Home Blog Page 4961

તાલિબાન સાથે શાંતિ કરાર એ શું અમેરિકાની પીછેહઠ છે?

નવી દિલ્હીઃ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે આગામી 14 મહિનામાં આ કરાર હેઠળ અમેરિકી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવામાં આવશે. આટલું જ નહીં, અમેરિકાના સાથી દેશો પણ પોતાના સૈનિકોને પાછા ખેંચી લેશે. પણ પોતાનાં પાછલા 18 વર્ષથી જારી રહેલા વિશ્વના સૌથી મોંઘા અને ખતરનાક યુદ્ધમાં 10,000 લોકો માર્યા ગયા છે અને લાખ્ખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. તાલિબાન સાથે થનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન, અમેરિકા, ભારત અને પાકિસ્તાન સહિત સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના પ્રતિનિધિઓ દોહા પહોંચ્યા હતા.

તાલિબાન સાથેની શાંતિ સમજૂતી અમેરિકા માટે મજબૂરી કે નવી વ્યૂહરચના

પાછલા ત્રણ સૈકાઓમાં ત્રીજી વાર એવું છે કે કોઈ મોટા દેશને અફઘાનિસ્તાન છોડવું પડ્યું હો. 18મી સદીમાં બ્રિટને અફઘાનિસ્તાનમાંથી જવું પડ્યું હતું. ત્યાર બાદ 19મી સદીમાં સોવિયેત સંઘે વર્ષ 1979માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો પણ એણે ભારે નુકસાન ખમવું પડ્યું હતું અને 1989માં એફઘાનિસ્તાનમાંથી ભાગવું પડ્યું હતું. ત્યાર બાદ અલ કાયદાના આંતકવાદીઓએ 11 સપ્ટેમ્બર, 2001 ચાર એરક્રાફ્ટ હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બિલ્ડિંગ અને પેન્ટાગોન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3000 લોકો માર્યા ગયા હતા.

અફઘાનિસ્તાન પર હુમલો કરી અમેરિકા ફસાઈ ગયું

અલ કાયદાથી હુમલાનો બદલો લેવા માટે અમેરિકા અને તેના સાથી નાટો દેશો સાત ઓક્ટોબર, 2001એ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. આ ભીષણ યુદ્ધમાં અમેરિકાને આંશિક સફળતા જ મળી. તાલિબાન સાથે યુદ્ધમાં અમેરિકાને 750 અબજ ડોલરથી વધુનો ખર્ચ થયો. આ યુદ્ધમાં 10,000 લોકોનાં મોત થયાં. આ યુદ્ધમાં અમેરિકાના 2400  સૈનિકોનાં મોત થયાં છે અને 20,000થી વધુ સૈનિકો ઘાયલ થયા છે. હાલ અફઘાનિસ્તાનમાં 13,000 અમેરિકી સૈનિક છે.

ઇરાન અને અમેરિકી ચૂંટણી પર ટ્રમ્પની નજર

આંતરાષ્ટ્રીય મામલાઓના નિષ્ણાત કમર આગાએ કહ્યું હતું કે તાલિબાન સાથે ડીલ કરીને ટ્રમ્પ એક તીરથી બે શિકાર કરી રહ્યા છે. ટ્રમ્પના નિશાને હાલ ઇરાન છે. અમેરિકા ઇરાનમાં સત્તા પરિવર્તન ઇચ્છે છે, પણ અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર એમાં સહકાર નથી આપતી. બીજી બાજુ અબજો ડોલર ખર્ચા બાદ અને અનેક સૈનિકોના બલિદાન પછી પણ અમેરિકાને લાભ ના થતાં તાલિબાનથી શાંતિ સમજૂતી કરવી પડી. જેથી સૈનિકોને ચૂંટણી પહેલાં ઘેર મોકલીને ટ્રમ્પ અમેરિકનવાસીઓનું દિલ જીતવા માગે છે.

ભારત પર તાલિબાન કરારની અસર

તેઓ કહે છે અફઘાનિસ્તાનમાં શાંતિ કરારમાં ભારત ભલે એક મહત્ત્વનો પક્ષકાર હોય, પણ એનાથી ભારતનું સંકટ ઘેરાયું છે. તાલિબાનનની સાથે પાકિસ્તાનના સારા સંબંધ છે. આ ડીલ પછી પાકિસ્તાન પોતાની આતંકવાદી શિબિરો અફઘનિસ્તાન શિફ્ટ કરી દેશે. જેથી એ FATAના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળી જશે. આ સિવાય તાલિબાની અફઘાનિસ્તાન પર કબજો કરીને કાશ્મીર બાજુ વળશે.

 

શા માટે ડોભાલને તોફાનો શાંત કરાવવા દોડાવાયા?

જિત ડોભાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેમનું મુખ્ય કામ ટોચની કક્ષાએ દેશની સુરક્ષાની બાબતમાં વડા પ્રધાનને સલાહ આપવાનું છે. આ કાર્ય માટે તેઓ નિષ્ણાત પણ છે, કેમ કે તેમણે ગુપ્તચર તંત્રમાં, સંરક્ષણ તંત્રમાં, પોલીસ તંત્રમાં બહુ મોકાની જગ્યાએ કામ કરેલું છે. તેઓ માત્ર દેશમાં આંતરિક રીતે જ નહિ, પડોશી દેશોમાંથી જ નહિ, પરંતુ વિદેશમાં કોઈ પણ જગ્યાએ ભારતના હિતોને નુકસાન થાય તેવી હલચલને જાણી શકે અને તેની સામે સરકારને સાવધ કરી શકે તે માટેની કુશળતા ધરાવે છે.

તેનો અર્થ એ થયો કે દેશની રાજધાની દિલ્હીમાં અચાનક તોફાનો ફાટી નીકળ્યા અને પોલીસ ‘જોતી જ રહી ગઈ’ અને મોટી સંખ્યામાં નુકસાન થયું તે પછી તેને ઝડપથી કાબૂમાં લેવા માટે શું કરી શકાય તેની નિપુણતા તેમનામાં છે. પરંતુ તેમની કામગીરી અને જવાબદારી અત્યારે એ નથી કે તેમણે શહેરમાં ફરીને પોલીસ બરાબર કામ કરતી થાય તે માટે પ્રયાસો કરવા પડે. કાશ્મીરમાં સ્થિતિને સંભાળવા માટે તેમની ક્ષમતાનો ઉપયોગ થાય ત્યાં સુધી બરાબર છે, પણ રોકી શકાય તેવા રખમાણોને દિલ્હી પોલીસની નિષ્ફળતાને કારણે વેગ મળ્યો ત્યારે સ્થિતિ થાળે પાડવા દોભાલને કામે લગાવવા પડ્યા તે સ્થિતિની ગંભીરતા પણ દાખવે છે.

પુરાની દિલ્હી, નવી દિલ્હી સહિતના સમગ્ર દિલ્હી રાજ્યની પોલીસિંગની જવાબદારી કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. ગૃહ મંત્રાલયના જવાબદાર અધિકારીઓને બદલે ડોભાલને કામે લગાવવા પડ્યા, જેથી સ્થિતિ વધારે વણસે નહિ. દિલ્હીના પોલીસ કમિશનરની બદલી પણ તાત્કાલિક કરી દેવામાં આવી, ગૃહ મંત્રાલયમાં બીજી બેઠકો પણ થઈ હતી, ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ વચ્ચે મુલાકાત પણ થઈ હતી, તેમ છતાં સૌથી વધુ સક્રિય ભૂમિકા અજિત ડોભાલની દેખાઈ આવી.તેનું એક કારણ એ પણ છે કે તેઓ આઈપીએસ ઓફિસર રહી ચૂક્યા છે. પોલીસની કામગીરી કેવી રીતે ચાલે છે તેની ડોભાલની સમજણ, ગૃહ મંત્રાલયના આઈએએસ અધિકારીઓ કરતાં ઘણી વધારે છે.

અજિત ડોભાલને દિલ્હીમાં પોલીસ દળ વચ્ચે ફરીને રમખાણોને થાળે પાડતા જોઈને જૂના જમાનાના પત્રકારોને તેમની આઈપીએસ ઓફિસર તરીકેની કામગીરીને યાદ કરી. ધ વીક મેગેઝીને અહેવાલ આપ્યો કે કઈ રીતે છેક 1972માં અજિત ડોભાલે તોફાનોને કાબૂમાં લેવા માટે કામગીરી બજાવી હતી. આ બનાવ કેરળનો છે. અજિત ડોભાલ 1968ની બેચના કેરલ કેડરના આઈપીએસ ઓફિસર તરીકે કેરલ પોલીસમાં જોડાયા હતા. 1972ની શરૂઆતમાં થલાસેરીમાં કોમી રમખાણો થયા હતા અને ત્યારે યુવાન પોલીસ ઓફિસર તરીકે અજિત ડોભાલે કામગીરી બજાવી હતી.

28 ડિસેમ્બર 1971ના રોજ એક ધાર્મિક સરઘસ નીકળ્યું તેના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. તેના કારણે થલાસેલી વિસ્તારમાં ઉગ્રતા વધી ગઈ હતી. સમયસર પગલાં ના લેવાયા અને 1972નું વર્ષ બેઠું તે સાથે હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. તોફાનોમાં એક તરફ આરએસએસના ટેકેદારો હતા અને સામી બાજુ સીપીઆઈ(એમ)ના ટેકેદારો હતો. કે. કરૂણાકરણ તે વખતે ગૃહ પ્રધાન હતા. તેમને લાગ્યું કે કોઈ હોંશિયાર આઈપીએસ અધિકારીને મોકલ્યા સિવાય તોફાનો કાબૂમાં આવશે નહિ.

તેમણે પોતાની રીતે તપાસ કરાવી અને તેમને લાગ્યું કે કોટ્ટાયમમાં કામ કરતા યુવાન આઈપીએસ અજિત ડોભાલને જવાબદારી સોંપવી જોઈએ. અજિત ડોભાલને તાત્કાલિક થલાસેરી મોકલી દેવાયા. તેમણે ત્યાં પહોંચીને તોફાનો થયા હતા તે વિસ્તારની મુલાકાત લીધી. દિલ્હીમાં જે રીતે તેઓ તોફાનો થયા તે વિસ્તારમાં ફર્યા તે રીતે થલાસેરીમાં પણ ફર્યા હતા. ઓફિસમાં બેસી રહેવાને બદલે મેદાનમાં ઉતરવું જરૂરી છે તે પાઠ કદાચ અજિત ડોભાલ કેરલમાં શીખ્યા હતા. કાશ્મીરમાં પણ તેઓ જાતે જુદા જુદા વિસ્તારોમાં ફરતા રહે છે અને સ્થિતિનો તાગ મેળવતા રહે છે. એવું કહેવાય છે કે તેમણે એક જ અઠવાડિયામાં થલાસેરીમાં તોફાનો બંધ કરાવી દીધા હતા. તે વખતે પણ મોકો જોઈને અનેક લોકોએ દુકાનોમાં લૂંટ ચલાવી હતી. ડોભાલે માથાભારે લોકોના ઘરોમાં દરોડા પાડીને લૂંટેલો માલ પકડી પાડ્યો હતો અને શક્ય એટલો માલ વેપારીઓને પાછો અપાવ્યો હતો.

પોલીસ અધિકારી બન્યા તેના ચાર જ વર્ષ પછી મોટા પ્રમાણમાં થયેલા કોમી રમખાણો તેમણે દાબી દીધા, તેના કારણે ઉપરીઓમાં તેમની સારી છાપ પડી હતી. જોકે ડોભાલને કદાચ પોલીસ કરતાંય ગુપ્તચર વિભાગમાં વધારે રસ હતો. તેઓ થોડા મહિના થલાસેરી અને કન્નુર જિલ્લામાં રહ્યા હતા, પણ તે પછી તરત જ તેમની નિમણૂક ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં કરવામાં આવી હતી. ત્યાંથી શરૂ થયેલી તેમની કામગીરી આઈબીમાં યાદગાર બની રહી છે.
તેમની એ કુશળતા સરકારને ત્રાસવાદ સામેના ઓપરેશનમાં તો કામ આવે જ છે, પણ કાશ્મીર અને દિલ્હીના તોફાનોમાં તેમની પોલીસ તરીકેની કામગીરી પણ ઉપયોગી નીવડી છે. ટ્રમ્પની મુલાકાતને કારણે 10,000 પોલીસ બંદોબસ્તમાં હતા. માત્ર 3 હજાર પોલીસ સમગ્ર દિલ્હી માટે હતા ત્યારે ઈશાન દિલ્હીના, યુપીને અડીને આવેલા વિસ્તારોમાં તોફાનો બહુ ઝડપથી ફેલાયા હતા. ટ્રમ્પની મુલાકાત વખતે જ પથ્થરમારો થવા લાગ્યો હતો, પણ 25 તારીખે રાત્રે અને 26 તારીખે હિંસા વધુ ઉગ્ર બની હતી.

પાંચ દિવસની ધમાલ પછી દિલ્હીમાં થોડી શાંતિ દેખાઈ રહી છે અને ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવવા લાગ્યા છે. પ્રારંભમાં સામસામા પથ્થરમારાની ઘટના લાગતી હતી તે બહુ ઝડપથી કોમી રમખાણમાં ફેરવાઈ ગઈ હતી. 26 તારીખે મરણાંક પણ વધવા લાગ્યો હતો. દરેક કોમી રમખાણોમાં થાય છે તે રીતે પોલીસની નિષ્ક્રિયતાના કિસ્સા સામે આવી રહ્યા છે. એ જ રીતે દરેક કોમી રખમાણ વખતે એકબીજાને મદદ કરવાના, એકબીજાને બચાવી લીધાના, પોલીસમાંથી પણ કેટલાકે જીવના જોખમે બજાવી કામગીરીના અને માનવતા કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
તપાસ લાંબી ચાલશે અને લાંબો સમય સામસામી આક્ષેપબાજી ચાલતી રહેશે. કોના નિવેદનો વધારે ઉશ્કેરણીજનક હતા તેની દલીલો પણ થતી રહેશે, પણ જેમણે જીવ ગુમાવ્યા હોય તેમના સ્વજનો માટે આ બધું અર્થહિન હોય છે. રાજકીય આક્ષેપબાજી થશે અને રમખાણો ડામવામાં કોની નિષ્ફળતા તેનું વિશ્લેષણ પણ થતું રહે છે.

ગૃહ પ્રધાન તરીકે દિલ્હીની સુરક્ષાની જવાબદારી જેમની હતી તે અમિત શાહ જાહેરમાં ઓછું દેખાયા અને તેમના નિવેદનો પણ ઓછા આવ્યા છે, પણ તેઓ સંસદમાં શું જવાબ આપશે તેના પર સૌની નજર રહેશે. તેમની જગ્યાએ અજિત ડોભાલ ફરતા રહ્યા અને તેમની ભલામણો પ્રમાણે પોલીસ તંત્રમાં ફેરફારો અને બંદોબસ્તની ચર્ચા પણ ભવિષ્યમાં થતી રહેશે.

જોકે કાશ્મીરની જેમ મોદી સરકારે અજિત ડોભાલની આવડતને અમલમાં મૂકવા માટે જ દિલ્હીમાં તેમને આગળ કર્યા હતા તેવો બચાવ થશે. ભાજપના વર્તુળો તરફથી એ વાત ખાસ કહેવામાં આવી રહી છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંનેએ પરિસ્થિતિ પ્રમાણે જ ડોભાલને જવાબદારી સોંપી છે. રાજકીય નિર્ણયો લેવાનું કામ નેતાઓ તરીકે તેમનું છે, પણ પરિસ્થિતિને ગ્રાઉન્ડ પર સંભાળવા માટે પ્રોફેશનલ્સ જોઈએ, અનુભવી અમલદારો જોઈએ. તે રીતે જ ડોભાલની કામગીરીને ભાજપના વર્તુળોમાં જોવામાં આવી રહી છે. વિપક્ષો મોકો જોઈને ટોચના નેતૃત્ત્વનમાં પરસ્પર વિશ્વાસનો અભાવ અને સરકારનું ખરાબ ના દેખાય તે માટે ડોભાલને મોકલવા પડે છે તેવો આક્ષેપ કરી શકે તેવી સ્થિતિમાં છે.

બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે કાશ્મીરમાં 36 શીખોની હત્યા ત્રાસવાદીઓએ કરી હતી. ભારતમાં કોઈ મોટા દેશના નેતા મુલાકાતે આવે ત્યારે ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધી જાય છે. મોટા હુમલા થાય છે, જેથી દુનિયાનું ધ્યાન ભારતની સ્થિતિ તરફ ખેંચાય. એજ રીતે ટ્રમ્પની મુલાકાત વખતે પણ દિલ્હીમાં રમખાણોને કારણે વિદેશી મીડિયામાં તેને વ્યાપક કવરેજ મળ્યું છે. ભારતે ડિપ્લોમસીને કામે લગાવીને કલમ 370 અને સીએએ જેવા મામલા ભારતના આંતરિક મામલા છે તે બાબતને મક્કમ રીતે રજૂ કરી છે. તેમાં મહદંશે સફળતા પણ મળી છે. કાશ્મીરમાં કરફ્યૂ અને ધરપકડો સહિતના આકરાં પગલાં લેવાં પડ્યાં છે, પણ તેના કારણે ત્યાં તોફાનો અને જાનહાની ટાળી શકાય છે. સરકાર આપખુદ રીતે વર્તે છે તે ટીકા બરાબર છે, પણ મોટા પાયે તોફાનો થાય અને જાનહાની થાય ત્યારે તેને વધારે કવરેજ મળે છે.

પોતાની મુલાકાતના અંતે પત્રકારો સાથેની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે કલમ 370 અને સીએએ માટે સાનુકૂળ પ્રત્યાઘાત આપ્યો હતો. આ બંને ભારતની આંતરિક બાબત તેમણે ગણાવી હતી. તે રીતે ભારતને રાહત થઈ હતી, પણ તેમની મુલાકાત વખતે જ મોટા પાયે તોફાનોથી વિદેશથી આવેલા પત્રકારોનું પણ ધ્યાન ખેંચાયું હતું. તેથી તોફાનો આગળ ના વધે અને ઝડપથી રાજધાનીમાં રાબેતો સ્થાપી શકાય તે સરકારની પ્રાયોરિટી હોવાથી અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના ટોચના હોદ્દાથી દિલ્હી સડકો પર પોલીસની સાથે જ પોલીસ અધિકારી જેવી કામગીરી માટે પણ ઉતારવા પડ્યા છે એમ લાગે છે.

રાશિ ભવિષ્ય 01/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે


 

આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે

પંચાંગ તા. 01/03/2020

દિલ્હીઃ ધર્મને બાજુ પર મૂકી અનેક જિંદગીઓ બચાવનારા કેટલાક લોકો

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોમાં લોકોએ મોતનું તાંડવ જોયું. લોકો એક બીજાનો જીવ લેવા દોડતા હતા આ બધા વચ્ચે કેટલાક લોકો એવા પણ હતા, જેમણે ધર્મને એક બાજુમાં મૂકીને માણસાઈ દેખાડી અને લોકોની મદદે દોડયા. દિલ્હી હિંસાને લઈને એક તરફ રાજનીતિ થઈ રહી છે તો બીજી તરફ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી એવી કહાનીઓ સામે આવી રહી છે જે ઘણુ બધુ કહી જાય છે. એક એવો વર્ગ પણ છે કે, જે નફરતને ભૂલાવીને ભાઈચારો નિભાવવામાં કોઈ કસર નથી છોડતા. અશોકનગર વિસ્તારમાં કેટલાક હિંન્દુઓએ મસ્જિદને હિંસાખોરોથી બચાવવા માટે તેમની સાથે હાથ જોડયા.

મુસ્લિમ પડોશીને બચાવ્યા પ્રેમાકાંતે

પ્રેમાકાંત જણાવે છે કે, શિવ વિહારમાં હિન્દુ-મુસ્લિમો સૌહાર્દ સાથે રહે છે. પણ અહીં ફેલાયેલી હિંસા પછી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પેટ્રોલ બોમ્બથી લોકોના ઘર સળગાવવામાં આવી રહ્યા હતા. આ દરમ્યાન તેમના એક મુસ્લિમ પડોશીના ઘરમાં હિંસાખોરોએ આગ લગાવી દીધી. તેમના મુસ્લિમ પડોશીને બચાવ પ્રેમકાંત પોતે દાઝી ગયા. પ્રેમકાંત કહે છે કે, ભલે દાઝી ગયા પણ તેમના મિત્રની માતાને બચાવવામાં સફળ રહ્યા એ વાતની ખુશી છે.

દિલબર નેગીએ અંતિમ સંસ્કાર માટે મુસ્લિમોની કરી મદદ

પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનું સપનું લઈને 20 વર્ષના દિલબર 6 મહિના પહેલા ઉત્તરાખંડથી દિલ્હી આવ્યા હતા. હિંસાખોરોએ દિલબરને ખરાબરીતે માર માર્યો અને સળગાવી દીધા. દિલબરના શબને ઉત્તરાખંડ લઈ જવા માટે પરિવાર પાસે પૈસા ન હતા તેથી તેમણે દિલબરના અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ કરવાનો નિર્ણય લીધો. તેમના અંતિમ સંસ્કાર માટે પણ અનેક મુસ્લિમોએ આર્થિક મદદ કરી.

ખજૂરી ચોક પહેલા પહેલા લગભગ 100થી વધુ હિંસાખોરોએ બસને ઘેરી હતી. હિંસાખોરોએ બસમાં આગ ચાંપવાની ધમકી આપી અને સાઈડમાં રોકવા કહ્યું. માર્શલ ગુલશન કુમારે ડ્રાઈવરને કહ્યું કે તમે ધીમે ધીમે બસ ચલાવતા રહો અને યૂ-ટર્ન પર લઈ જાઓ. હું આ લોકોને વાતોમાં વ્યસ્ત રાખુ છું. જેવા હિંસાખોરો માર્શલની વાતો સાંભળવામાં રહ્યા ત્યાં સુધીમાં માર્શલ બસને યૂ-ટર્ન કરાવી લીધી અને ત્યાંથી બસને એકદમ સ્પીડે બસને ભગાડતા શાસ્ત્રી પાર્ક રેડ લાઈટ પર લઈ ગયા.

નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા માટે હવાતિયાં મારતા દોષિતો

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે દોષિતો ફાંસીથી બચવા માટે સતત નવા તરકટો કરી રહ્યા છે. ચારેય દોષિતો પૈકી એક અક્ષય ઠાકુર પાસે ફાંસીથી બચવા માટેના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ચૂક્યા છે, આમ છતા પણ તેણે આજે ફરીથી દયા અરજી દાખલ કરી છે. આ અરજીમાં અક્ષયે કહ્યું છે કે, ગત વખતે દયા અરજી પર સુનાવણી દરમિયાન કેસના દરેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ અક્ષયની દયા અરજી પર સોમવારે સુનાવણી કરશે.

ફાંસીની તારીખ ટાળવાની માંગ વાળી દોષિત અક્ષયની અરજી પર તિહાડ જેલ મેનેજમેન્ટને નોટિસ મોકલવામાં આવી છે. કોર્ટે આ મામલે સોમવારે સવારે 10 વાગ્યે સુનાવણી કરવા માટે કહ્યું છે. દોષિતે રાષ્ટ્રપતિ પાસે સંપૂર્ણ દયા અરજી દાખલ કરવાના આધાર પર આ માંગ કરી છે.

અક્ષય ઠાકુરના વકીલ એ.પી.સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઉતાવળમાં અધુરી અરજી દાખલ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું છે કે, ગત વખતની અરજીમાં દોષિત અક્ષયના હસ્તાક્ષર, શપથપત્ર, આર્થિક સ્થિતિ, ક્રિમિનલ રેકોર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો નહોતા એટેચ કરવામાં આવ્યા. ન્યાયહિતમાં અક્ષય ઠાકુરની દયા અરજી પર બીજીવાર સુનાવણી કરવામાં આવે.

અરજીમાં અક્ષયે કહ્યું છે કે, તેની ફાંસીથી તેની પત્ની અને તેનું નાબાલિક બાળક પણ પ્રભાવિત થશે. તેના પરિવારને સામાજીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આમાં તેની પત્નીની કોઈ ભૂલ નથી.

‘ચિત્રલેખા’ સાથે મોરારજી દેસાઈનો એ યાદગાર ઇન્ટરવ્યૂ…

અમદાવાદ: સમગ્ર દેશ આજે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇની જન્મજયંતિ મનાવી રહયો છે અને અનેક અગ્રણીઓએ એમને સોશ્યલ મિડીયા પર શ્રધ્ધાંજલિ પાઠવી યાદ કર્યા છે. મોરારજીભાઈ દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896ના રોજ વલસાડ જિલ્લાના ભદેલી ગામે થયો હતો. એમનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીના રોજ છે એટલે દર ચાર વર્ષે એકવાર આવે છે.

આ 29 ફેબ્રુઆરી 2020ના દિવસે એમની 124મી જન્મજયંતી છે. મોરારજીભાઈએ 1995માં 100માં વરસમાં પ્રવેશ કર્યો ત્યારે ‘ચિત્રલેખા’ ના વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈએ એમનો ઈન્ટવ્યુ કર્યો હતો. આ ઈન્ટરવ્યુ એ એમની જિંદગીનો છેલ્લો ઈન્ટરવ્યુ હતો.

 

બાહોશ, નીડર અને સત્યવક્તા વડાપ્રધાન તરીકે ઈતિહાસમાં અમર થઈ ગયેલા મોરારજીભાઈનું 10 એપ્રિલ 1995ના દિને અવસાન થયું હતું. દેશ હિત એમના માટે સર્વોપરી હતું. દેવાંશુ દેસાઈને આપેલા ઈન્ટરવ્યુમાં એમણે કહ્યું હતુ કે, જાતિવાદ-જ્ઞાતિવાદે તો આપણા દેશનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. હું એમાં માનતો નથી. હું સર્વપ્રથમ ભારતીય છું.

ભારતના ખરા અર્થમાં આ બાહોશ વડાપ્રધાને એમની જિંદગીના છેલ્લા ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું. સાંભળો, દેવાંશુ દેસાઈની આ વિડિયો સ્ટોરીમાં…https://youtu.be/a5LUSqjdDA4

મલેશિયાના નવા વડા પ્રધાન મોહિઉદ્દીન યાસિન

કુઆલા લમ્પુરઃ કાશ્મીર અને નાગરિકતા સંશોધિત કાયદા (CAA)ને લઈને વિવાદિત નિવેદન આપીને ભારત સાથે દુશ્મની લેવાવાળા મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહાતિર મોહમ્મદને મોટો ઝટકો લાગ્યો છે. તેમના સતત પ્રયત્નો છતાં તેમને નવા વડા વડા પ્રધાન નથી બનાવવામાં આવ્યા. રાજભવને મલેશિયાના ભૂતપૂર્વ ગૃહપ્રધાન મોહિઉદ્દીન યાસિનને નવા વડા પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો છે. રાજભવનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોહિઉદ્દીન યાસિન રવિવારે વડા પ્રધાનપદના શપથ લેશે.

મોહિઉદ્દીન યાસિન મલેશિયાના નવા વડા પ્રધાન

વડા પ્રધાનપદથી રાજીનામું આપનારા મહાતિર મોહમ્મદ સતત આ પદ માટે દાવો કરી રહ્યા હતા અને કહેતા હતા કે મારી પાસે વડા પ્રધાન પદ માટે પર્યાપ્ત સંખ્યા છે. જોકે મલેશિયાના રાજાએ તેમના પ્રયત્નો પર પાણી ફેરવતાં નવા વડા પ્રધાન તરીકે મોહિઉદ્દીન યાસિનને નિયુક્ત કર્યા છે.

મહાતિર મોહમ્મદના નિવેદન પર ભારતે વિરોધ નોંધાવ્યો હતો

આ પહેલાં મહાતિરે જે રીતે કાશ્મીર અને નાગરિકતા સંશોધન કાનૂનને લઈને નિવેદન કર્યું હતું કે એ સામે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે કાશ્મીર અને CAA મુદ્દા ભારતના આંતરિક મામલા છે અને એની પર બોલવાનો મલેશિયાના વડા પ્રધાનને કોઈ અધિકાર નથી.

 

કોરોનાએ 500 અમીર લોકોના 444 અરબ ડોલર ડૂબાડ્યાં

નવી દિલ્હીઃ ગયું અઠવાડિયું રોકાણકારો માટે કોઈ ખરાબ સ્વપ્ન જેવું રહ્યું. કેટલાય મોટા-મોટા રોકાણકારોએ લાખો-કરોડો રુપિયા ગુમાવ્યા. અરબપતિઓ માટે પણ આ અઠવાડિયું ખૂબ ખરાબ રહ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસ ફેલાવાના કારણે શેરબજાર નીચું આવ્યું અને દુનિયાભરના 500 સૌથી અમીલ લોકોએ 444 અરબ ડોલર ગુમાવી દીધા. એક રિપોર્ટ અનુસાર Dow Jones Industrial Average માં ગત સપ્તાહે 12 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો. વર્ષ 2008 ના નાણાકીય સંકટ બાદ આ પાંચ દિવસના સત્રમાં મોટો ઘટાડો નોંધાયો. આનાથી રોકાણકારોના કરોડો રુપિયા ડૂબી ગયા.

Bloomberg Billionaires Index અનુસાર દુનિયાના ત્રણ સૌથી અમીર વ્યક્તિઓ જેફ બેજોસ, બિલ ગેટ્સ, અને બર્નાર્ડ અરનાલ્ટને આ સપ્તાહે સૌથી વધારે નુકસાન થયું છે. આ ત્રણેય લોકોની સંપત્તિમાં 30 અરબ ડોલરનો ઘટાડો થયો છે.

વિશ્વના 25મા સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક 9 અરબ ડોલરના નુકસાન સાથે નુકસાનીમાં ચોથા સ્થાન પર છે. તેમની કંપની ટેસ્લાના શેર આ વર્ષની શરુઆતમાં ખૂબ તેજીથી વધ્યા હતા અને તેમાં ઘટડો આવવાથી મસ્કને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમની પાસે 36.3 અબજ ડોલરની સંપત્તિ છે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારી આ વાયરસને પ્રસરતો અટકાવવામાં હજી નિષ્ફળ રહ્યા છે. મોટાભાગના દર્દીઓમાં આ વાયરસના કારણે ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અત્યારસુધી આ બીમારીને પૈડેમિક જાહેર કરી નથી.

ઉત્તર-પૂર્વ દિલ્હીની ‘હવા’ હવે નવી દિલ્હીમાં: મેટ્રો સ્ટેશન પર લાગ્યા નારા

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 42 લોકો મૃત્યુ થયા છે. અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસ પણ આ મામલે હજુ સતર્ક રીતે કામ કરી રહી છે. ત્યારે હવે આ હવા નવી દિલ્હી તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર શનિવારે સવારે કેટલાક યુવકોના એક જૂથે દેશના ગદ્દારોને ગોલી મારોના નારા લગાવ્યા હતા. સામાન્ય દિવસોની માફક સ્ટેશન પર યાત્રીઓની અવર-જવર હતી, તે સમયે સફેદ શર્ટ અને માથા પર રૂમાલ રાખી કેટલાક યુવકો અચાનક દેશના ગદ્દારોને ગોળી મારો…ના નારા લગાવવા લાગ્યા હતા. આ નારા લગાવવામાં આવતા સ્ટેશન પર ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સુરક્ષા દળોએ 6 યુવકોની અટકાયત કરી પોલીસને સોંપી દીધા હતા. તેમની પૂછપરછ ચાલી રહી છે.

મેટ્રો સ્ટેશન પર સૂત્રોચ્ચારનો વિડિયો વાઈરલ થયો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (DMRC)ના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે 10:52 વાગે થઈ હતી. સ્ટેશન પર કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. સ્ટેશન પર એક ટ્રેન રોકાવાની હતી ત્યારે કેટલાક યુવકોએ નારા લગાવવાની શરૂઆત કરી હતી. આ યુવકોએ CAAની તરફેણમાં પણ નારા લગાવ્યા હતા.