વિચારવંત સેવક તરીકે સરદાર દરેક પેઢી સુધી પહોંચતું પ્રેરણાનું અજવાળું છે.

આ પ્રદર્શનમાં કુલ 15 કલાકારોએ ભાગ લીધો છે. જેમાં અવની વરિઆ, ભારવી ત્રિવેદી, દીપ્તિ શુક્લ, ગોપાલ પરમાર, જયેશ શુક્લ, જીગ્ના ગૌદાના, બંસિધર ખત્રી, મહેન્દ્ર મિસ્ત્રી, મિલન દેસાઈ, નિલેશ સુથાર, રાકેશ પટેલ, રોમા પટેલ, રોનક સોપારીવાલા, સંવેદના વૈશ્ય અને સુમેધ કુમાર કિશનનો સમાવેશ થાય છે. નવજીવન ટ્રસ્ટમાં રેઝોનન્સ – સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય.. પ્રદર્શન 31 ઓક્ટોબર 2025ના રોજ અમિત અંબાલાલના હસ્તે ખુલ્લું મુકાયા બાદ તા 15 ડિસેમ્બર,2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન જોઈ શકાશે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

GSPCએ કતાર એનર્જી સાથે LNG સપ્લાયનો કરાર કર્યો

ગાંધીનગરઃ  ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ (GSPCએ) કતાર એનર્જી  સાથે 17 વર્ષના સેલ્સ એન્ડ પર્ચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા છે, જેના અંતર્ગત દર વર્ષે એક મિલિયન ટન સુધી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો સપ્લાય કરવામાં આવશે. આ કરાર મુજબ LNGનું વોલ્યુમ 2026થી એક્સ-શિપ પદ્ધતિથી પહોંચાડવામાં આવશે.

કંપનીની આ વ્યૂહરચનાને મજબૂત બનાવવાનો આ કરાર સ્પર્ધાત્મક LNG  લાંબા ગાળે સુરક્ષિત કરવાનું મહત્વપૂર્ણ પગલું છે, જે ગુજરાત તેમ જ દેશમાં વધતા કુદરતી ગેસના માગ-પુરવઠા અંતરને પૂરું પાડવામાં મદદરૂપ થશે. કતાર એનર્જી સાથેની ભાગીદારી GSPCના લાંબા ગાળાના પોર્ટફોલિયોને મજબૂત કરીને ભારતમાં ગેસ ટ્રેડિંગ ક્ષેત્રમાં અગ્રણી શક્તિ તરીકે ઊભરી આવવાના અમારા દ્રષ્ટિકોણને આગળ ધપાવે છે,  એમ આ પ્રસંગે કંપનીના MD મિલિંદ તોરાવણે જણાવ્યું હતું.

વિશ્વની સૌથી મોટી અને વિશ્વસનીય LNG સપ્લાયર પૈકીની એક કતાર એનર્જી સાથેનો સહકાર કંપનીની ગેસ સેક્ટરમાં હાજરીને વધુ મજબૂત બનાવશે, જેથી વિશ્વસનીય LNG સપ્લાય પ્રાપ્ત કરવામાં અને ગેસ વેલ્યુ ચેઇનમાં પોતાની હાજરી મજબૂત કરવામાં સહાય મળશે.

આ કરાર કંપનીના પોર્ટફોલિયો અને ઓપરેશનલ ક્ષમતાઓમાં વધુ વધારો કરશે, કારણ કે ગ્રુપના વિશાળ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.