Home Blog Page 495

RSS પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએઃ કોંગ્રેસઅધ્યક્ષ ખડગે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ, કારણ કે દેશમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત મોટા ભાગની ગડબડીઓ માટે આ જ સંસ્થા જવાબદાર છે, એમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું હતું કે આ તેમના વ્યક્તિગત વિચારો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના એક નિવેદન અંગે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે મારો વ્યક્તિગત મત છે કે (RSS પર) પ્રતિબંધ લગાવવો જોઈએ.

દેશમાં કાયદો વ્યવસ્થા સંબંધિત મોટા ભાગની ગડબડીઓ માટે RSS અને BJP જવાબદાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખોટાને સાચામાં બદલવામાં માહેર છે. પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી સ્વરૂપની રક્ષાને ધ્યાનમાં રાખીને RSS ને પ્રતિબંધિત કરી હતી. તમે (BJP) દરેક બાબતમાં કોંગ્રેસને દોષ આપો છો, તો તમારા કરતૂત પણ જોઈ લો. સત્યને જેટલું દબાવશો, એટલું જ તે બહાર આવશે, એમ તેમણે કહ્યું હતું.

નેહરુ અને પટેલ વચ્ચે હતા સારા સંબંધો

તેમનું કહેવું હતું કે તેઓ (વડા પ્રધાન અને ભાજપ) હંમેશાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે ઝઘડો બતાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે નેહરુ અને પટેલ વચ્ચેનાં સંબંધો બહુ સારા હતા અને પટેલે નેહરુને જનતાના નેતા ગણાવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું કે સરદાર પટેલ અન્ય રજવાડાંઓ જેવી રીતે આખું કાશ્મીર ભારત સાથે જોડવા માગતા હતા, પરંતુ એ સમયે પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ એવું થવા દીધું નહોતું. સરદાર પટેલ આખા કાશ્મીરનું એકીકરણ કરવા માગતા હતા જેમ તેમણે અન્ય રજવાડાઓ સાથે કર્યું હતું. પરંતુ નેહરુજી એ તેમની ઇચ્છા પૂર્ણ થવા દીધી નહોતી. કાશ્મીરનું વિભાજન થયું, તેને અલગ બંધારણ અને અલગ ધ્વજ આપવામાં આવ્યો અને કોંગ્રેસની આ ભૂલને દેશને દાયકાઓ સુધી ભોગવવી પડી હતી, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષે સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ

અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે. આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. 31 ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે વર્ષ ૨૦૧૪થી ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાનના સંકલ્પ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌને સાથે મળીને એકતાના કાર્યમંત્રને સિદ્ધ કરીને આગળ વધવા મુખ્યમંત્રીએ હાકલ કરી હતી.

ગુજરાતનાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મ જયંતી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે. અધ્યક્ષશ્રીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી.

રોહિત આર્ય કોણ છે? જેણે મુંબઈમાં લોકોને બંધક બનાવ્યા અને પોલીસે કર્યુ એન્કાઉન્ટર

રોહિત આર્ય પુણેના એક સામાજિક કાર્યકર હતો. આર્થિક મુશ્કેલીઓ અને પગાર વગરના કામને કારણે રોહિત ગુસ્સે અને વ્યથિત હતો. રોહિતે મુંબઈના પવઈમાં કેટલાક લોકોને બંધક બનાવીને રાખ્યા હતાં.

મુંબઈમાં 17 બાળકો સહિત 19 લોકોને બંધક બનાવનાર વ્યક્તિની કમાન્ડો અને પોલીસ ટીમે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગુરુવારે બપોરે બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. બંધક બનાવનારનું નામ રોહિત આર્ય હોવાનું બહાર આવ્યું છે. એનડીટીવીના એક અહેવાલ મુજબ પવઈ પોલીસને બપોરે 1:45 વાગ્યે માહિતી મળી હતી કે એક વ્યક્તિ બાળકોને સ્ટુડિયોમાં લલચાવીને બંધક બનાવી રહ્યો છે. આર્ય પાસે એરગન હતી જે નજીકથી ગોળીબાર કરવામાં આવે તો જીવલેણ બની શકે છે. તેણે સ્ટુડિયોની બારીઓ પર સેન્સર લગાવ્યા હતા જેથી બચાવ કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહેલા કોઈપણ વ્યક્તિને શોધી શકાય.

કેવી રીતે માર્યો?

પોલીસ પાછળના દરવાજાથી બિલ્ડિંગમાં પ્રવેશવામાં સફળ રહી. આખરે, તેઓ સ્ટુડિયો સાથે જોડાયેલા વોશરૂમ તરફ ગયા. પોલીસને જોઈને આર્યએ એરગનથી બંધકોમાંથી એકને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ અમોલ વાઘમારેએ બાળકોને બચાવવા માટે આર્ય પર ગોળીબાર કર્યો. છાતીમાં ગોળી વાગવાથી આર્ય પડી ગયો અને બાદમાં તેનું મોત નીપજ્યું. બે પુખ્ત વયના લોકો સહિત તમામ 19 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. આ બધા લોકોએ જણાવ્યું કે રોહિત આર્યએ પોતાનો ઇરાદો જાહેર કરતા પહેલા વેબ સિરીઝ માટે ઓડિશન આપવાના બહાને બધાને સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. તે એરગનથી સજ્જ હતો. પવઈમાં ઘટેલી આ ઘટના ત્રણ કલાક સુધી ચાલી.

રોહિત આર્ય કોણ છે?
રોહિત આર્ય પુણેના કરવેનગર વિસ્તારમાં અમેય એપાર્ટમેન્ટ્સમાં રહેતો હતો. તેના માતા-પિતા કોથરુડના શિવતીર્થ નગરમાં સ્વરાંજલિ એપાર્ટમેન્ટ્સમાં રહેતા હતા. તેણે લગભગ એક વર્ષ પહેલા અમેય એપાર્ટમેન્ટ્સ છોડી દીધું હતું.રોહિત આર્ય અને તેની પત્ની અંજલિ આર્ય ક્યારેક ક્યારેક સ્વરાંજલિ એપાર્ટમેન્ટમાં તેમના માતાપિતાને મળવા જતા હતા. પોલીસે જણાવ્યું હતું કે રોહિત આર્યનો મૃતદેહ સવારે 10 વાગ્યે પોસ્ટમોર્ટમ પછી તેના પરિવારને સોંપવામાં આવશે. અગાઉ જેજે હોસ્પિટલમાં મૃતદેહનો એક્સ-રે લેવામાં આવ્યો હતો. પોલીસે પવઈ સ્ટુડિયોમાંથી એક પિસ્તોલ, પેટ્રોલ, જ્વલનશીલ રબર સોલ્યુશન અને એક લાઇટર જપ્ત કર્યું હતું જ્યાં રોહિત આર્યએ બાળકોને બંધક બનાવ્યા હતા. પવઈ પોલીસે તેની સામે ફોજદારી કાર્યવાહી સંહિતા, 2023ની કલમ 109(1), 140 અને 287 હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી મળેલી વસ્તુઓ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.

બાળકોનું અપહરણ કેમ કરવામાં આવ્યું?

રોહિત આર્ય પુણેનો એક સામાજિક કાર્યકર હતો. નાણાકીય મુશ્કેલીઓને કારણે તે ક્રોધિત અને વ્યથિત હતો. ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી દીપક કેસરકરના કાર્યકાળ દરમિયાન એક પ્રોજેક્ટ માટે ચૂકવણી ન મળવાથી તે નારાજ હતો. રોહિત આર્યએ આરોપ લગાવ્યો હતો કે તેને પ્રોજેક્ટ માટે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ જાન્યુઆરી 2024 થી વરિષ્ઠ અધિકારીઓ તેને ફક્ત ખાતરી આપી રહ્યા હતા. તેને ચૂકવણી કરવામાં આવી ન હતી. ચૂકવણીના અભાવ અને શિક્ષણ અભિયાનમાંથી તેને દૂર કરવાથી હતાશ થઈને, રોહિત આર્ય જુલાઈ-ઓગસ્ટમાં ભૂખ હડતાળ પર પણ ઉતર્યો હતો. ત્યારબાદ કેસરકરે તેમને રૂપિયા 15 લાખની વ્યક્તિગત સહાય માટે બે ચેક આપ્યા હતા, પરંતુ બાકીની રકમ મળી ન હતી. આનાથી હતાશ થઈને રોહિતે બાળકોનું અપહરણ કર્યું.

બાળકોને બંધક બનાવ્યા પછી રોહિતે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો. તેણે કહ્યું, “હું રોહિત આર્ય છું. આત્મહત્યા કરવાને બદલે, મેં એક યોજના હેઠળ કેટલાક બાળકોને બંધક બનાવ્યા છે. મારી ખૂબ જ સરળ માંગણીઓ છે અને હું કેટલાક લોકો સાથે વાત કરવા માંગુ છું. મને આ જવાબો જોઈએ છે. મને બીજું કંઈ જોઈતું નથી. હું આતંકવાદી નથી, કે હું ઘણા પૈસા માંગતો નથી. જો મને સહેજ પણ ઉશ્કેરવામાં આવશે, તો હું આ જગ્યાને આગ લગાવી દઈશ. મને ઉશ્કેરશો નહીં, નહીં તો હું એવી કાર્યવાહી કરીશ જેનાથી બાળકોને નુકસાન થાય.” તેણે વિચાર્યું કે બાળકોને બંધક બનાવવામાં આવતા સરકાર ડરી જશે અને તેને તેના પૈસા મળશે, પરંતુ થયું વિપરીત. બચાવ કામગીરીના ભાગ રૂપે પોલીસ અને કમાન્ડો બિલ્ડિંગના પાછળના ભાગમાં બાથરૂમ દ્વારા સ્ટુડિયોમાં પ્રવેશ્યા. પોલીસને જોઈને, રોહિતે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ ગયો નહીં.

ભારે વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ

છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ શહેર અને ગીરનાર પર્વતમાં વરસાદને કારણે વાતાવરણ ડામાડોળ બન્યું હતું. જેને લઈને પરિક્રમા પર સંકટના વાદળો ઘેરાયા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે આજે ફરી એક વખત વરસાદ આવતાં પરિક્રમાનું આયોજન પૂર્ણ રૂપે કરવું અશક્ય જણાતાં સાધુ-સંતો અને પદાધિકારીઓએ પરિક્રમા માર્ગનું નિરીક્ષણ કરીને આ વખતની પરિક્રમા ભાવિકો માટે સ્થગિત રાખીને માત્ર પરંપરા અને સનાતન ધર્મના મુહૂર્તને સચવાય તે માટે સાધુ-સંતો દ્વારા પ્રતીકાત્મક રૂપે પરિક્રમા કરવાનો નિર્ણય લીધો છે.

પ્રતીકાત્મક રૂપે સંતો જશે માર્ગ પરપાછલા એક અઠવાડિયાથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આ વર્ષે થશે કે નહીં તેને લઈને સ્થિતિ સ્પષ્ટ થતી જોવા મળતી ન હતી. પાછલા દસ દિવસથી જુનાગઢ શહેર, ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં સતત વરસાદ પડી રહ્યો છે, તેને કારણે આ વખતે પરિક્રમાનું આયોજન સંપૂર્ણપણે થઈ શકશે કે કેમ તેના પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. ગઈ કાલ રાતથી ફરી એક વખત જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર વરસાદ થતાં ફરી એક વખત કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. આજે ભવનાથના કેટલાક સાધુ-સંતો અને વન વિભાગ સાથે વહીવટી તંત્રના અધિકારીઓએ જે રૂટ પર પરિક્રમા થવાની હતી તેનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ પરિક્રમા તમામ પ્રકારના ભાવિકો માટે આ વખતે સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અધિકારિક નિર્ણયની જાહેરાત આજે બપોર બાદ જિલ્લા કલેક્ટર પત્રકાર પરિષદ યોજીને કરી રહ્યા છે.

તેલંગાણા મંત્રીમંડળમાં અઝરુદ્દીનને સામેલ કરવા પર વિવાદ

હૈદરાબાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીનને તેલંગાણા કેબિનેટમાં સામેલ કરવાની પ્રસ્તાવનાએ રાજ્યના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. મુખ્ય મંત્રી એ. રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની સરકારે આજે બપોરે અઝરુદ્દીનને સત્તાવાર રીતે મંત્રી તરીકે શપથ લેવડાવવાની તૈયારી કરી હતી, પરંતુ ભાજપે તેનો આકરો વાંધો ઉઠાવી તેને જુબલી હિલ્સ વિધાનસભા ઉપચૂંટણી સાથે જોડ્યો છે. ભાજપે  સીધા મુખ્ય ચૂંટણી અધિકારીને મળીને શપથવિધિ અટકાવવાની માગ કરી છે.

અઝરુદ્દીનને સામેલ કરવા પર ભાજપનો વાંધો શો?

રાજભવન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્મા આજે સવારે રાજભવનમાં મુખ્ય મંત્રી અને અન્ય કેબિનેટ સહયોગીઓની હાજરીમાં અઝરુદ્દીનને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે, પરંતુ જુબલી હિલ્સ વિધાનસભા બેઠક પર 11 નવેમ્બરની ઉપચૂંટણી પહેલાં અઝરુદ્દીનને કેબિનેટમાં સામેલ કરવાની પ્રસ્તાવના પર BJPએ ‘મોડેલ કોડ ઓફ કંડક્ટ’ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

ભાજપની ચૂંટણી પંચ સંબંધિત સમિતિના અધ્યક્ષ મરી શશિધર રેડ્ડી મુખ્ય ચૂંટણી અધિકારી સી. સુદર્શન રેડ્ડીને મળી શપથવિધિ રોકવાની વિનંતી કરી હતી. તેમણે દલીલ કરી કે મંત્રીમંડળમાં અઝરુદ્દીનની નિમણૂક જુબલી હિલ્સ ઉપચૂંટણીમાં ‘એક વિશેષ વર્ગના મતદાતાઓને લલચાવવાનો પ્રયત્ન’ છે. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ક્રિકેટર સ્વયં જુબલી હિલ્સના મતદાર છે અને 2023ની ચૂંટણીમાં તેઓ એ જ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હતા. ભાજપ નેતાએ તેને કોંગ્રેસની ‘દુર્ભાવનાપૂર્ણ ઇરાદો’ ગણાવ્યો હતો.

ભાજપ અલ્પસંખ્યક નેતાને નિશાન બનાવી રહી છે: કોંગ્રેસનો પ્રત્યાઘાત

ભાજપના આક્ષેપો પર કોંગ્રેસે પણ કડક પ્રતિક્રિયા આપી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ભોંગીરથી સાંસદ ચામલા કિરણકુમાર રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે એક મહત્વપૂર્ણ અલ્પસંખ્યક નેતાને કેબિનેટમાં આવતા સહન નથી કરી શકતો. તેમણે ભાજપ પર જુબલી હિલ્સમાં ‘સાંપ્રદાયિક ભાવનાઓ ઉશ્કેરવાના’ તથા વિભાજનકારી રાજકારણના આરોપો લગાવ્યા.


કોંગ્રેસે BJPના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર પણ હુમલો કર્યો હતો. પ્રવક્તાએ દાવો કર્યો કે ભાજપ અને BRS મળીને ‘ગુપ્ત સમજૂતી’ દ્વારા કોંગ્રેસને તેના ધર્મનિરપેક્ષ આધારને મજબૂત બનાવવા રોકવાની ‘સંયુક્ત કાવતરું’ કરી રહ્યા છે.

 

રાષ્ટ્રીય એકતા દિવસે CM ભૂપેન્દ્ર પટેલે ‘યુનિટી માર્ચ’ને કરાવ્યું પ્રસ્થાન

CM ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર@150 યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા. મુખ્યમંત્રીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. સરદારસાહેબની આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે.સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 370 દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાને પ્રદેશો અને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રચના કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે, આજે આયોજિત ‘યુનિટી માર્ચ’ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર થકી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ છે.

ભારત–અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારનો ઐતિહાસિક સોદો

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના ડિફેંસ સેક્રેટરી પીટ હેગસેથએ શુક્રવારે ક્વાલાલંપુરમાં અમેરિકા–ભારત મહત્વપૂર્ણ રક્ષા ભાગીદારીની રૂપરેખા પર કરારનું આદાન–પ્રદાન કર્યું હતું, જેને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંરક્ષણ સહકારને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.

આ ઘટના ત્યારે બની છે જ્યારે અમેરિકાએ ભારત સાથે 10 વર્ષના સંરક્ષણ ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે બંને દેશોમાં વધતી વ્યૂહાત્મક નજીકતાને દર્શાવે છે. આ ઘટના અંગે જાહેરાત કરતાં અમેરિકાના ડિફેંસ સેક્રેટરી પીટ હેગસેથે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો પહેલાં ક્યારેય આટલા મજબૂત નથી રહ્યા.

હેગસેથે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી અને નવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ કરાર ભારત–અમેરિકા સંરક્ષણ ભાગીદારીને આગળ વધારશે અને તેને પ્રાદેશિક સ્થિરતા અને નિર્વારણનો આધારસ્તંભ જણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે અમે આપણા સમન્વય, માહિતી વહેંચણી અને ટેકનોલોજિકલ સહકારને વધારી રહ્યા છીએ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ 10 વર્ષના કરાર પર હસ્તાક્ષરની પુષ્ટિ કરી અને હેગસેથ સાથેની બેઠકને ફળદાયી ગણાવી.

તેમણે X પરની પોસ્ટમાં લખ્યું હતું કે ક્વાલાલંપુરમાં મારા અમેરિકન સમકક્ષ પીટર હેગસેથ સાથે એક ઉપયોગી બેઠક થઈ હતી અમે 10 વર્ષીય ‘અમેરિકા–ભારત મહત્વપૂર્ણ રક્ષા ભાગીદારીની રૂપરેખા’ પર હસ્તાક્ષર કર્યા છે. આ અમારી પહેલેથી જ મજબૂત રક્ષા ભાગીદારીમાં એક નવા યુગની શરૂઆત કરશે. સિંહે આગળ જણાવ્યું હતું કે સંરક્ષણ ફ્રેમવર્ક ભારત–અમેરિકા રક્ષા સંબંધોના સમગ્ર પરિમાણને નીતિગત દિશા પ્રદાન કરશે.

 

કોણ છે જેમિમા રોડ્રિગ્સ? જેણે મહિલા વર્લ્ડ કપમાં સર્જ્યો ઈતિહાસ

ભારતીય મહિલા ટીમ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામે 339 રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરી ટીમ આ જીતની સ્ટાર બની હતી, જેમાં જેમિમા રોડ્રિગ્સે 14 ચોગ્ગાની મદદથી 127 રન બનાવ્યા હતા.

18 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરવું એ દરેક ક્રિકેટર માટે શક્ય નથી. રાષ્ટ્રીય ટીમ માટે રમવું એ એક વાત છે. ટીમમાંથી બહાર થઈને પાછા ફરવું એ કોઈ સરળ સિદ્ધિ નથી. સૌથી પડકારજનક બાબત એ છે કે એવી ઇનિંગ્સ રમવી જે તમને ઇતિહાસમાં અમર બનાવી દે, ભલે તમે ભારે માનસિક દબાણમાં હોવ. ટીમમાં તમારું સ્થાન હજુ સુધી નિશ્ચિત નથી, અને તમને ખબર પણ નથી કે તમે કયા સ્થાન પર બેટિંગ કરશો. હા, અમે જેમિમા રોડ્રિગ્ઝ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સદી ફટકારી હતી. એ જ જેમીમા જેણે ટીમ ઇન્ડિયાને અંત સુધી એક સાથે રાખી હતી, ઓસ્ટ્રેલિયાને નવ બોલ બાકી રહેતા 339 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. જેમિમાએ 134 બોલમાં 14 ચોગ્ગા સાથે અણનમ 127 રન બનાવ્યા.

જેમીમા રોડ્રિગ્સ માટે, ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનો સંઘર્ષ છેલ્લા કેટલાક સમયથી આવો જ રહ્યો છે. જ્યારે તેણીને 2022ના વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી, ત્યારે તે તેના માટે એક રિયાલિટી ચેક હતું. તે તેના માટે એટલું મુશ્કેલ હતું કે તે આખી રાત રડતી રહી. જેમીમાએ પોતે સેમિફાઇનલની મેચ પછીના પ્રેઝેંટેશનમાં આ વાત શેર કરી હતી. પરંતુ તે હાર માની લે તેવી નહોતી. થોડો માનસિક વિરામ લીધા પછી, તે તેના પહેલા પ્રેમ ક્રિકેટમાં પાછી ફરી.

મુંબઈમાં સ્થાનિક કોચ સાથે પ્રેક્ટિસ કરી. મુંબઈના મેદાન પર પરસેવો પાડ્યો. સ્થાનિક સર્કિટ પર સૌથી મજબૂત પુરુષ અને મહિલા બોલરો સાથે પ્રેક્ટિસ કરી અને પરિણામો આપણી સામે છે. જેમિમા કહે છે કે સફળતા તેમને મળે છે જે ક્યારેય હાર માનતા નથી. જેમીમાએ તેની કારકિર્દીમાં ક્યારેય હાર માની નથી. હવે, ઓસ્ટ્રેલિયા સામે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં તેણીએ એક એવી ઇનિંગ રમી છે જે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા માટે અમર રહેશે.

તેના પિતા કોચ છે અને તેની માતા ગાયિકા છે

જેમિમાનો જન્મ 5 સપ્ટેમ્બર, 2000ના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં થયો હતો. તે એક કેથોલિક પરિવારમાંથી આવે છે. તેના પિતા, ઇવાન રોડ્રિગ્સ, મુંબઈની એક સ્કૂલ ક્રિકેટ ટીમના કોચ છે. તેમણે જેમિમાને શરૂઆતની તાલીમ પણ આપી હતી. તેની માતા, લોરી રોડ્રિગ્સ, એક સંગીત શિક્ષક છે, અને જેમિમા એક કુશળ ગિટાર પ્લેયર અને ગાયિકા પણ છે. મેચો પછી, તે ઘણીવાર તેના સાથી ખેલાડીઓ સાથે ગાતી અથવા ગિટાર વગાડતી જોવા મળે છે. જોકે, જેમિમાનો પહેલો પ્રેમ ક્રિકેટ હતો. તેથી, માત્ર 18 વર્ષની ઉંમરે, જેમિમાએ 2018 માં દક્ષિણ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે, તેણીને “બેબી ઓફ ધ સ્ક્વોડ” કહેવામાં આવતી હતી. પરંતુ હવે તે જ “બેબી” એ ઇતિહાસ રચી દીધો છે.

જેમિમા 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં તેના બેટથી ચમકી હતી. જોકે, 2023ના મહિલા T20 વર્લ્ડ કપ પછી તેણીને ટીમમાંથી બહાર કરવામાં આવી હતી. 2024 માં જેમિમા ફરી એકવાર પરત ફરી અને હવે તે ટીમનો મુખ્ય ભાગ છે. જેમિમા પોતાના ક્રિકેટ વિકાસનો શ્રેય ઇંગ્લેન્ડમાં હાલમાં બંધ થયેલી કિયા સુપર લીગ (KSL)ને આપે છે. તે વિદેશી T20 લીગમાં તેનો પહેલો દેખાવ હતો. તે ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન અસાધારણ હતું. તેણીએ 57.28 ની સરેરાશ અને 149.62 ના સ્ટ્રાઇક રેટથી 401 રન બનાવ્યા, જેમાં 58 બોલમાં અણનમ 112 રનનો સમાવેશ થાય છે.

વિદેશમાં એકલા રહેવાથી તેણીને હિંમત મળી

જેમિમાની કારકિર્દીમાં એક મોટો વળાંક આવ્યો જ્યારે તેણીએ ઇંગ્લેન્ડની કિયા સુપર લીગમાં રમવાનું શરૂ કર્યું. વિદેશી T20 લીગમાં આ તેણીનો પહેલો અનુભવ હતો. તે માત્ર 18 વર્ષની હતી અને પહેલી વાર એકલી વિદેશમાં રહી હતી. તેણીને પોતાના કપડાં ધોવા, રસોઈ બનાવવા અને મુસાફરીનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડ્યો. જેમિમા સમજાવે છે, “જ્યારે હું એકલી વિદેશ મુસાફરી કરતી હતી ત્યારે હું માત્ર 18 વર્ષની હતી. મારે મારા કપડાં ધોવાથી લઈને મારું ભોજન જાતે રાંધવા, એપાર્ટમેન્ટમાં રહેવા અને રમતોમાં મુસાફરી કરવા સુધી બધું જ મેનેજ કરવું પડતું હતું. તે અનુભવે મને ઘણો બદલી નાખ્યો, કારણ કે હું ક્યાંય એકલી રહેવાની આદત નહોતી. ભારતીય ટીમમાં પણ, હું ટીમના ‘બાળક’ જેવી હતી. શરૂઆતમાં મને પ્રેમ અને સંભાળ રાખવામાં આવતી હતી, અને હું બધાને જાણતી હતી. જોકે હું ક્યારેક ખૂબ જ એકલતા અનુભવતી હતી, તે મને એક વ્યક્તિ તરીકે ઘણી બદલી નાખે છે અને મને વધુ સ્વતંત્ર બનાવે છે.”

વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતી વખતે જેમિમાને ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ કેપ્ટન મેગ લેનિંગ સાથે રમવાની તક મળી. જેમીમા કહે છે કે,”મેગ પાસેથી, મેં દબાણમાં શાંત રહેવાનું શીખ્યું. જ્યારે કોઈ કેપ્ટન સંયમ જાળવી રાખે છે, ત્યારે આખી ટીમ આત્મવિશ્વાસ મેળવે છે. આ સરળતા અને સંયમ હવે તેની રમતનો એક ભાગ બની ગયો છે. વિકેટ પડી રહી હોય કે રન ઘટી રહ્યા હોય, જેમીમાની આંખોમાં ક્યારેય ગભરાટ દેખાતો નથી, ફક્ત આત્મવિશ્વાસ દેખાય છે.

જેમિમા માને છે કે અલગ અલગ પરિસ્થિતિઓમાં રમવાથી તેમને અનુકૂલન સાધવાથી અને સારું પ્રદર્શન કરવાથી તેનો આત્મવિશ્વાસ વધે છે. તે તેને અલગ અલગ પિચમાં અનુકૂલન સાધવામાં મદદ કરે છે. 2023ના મહિલા T20 વર્લ્ડ કપ પછી જેમિમાને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવી હતી, અને તેણીએ તેને એક મુશ્કેલ અને પડકારજનક ક્ષણ તરીકે વર્ણવ્યું હતું. તેણીએ કહ્યું, “તે સમયે હું મારા શ્રેષ્ઠ ફોર્મમાં નહોતી. પરંતુ જ્યારે મને 2024 ના મહિલા T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવી, ત્યારે મેં ઉપર જોયું અને ભગવાનનો આભાર માન્યો. ગયા વર્ષે, આ જ સમયે, મને ટીમમાંથી બહાર કરવામાં આવી હતી, પરંતુ આ વખતે હું અહીં છું. તેનાથી મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. હું ગમે તે પરિસ્થિતિમાં હોઉં તેના માટે હું ભગવાનનો આભારી છું, અને મારી સફર સરળ નહોતી.”

બિહાર ચૂંટણી: તેજસ્વી પ્રણ બાદ NDAનો સંકલ્પપત્ર જાહેર

પટનાઃ બિહાર ચૂંટણી માટે NDAએ તેનો સંકલ્પપત્ર જાહેર કર્યો છે. આ સંકલ્પપત્રમાં અનેક વચનો કરવામાં આવ્યાં છે. આ પહેલાં મહાગઠબંધને પણ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. તેજસ્વી યાદવે પણ ઘણી મોટી જાહેરાતો કરી છે, જ્યાં રોજગાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

NDAએ તેના સંકલ્પપત્રમાં એક કરોડ નોકરીઓ આપવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની મદદ આપવાની વાત કરવામાં આવી છે. એ સાથે જ એક કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અતિ પછાત વર્ગના વિવિધ વ્યાવસાયિક જૂથો— તાંતી, તતમંજ, નિષાદ, મલ્લાહ, કેવટ, ગંગોટા, બિન્દ, નોનિયા, તેલી, તમોલી, બઢઈ, ધાનુક, લોહાડ, કુંભાર, નાઈ, શિલ્પકાર, ઠઠેરા, માળી, ચંદ્રવંશી, હલવાઈ, કાનૂ, દાંગી, તુરહા, અમત, કેવર્ત, રાજવંશી, ગડેરિયા વગેરેને રૂ. 10 લાખની સહાય આપવામાં આવશે. સંકલ્પપત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ રચાશે, જે આ જાતિઓની સામાજિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરીને સરકારને સશક્તીકરણ માટે ન્યાયસંગત સૂચનો આપશે.

NDAએ જાહેરાત કરી છે કે ‘કર્પૂરી ઠાકુર કિસાન સન્માન નિધિ’ની શરૂઆત કરીને ખેડૂતને દર વર્ષે રૂ. 3000, કુલ રૂ. 9000ની સહાય અપાશે. એગ્રી-ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. એક લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની પણ વાત થઈ છે. આ ઉપરાંત ‘જુબ્બા સહની માછીમાર સહાયતા યોજના’ની શરૂઆતની પણ જાહેરાત થઈ છે. આ યોજનાના હેઠળ દરેક માછીમારને રૂ. 4500 આપવામાં આવશે અને કુલ રકમ રૂ. 9000 રહેશે.

NDAએ જાહેરાત કરી છે કે સરકાર બનશે ત્યારે ‘બિહાર દૂધ મિશન’ની શરૂઆત કરવામાં આવશે. દરેક સ્તરે ચિલિંગ અને પ્રોસેસિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત વચન આપવામાં આવ્યું છે કે સાત એક્સપ્રેસવે, 3600 કિ.મી. રેલ ટ્રેકનું આધુનિકીકરણ કરવામાં આવશે. એ સાથે જ અમૃત ભારત એક્સપ્રેસ અને નેમો રેપિડ રેલ સેવાનું વિસ્તરણ પણ કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય મંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય પ્રધાન અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાન અને HAM (S) ના નેતા જીતન રામ માંઝી, કેન્દ્રીય પ્રધાન અને LJP-રામવિલાસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, RLMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા તથા અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

પંચાંગ 31/10/2025