Home Blog Page 4845

રાશિ ભવિષ્ય 11/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે

બેસ્ટ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીતી ગઈ ‘પેરાસાઈટ’…

લોસ એન્જેલીસના ડોલ્બી થિયેટરમાં 9 ફેબ્રુઆરી, રવિવારે 92મા એકેડેમી એવોર્ડ્સ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્કર-2020 કાર્યક્રમમાં હોલીવૂડના કલાકારો અને કસબીઓને વિવિધ કેટગરીઓમાં એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાની બિન-અંગ્રેજી 'પેરાસાઈટ' ફિલ્મે વર્ષ 2019 માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. કોઈ બિન-અંગ્રેજી ફિલ્મે બેસ્ટ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીત્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ બન્યો છે. ઉપરની તસવીરમાં 'પેરાસાઈટ'ના દિગ્દર્શક બોન્ગ જૂન-હોની સાથે છે નિર્માત્રી ક્વાક સિન-એ. બોન્ગ જૂન-હોએ શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ પણ જીત્યો હતો. આ જ ફિલ્મે વિદેશ ભાષાની શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો.


'પેરાસાઈટ' ફિલ્મની ટીમના સભ્યો ગ્રુપ તસવીર માટે સ્ટેજ પર આવ્યા ત્યારે


(ડાબેથી જમણે) 'જોકર' ફિલ્મમાં કરેલી ભૂમિકા બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર જોક્વિન ફીનિક્સ, 'જૂડી' ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર રેની ઝેલવેગર અને બ્રેડ પિટ (‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ’ ફિલ્મની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ વિજેતા)


શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ઓસ્કર લૌરા ડર્ન (‘મેરેજ સ્ટોરી’ ફિલ્મનાં રોલ માટે)


રોજર ડીકિન્સ ('1917' ફિલ્મ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીતનાર)


એન્ડ્રૂ બકલેન્ડ (ડાબે) અને માઈકલ મેકકસ્કર ('ફોર્ડ વર્સીસ ફેરારી' ફિલ્મ માટે બેસ્ટ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ જીતનાર)


'જોકર' ફિલ્મ માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ જીતનાર હિલ્ડર ગોનડોટીર


બ્રેડ પિટ


રેની ઝેલવેગર


અભિનેત્રી સિન્થીયા એરિવો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ


રેડ કાર્પેટ પર લ્યુસી બોઈન્ટન અને ગયા વર્ષના ઓસ્કર વિજેતા અભિનેતા રેમી માલેક


અભિનેત્રી પેનીલોપ ક્રૂઝ


લિયોનાર્ડો કેપ્રિયો


અભિનેત્રી સલમા હાયેક


એક્ઝિટ પોલ એટલે પોલંપોલઃ ભાજપનો દાવો દિલ્હીમાં જીતનો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ શનિવારે સામે આવેલાં લગભગ બધા જ એક્ઝિટ પોલના પરિણામો એકસૂરમાં કહેતા હતા કે દિલ્હીમાં કેજરીવાલની હેટટ્રિક થશે, પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં સરકાર  બનાવવા પર કાયમ છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ પણ એક્ઝિટ પોલનાં પરિણોમો નકારતાં જીતવાનો દાવો કર્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે આપને 30-32 વધુ સીટો પ્રાપ્ત નહીં થાય,જ્યારે ભાજપને 36થી 38 સીટો મળશે. ભાજપના નેતાઓનું અનુમાન છે કે કોંગ્રેસને એક-બે સીટ મળશે. 

ભાજપના નેતાઓનો તર્કવિતર્ક

એક્ઝિટ પોલના પરિણામોને નકારતાં ભાજપના કેટલાય  નેતા અનેક તર્ક વિતર્ક આપી રહ્યા છે. તેઓ મતદાન યોજવાના ટાઇમિંગ અને સેમ્પલ સાઇઝને લઈને તર્ક કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સગઠનનના મહામંત્રી બી.એલ. સંતોષે એક્ઝિટ પોલને મુદ્દે સવાલ ઊભા કર્યા હતા. તેમનું માનવું હતું કે આમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેક્ટર્સ સામેલ નહોતા. તેમાં સૌથી મોટું કારણ તેમણે છેલ્લા બે કલાકમાં આશરે 17 ટકા મતદાન થયું હતું. જેને એકઝિટ પોલમાં સામેલ નહોતું કરવામાં આવ્યું.  

ભાજપની લહેરઃ મનોજ તિવારી

દિલ્હી ભાજપ એકમના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી કહે છે દિવસભર જેટલા પણ મથકોએ તેઓ ગયા હતા, ત્યારે ત્યાં ભાજપની લહેર જોવા મળી હતી.  તેમને માહિતી મળી હતી કે મતદાન કેન્દ્રોએ 50 ટકાથી વધુ લોકોએ ભાજપના ટેબલ પરથી મતદાનની સ્લિપ લીધી હતી. તેમના જણાવ્યા મુજબ ભાજપ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં પણ પહેલાથી સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે મારી સિકસ્થ સેન્સ કહે છે, ભાજપને 50 કરતાં વધુ બેઠકો મળશે.

 

 

કનૈયા કુમારની ગાડી પર વિરોધ કરી રહેલા લોકોએ હુમલો કર્યો

જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના કાફલા પર ઈંડા અને મોબિલ ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, કનૈયા કુમાર રવિવારના રોજ પોતાની જન ગણ મન યાત્રા પર જુમઈ પહોંચ્યા હતા અને એક સભાને સંબોધન કર્યું હતું. બાદમાં જુમઈ પરિસદનમાં રાત્રી રોકાણ બાદ કનૈયા કુમારનો કાફલો આગળ વધ્યો હતો. તે જ્યારે મહિસૌરી બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા લોકોએ કનૈયા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના કાફલા પર મોબિલ ઓઈલ ફેંક્યું હતું.

આ દરમિયાન કનૈયા કુમારના સમર્થકો અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તેમના સમર્થકો અને મીડિયાકર્મચારીઓ વચ્ચે પણ આ દરમિયાન બોલાચાલી થઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને કનૈયા કુમારના કાફલાને આગળ વધાર્યો હતો. જો કે આ ઘટનામાં કનૈયા કુમારને કોઈ હાની કે ઈજા થઈ નથી.

આ પહેલા સાત ફેબ્રુઆરીના રોજ કટિહારમાં કનૈયા કુમારના કાફલા પર ચંપલ ફેંકવામાં આવ્યા હતા અને સુપૌલ જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકો કનૈયા કુમારના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.

હવે એક રૂપિયાની નવી નોટઃ રંગ-ડિઝાઇન નક્કી

નવી દિલ્હીઃકેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક રૂપિયાની કરન્સી નોટ જારી કરવાની છે. આ એક રૂપિયાની નવીનક્કોર નોટ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવશે. જોકે નોટબંધ પછી બાકી નોટ પણ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવી હતી.  આ નવી એક રૂપિયાની નોટમાં સૌથી ઉપર ભારત સરકાર લખેલું હશે, જ્યારે અન્ય નોટો પર ઉપરથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે. નોટમાં નાણાં મંત્રાયલના સચિવ અતનુ ચક્રવર્તીના હસ્તાક્ષર હશે. અન્ય નોટોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે.

આ નવી એક રૂપિયાની નોટમાં સત્યમેવ જયતે, નંબરિંગ પેનલમાં કેપિટલ ઇનસેટ લેટર ‘એલ’ હશે. નોટમાં પહેલા ત્રણ અલ્ફાન્યુમરિક આકારમાં હશે. નોટમાં પ્રતીકરૂપે અનાજની ડિઝાઇન હશે, જે દેશનમા કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવશે. કરન્સી નોટનો રંગ ગુલાબી હશે. નોટનું કદ 97 X 6.3  સેમી હશે. નોટના કેન્દ્રમાં સત્યમેવ જયતે લખેલું હશે. એક રૂપિયાના મૂલ્યવર્ગની નોટોમાં મલ્ટિ ટોનલ વોટરમાર્ક હશે.

 

 

 

અનામત મુદ્દે સરકાર ફરી ફસાઈઃ કોર્ટના ચુકાદાનું શું કરવું?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત મુદ્દે ઉત્તરાખંડ હાઈ કોર્ટનો નિર્ણય ફેરવી તોળ્યો છે. જેના પર ફરી રાજકારણ ગરમાયું છે. વિપક્ષી કોંગ્રેસની સાથે-સાથે એનડીએ સરકારમાં સામેલ એલજેપી અને જેડીયુ જેવા પક્ષો પણ સરકારને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફેરવી તોળવા માગ કરી રહ્યા છે. આ મુદ્દે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. બે વર્ષ પહેલાં પણ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના બદલાવથી સરકારે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો?

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઇ કોર્ટના આદેશને કાઢી નાખ્યો હતો, જેમાં કહ્યું હતું કે રાજ્ય સરકારને કહેવામાં આવ્યું હતું કે રાજ્ય પ્રમોશનમાં અનામત આપવાના આંકડા એકત્ર કરે. હાઇકોર્ટે રાજ્ય સરકારને એ માલૂમ કરવા કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીના લોકોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહીં, જેથી પ્રમોશનમાં અનામત આપી શકાય. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ રાજ્ય સરકારને અનામત આપવાનો નિર્દેશ જારી ના કરી શકે. સુપ્રીમે કહ્યું કે રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપવા માટે બંધાયેલી નથી.

અનામત મૌલિક અધિકાર છે?

કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે અનામત મુદ્દો સરકારોને આધીનના હોવો જોઈએ. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે સરકારી પદો પર એસસી-એસટી લોકોની નિમણૂક સરકારોની મરજીથી ના હોવી જોઈએ.

ભાજપ-આરએસએસ અનામતની વિરુદ્ધમાં રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કરતાં કહ્યું હતું કે  ભાજપ અને આરએસએસ પરઅનામત આપવાની વિરુદ્ધમાં છે. ભાજપ અને આરએસએસની વિચારધારા અનામત આપવાની વિરુદ્ધ છે. તેઓ ક્યારેય ઇચ્છતા નથી કે એસસી-એસટીની પ્રગતિની થાય. તેઓ સંસ્થાગત માળખાને તોડી રહ્યા છે.

U-19 વર્લ્ડ કપઃ બાંગ્લાદેશી ખેલાડીઓના બેહુદા વર્તનની ICCએ ગંભીર નોંધ લીધી

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા) – ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમના મેનેજર અનિલ પટેલે કહ્યું છે કે રવિવારે અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચ બાદ વિજેતા બનેલા બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે કરેલા બેહુદા આક્રમક વર્તનની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ગંભીર નોંધ લીધી છે. તેના અધિકારીઓ મેચની અંતિમ મિનિટોના વિડિયો ફૂટેજની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ફાઈનલ મેચમાં ભારત ઉપર 3-વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓ એકદમ આનંદમાં આવી ગયા હતા અને બેફામ બની ગયા હતા. ભારતીય ખેલાડીઓ સાથે થયેલા ઝઘડા બદલ બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ માફી માગી છે જ્યારે ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓનો પ્રતિસાદ ‘ગંદો’ હતો.

અનિલ પટેલે ઈએસપીએનક્રિકઈન્ફોને જણાવ્યું હતું કે મેદાન પર એ મિનિટોમાં ખરેખર શું બન્યું હતું એની અમને કશી જાણ નથી. જોકે દરેક જણને આઘાત લાગ્યો છે. ICC અધિકારીઓ એ અંતિમ મિનિટોનું ફૂટેજ જોવાના છે અને બાદમાં અમને જણાવશે.

મેચ ચાલુ હતી ત્યારે પણ બાંગ્લાદેશના ખેલાડીઓ ફિલ્ડિંગ કરતી વખતે વધારે પડતા આક્રમક રહ્યા હતા. એનો ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામ દરેક બોલ ફેંક્યા બાદ ભારતીય બેટ્સમેનોને (સ્લેજિંગ કરતો હતો) અપશબ્દો બોલતો હતો.

મેચ જેવી પૂરી થઈ કે તરત જ બાંગ્લાદેશના ખેલાડીઓ મેદાનમાં દોડી ગયા હતા અને ભારતીય ખેલાડીઓ સામે એમની બોડી લેંગ્વેજ (વર્તન) ખરાબ હતી. બંને ટીમના ખેલાડીઓ મારામારી પર આવી ગયા હતા, પણ કોચિંગ સ્ટાફના સભ્યો તથા મેદાન પરના અધિકારીઓએ તંગદિલી દૂર કરી હતી.

અનિલ પટેલનો દાવો છે કે મેચ રેફરી ગ્રેમ લેબ્રોય પોતાને મળ્યા હતા અને મેદાન પરની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એમણે સ્પષ્ટતા કરી હતી કે આઈસીસી સંસ્થા એ ઘટનાને ઘણી જ ગંભીરતાથી લેવાની છે. તેઓ એ ઘટનાનું ફૂટેજ જોશે અને બાદમાં અમને જણાવશે.

BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને 4,050 કરોડ

મુંબઈ તા. 10 ફેબ્રુઆરી, 2020 : બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે ટર્નઓવર 4,050 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.4,050.61 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, “ મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

શાહીનબાગ મામલે સુપ્રીમ કોર્ટઃ રસ્તો રોકવો યોગ્ય નથી

નવી દિલ્હી :નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગત અંદાજે 50 દિવસોથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર આજે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આજે સુનવણી દરમિયાન કહ્યું કે, સાર્વજનિક જગ્યા પર અનંત કાળ માટે વિરોધ કરવામાં ન આવી શકે. કોર્ટે એમ પણ ટકોર કરી કે, શુ તમે સાર્વજનિક જગ્યાઓને કેવી રીતે ઘેરી શકો છો. મામલા પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે અને આગામી સુનવણી 17 ફેબ્રુઆરીના રોજ થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે ક્યારેય પણ આટલા લાંબા સમય સુધી રસ્તા રોકીને બેસો તે યોગ્ય નથી. તમારે પ્રદર્શન માટે કોઈ અલગ જગ્યા પસંદ કરવી જોઈએ. જોકે, કોર્ટે આજે પ્રદર્શનકારીઓને હટાવવાનો કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. આજે કોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટમાં શાહીન બાગને લઈને સુનવણી થઈ હતી. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે.

આ પહેલા ગત શુક્રવારે શીર્ષ અદાલતે આ અરજી પર સુનવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે આ પરેશાનીથી પરિચિત છીએ, પણ આજે સુનવણી નહી થાય. આ મામલાની સુનવણી સોમવારે થશે. હકીકતમાં, 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મતદાનને પગલે સુનવણી ટાળી દેવાઈ હતી. સાથે જે કોર્ટે કહ્યું કે, જોઈએ છીએ કે આ સમસ્યાનુ કેવી રીતે સમાધાન નીકળી શકે છે.