રામાયણ પૂર્ણ થઈ નથીઃ હજી ઉત્તર રામાયણ બાકી છે…

નવી દિલ્હીઃ દેશભરમાં અત્યારે સંપૂર્ણ લોકડાઉનને જોતા દૂરદર્શન પર રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું. લોકો રામાયણને ખૂબ પસંદ કરી રહ્યા છે. આજના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે રામે રાવણનો વધ કરી દીધો. ત્યારે દર્શકોના મગજમાં વાત ચાલી રહી છે કે, રામાયણ રાવણના વધ સાથે ખતમ થઈ જશે, પરંતુ રામાયણના ક્રેઝને જોતા હવે દૂરદર્શન પર લવ-કુશના બીજીવાર પ્રસારણનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે લવ-કુશ 1988 માં દૂરદર્શન પર ઉત્તર રામાયણના નામથી પ્રસારિત કરવામાં આવી હતી. આને પણ રામાનંદ સાગરે જ બનાવી હતી. લવ-કુશના પ્રસારણની જાણકારી પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ટ્વીટ કરીને આપી છે. રામાયણને લઈને શશિ શેખરે જણાવ્યું કે, રામાયણ પ્રત્યે લોકોનો ક્રેઝ જોઈએને અમે લવ-કુશનું પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે સવારે રામાયણના છેલ્લા એપિસોડનું પુનઃ પ્રસારણ થશે. તેમણે પોતાના ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે રવિવારે રાતથી દર્શકો ઉત્તર રામાયણ એટલે કે લવ-કુશ સીરીયલનું પ્રસારણ જોઈ શકશે. આ પૌરાણિક ધારાવાહિક દૂરદર્શન પર રવિવારે 19 એપ્રીલથી રાત્રે 9 વાગ્યે પ્રસારીત કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યે રામાયણના ફ્રેશ એપિસોડ બતાવવામાં આવશે અને સવારે 9 વાગ્યે રિપીટ ટેલીકાસ્ટ થશે.