Home Blog Page 484

મહિલાઓની આ સ્થિતિને કેમ સમજશો?

સ્વરા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી સુંદર આત્મવિશ્વાસુ યુવતી. બધા સાથે હસીને બોલવું, મજાક-મસ્તી એની ઓળખ. કોલેજમાં બધા કહેતા પણ ખરા કે સ્વરાના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એના સારા એવા ફોલોવર્સ પણ હતા.

રોજ કંઇકને કંઇક નવું અપડેટ કરવાની એની આદત. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ હસવાનું ભૂલી ગઈ હતી. દરરોજ સવારે ઊઠતી ત્યારે પણ કોઈ કારણ વિના એનું મન ઉદાસ રહેતું. સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ, મિત્રો સાથે વાત કરવાનું બંધ થઈ ગયું. એને સતત પોતાની અંદર કંઈક ખાલી છે એવો અહેસાસ થયા કરતો. એનું વજન થોડું વધી ગયું તો એને પોતાના મનગમતા કપડા પહેરવાનું પણ બંધ કરી દીધું. સ્વરાને લાગતું મારી અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ શું? એ જવાબ એના ખુદ પાસે પણ નહોતો.

સમજીના શકાય એવી સ્થિતિ!

મહિલાની માનસિક સ્થિતિ અમુક સમયે એટલી બધી ખરાબ થઈ જાય છે કે એને શું થઈ રહ્યું છે એ અન્યને સમજાવવામાં નિષ્ફળ નિવડે છે. કોઈ એની સ્થિતિ સમજી પણ નથી શકતું. ઘણીવાર હોર્મોન ચેન્જ થવાના કારણે શરીરમાં થતા બદલાવ એની માનસિક સ્થિતિને ખુબ ખરાબ કરે છે.

એ એવો સમય હોય છે જ્યારે એને ઘરમાંથી બહાર નીકળવું નથી ગમતું. રોજ સીવલેસ કપડા પહેરતી મહિલા કે યુવતી,શરીરમાં આવેલા બદલાવના કારણે એવા કપડા પહેરવાનું બંધ કરે છે. મિત્રો સાથે વાત કરવી, બહાર જવાનું પણ ટાળે છે, એની એકલતા એને અંદરોઅંદર વધારે અને વધારે દુઃખી કરે છે પણ એ કોઈને કહી નથી શકતી. રોજ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મહિલાની હાજરી ત્યાં પણ નહિવત થઈ જાય છે. ક્યારેક એને શરીરનું વજન વધારે લાગે છે તો ક્યારેક પોતાની જાતને અન્ય કરતા એકદમ નીચી આંકે છે. એની મનોસ્થિતિના સવાલોના જવાબ એની પાસે જ નથી હોતો. આવા સમયે પરિવાર અને મિત્રો જ એને સહકાર આપી શકે. આ  એવો તણાવ જેની જાણ એને પોતાને પણ નથી હોતી અને એ અન્યને પણ કહી નથી શકતી.

જ્યારે સ્વભાવ બદલાઈ જાય છે

આ ફેરફાર કોઈને અચાનક ખબર નથી પડતો. રોજ ફિટિંગ ડ્રેસ પહેરતી યુવતી ઢીલાં કપડાં પહેરવા લાગે છે, બહાર જવાનું ટાળી દે છે, પોતાનું પ્રતિબિંબ જોઈને ઉદાસ થઈ જાય છે. ક્યારેક લાગે છે કે એ વજનદાર થઈ ગઈ છે, ક્યારેક લાગે છે કે એ અન્ય કરતા હવે ઓછી સુંદર છે. આ સમય એવો હોય છે કે એ પોતાના શરીર સાથે પણ વેરઝેર કરવા લાગે છે. એના મનમાં સતત ચાલતું એક વાક્ય હોય છે, હું સારી નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર પ્રિતિ સરવૈયા કહે છે કે, “જ્યારે મહિલા પોતાની મનની વાત કોઈને કહી શકતી નથી, ત્યારે એની એકલતા એનો સૌથી મોટો શત્રુ બની જાય છે. બહારથી એ સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી ધીમે ધીમે ખાલી થતી જાય છે. રોજના કામમાં મન નથી લાગતું, હસવું જબરજસ્તી લાગે છે. એવી સ્થિતિમાં એ લોકો વચ્ચે રહીને પણ પોતાની જાતને એકલી અનુભવે છે. એ એકલતા મનમાં એવી જગ્યાએ વળી જાય છે જ્યાંથી બહાર આવવું મુશ્કેલ બને છે.”

બદલાવએ કમજોરી નહીં, પરિસ્થિતિ છે

ઘણા લોકો માનતા હોય છે કે મહિલા કે યુવતીઓમાં આવી રહેલો બદલાવ કમજોરી છે, પરંતુ હકીકતમાં એ એક માનસિક પરિસ્થિતિ છે જેનું કારણ શારીરિક ફેરફાર, હોર્મોનલ ઈમ્બેલન્સ અથવા માનસિક થાક હોઈ શકે છે. એ માટે શરમ કે અપરાધભાવની જરૂર નથી. જો સમયસર કાઉન્સેલિંગ લેવાય, થેરાપી કરવામાં આવે અથવા ફક્ત વિશ્વાસપાત્ર સાથે વાત કરવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે. પોતાનામાં થતા બદલાવને અવગણવું જોખમી છે, પરંતુ એનો સામનો કરવો શક્ય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશયન અલ્પા ચૌહાણ કહે છે, આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું?  એ સવાલ કરતાં હું તારી સાથે છું એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનું કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાન્નિધ્ય  આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે.

ડોક્ટર કહે છે…

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. દિપક વ્યાસ કહે છે કે, મહિલાના શરીરમાં થનારા હોર્મોનલ ફેરફારો ઘણીવાર એની મનોસ્થિતિ પર ગંભીર અસર કરે છે. પીરિયડ્સ પહેલાં કે પછી, પ્રેગ્નન્સી દરમિયાન કે પછી, અથવા મેનોપોઝના તબક્કે શરીરના ઈસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફારો મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું, ઉદાસીનતા અને ડિપ્રેશનનું કારણ બને છે. ઘણીવાર મહિલાઓને લાગે છે કે એમની સાથે કઈ ખોટું થઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં એ શરીર અને મન વચ્ચેનું એક અદૃશ્ય યુદ્ધ છે જેની ખબર અન્યને તો શું, ક્યારેક એમને ખુદને પણ નથી પડતી.

પોતાને સમય આપો, મનને સાંભળો

સ્ત્રી આખા પરિવારની ચિંતા કરતી હોય છે, પરંતુ પોતાને ભૂલી જાય છે. આ માટે જરૂર છે સેલ્ફ કેર. રોજ થોડો સમય પોતાને માટે કાઢો, ફરવા જાઓ, વાંચો, ધ્યાન કરો અથવા ફક્ત શાંતિથી બેસી રહો. મનની વાત લખો, સાંભળો, અને જરૂરી લાગે તો તબીબી સહાય લો. સૌથી અગત્યનું  પોતાને દોષ ન આપો. દરેક સ્ત્રીમાં એક શક્તિ છુપાયેલી હોય છે, ફક્ત એ શક્તિને ફરી શોધવાની જરૂર છે.

પરિવાર અને મિત્રોના સમર્થનની જરૂર

આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું? એ સવાલ કરતાં “હું તારી સાથે છું” એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનો કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાનિધ્ય આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે.

સ્ત્રીના મનમાં ઘણી વાર એવું દુઃખ હોય છે જેને શબ્દો નથી પરંતુ એને સમજદારીથી સ્પર્શી શકાય છે. જ્યારે સમાજ એની મનની સ્થિતિને સમજવા લાગશે, ત્યારે અનેક મહિલાઓ ફરી સ્મિત કરવાનું શીખી જશે.

હેતલ રાવ

બિહારમાં NDA પ્રચંડ વિજય મેળવશે તેમાં કોઈ શંકા નથી: PM મોદી

બિહાર વિધાનસભા ચૂંટણી નજીક છે. ત્યારે પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા તબક્કામાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ના મહિલા કાર્યકરો સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મહિલાઓ રેકોર્ડ સંખ્યામાં ચૂંટણી રેલીઓમાં હાજરી આપી રહી છે. તેઓ સૂત્રોચ્ચાર કરી રહી છે. તેમણે કહ્યું, “મને એમાં કોઈ શંકા નથી કે NDA બિહારમાં પ્રચંડ વિજય મેળવશે.”

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા તબક્કામાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ના મહિલા કાર્યકરો સાથે વાતચીત કરી. ભાજપ-એનડીએ સમર્થકો સાથે વાતચીત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે રેકોર્ડ સંખ્યામાં મહિલાઓ ચૂંટણી રેલીઓમાં હાજરી આપી રહી છે અને સૂત્રોચ્ચાર કરી રહી છે. તેમણે કહ્યું, “મને કોઈ શંકા નથી કે એનડીએ બિહારમાં પ્રચંડ વિજય મેળવશે.” વડા પ્રધાને મહિલા કાર્યકરોને મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા વિનંતી કરી.

આ વાતચીત ભારતીય જનતા પાર્ટીના “મેરા બૂથ, સબસે મઝબૂત” પહેલના ભાગ રૂપે થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા કાર્યકરોને વિનંતી કરી હતી કે તેઓ ખાતરી કરે કે બિહાર ચૂંટણીમાં “જંગલ રાજ” ના સમર્થકોને તેમની અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડે. પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકાર મહિલાઓના જીવનને સરળ બનાવવા અને તેમને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ધ્રુવ પર્વ: સાતમો ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ ગાંધીનગરમાં યોજાયો

ગાંધીનગર: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન સારું ‘ધ્રુવ પર્વ’- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. કમિશ્નર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના સહયોગથી ત્રીદિવસીય પર્વનું આયોજન કરવામાં આવ્યુું હતું. ૩૧ ઓકોટબાર ૨૦૨૫થી ૨જી નવેમ્બર ૨૦૨૫ સુધી આ પર્વ સેક્ટર-12માં આવેલા આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. ‘ધ્રુવ પર્વ’- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનો શુભારંભ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ડો. સંધ્યા પુરેચા, મુખ્ય અતિથિ, અતિથિવિશેષ ગોપીનાથજી જ્યોતિષપીઠના આચાર્ય ગોસ્વામી રણછોડલાલજી અને હેમાબેન ભટ્ટ(અધ્ય્ક્ષ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર મહાનગરપાલિકા) અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિષે માહિતી આપી હતી.મુખ્ય અતિથિ ડો. સંધ્યા પુરેચાએ ઉદગમના શાસ્ત્રીય સંગીતના સંવર્ધનના કાર્યોના વખાણ કરીને યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.ઉદગમના ટ્રસ્ટી ધુવભાઇ જોષીની સ્મૃતિમાં હેમંત ભટ્ટ, સિદ્ધાર્થ બેનર્જી, જશવંત શ્રીમાળી અને પ્રફુલ્લ પંચાલને ઉદગમ કલા સન્માનથી નવાજવામાં આવ્યા. ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં તા.૩૧ ઓકોટબર ૨૦૨૫ના શાસ્ત્રીય સંગીતના સાધક અને  બનારસથી સિદ્ધ વીણા વાદક પંડિત સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધ વીણામાં વિવિધ રાગની પ્રસ્તુતિથી કરી અને ત્યારબાદ ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહોદયએ વૈષ્ણવ હવેલીમાં ગવાતાં વિવિધ પદ ગાયનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.૦૧ નવેમ્બર ૨૦૨૫ ના સુશ્રી શિવાની કિનારીવાલાએ દેવઉઠી એકાદશીના ઉપલક્ષ્યમાં હવેલી સંગીતના અદભુત પદોની પ્રસ્તુતિથી સહુને ભક્તિમય કરી દીધા તથા સુરતના ગોસ્વામી શ્રી જયવલ્લભલાલજી મહોદય સંતૂર ની સાથે તબલા પાર શ્રી રસિકપ્રીતમજી મહોદયએ અવર્ણીય પ્રસ્તુતિ કરી અને અંતે પંડિત જસરાજના શિષ્ય ઉદેપુરના સમર્થ જાન્વે શાસ્ત્રીય સંગીતમ વિવિધ  ભજન અને અંતે માતા કાલિકાથી સ્તુતિથી અવર્ણીય અને અદભુત વાતાવરણ ઉભું કરી દીધું હતું.૦૨ નવેમ્બર ૨૦૨૫ શ્રી યોગી મકવાણા પખાવજની સુંદર પ્રસ્તુતિ અને ત્યારબાદ પંડિત વિકાસ કસલકરના શિષ્ય વૈભવ દવેએ બાદ ખ્યાલથી શરૂઆત કરી અને પોતાના શાસ્ત્રીય ગાયનની અદભુત પ્રતીતિ કરી અને અંતે ડૉ. સુપ્રવા મિશ્રાની ઓમ આર્ટ્સ ડાન્સ એકેડેમી વિદ્યાર્થીઓ નયનરમ્ય ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. ત્રણ્ય દિવસ પારૂલબેન મેહતાએ સુંદર મંચ સંચાલન કર્યું.
ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના આયોજનમાં પં. શિશિર ભટ્ટ,  દિપાંશ છાબરા, આશાબેન સરવૈયા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોષી, અનિતા ચાવડા, વાગ્મી જોષી અને કિરાત જોષી, મનોજ જોષીએ સફળ બનાવ્યું હતું.

પ્રખ્યાત વાંસળીવાદક દીપક શર્માનું 57 વર્ષની વયે નિધન

પ્રખ્યાત વાંસળીવાદક દીપક શર્માનું સોમવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં 57 વર્ષની વયે અવસાન થયું છે.

પ્રખ્યાત વાંસળીવાદક દીપક શર્માનું સોમવારે 57 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી લીવરની બીમારીથી પીડાતા હતા.

દીપક શર્માના અવસાનથી શોકની લાગણી છવાઈ ગઈ છે

પ્રખ્યાત આસામી વાંસળીવાદક દિપક શર્મા છેલ્લા કેટલાક વર્ષોથી યકૃતની લાંબી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ગયા મહિને તેઓ સારવાર માટે ચેન્નાઈ ગયા હતા. ત્યાંની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમના અવસાનના સમાચારથી આસામના સાંસ્કૃતિક સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દીપક શર્મા પ્રખ્યાત વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના શિષ્ય હતા.

આસામના મુખ્યમંત્રી હિમંતાએ શોક વ્યક્ત કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દિપક શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું, “પ્રખ્યાત વાંસળીવાદક દિપક શર્માના અકાળ અવસાન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે આસામી સંગીતમાં અમૂલ્ય યોગદાન આપ્યું અને વાંસળીને એક વાદ્ય તરીકે લોકપ્રિય બનાવી. શોકગ્રસ્ત પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.”

બિહારમાં કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી

ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ સામે કડક કાર્યવાહી કરી છે. વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) વિરુદ્ધ FIR દાખલ કરીને મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર, લલન સિંહે મોકામામાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પગલે તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી.

શું છે આખો મામલો?

મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદન બદલ કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. લલ્લન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. લલ્લન સિંહે કહ્યું હતું કે મતદાનના દિવસે કોઈ નેતાને તેમના ઘરે પેક કરી દેવા જોઈએ.

આ માહિતી પટણા ડીએમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, “જિલ્લા વહીવટીતંત્ર, પટનાએ વિડિઓ સર્વેલન્સ ટીમના વિડિઓ ફૂટેજની તપાસ કરી. તપાસ બાદ લલ્લન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.”

અનંત સિંહની ધરપકડ બાદ લલ્લન સિંહે પ્રચારની જવાબદારી સંભાળી

મોકામામાં જેડીયુ ઉમેદવાર અનંત સિંહની ધરપકડ બાદ, કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહે તેમના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી અને મોકામામાં પ્રચાર કર્યો. આ દરમિયાન લલ્લન સિંહે કહ્યું, “ચિંતા કરશો નહીં, મેં ચાર્જ સંભાળી લીધો છે. અનંત સિંહ અહીં નથી કારણ કે તેઓ નીતિશ કુમારના કાયદાના શાસનનો આદર કરે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, અને કાવતરું ટૂંક સમયમાં બહાર આવશે.”

ઉલ્લેખનીય છે કે દુલારચંદ યાદવ હત્યા કેસમાં અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. અનંત સિંહ મોકામામાં એક મજબૂત નેતા છે અને મતવિસ્તારમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ છે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે છે?

બિહારમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કા માટે 11 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

3 ઇઝરાયલી બંધકોના મૃતહેદના બદલામાં 45 પેલેસ્ટિનિયન મૃતદેહો સોંપાયા

ઈઝરાયેલ: ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હમાસે ત્રણ બંધકોના મૃતદેહો પરત કર્યાના એક દિવસ પછી, ઇઝરાયેલે 45 પેલેસ્ટિનિયનોના મૃતદેહો સોંપ્યા હતા. ઇઝરાયેલી અધિકારીઓએ 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હુમલામાં માર્યા ગયેલા સૈનિકો તરીકે ઓળખાવ્યા હતા, જેના કારણે યુદ્ધ શરૂ થયું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પરત કરાયેલા મૃતદેહોમાંથી ફક્ત 75 મૃતદેહોની ઓળખ થઈ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ગાઝામાં ડી.એન.એ. પરીક્ષણ કીટનો અભાવ ફોરેન્સિક કાર્યને જટિલ બનાવે છે. મંત્રાલયે મૃતદેહોના ફોટા ઓનલાઈન પોસ્ટ કર્યા છે જેથી પરિવારના સભ્યો તેમની ઓળખ કરી શકે. દરમિયાન, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે રવિવારે રાત્રે ઇઝરાયલ પરત આવેલા ત્રણ બંધકોની ઓળખ કેપ્ટન ઓમર ન્યુટ્રા (અમેરિકન-ઇઝરાયલી), સ્ટાફ સાર્જન્ટ ઓઝ ડેનિયલ અને કર્નલ અસફ હમામી તરીકે કરી છે.
10 ઓક્ટોબરથી યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ 20 બંધકોના મૃતદેહો પરત કર્યા છે, જેમાંથી આઠ ગાઝામાં રહે છે. પરત કરાયેલા દરેક બંધક માટે, ઇઝરાયલ 15 પેલેસ્ટિનિયનોના મૃતદેહો પરત કરી રહ્યું છે. સોમવારના રોજ યુદ્ધવિરામ શરૂ થયા પછી પરત કરાયેલા પેલેસ્ટિનિયન મૃતદેહોની સંખ્યા 270 પર પહોંચી ગઈ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ઝહિર અલ-વહિદીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ગાઝાની નાસેર હોસ્પિટલમાં 45 મૃતદેહો લાવવામાં આવ્યા હતા.

48 કલાકમાં ટિકિટ ફ્રીમાં રદ થશે, ૨૧ દિવસમાં સંપૂર્ણ રિફંડ મળશે!

નવી દિલ્હી: હવાઈ મુસાફરીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) હવાઈ મુસાફરીમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરતાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે, અને તે કોઈ પણ પ્રકારના વધારાના શુલ્ક વિના. આ પ્રસ્તાવમાં રિફંડ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો પણ સામેલ છે.

ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન મફત!

એવિએશન રેગ્યુલેટર DGCA એ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. DGCAના પ્રસ્તાવ હેઠળ, હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ કેન્સલ કરવાની અથવા મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પ્રસ્તાવ મુજબ, ટિકિટ કેન્સલ થયા પછી રિફંડની રકમ એરલાઇનના ક્રેડિટ શેલ/વોલેટમાં જમા કરવાની પસંદગી મુસાફરની રહેશે, ડિફોલ્ટ પ્રથા અનુસરવામાં આવશે નહીં.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ રિફંડ અને કેન્સલેશન અંગે હવાઈ મુસાફરોને લાંબા સમયથી નડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે આ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. નવા પ્રસ્તાવમાં મુસાફરોને બુકિંગ બાદ 48 કલાકનો ‘લુક-ઇન’ સમયગાળો મળશે. જે દરમિયાન તેઓ કોઈ પણ નોંધપાત્ર ફી લીધા વિના તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે. હાલમાં, વિવિધ એરલાઇન્સ ટિકિટ કેન્સલ કરવા માટે પોતાની નિર્ધારિત ફી વસૂલે છે.

21 દિવસની અંદર સંપૂર્ણ રિફંડ

DGCA એ ટિકિટ રદ કરવા અને રિફંડના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ/પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો પણ એરલાઇન્સ રિફંડ માટે જવાબદાર રહેશે. આવા એજન્ટો એરલાઇન્સના નિયુક્ત પ્રતિનિધિઓ છે. એરલાઇન્સ ખાતરી કરશે કે રિફંડ પ્રક્રિયા 21 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થાય.

હાલમાં આ સુધારો ડ્રાફ્ટિંગમાં

ફ્લાઈટ ટિકિટ રિફંડ સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (CAR)માં આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 30 નવેમ્બર સુધી તેના માટે ભલામણો માંગવામાં આવી છે. હવાઈ મુસાફરો અને ગ્રાહક અધિકાર જૂથો લાંબા સમયથી છેલ્લી ઘડીના ફેરફારો માટે વસૂલવામાં આવતાં ઊંચા ચાર્જની ટીકા કરી રહ્યા છે. તેને તેઓ હિડન પેનલ્ટી તરીકે ઓળખાવી રહ્યા છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને DGCAનું આ પગલું અર્થપૂર્ણ ઉકેલ લાવી શકે છે. જો કે આ સુધારો હજુ ડ્રાફ્ટ તબક્કામાં છે, તેના અમલીકરણથી ભારતીય પ્રવાસીઓ એરલાઇન ટિકિટિંગ સિસ્ટમમાં કેવા ફેરફારો આવશે તે જોવાનું રહેશે.

વંશવાદના રાજકારણ અંગે થરૂરના નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા

કેન્દ્રમાં સત્તાધારી ભાજપે થરૂરના નિવેદન પર કોંગ્રેસની ટીકા કરી છે. ભાજપના પ્રવક્તા શહજાદ જયહિંદે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે શશિ થરૂરે ભારતના નેપો કિડ રાહુલ ગાંધી અને છોટે નેપો કિડ તેજસ્વી યાદવ પર સીધા પ્રહાર કર્યા છે.

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વંશવાદી રાજકારણ પર કરેલી ટિપ્પણીથી હોબાળો મચી ગયો છે. જ્યારે કોંગ્રેસ પક્ષ બચાવની સ્થિતિમાં છે, ત્યારે ભાજપને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષને નિશાન બનાવવા માટે એક તૈયાર મુદ્દો અને તક મળી ગઈ છે. એક લેખમાં શશી થરૂરે ભારતના વંશવાદી રાજકારણની ટીકા કરી હતી. આ લેખનું શીર્ષક હતું “ભારતીય રાજકારણ એક પારિવારિક વ્યવસાય છે.” થરૂરે નેહરુ-ગાંધી પરિવાર પર વંશવાદી રાજકારણનો આરોપ લગાવ્યો હતો, જેના પર કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.

થરૂરના આરોપોથી કોંગ્રેસ નેતાઓ ગુસ્સે ભરાયા

ગાંધી પરિવાર પર શશી થરૂરના આરોપોનો જવાબ આપતા કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, “પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના સૌથી સક્ષમ વડા પ્રધાન હતા. ઇન્દિરા ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપીને પોતાને સાબિત કર્યું. રાજીવ ગાંધીએ પણ રાષ્ટ્રની સેવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તો, જો કોઈ ગાંધી પરિવારના વંશ વિશે વાત કરે છે, તો દેશના બીજા કયા પરિવારે આટલું બલિદાન, સમર્પણ અને ક્ષમતા દર્શાવી છે? શું તે ભાજપ છે?”

કોંગ્રેસના નેતા રશીદ અલ્વીએ કહ્યું કે પારિવારિક ઇતિહાસ વ્યક્તિને રાજકારણમાં પ્રવેશતા રોકી શકતો નથી. તેમણે કહ્યું, “લોકશાહીમાં, લોકો નિર્ણય લે છે. તમે કોઈને ફક્ત એટલા માટે રાજકારણમાં પ્રવેશતા રોકી શકતા નથી કારણ કે તેના પિતા સાંસદ હતા. આ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યું છે. તમે તેને કેવી રીતે ટાળી શકો છો?”

કોંગ્રેસના નેતા ઉદિત રાજે ગાંધી પરિવારના વંશીય રાજકારણનો બચાવ કરતા કહ્યું કે ડૉક્ટરનો પુત્ર ડૉક્ટર બને છે, અને ઉદ્યોગપતિનો પુત્ર ઉદ્યોગપતિ બને છે. રાજકારણ પણ તેનો અપવાદ નથી. જો કોઈ રાજકારણીનો ગુનાહિત ઇતિહાસ હોય, તો તે આપણા સમાજની વાસ્તવિકતા દર્શાવે છે. ચૂંટણી ટિકિટો જાતિ અને પરિવારના આધારે વહેંચવામાં આવે છે. ઉદિત રાજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર વંશીય રાજકારણને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો.

ભાજપે થરૂરને ટેકો આપ્યો

કેન્દ્રમાં સત્તાધારી ભાજપે થરૂરના નિવેદન પર કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. ભાજપના પ્રવક્તા શહજાદ જયહિંદે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે શશિ થરૂરે ભારતના નેપો કિડ રાહુલ ગાંધી અને છોટે નેપો કિડ તેજસ્વી યાદવ પર સીધો હુમલો કર્યો છે. શહજાદે લખ્યું છે કે, “ડૉ. થરૂર જોખમ લેવાવાળા બની ગયા છે. તેમણે નેપો કિડ પર સીધો હુમલો કર્યો છે. તમે જાણો છો કે 2017 માં જ્યારે મેં નેપો નામદાર રાહુલ ગાંધી વિરુદ્ધ વાત કરી ત્યારે મારી સાથે શું થયું. સાહેબ, હું તમારા માટે પ્રાર્થના કરું છું. ફર્સ્ટ ફેમિલી હંમેશા બદલો લે છે.”

થરૂરે પોતાના લેખમાં એવું શું લખ્યું જેનાથી હોબાળો મચી ગયો?

શશિ થરૂરે પોતાના લેખમાં લખ્યું હતું કે “નેહરુ-ગાંધી પરિવાર ભારતનો સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર છે, અને તેનો વારસો સ્વતંત્રતા ચળવળમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. જો કે, આનાથી કેટલાક લોકો એવું માને છે કે રાજકારણ ચોક્કસ પરિવારો માટે જન્મસિદ્ધ અધિકાર છે.” તેમણે લખ્યું હતું કે “વંશીય રાજકારણ ભારતીય લોકશાહી માટે નોંધપાત્ર ખતરો છે. જ્યારે રાજકીય સત્તા યોગ્યતા, સમર્પણ અથવા પાયાના જોડાણોને બદલે કૌટુંબિક સંબંધો દ્વારા નક્કી કરવામાં આવે છે, ત્યારે શાસનની ગુણવત્તાને નુકસાન થાય છે. નાના પ્રતિભા પૂલમાંથી પસંદગી કરવી ક્યારેય ફાયદાકારક નથી, પરંતુ જ્યારે ઉમેદવારની પ્રાથમિક લાયકાત તેમની અટક હોય છે ત્યારે તે વધુ મુશ્કેલ બની જાય છે. વાસ્તવમાં, રાજકીય રાજવંશના સભ્યો ઘણીવાર સામાન્ય લોકોના પડકારો પ્રત્યે ઉદાસીન હોય છે, ઘણીવાર તેમના મતદારોની જરૂરિયાતોને અસરકારક રીતે પ્રતિભાવ આપવામાં નિષ્ફળ જાય છે. છતાં, એવી કોઈ ગેરંટી નથી કે તેઓ નબળા પ્રદર્શન માટે જવાબદાર રહેશે.” થરૂરે પોતાના લેખમાં અબ્દુલ્લા અને મુફ્તી પરિવારો, નવીન પટનાયક, મહારાષ્ટ્રમાં ઠાકરે ભાઈઓ, બિહારમાં પાસવાન, પંજાબમાં તેજસ્વી યાદવ અને બાદલ પરિવાર, તમિલનાડુમાં કરુણાનિધિ પરિવારનો પણ ઉલ્લેખ કર્યો છે.

ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી

 

ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી

 

ઘેટાંનાં વાળને ઊન કહેવાય. આ ઊનની કિંમત ઉપજે. ત્યારે ઘેટી કોઈના ખેતરમાં ચરવા ઘૂસી જાય. થોડી કિંમતનું ઘાસ ચરી પણ લે પણ બદલામાં ખેતરનો માલિક એનું ઊન ઉતારી લે તો નાનો ફાયદો મેળવવાથી મોટી કિંમત એણે ચૂકવી એમ કહેવાય.

થોડો ફાયદો મેળવવા જતાં મોટી હાનિ મેળવવી તે સંદર્ભમાં ‘ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી’ કહેવત વપરાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

22 બાળકોના મોતના આરોપી ડોક્ટરની પત્નીની ધરપકડ

ઝેરી કફ સિરપ કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે તેણે ફાર્માસિસ્ટ સૌરભ જૈન અને ન્યૂ અપના ફાર્માના ઓપરેટર રાજેશ સોની સાથે મળીને ઝેરી સીરપ કોલ્ડ્રિફના સ્ટોકમાં હેરાફેરી કરી હતી.

મધ્યપ્રદેશમાં 22 નિર્દોષ લોકોના જીવ લેનારા ઝેરી કફ સિરપ કૌભાંડમાં લાંબા સમયથી ફરાર રહેલી સહ-આરોપી જ્યોતિ સોનીને આખરે પોલીસે પકડી લીધી છે. આરોપી ડૉ. પ્રવીણ સોનીની પત્ની જ્યોતિ પર પુરાવા છુપાવવાનો અને ગુનામાં મદદ કરવાનો આરોપ છે. તે પારસિયામાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતી હતી. સોમવારે SIT ટીમે તેની પારસિયામાં ધરપકડ કરી હતી.

જ્યોતિ સોનીએ બેંગ્લોર અને વારાણસીમાં ફરાર રહીને પોતાનો સમય વિતાવ્યો. ડીએસપી જીતેન્દ્ર જાટે જણાવ્યું કે ફરાર રહેવા દરમિયાન જ્યોતિ સોની બેંગ્લોર અને વારાણસીમાં છુપાઈને રહી. આ સમય દરમિયાન, તેણીએ જબલપુર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવાનો પણ પ્રયાસ કર્યો.

માહિતી મળતાં, SIT એ પારસિયા પર દરોડો પાડ્યો અને તેની ધરપકડ કરી. આરોપીને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ડ્રગ વિભાગના તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે જ્યોતિ સોની, ફાર્માસિસ્ટ સૌરભ જૈન અને ન્યૂ અપના ફાર્માના ઓપરેટર રાજેશ સોની સાથે મળીને ઝેરી કફ સિરપ કોલ્ડ્રિફના સ્ટોકમાં હેરાફેરી કરી હતી અને માહિતી છુપાવી હતી. ત્રણેયે ડૉ. પ્રવીણ સોનીને બચાવવા માટે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના આધારે પોલીસે ત્રણેય સામે કેસ દાખલ કર્યો હતો. સૌરભ અને રાજેશની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જ્યોતિ હવે પકડાઈ ગઈ છે.

જ્યોતિની ધરપકડ અંગે પારસિયામાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો કહે છે કે તેણીએ સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું, જ્યારે પોલીસ દાવો કરે છે કે તેની ધરપકડ હતી, આત્મસમર્પણ નહીં. SIT હવે એ જાણવાનો પ્રયાસ કરશે કે તેણીએ ફરાર થવા દરમિયાન કોનો સંપર્ક કર્યો હતો અને કેસ સાથે સંબંધિત પુરાવા કેવી રીતે નાશ પામ્યા હતા.