Home Blog Page 4830

મુંબઈમાં મધ્ય રેલવેની પહેલી AC લોકલ દોડતી થઈ

મુંબઈ – પશ્ચિમ રેલવે બાદ મુંબઈમાં મધ્ય રેલવેએ પણ તેની એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન શરૂ કરી છે. આજે એની પહેલી એસી લોકલ પનવેલ સ્ટેશનેથી થાણે સુધી દોડાવવામાં આવી હતી.

રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનના કન્ટ્રોલ રૂમમાંથી વિડિયો લિન્ક મારફત આ ટ્રેનની સફરનો શુભારંભ કરાવ્યો હતો.

આ ઉદઘાટક ટ્રેનને બંને મહિલાએ ચલાવી હતી. મોટરમેન હતાં મનીષા મ્હસ્કે અને ગાર્ડ હતાં શ્વેતા ઘોને.

પનવેલ સ્ટેશનેથી બપોરે અઢી વાગ્યાના સુમારે આ એસી લોકલ ટ્રેનને થાણે રવાના કરવામાં આવી હતી. થાણેથી તે નેરુલ સ્ટેશન સુધી ગઈ હતી અને ત્યાંથી એને કારશેડમાં મોકલી દેવામાં આવી હતી.

શુક્રવારથી આ ટ્રેન રોજ 16 ફેરી કરશે.

મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર વિભાગ પર થાણે-નેરુલ, થાણે-પનવેલ અને થાણે-વાશી સ્ટેશનો વચ્ચે આ ટ્રેનને દરરોજ દોડાવવામાં આવશે.

આ ટ્રેનમાં પ્રવાસીઓ માટે ઈન્ટરકોમ સુવિધા સહિત જીપીએસ-આધારિત ઈન્ફોર્મેશન સિસ્ટમ બેસાડવામાં આવી છે. તે ઉપરાંત દરેક ડબ્બામાં બે-સાઈડવાળા ડિસ્પ્લે અને બે ડબલ-સાઈડવાળા ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે.

ટ્રેનમાં પ્રવાસીઓ માટેની સીટ સ્ટેનલેસ સ્ટીલની બનાવવામાં આવી છે. બારીઓ ઘણી પહોળી અને મોટી ડબલ-ગ્લાસવાળી સીલ્ડ વિન્ડો છે જેમાંથી બહારનું વિશાળ દ્રશ્ય જોઈ શકાય છે.

પ્રવાસીઓની સલામતી માટે ટ્રેનમાં ઓટોમેટિક દરવાજાવાળી સિસ્ટમ છે. તે ઉપરાંત તાકીદની સ્થિતિ માટે એલાર્મ સિસ્ટમ છે. પ્રવાસીઓ અને ટ્રેનચાલકો વચ્ચે સંદેશવ્યવહાર કરવા માટે ટોક-બેક સુવિધા પણ છે.

પશ્ચિમ રેલવે બે વર્ષથી ચર્ચગેટ અને વિરાર વચ્ચે એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન દોડાવે છે.

ગાંધીજી પર શોર્ટ ફિલ્મઃ કોણ જીત્યું આ સ્પર્ધામાં?

ગાંધીનગર:  રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂ. ગાંધીજીના નિર્વાણદિને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટેની કેટેગરીમાં ૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ ક્રમે તેજસ એન. ભાંભરે(એમ.આઇ.ટી.-એ.ડી.ટી.યુનિવર્સિટી, પૂણે) દ્વિતિય ક્રમે ભાર્ગવ આર.પરમાર (ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) અને તૃતીય ક્રમે ચિંતન એન.પંડ્યા- એચ.કે.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં સ્મિત એમ.વ્યાસ (એમ.એ.પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટ કોલેજ, પાલનપુર) અને અભિષેક એન.પરમાર (એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગ, મોરબી)ને  સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.

મેચ્યોર ફિલ્મ મેકર્સની કેટેગરીની સ્પર્ધામાં ૧૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ સ્થાને કુમાર ભોઇ (આણંદ), દ્વિતિય ક્રમે ડૉ.જીગર સુથાર (અમદાવાદ) અને તૃતીય ક્રમે ડૉ.પ્રસન્નકુમાર ગાંધી (અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં મિતુલ પી. ગુપ્તે (વડોદરા)ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.

પ્રોફેશનલ ફિલ્મ મેકર્સની કેટેગરીમાં તૃતીય સ્થાને વિજયસિંહ એમ.ઝાલા(અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે કોઇ કૃતિ પસંદગી પામી નથી. આ કેટેગરીમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જ્યારે માહિતી ખાતાની ફિલ્મ મેકર્સની પેનલના નિર્માતાઓ માટેની કેટેગરીમાં પ્રથમ ક્રમે સંદિપ રાજપુત, અમદાવાદ અને દ્વિતિય ક્રમે નિમેષ શાહ, અમદાવાદ વિજેતા થયા છે.

ગાંધીજી-શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને રૂા.બે લાખ, દ્વિતિય ક્રમના વિજેતાઓને રૂા.એક લાખ અને તૃતીય ક્રમાંકના વિજેતાઓને રૂા.પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવસારીમાં નૂતન શિખરબદ્ધ મંદિરમાં ઊજવાયો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની પાવન ભૂમિ ઉપર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે 2012માં સંગેમરમરના ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણનો શુભારંભ કર્યો હતો. એમની પાવન પ્રેરણા અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે બીએપીએસ નૂતન મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ આજે (30-01-2020), વસંત પંચમીના દિવસે ઊજવાયો. 10 એકરના પરિસરમાં આ મંદિરની લંબાઈ 205 ફૂટ, 188 ફૂટ પહોળાઈ તથા ઊંચાઈ 82 ફૂટ છે, જેમાં બારીક કોતરણીવાળા કલામંડિત 222 સ્તંભો, 150 તોરણો, 900 ફૂટ લાંબી બેનમૂન ગજેન્દ્ર-પીઠ અને અવતારો, દેવી-દેવતા અને મહાન ભક્ત-પરમહંસોની સુંદર રુપપ્રતિમાઓ, ભગવાન સ્વામિનારાયણની લીલાના 44થી વઘુ પથ્થરમાં કંડારાયેલી શિલ્પકૃતિઓ અને કલાત્મક 5 શિખર, 2 ઘુમ્મટ તથા 17 ઘુમ્મટીઓ અને તેના ઉપર 19 સુવર્ણરહિત કળશો છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ, અભિષેક મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજ, શ્રી સીતા-રામ-હનુમાનજી તથા શ્રી શિવ-પાર્વતી-ગણેશજી અને ગુરુપરંપરાની મૂર્તીઓની પ્રતિષ્ઠા વૈદિક વિધિથી શાસ્ત્રોક રીતે સંપન્ન થઈ. સમગ્ર ભારતભરમાંથી 51 પવિત્ર નદીઓના જળ અને ઔષધી કળશમાં ભેગા કરવામાં આવ્યાં હતાં અને કળશનું શાસ્ત્રોક વિધિથી પૂજન થયું અને ત્યાર બાદ આ પવિત્ર જળથી મૂર્તિઓનો અભિષેકવિધિ કરવામાં આવ્યો હતો. સંસ્થાના વિદ્વાન સંતો અને બ્રાહણો દ્વારા સમગ્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યો હતો. જેમાં ઉડ્ડપી, દક્ષિણ ભારતમાંથી 9 બ્રાહ્મણોએ વાદ્યનું વાદન કર્યું હતું. મહાપૂજામાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ, સદગુરુ સંતો, દેશ-વિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા. પ. પૂ. મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરના મુખ્ય દરવાજાનું વૈદોક્ત વિધિથી અનાવરણ કરી નૂતન શિખરબદ્ધ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

આ અવસરે પ. પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, ‘’નવસારી ખાતે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સનાતન દેવોની અહીં વૈદોક્ત વિધીથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તમામ ભક્તો અને નવસારી શહેરની પ્રજાજનો સુખી થાય તથા આખા વિશ્વમાં સંપ, શાંતિ, શ્રદ્ધા અને એકતા જળવાઈ રહે અને તમામ ભક્તજનોના દેશકાળ સારા થાય.’’

પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દેશ-વિદેશમાં 1100 કરતાં વધુ મંદિરોનાં નિર્માણ થયાં છે જે, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને સમાજસેવાનાં ધબકતાં ઊર્જાકેન્દ્ર બની રહ્યાં છે.જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નવસારીનાં નેજા હેઠળ 162 પ્રકારની પ્રવૃત્તિઓનું સફળતા પૂર્વક સંચાલન પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી થઈ રહ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આદિવાસી ઉત્કર્ષ માટે અનેક કાર્યો ચાલી રહ્યાં છે. રંભાસ ખાતે ચાલતી આદિવાસી છાત્રાલય અને સ્કૂલ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સંસ્કારયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.

નૂતન મંદિર મૂર્તિ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3800 કરતા વધારે યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં આહુતી અર્પણ કરી હતી.

દરેક મુદ્દે વિપક્ષ સાથે ચર્ચા માટે સરકાર તૈયાર: પીએમ મોદી

નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ આજે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે, સરકાર વિપક્ષના મંતવ્યો સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કહ્યું કે અર્થવ્યવસ્થા સહિત તમામ મુદ્દાઓ પર સાર્થક અને વિસ્તૃત ચર્ચા થવી જોઈએ.  અર્થવ્યવસ્થાને વૈશ્વિક સંદર્ભે જોવાની જરૂર છે, ભારત તેનો ફાયદો ઉઠાવી શકે છે. સંસદના 31 જાન્યુઆરીથી શરુ થતાં બજેટ સત્ર પહેલા આયોજીત સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ સીએએ, એનપીઆર, એનઆરસી, અર્થવ્યવસ્થાની સ્થિતિ, કશ્મીરની સ્થિતિ સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા અને તેના પર ચર્ચાની માંગ કરી.

બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી વગેરે હાજર રહ્યા. બેઠક પછી રાજ્યસભમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સીએએ વિરુદ્ધ પ્રદર્શનો પર સરકારનું વલણ તેનો અંહકાર બતાવે છે, સરકારે પ્રદર્શનકારીઓ સાથે સંપર્ક કરવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો.  આઝાદે વધુમાં કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે, બેરોજગારી આકાશ આંબી રહી છે, કશ્મીરમાં ત્રણ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. અમે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ.

જામીયા પ્રદર્શન વખતે ગોળી ચલાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જામિયા યૂનિવર્સિટી પાસે પ્રદર્શન દરમ્યાન ખુલ્લેઆમ ગોળી ચલાવવાની ઘટનાને લઇને દિલ્હીમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ગોળી શાદાબ ગામના એક વિદ્યાર્થીના હાથ પર વાગી હતી. શાદાબને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ ગોપાલ છે. તેણે ગોળી ચલાવતા પહેલા ફેસબુક લાઈવ પણ કર્યું હતું.

ફેસબુક લાઈવ કરતા પહેલા તેણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, શાહીનબાગ ખેલ ખતમ. આ પહેલા તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી અંતિમ યાત્રા પર, મને ભગવામાં લઈ જવામાં આવે અને જય શ્રીરામના નારા લાગે”. પછી તેણે લખ્યું કે, મારા ઘરને સાચવજો, અને તેણે પોતાના ફેસબુક પેજ પોતાનું નામ “રામભક્ત ગોપાલ”રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજઘાટ સુધી પદયાત્રા કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક એક યુવાન આવ્યો અને તેણે આ લો આઝાદી અને દિલ્હી પોલીસ જિંદાબાદ કહેતા ગોળી ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીએએના વિરોધમાં ઉતરેલા હજારો લોકો અને વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર પ્રદર્શન કર્યું.

કોરોના વાયરસઃ શું કરી છે રાજ્ય સરકારે તૈયારી?

ગાંધીનગરઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે જોર પકડ્યું છે. ચીનમાં રહેતા હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા, ચીનમાં રહેતા ગુજરાતના યુવાનોને ત્યાંથી પાછા લાવવા માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હેલ્પલાઈન નંબરો પણ શરુ કરવામાં આવ્યા છે જેની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. નાગરિકોએ ગભરાવાની જરુર નથી અને તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ છે.

આજે ગાધીનગર ખાતે નોવેલ કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપવામાં આવી હતી. રોગના લક્ષણો સંદર્ભે બહારથી આવતા નાગરિકો સ્વયં જાણ કરે તે અત્યંત અનિવાર્ય છે. નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક સ્ક્રીનીંગ માટે ટર્મિનલ-૨ ઉપર ૨૪ કલાક એક ડૉક્ટર તેમજ બે પેરા મેડીકલ સ્ટાફ સાથેની મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરવામાં આવી છે.

મેડીકલ ટીમની સાથે થર્મલ સ્કેનર, પી.પી.ઈ.કીટ, એન-૯૫ માસ્ક, થ્રી લેયર માસ્ક, ઓક્સિજન, ઈમરજન્સી દવાઓ તથા સેલ્ફ ડિક્લેરેશન અંગેના ફોર્મ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૪x૭ એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ રાખવામાં આવી  છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ એલર્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે. કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની કચેરી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા મળેલી સુચના અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ચાઈના, હોંગકોંગ, સીંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયા દેશમાંથી આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. સેટકોમનાં માધ્યમથી તમામ આરોગ્યકર્મીઓને આ રોગ વિષે માહિતીગાર પણ કરવામાં આવ્યા છે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાકક્ષાના અધિકારીઓ સાથે આ રોગની સમીક્ષા કરવામાં આવી રહી છે. આઈ.એમ.એ.ના સહકારથી તમામ ખાનગી ડૉકટરોને સેન્સેટાઈઝ કરવામાં આવ્યા છે. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય સચિવ, સ્પેશિયલ સેક્રેટરી, ડાયરેક્ટર એન.સી.ડી.સી. જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત ધોરણે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપવામાં આવે છે.

તાપસીની આગામી ફિલ્મ “થપ્પડ”નું પોસ્ટર રિલીઝ

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુની આગામી ફિલ્મ “થપ્પડ” નો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. તાપસીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તાપસીનો માત્ર ચહેરો દેખાઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે જાણે કોઈ તાપસીના ગાલ પર લાફો મારી રહ્યું હોય. પોસ્ટર શેર કરતા તાપસીએ એક દમદાર કેપ્શન પણ લખી છે. તાપસીએ લખ્યું કે, શું આ સામાન્ય વાત છે? શું પ્રેમમાં આ યોગ્ય છે? આ થપ્પડની પ્રથમ ઝલક છે.

પોસ્ટરમાં એ વાતની પણ જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 31 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન અનુભવ સિન્હા કરી રહ્યા છે. આ પહેલા વર્ષ 2019 માં અનુભવ સિન્હાની “આર્ટિકલ 15” ફિલ્મ રિલીઝ થઈ હતી જેને લોકોએ ખૂબ વખાણી હતી. તાપસી પણ અનુભવ સિન્હા સાથે બીજીવાર કામ કરી રહી છે. આ પહેલા તેણે “મુલ્ક” ફિલ્મમાં તેમની સાથે કામ કર્યું હતું.

થપ્પડ સિવાય આ વર્ષે તાપસી “શાબાશ મિટ્ઠૂ” નામની ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત હશે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટરમાં તાપસી પોતાના માથા પર હેટ લગાવીને હાથમાં બેટ લઈને શોટ મારવાનો પ્રયત્ન કરી રહી છે. પોસ્ટર શેર કરતા તાપસીએ લખ્યું હતું કે, મને હંમેશા પૂછવામાં આવ્યું કે આપનો ગમતો ક્રિકેટર કોણ છે. પરંતુ તમારે પૂછવું જોઈએ કે તમારી ગમતી મહિલા ક્રિકેટર કોણ છે? આ નિવેદનથી ખ્યાલ આવે કે ક્રિકેટ લવર હકીકતમાં ક્રિકેટને પ્રેમ કરે છે કે પછી એ જેન્ડરને કે જે રમી રહ્યા છે. મિતાલી રાજ તમે એક ગેમ ચેન્જર છો.

વસંત પંચમીની ઉજવણી

હિન્દુ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી માઁ શારદાની પુજા થાય છે. આ વર્ષે 30 જાન્યુઆરી એટલે કે આજે વસંત પંચમી છે.

વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

હૈદરાબાદની નીલકંઠ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં વસંત પંચમીની ભાવભરી ઉજવણી થઈ. વિદ્યાર્થીઓએ વિદ્યાની દેવી સરસ્વતીની પરંપરાગત રીતે આરાધના કરી.

વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીના શ્લોકોનો પાઠ કરી સરસ્વતીની આરાધના કરી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના અર્થતંત્રમાં મંદી વૈશ્વિક અર્થતંત્રને કેટલી અસર કરે?

નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં અર્થવ્યવસ્થામાં છવાયેલી સુસ્તીની વાત થઈ રહી છે. જોકે, તમામ એજન્સીઓએ આશા વ્યક્ત કરી છે કે, આગામી નાણાકીય વર્ષથી સુધારો થવાનું શરુ થઈ જશે. આઈએમએફ એ વૈશ્વિક જીડીપી ગ્રોથ દરના અનુમાનને ઘટાડી દીધું છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે તમારા મનમાં એક સવાલ ચોક્કસ ઉઠતો હશે કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કેટલું મહત્વ ધરાવે છે અને અહીં સુસ્તી આવવાની અસર કેટલી દૂરગામી અને ગંભીર હોઈ શકે છે?

ભલે અર્થતંત્રના આકાર મામલે ભારત વિશ્વમાં સાતમાં નંબર પર હોય, પણ ગ્લોબલ ગ્રોથમાં યોગદાન મામલે દેશ ત્રીજા નંબર પર છે. 2018માં થયેલા સર્વે અનુસાર, ભારત, ચીન અને અમેરિકાનું ગ્લોબલ ગ્રોથમાં 56.90 ટકાનું યોગદાન છે. અંદાજે પાંચ દાયકા પહેલા 1970માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એન્જિન અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાંસ અને યુકે ગણાતું. એ સમયે આ રાષ્ટ્રોનું કુલ યોગદાન અંદાજે 46.40 ટકા હતુ.

વૈશ્વિક ગ્રોથમાં ચીનનું 27.90 ટકા, અમેરિકાનું 21.30 ટકા, અને ભારતનું 7.6 ટકા યોગદાન છે. 1970-71ની સરખામણીએ જર્મનીનું યોગદાન 3.3 ટકાથી ઘટીને 2.5 ટકા, ફ્રાંસનું 4.6 ટકાથી ઘટીને 2.1 ટકા, જાપાનનું 9 ટકાથી ઘટીને 2 ટકા અને યૂકેનું 2.5 ટકાથી ઘટીને 1.7 ટકા પર પહોંચી ગયું છે.

વૈશ્વિક જીડીપીમાં ભારતની ભાગીદારીની જો વાત કરીએ તો, છેલ્લા પાંચ દાયકામાં ચીન અને ભારતની ભાગીદારી વધી છે, જ્યારે અમેરિકા, જાપાન અને તમામ અન્ય દેશોની હિસ્સેદારી ઘટી છે. સરવે રિપોર્ટ અનુસાર, ગ્લોબલ જીડીપીમાં અમેરિકાની ભાગીદારી અત્યારે 23.9 ટકા છે, જે સૌથી વધુ છે, જોકે, 1970માં તેમનું કુલ શેરિંગ36.20 ટકા હતું.

ચીનનું શેરિંગ 3.1 ટકાથી વધીને 12.70 ટકા પર પહોંચી ગયું છે. ભારતનું શેરિંગ 2.1 ટકાથી વધીને 3.2 ટકા પર પહોંચ્યું છે. અન્ય વિકસિત અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ફ્રાંસનું શેરિંગ 3.2 ટકા, યૂકે 3.3 ટકા, જર્મની 4.6 ટકા અને જાપાન 5.8 ટકા.

વૈશ્વિક જીડીપીમાં ભાગીદારી મામલે ભારત ભલે સાતમાં નંબર પર હોય પણ ઈકોનોમિક કન્ટ્રીબ્યુશન મામલે તે ત્રીજા નબંર પર છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર પણ છે જેથી ભારતમાં મંદી અને તેજીની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળે છે.

મૂર્તિ અને તાતા: આદરનો આ સંબંધ જૂનો અને ગાઢ છે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ફોટો બીજા કોઈનો નહીં પણ દેશના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ રતન તાતા અને ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના છે.

મુંબઈમાં યોજાયેલી TiECon ઈવેન્ટમાં આ બંને દિગ્ગજો એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. ઓડિયન્સને એવું હતું કે બંને સાથે આવવાથી સ્ટેજ પર પાવર ટસલ જોવા મળશે પરંતુ સ્ટેજ પર જે થયું તે જોઈને બધાની નવાઈનો કોઈ પાર ન રહ્યો. આ ઈવેન્ટમાં નારાયણ મૂર્તિએ રતન તાતાને એવોર્ડ આપ્યો અને પછી ઝૂકીને તેમને પગે લાગીને માન આપ્યું. રતન તાતાએ પણ આ ક્ષણ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

82 વર્ષના રતન તાતા ભારતના સૌથી દિગ્ગજ બિઝનેસ ટાયકૂન છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે એકાઉન્ટ બનાવ્યા બાદ તે સોશિયલ મીડિયાના પણ પ્રિય બની ગયા છે. તેમણે તાજેતરમાં જ તેમના યુવાનીનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટો જોઈને લોકોએ કહ્યું હતું કે તે કોઈ હોલિવુડ સ્ટારથી કમ નથી લાગતા. આ જ રીતે 73 વર્ષના ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ પણ શિસ્ત અને વિનમ્રતા માટે આખા દેશમાં જાણીતા છે.

આ ઘટનાના ફોટા ટ્વીટર પર વાયરલ થયા હતા. નારાયણ મૂર્તિએ બધાના દિલ જીતી લીધા. આ ખરેખર વિનમ્રતાની એક નિશાની છે. જ્યારે બે સરખેસરખા કદ ધરાવતા લોકો સાથે આવે અને એકબીજા માટે માન-સન્માન દર્શાવે તે ખરેખર લોકો માટે ઉમદા દાખલો બેસાડે છે.

તમને જણાવી દઈએ કે ટાટા પરિવાર અને મૂર્તિ પરિવાર વચ્ચે ઓળખ આજકાલની નહિ પરંતુ એ સમયની છે જ્યારે ટાટા ગૃપના ચેરમેન જેઆરડી તાતા હતા અને ઈન્ફોસિસની સ્થાપના પણ નહતી થઈ. ઈન્ફોસિસની સ્થાપના 1981માં થઈ હતી. નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિની પહેલી નોકરી ટાટા મોટર્સમાં જ લાગી હતી. તે ટાટા મોટર્સના પહેલા મહિલા એન્જિનિયર હતા.