ભારતમાં કોરોનાનાં કેસોનો આંક 25,000ને પાર

નવી દિલ્હીઃ વિશ્વભરમાં મોતનું તાંડવ રચનાર મહાબીમારી કોરોના વાઈરસ ભારતમાં પણ જીવલેણ બન્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં આ ચેપી બીમારીનો શિકાર બનેલાઓનો આંક વધીને 26,496 થયો છે. જ્યારે આ રોગથી અત્યાર સુધીમાં 824 જણ મૃત્યુને શરણ થયા છે.

આ રોગચાળાને કાબૂમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારો તનતોડ મહેનત કરી રહ્યાં છે, કડક પગલાં ભરી રહ્યાં છે. દેશભરમાં હાલ લોકડાઉન લાગુ છે, જેને 3 મે સુધી લંબાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 14 એપ્રિલે જાહેરાત કરી હતી.

લોકડાઉનની લંબાવેલી મુદતનો આજે 12મો દિવસ છે.

લોકડાઉનના કડક અમલ છતાં કોરોના બીમારીનો શિકાર બનતા લોકોની સંખ્યા વધી રહી છે.

ભારતમાં આ રોગનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર રાજ્ય છે, જ્યાં કેસોની સંખ્યા 7,600ને પાર કરી ગઈ છે. ગઈ કાલે એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 811 નવા કેસો નોંધાયા હતા.

મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાનું હોટબેડ બન્યું છે. મુંબઈમાં ગઈ કાલે વધુ 600 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 13 જણે જાન ગુમાવ્યો હતો. આ સાથે મુંબઈમાં કોરોનાને કારણે થયેલા મરણનો આંક વધીને 200ની નજીક પહોંચ્યો છે.

ગુજરાતમાં, કોરોનાનાં કુલ 2,815 કેસો નોંધાયા છે. મરણનો સત્તાવાર આંક 127 દર્શાવાયો છે.

દરમિયાન, એક રાહતના સમાચાર એ છે કે દેશમાં 15 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસોમાં કોરોનાનાં નવા એકેય કેસ નોંધાયા નથી.