Home Blog Page 4844

RBIએ વ્યાજદરો જાળવી રાખતાં શેરોમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ

 અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા.

વૈશ્વિક બજારો અને એશિયન બજારોમાં પણ જળવાયેલી તેજીને પગલે સ્થાનિક બજારોમાં પણ તેજીની આગેકૂચ રહી હતી. બીજી બાજુ ચીનમાં પ્રસરેલો કોરોનો વાઇરસની અસર શેરબજારો ઓછી થઈ હતી. નિફ્ટી 50 ઇન્ડેક્સે મહત્ત્વની એવી 12,100ની સપાટી વટાવી હતી. રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે ચાવીરૂપ વ્યાજદરો જાળવી રાખતાં એકોમોડેટિવ વલણ રાખ્યું હતું. જેથી આગામી સમયમાં વ્યાજદરોમાં કાપ મૂકવાના સંકેતો આપ્યા હતા.

રિઝર્વ બેન્કે અપેક્ષા અનુસાર રેપો રેટ 5.15 ટકાએ જાળવી રાખ્યો હતો. બેન્કે રિવર્સ રેપો રેટ 4.9 ટકાના દરે જાળવી રાખ્યો હતો.સ્થાનિક શેરબજારોમાં તેજીવાળાઓએ  પીએસયુ બેન્ક, ઓટો, મિડિયા, મેટલ, ફાઇનાન્શિયલ ફાર્મા અને ખાનગી ભેન્ક શેરોમાં ભારે લેવાલી ચાલુ રાખી હતી. જોકે  એફએમસીજી અને આઇટી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીનું વલણ હતું.

 

 

શાહીનબાગમાં નવજાતનું મોતઃ 10 વર્ષની બાળકીએ માંગી “સુપ્રીમ” મદદ

નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ગત દિવસોમાં 4 મહિનાના એક નવજાત બાળકના મોતને લઈને 10 વર્ષની બાળકીએ સીજેઆઈને પત્ર લખીને મદદ માંગી છે.

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર જીતનારી 10 વર્ષની બાળકી જેન ગુણારત્ન સદાવર્તેએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. જેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને મદદ માંગી છે કે, આ પ્રકારના ધરણા પ્રદર્શનમાં બાળકોને ન જોડવામાં આવે. આને લઈને સુપ્રીમ કોર્ટ ગાઈડ લાઈન જાહેર કરે.

ઉલ્લેખનીય છે કે, જેન ગુણારત્ન સદાવર્તે એક બહાદૂર બાળકી છે. જેનને આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. જેનને મુંબઈના ક્રિસ્ટલ ટાવરમાં લાગેલી આગમાંથી 17 લોકોના જીવ બચાવવા માટે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.જેને સ્કૂલમાં દુર્ઘટનાના સમયે કયા પ્રકારે પગલા લેવા તે શીખ્યું હતું. જ્યારે ક્રિસ્ટલ ટાવરમાં આગ લાગી હતી ત્યારે 10 વર્ષની બાળકીએ પોતાની હિંમત અને સૂઝબૂઝથી કામ કરીને ક્રિસ્ટલ ટાવરની આગથી 17 લોકોના જીવ બચાવ્યા હતા.

ગાંધીનગર: ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં વિજેતા નાટકોનો નાટ્યોત્સવ…

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા-ર૦ર૦ના વિજેતા નાટકોનો નાટ્યોત્સવ યોજાઇ રહ્યો છે. બુધવારે સાંજે પ્રથમ નાટક ‘કુમારની અગાશી’ના મંચનથી નાટ્યોત્સવનો શાનદાર શુભારંભ થયો હતો. ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા છેલ્લા ૧૪ વર્ષથી યોજાઇ રહી છે. ત્રિ-અંકી ફૂલલેન્થ નાટકોની આ એકમાત્ર સ્પર્ધાએ નાટ્ય રસિકોમાં આગવું આકર્ષ ઉભું કર્યું છે. તાજેતરમાં મુંબઇમાં સંપન્ન થયેલી આ સ્પર્ધાના પ્રથમ ત્રણવિજેતા નાટકો ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ગાંધીનગરમાં ભજવાઇ રહ્યા છે.

ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, જાણીતા નાટ્યલેખક પ્રવિણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના વ્યવસ્થાપક લલિતભાઈ શાહ, કો-ઓર્ડીનેટર રમાકાન્તભાઈ ભગત, જાણિતા લેખક મધુ રાય, કવિ-સર્જક ભાગ્યેશભાઈ જહા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સચિવ જયોતિષભાઈ ભટ્ટે દીપ પ્રગટાવીને નાટ્યોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી યોજાઇ રહેલા નાટ્યોત્સવના શુભમારંભે ગુજરાતી નાટકોના જાણીતા લેખક પ્રવિણભાઈ સોલંકીએ ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાની સમગ્ર પ્રક્રિયા જણાવતાં કહ્યું હતું કે, ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાએ ગુજરાતી રંગભૂમિને ઘણા સિદ્ધહસ્ત અભિનેતા-દિગ્દર્શકો અને કસબીઓ આપ્યા છે. પ્રેક્ષકોને માણવા પણ ગમે એવા આ નાટકો વ્યવસાયિક અને પ્રયોગશીલ રંગભૂમિના અદ્દભૂત સંમિશ્રણ જેવાં છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના પ્રેક્ષકો પ્રયોગશીલ નાટકોને પણ મન ભરીને માણી રહ્યા છે. ફોરમના રજતજયંતી વર્ષની આછેરી ઝલક આપતાં તેમણે કહ્યું કે, પ્રસન્નતાના આ પચ્ચીસમાં વર્ષ દરમ્યાન પ્રસન્નતા એ પાટનગરનો સ્થાયીભાવ બને એવા પ્રયત્નો કરાયાં છે. તેમણે ફોરમ દ્વારા સૌપ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના નાટ્યોત્સવ માટે રાજીપો વ્યકત કરીને પ્રેક્ષકોને આવકાર્યા હતા.

સેકટર-ર૮ના રંગમંચ પર યોજાઇ રહેલા આ ત્રિ-દિવસીય નાટ્યોત્સવના બીજા દિવસે ‘શુભ મંગલ સવાધન’ નાટક યોજાયું હતું. તા. ૭મી ફેબ્રુઆરીને શુક્રવારે સાંજે ૭.૩૦ કલાકે નાટક ‘અહમનું એન્કાઉન્ટર’ ભજવાશે.

નાગરિકતા કાનૂનઃ કોંગ્રેસ હવે કાનૂનના રસ્તે

નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટઃ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ.

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે હાલમાં જ સંશોધન કાયદાન વિરુદ્ધમાં સંકલ્પ પસાર કરતાં કેન્દ્રને આગ્રહ કર્યો હતો કે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ને બિનઅસરકારક બનાવવામાં આવે. કેરળ પહેલું રાજ્ય છે, જેણે આ કાયદાનો વિરોધ નોંધાવતાં અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. કોંગ્રેસ શાસિત છત્તીસગઢ સરકારે પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા કાયદાને અસંવૈધાનિક જણાવતાં અરજી દાખલ કરી હતી. પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને કેરળની પિનારાઇ  વિજયનની જેમ કેટલાંક રાઝ્યોના મુખ્ય પ્રધાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદાને તેમનાં રાજ્યોમાં લાગુ નહીં કરે.

જોકે સંવૈધાનિકરૂપે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાનો ઇનકાર કરવાનો હક દેશના કોઈ પણ રાજ્ય પાસે નથી.કોંગ્રેસ આ કાયદાનો લોકસભા અને રાજ્યસભામાં વિરોધ દર્શાવતી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને અબ્દુલ ખાલિક દ્વારા આ કાયદાની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

 

રાજકોષીય ખાધ સરભર કરવા વધારાની નોટો નહીં છપાય

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.

રાજકોષીય ખાધનો લક્ષ્યાંક વધાર્યો

નાણાપ્રધાને આગામી નાણાકીય વર્ષ 2020-21 માટે રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાની સંભાવના દર્શાવી છે, જ્યારે જુલાઈ, 2019માં એને ત્રણ ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.સરકારની રાજકોષીય ખાધ ડિસેમ્બરના અંતે 132 ટકાને પાર કરી ગઈ હતી.

રાજકોષીય ખાધ એટલે શું?

સરકારની કુલ આવક અને ખર્ચ વચ્ચેના અંતરને રાજકોષીય ખાધ કહે છે. રાજકોષીય ખાધ સામાન્ય રીતે આવકમાં ઘટાડો અથવા મૂડીખર્ચમાં વધારાને લીધે થતો હોય છે.

 

 

 

આલિયા ભટ્ટે પોતાની એક ફેન માટે બનાવી કેક…

મુંબઈઃ આલિયા ભટ્ટ બોલિવુડમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવી ચૂકી છે. હિન્દીમાં ફિલ્મો પસંદ કરતા લોકો પૈકી કોઈ આલિયાને પસંદ ન કરતું હોય તેવું કદાચ જ બને. તેની ફેન ફોલોઈંગનું લિસ્ટ મોટું છે. તેની એક્ટિંગની આગવી શૈલીની સાથે તેના સ્વીટ નેચરને પણ લોકો પસંદ કરે છે. તાજેતરમાં તેણે પોતાની એક ફેન માટે કેક બનાવી હતી.

એક્ટ્રેસ આલિયા ભટ્ટ પહેલા પણ પોતાની કુકિંગ સ્કિલ્સ બતાવી ચૂકી છે. તેણે રણબીર કપૂરના બર્થડે પર પણ કેક બનાવી હતી. હવે આ વખતે આલિયાએ પોતાની એક ફેન માટે કેક બનાવી છે અને એપણ તેના બર્થડે પર.

હકીકતમાં અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનું ફેનકાઈન્ડ નામનું એક ચેરિટી ઈનીશિએટિવ છે. આની સાથે ઘણા સેલેબ્સ જોડાયેલા છે જેમાં આલિયાનો પણ સમાવેશ થાય છે. અંશુલાના આ ઈનીશિએટિવમાં ડોનેટ કરનારા ફેન્સને તેમના મનપસંદ એક્ટર તરફથી કંઈક સરપ્રાઈઝ આપવામાં આવે છે.

આ ઈનીશિએટિવ સાથે સારા અલી ખાન અને કાર્તિક આર્યન પણ જોડાયેલા છે. કાર્તિક પોતાના ફેન સાથે અપકમિંગ ફિલ્મ “લવ આજ કલ” ના ગીત પર ડાન્સ કરશે અને તેમના પેજ પર દેખાશે.

તો સારા અલી ખાનના ફેન્સ તેમની સાથે તેમની ફિલ્મ “લવ આજ કલ” તેના રિલીઝ પહેલા જોઈ શકે છે. આ ઈનીશિએટિવની વિગતો અંશુલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આપી છે.

મેં મારી જાતને ડંડાપ્રૂફ બનાવી લીધી છે: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લગભગ 100 મિનિટ સુધી ભાષણ આપ્યું, જેમાં તેમણે પૂર્વ પીએમ નેહરુથી લઈને પાકિસ્તાનના ઉલ્લેખ સાથે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. ભાષણ વચ્ચે જ્યારે રાહુલ ઊભા થઈને કંઈક બોલવા લાગ્યા તો મોદીએ તેમની તુલના ‘ટ્યુબ લાઈટ’સાથે કરી હતી. વડાપ્રધાને કહ્યું કે- હું છેલ્લી 30-40 મિનિટથી બોલી રહ્યો છું. તેમના સુધી(રાહુલ) કરંટ પહોંચતા આટલો વખત લાગી જાય છે. ઘણી ટ્યુબ લાઈટ આવી હોય છે.

દિલ્હીની એક રેલીમાં બુધવારે રાહુલ ગાંધીએ મોદી પર કરેલી ટિપ્પણીનો પીએમ મોદીએ સંસદમાં જવાબ આપતા કહ્યું કે, હું સ્વીકારું છું કે એક પણ કોંગ્રેસી નેતાએ 70 વર્ષમાં ક્યારેય આત્મસંતુષ્ટિ અનુભવી નથી. મોદીએ રાહુલનું નામ લીધા વગર કહ્યું કે, ગઈ કાલે એક કોંગ્રેસ નેતાએ કહ્યું કે, યુવાનો મોદીને ડંડાથી મારશે. 6 મહિના પછી બાદ તેઓ ઘરની બહાર નહીં નીકળી શકે. હું આવતા 6 મહિના સુધી સૂર્યનમસ્કાર વધારે વખત કરીશ અને પીઠ મજબૂત કરીશ. જેથી કોઈ પણ ડંડો મારી શકે.

વડાપ્રધાને લોકસભામાં કહ્યું કે, હું વીસ વર્ષથી ગંદી ગંદી ગાળો સાંભળતો આવ્યો છું એટલા માટે હવે મેં મારી જાતને ગાળોપ્રૂફ બનાવી લીધી છે. અને ડંડા પ્રૂફ પણ…

આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી લોકોને મૂળ મુદ્દાઓ પરથી ભટકાવી રહ્યા છે. તેઓ કોંગ્રેસ અને પાકિસ્તાનની વાતો કરે છે, પરંતુ બેરોજગારી પર એક શબ્દ નથી બોલતા. આજે સૌથી મોટો મુદ્દો બેરોજગારી અને નોકરીઓનો છે. અમે વડાપ્રધાનને ઘણી વાર પૂછ્યું છે, પરંતુ તેઓ આ મુદ્દે એક શબ્દ પણ બોલતા નથી.

 

નિર્ભયા કેસ: દોષિતોના નવા ડેથ વોરંટ માટે કાલે સુનાવણી

નવી દિલ્હી: નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસીની સજા માટે નવા ડેથ વોરંટ ઈશ્યૂ કરવા તિહાર જેલ પ્રશાસને ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર ટ્રાયલ કોર્ટના જજ ધર્મેન્દ્ર રાણાએ તમામ પક્ષો પાસેથી જવાબ માગ્યો છે. જેમાં નિર્ભયાના ચારેય દોષિતો અક્ષય સિંહ ઠાકુર, મુકેશ સિંહ, વિનય કુમાર શર્મા અને પવન ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. તિહાર જેલ પ્રશાસનની આ અરજી પર ટ્રાયલ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે.

17 જાન્યુઆરી 2020ના રોજ નીચલી અદાલતે મુકેશકુમાર સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર સામે 2 ફેબ્રુઆરી માટે બીજી વખથ ડેથ વોરંટ જાહેર કર્યું હતું. ડેથ વોરંટ અટકાવવાના નિર્ણયને ગૃહ મંત્રાલયે હાઈકોર્ટમાં પડકારતા આરોપ લગાવ્યો હતો કે, દોષિતો કાયદાનો દૂરપયોગ કરી રહ્યા છે, જેથી તેને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ. તો આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, તમામ દોષિતોની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ફાંસીની કાર્યવાહી અટકાવી દેવામાં આવે અને તમામને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવાની મંજૂરી આપવામાં આવે.

હાઈકોર્ટનો નિર્ણય આવ્યા પછી નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, તે આ નિર્ણયથી સંતુષ્ટ છે, પણ તમામ આરોપીઓને ફાંસીના માચડે લટકાવ્યા પછી જ મને ખુશી મળશે. આરોપી અક્ષયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. અત્યાર સુધીમાં ચારમાંથી ત્રણ મુકેશ, વિનય અને અક્ષયની દયા અરજી કરવામાં આવી છે. હવે આ ત્રણેયના તમામ કાયદાકીય રસ્તાઓ બંધ થઈ ગયા છે.

આ શીશપાલનું કદ નાનું છે, પણ હિંમત મોટી છે…

અમદાવાદઃ કેટલાક શરીર સાવ સાજુ સારુ હોય છે, પણ તેઓ મનથી ડરપોક હોય છે. આ પ્રકારના લોકો માટે ઉદાહરણ છે 3 ફૂટનો આ શીશપાલ. શીશપાલ લીંબા જોધપુર રાજસ્થાનનો છે. તેણે પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટ આબુ ખાતે 10 દિવસનો બેઝીક કોર્સ પૂર્ણ કર્યો છે. તેની ઊંચાઈ માંડ 3 ફૂટ છે, પણ જીવનનો જુસ્સો 100 ફૂટ! પ્રથમ દિવસે તેને રિપોર્ટિંગમાં પૂછેલું કે, આટલા ટૂંકા પગમાં પહાડો ચડવા મુશ્કેલ તો નહીં થાય ને. ત્યારે તેનો ઉત્તર હતો કે, કોર્સનું પરિણામ જોઈ લેજો. આખરે તે સફળ થયો અને એડવાન્સ કોર્સ માટેની લાયકાત કેળવી લીધી છે.

કુદરતી સંજોગોએ તેને દોઢ ફૂટ કહીને ખીજવી શકાય તેવો બનાવ્યો છે, પરંતુ તે બધું જ નોર્મલી કરીને સુંદર હાથ-પગવાળાને શરમાવે છે, ખીજવે છે. ઇન્સ્ટ્રક્ટર નૈમીનભાઈ પટેલે જણાવ્યું કે, કોર્સ દરમિયાન હું તેનો જુસ્સો નિહાળી ક્લાઇમ્બીંગ- રેપલિંગ શીખવતો હતો. છેલ્લે લાગ્યું કે, જીવનમાં ક્યારેય હારી નથી જવાનું તે વાત મને શીખવી ગયો. હું તેનામાંથી મળેલું શિક્ષણ ભૂલી શકીશ નહી.

ફેસબુક ઉપર તેની દીવાલ જોશો તો તમે પણ જીવનની કોઈપણ દીવાલો ચડતા થઈ જશો,તેમાં બે મત નથી. પ્રવાસ-પર્યટનનો પણ એટલો જ શોખ છે. દેશના જાણીતા સ્થળો લાલ કિલ્લાથી માંડી જલિયાવાલા બાગ સુધીની સફરો ખેડી લીધી છે. સફર દરમિયાન ગમે તેટલી તકલીફ પડે પણ શીશપાલ ઉપર તેની કોઇ અસર થતી નથી. દર વર્ષે 5 પર્યટન સ્થળોની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે.

વાક્છટા પણ સુંદર છે. શેરો શાયરીનો શોખીન છે એટલે કાર્યક્રમોના સંચાલનમાં અવ્વલ છે. અત્યાર સુધીમાં 50 જેટલા કાર્યક્રમોનું સંચાલન કરી ચૂક્યો છે અને કવિ સંમેલનમાં કવિતાઓ બોલીને સૌને આશ્ચર્યચકિત કરી મૂકે છે. સાથે જ તે મોટિવેશન સ્પીકર તરીકે પણ કાર્યક્રમોમાં પહોંચે છે અને તે પણ સંપૂર્ણ પોતાની રીતે!

સમાજમાં આ પ્રકારના અનેક જીવતા જાગતા દાખલા છે કે, જેઓ આપણને જીવવાનું જોમ પુરુ પાડે છે.

(જિજ્ઞેશ ઠાકર-ભાવનગર)

બાબુલોગને બંગલા ખાલી કરવાનો દિલ્હી હાઇકોર્ટનો આદેશ

નવી દિલ્હી: રાજધાનીમાં 576 સરકારી બંગલાઓ પર નિવૃત અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે બે સપ્તાહની અંદરમાં આ બંગલા ખાલી કરાવવાનો આદેશ આપતા કહ્યું કે કબજેદારો પાસેથી બાકી ભાડું પણ વસૂલવામાં આવે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, જો કોઈ અધિકારી કે સાંસદ બંગલા ખાલી કરવાની મનાઈ કરે તો 2 સપ્તાહમાં તેમનો સામાન રસ્તા પર મૂકી દેવામાં આવે.

ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે, સરકાર આ લોકો પાસેથી બાકી ભાડું વસૂલ કરે અને અત્યાર સુધી રિકવરી શરું નહીં કરવા મામલે પણ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી. આમાંથી ઘણા એવા અધિકારીઓ કે સાંસદો છે જેઓ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ગેરકાયદે રીતે સરકારી બંગલા પર કબ્જો જમાવી રાખ્યો છે તેમના પર 95 લાખ રૂપિયાથી પણ વધુનું બાકી લેણું છે.

કોર્ટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયને કહ્યું કે, જો કોઈ સરકારી આવાસમાં વધુ સમય સુધી રહ્યું હોય તો તેને ખાલી કરાવવા માટે અત્યાર સુધી નોટિસ કેમ મોકલવામાં નથી આવી? અંદાજે 600 બંગલાઓ ખાલી કરાવવામાં નથી આવ્યા.  કોર્ટે કરદાતાઓના નાણાનો વેડફાળ થતો હોવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો કોઈ પોતાની જાતે સરકારી આવાસ ખાલી ન કરે તો બે સપ્તાહમાં તેમની તમામ સામાન રસ્તા પર રાખી દો. કોર્ટે કહ્યું કે, કરદાતાઓના નાણાથી તમે આ લોકોને વર્ષોથી ફ્રીમાં ઘર, વિજળી, અને પાણી આપી રહ્યા છો. અમુક કિસ્સામાં તો સાંસદ કે અધિકારીનું મૃત્યું થઈ ગયું છે અને તેમના વારસદારો આ બંગલાઓમાં રહે છે. કોર્ટે આને મંત્રાલયની અક્ષમતા ગણાવી. કોર્ટે એમ પણ કહ્યું કે, તમારા અધિકારીઓ સામે તમારું નરમ વલણ મિલીભગત તરફ ઈશારો કરે છે અને લાંબા સમય સુધી મિલીભગત આઈપીસી હેઠળ ષડયંત્ર સમાન ગણાય.

હાઈકોર્ટનો આ નિર્દેશ મંત્રાલયના એક એફિડેવિટ પર આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે, 11 સરકારી બંગલાઓ પર પૂર્વ સાંસદોનો કબ્જો છે, જેના ભાડા પેટે 35 લાખ રૂપિયા વસૂલવાના બાકી છે, જ્યારે 565 બંગલાઓ પર નિવૃત અધિકારીઓ રહે છે.