આજે કોરોના વાયરસના 176 નવા કેસઃ અમદાવાદમાં 143

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ સતત વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાં સતત વધારે થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસના કુલ 176 જેટલા નવા કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 143 કેસ થયા છે. આ સિવાય વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગર અને આણંદમાં 1, ભરુચમાં 1 અને પંચમહાલમાં 1 કેસ મળ્યો છે. 

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં કુલ નવા કેસમાંથી અમદાવાદમાં જે કેસ આવ્યા છે તે એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે આવ્યા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારના છે. રાજ્યમાં 18મી એપ્રિલ સુધી સવારે 10.00 વાગ્યા સુધીની સ્થિતિમાં 1272 એક્ટિવ કેસ છે.

ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં આપણને પ્લાઝમા ટેકનિકના ઉપયોગથી કોરોના વાયરસના દર્દીઓને ક્યોર કરવાની પરવાનગી મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન સાથે વાતચીત કરી અને આપણેને રાત્રે ક્લિયરન્સ મળ્યું છે એટલે રાજ્યમાં સિવિલ હૉસ્પિટલ અમદાવાદના વૈજ્ઞાનિકો તેનો પ્રયોગ શરૂ કરી શકશે.

રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસના તમામ રેકોર્ડ તૂટ્યા છે. કોરોના વાયરસના 17મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યા પછી 143 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ શહેરના તમામ હોટસ્પોટ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ મળી રહ્યા છે ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે, અમદાવાદમાં વધુ સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી તંત્રની તૈયારી છે.