Home Blog Page 482

અમૂલની વિશ્વની નંબર-૧ સહકારી સંસ્થા તરીકે પસંદગી

આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ને ICA વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ પ્રતિ વ્યક્તિ GDP પ્રદર્શનના આધારે વિશ્વની નંબર વન સહકારી સંસ્થા તરીકે સ્થાન મળ્યું છે, જે અંગેની જાહેરાત દોહા, કતારમાં યોજાયેલી ICA CM 50 કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપતી તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA), જેનું મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું છે અને વિશ્વભરના સહકારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ ટકાઉ વ્યવસાય મોડેલને આગળ ધપાવે છે. દર વર્ષે વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર, EURICSE (યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓન કો-ઓપરેટિવ એન્ડ સોશિયલ એન્ટરપ્રાઇઝિસ) સાથેના સહયોગમાં, વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાઓના આર્થિક અને સામાજિક પ્રભાવનું વિશ્લેષણ કરે છે.

આ સિદ્ધિ અંગે ડૉ. જયેન મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, GCMMF (અમૂલ) એ જણાવ્યું કે, “અમૂલ એક એવી બ્રાન્ડ છે, જે સંપૂર્ણપણે ખેડૂતોની માલિકીની છે. તેઓ જ દૂધ સંપાદન કરવાથી લઈને ઉત્પાદન અને માર્કેટિંગ સુધી બધું સંચાલન કરે છે. અમારું માત્ર આર્થિક યોગદાન નથી, અમારું મોડલ ગરીબીને ઓછી કરવાનું, જાતિ આધારિત સમાનતા અને ટકાઉ સમુદાય જેવા યુએનના ટકાઉ વિકાસ લક્ષ્યો (UN SDGs) ને સમર્થન આપવાનું છે.”

અમૂલની સફળતા તેના ત્રિ-સ્તરીય સહકારી માળખા પર આધારિત છે, જેમાં ૧૮,૬૦૦ થી વધુ ગ્રામ્ય દૂધ સહકારી મંડળીઓ અને ૩૬ લાખથી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલ છે, જેમાં મોટાભાગે મહિલાઓ જોડાયેલા છે. ફેડરેશને ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ગ્રામ્ય જીવન તેમજ રાષ્ટ્રીય પોષણ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમૂલ “ધ ટેસ્ટ ઑફ ઇન્ડિયા” ની ભાવનાને સંગઠિત  કરે છે અને વિશ્વભરમાં સહકારી ઉત્કૃષ્ટતાનું પ્રતીક બની રહ્યું છે.

આજે દોહા, કતારમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સામાજિક શિખર સંમેલન 2025 દરમિયાન વિશ્વના નેતાઓએ એક રાજકીય ઘોષણાપત્ર સ્વીકાર્યું, જેમાં સહકારી સંસ્થાઓ દ્વારા ગરીબી ઘટાડવામાં, સામાજિક સમાવેશનમાં, રોજગાર સર્જનમાં અને સામાજિક પરિવર્તનમાં ભજવાતી મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા અપાઈ.

સોનલ કાંટાવાળાના પ્રથમ પુસ્તક ‘સ્વ’ સમીપેનું વિમોચન

મુંબઈ: ‘પોતાની જાત સાથે બેસવું અને જાત સાથે વાત કરવાનું બહુ અઘરું હોય છે, આ માટે હિંમત જોઈએ,  આવી અઘરી વાતનો અમલ કરી લેખો લખવાની શરૂઆત કરવા માટે સોનલ કાંટાવાળાને હું ખૂબ ધન્યવાદ આપું છું’. આ વાત સોનલ કાંટાવાળા લિખિત ‘‘સ્વ’ સમીપે’ પુસ્તકનું વિમોચન કરતા જાણીતા સાહિત્યકાર, લેખક, વિચારક ડૉ. દિનકર જોશીએ કર્યું હતું. ‘સ્વ’ સમીપે સોનલ કાંટાવાળાનું પ્રથમ પુસ્તક છે; જે તેમના ૪૫ લેખોનો સંગ્રહ છે, આ લેખો તેમણે ‘સ્વ’ ની સમીપે બેસીને તેમ જ આસપાસના સમાજનું નિરિક્ષણ કરતા-કરતા આવેલા વિચારોને આધારે લખ્યા છે.મલાડ ખાતે ગયા શનિવારે યોજાયેલા એક ખાસ સમારંભમાં બે પ્રસંગોનું આયોજન એકસાથે થયું હતું, જેમાં ‘સ્વ’ સમીપે પુસ્તકના વિમોચન ઉપરાંત તેમના પતિ અને કિશોર કુમારના ચાહક-ભાવક હોવા સાથે કિશોરદાના ગીતો ગાતા પ્રોફેશનલ ગાયક નિખિલ કાંટાવાળાની ષષ્ટિપૂર્તિની ઉજવણી પણ હતી. ડૉ. દિનકર જોશીએ આ અવસરે હાજર રહી પુસ્તકો, માનવીની ભીતર સર્જાતા વિચારો અને ખાસ કરીને જાત સાથે બેસવાની વાતો વિશે પોતાના ભાવ વ્યકત કર્યા હતા. ૯૦ વરસની વયમાં પણ પોતાને સાહિત્ય-પુસ્તકો પ્રત્યે સતત સજાગ રાખનાર ડૉ. દિનકર જોશીએ આ પુસ્તકના એક લેખના શિર્ષક ‘લાગણીઓનું મેનેજમેન્ટ’ નો ઉલ્લેખ કરતા કહયું હતું કે આજે માણસ એકલો થતો જાય છે તેની પાસે હ્રદય ખોલીને વાત કરવા કોઈ હોતું નથી.

આ પ્રસંગે કાંદિવલી એજયુકેશન સોસાયટી (KES)ના પ્રેસિડન્ટ મહેશ શાહે પુસ્તક ‘સ્વ’ સમીપે વિશે કહયું હતું કે ‘આ એક વિચાર યાત્રા છે. આજના સમયમાં મોટાભાગના માણસો સેલ્ફી લેતા હોય છે, એ સેલ્ફી લીધા બાદ માણસ પોતે કેવો સારો લાગે છે એ જુએ છે, બીજાને પણ બતાવે છે, કિંતુ માણસ હું કેવો દેખાઉં છું એના કરતાં પોતે અંત:કરણમાં ઉતરીને હું કેવો છું એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો સમાજ વધુ ઉત્કૃષ્ઠ બની શકે. સોનલે પોતાના અંત:કરણમાં ઉતરીને પોતાની સેલ્ફી પાડી છે એમ આ ‘સ્વ’ સમીપે પુસ્તક વાંચીને કહી શકાય.’

આ અવસરે કવિ અને ભગવદગીતાના ઊંડા અભ્યાસી દિનેશ પોપટે નિખિલભાઈને જન્મદિનની અને સોનલબેનને પુસ્તક માટે શુભેચ્છા આપતા કહયું હતું કે નિખિલ કાંટાવાળા પાસે ગીત-સંગીત અને સોનલબેન પાસે સહિત્ય છે, આમ સાહિત્ય, સંગીત અને કળાનો સંગમ એક જ યુગલમાં જોવા મળ્યો છે.

અંતમાં સોનલ કાંટાવાળાએ કહ્યું, ‘દિનકરભાઈ જેવી સાહિત્યસિદ્ધ હસ્તીની સમીપે હોવું એને જ હું મારું અહોભાગ્ય સમજું છું.’ સફળતા સાથે નમ્રતા આવવી જરૂરી છે એ સંદર્ભમાં બોલતા તેમણે કહ્યું હતું કે ‘આપણે પોતે જીવનમાં જે પણ હાંસિલ કરીએ તે બાબત માટે પોતે જાતે ક્રેડિટ લેવી એ વ્યાજબી નથી જ, કારણ કે આપણી સફળતામાં આપણી પોતાની મહેનત, બુદ્ધિશક્તિ ઉપરાંત આપણને પોતાને ઘડવામાં, આપણી સફળતામાં ઘણા અન્ય પરિબળોનો પણ ભાગ હોય છે; જેમ કે આપણા માતા-પિતા, પરિવારજનો, આપણા સંજોગો, આપણી આજુબાજુનું વાતાવરણ – અને સૌથી મહત્વની આપણી પર વરસતી ઈશ્વરની કૃપા’. તેમણે એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે ‘મા સરસ્વતીએ મારા પર વહાવેલ આશીર્વાદે શબ્દોનું સ્વરૂપ લીધું અને એ શબ્દોએ આજે એક પુસ્તકનું સ્વરૂપ લીધું છે.’ સાથે જ એમણે પોતાની માતા પાસેથી મળેલા આશીર્વાદ અને ઘડતર તથા જીવનસાથી નિખિલ તરફથી મળેલા ભરપૂર પ્રોત્સાહન માટે આભાર વ્યક્ત કર્યો હતો.પુસ્તક વિષે વાત કરતા તેમણે કહ્યું હતું કે  ‘પુસ્તક ‘સ્વ’ સમીપેનાં લેખો વાચકને પોતાના મન, લાગણીઓ, આદતો, સંબંધો, રોજબરોજની પ્રવૃત્તિઓ અને વ્યવહારો વિષે વિચાર કરવા માટે પ્રેરશે. પણ એ માટે વાચકે એ વાંચીને પોતે પોતાની જાત સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરવો પડે. જાત સાથે સંવાદ સાધવા માટે જાત પાસે બેસવું પડે. જાત પાસે બેસવું એ જ ‘સ્વ’ સમીપે એટલે કે પોતાની નજીક જવું. પુસ્તકના મુખપૃષ્ઠનું સાંકેતિક મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે ‘કવરપેજનું બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું છે. બ્લેક કલર એ અજ્ઞાનનું પ્રતિક છે. આપણે અજ્ઞાનની સ્થિતિમાંથી જ્ઞાન મેળવવા માટે પોતાની અંદર ઝાંખવું જરૂરી બને છે. જ્ઞાન એટલે દુન્યવી નૉલેજની વાત અહીં નથી પરંતુ પોતાના ખરા સ્વરૂપ વિષે, પોતાની અંદર વસતી આપણી જાત વિષેનાં જ્ઞાનની આ વાત છે.કાર્યક્રમના અંતમાં નિખિલ કાંટાવાળાના સંગીત જગતના મિત્રોએ ગીતોની મહેફિલ જમાવીને કાર્યક્રમને સંગીતમય પણ બનાવી દીધો હતો. પુસ્તક ‘સ્વ’ સમીપેના વિમોચન બાદ વક્તવ્ય આપી રહેલા ડૉ. દિનકર જોશી, મહેશભાઇ શાહ, નિખિલ કાંટાવાળા અને સોનલ કાંટાવાળા

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઋષભ પંત ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે ઝડપી બોલર આકાશ દીપ પણ ઈજા પછી વાપસી કરી રહ્યો છે. પંતને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે.

ભારતની ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.

કેપ્ટન હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપ પછી એક ખાસ ટેટૂ કરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની વર્લ્ડ કપ જીતને એક ખાસ યાદ બનાવી છે. તેણીના હાથ પર વર્લ્ડ કપ ટેટૂ કરાવ્યું છે. આ સ્ટાર ખેલાડીએ તેના બાઈસેપ પર વર્લ્ડ કપ ટ્રોફીનું ટેટૂ કરાવ્યું છે, જે હવે તેને દરરોજ સવારે તેની સૌથી મોટી સિદ્ધિની યાદ અપાવશે. હરમનપ્રીતે ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ટેટૂનો ફોટો શેર કર્યો છે. તેણીએ તેની પોસ્ટમાં લખ્યું, હું પહેલા દિવસથી તમારી રાહ જોતી હતી, અને હવે હું તમને દરરોજ સવારે જોવા માટે આભારી છું.” હરમનપ્રીતે વર્લ્ડ કપ જીત્યાના બીજા દિવસે ટેટૂ કરાવ્યું. તે અને તેની ટીમ મંગળવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

 

View this post on Instagram

 

A post shared by Harmann (@imharmanpreet_kaur)

ભારતની લાંબા સમયથી રાહ જોવાતી મહિલા વર્લ્ડ કપ જીત રવિવારે આવી, જ્યારે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, શેફાલી વર્માના ઓલરાઉન્ડ પ્રદર્શન અને દીપ્તિ શર્માના ઘાતક પાંચ વિકેટના કારણે ભારતે શાનદાર વિજય મેળવ્યો.

અગાઉ, સેમિફાઇનલમાં સાત વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે મેચમાં, હરમનપ્રીતે 89 રન બનાવ્યા અને જેમીમાહ રોડ્રિગ્સ સાથે 167 રનની ભાગીદારી કરી જેથી ટીમને 339 રનના લક્ષ્યનો પીછો કરવામાં મદદ મળી, જે મહિલા વનડે ઇતિહાસમાં સૌથી સફળ પીછો હતો.

વાત્રકને કાંઠે ઉત્કંઠેશ્વર મહાદેવ

ઉત્કંઠેશ્વર કે ઊંટડીયા મહાદેવ એ મધ્ય ગુજરાતમાં વાત્રક નદીને કાંઠે આવેલું પ્રસિદ્ધ શિવમંદિર છે. ખેડા જિલ્લાના કપડવંજથી અઢાર અને આંતરસુંબા ગામથી આઠેક કિલોમીટર દૂર આવેલું આ મંદિર સૌથી જૂનું મંદિર છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિર સાથે જમદગ્નિ ઋષિના તપનો મહિમા જોડાયેલો છે. મહાદેવનું શિવલિંગ પણ અનોખું છે. મંદિરની બાજુમાં આવેલાં પગથિયાં ઉતરતા સીધા વાત્રક નદીના પટમાં પહોંચી જવાય છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

કુદરતી વાતાવરણ સાથે વાત્રક નદીના પટમાં ઊંટ સવારી મોટા પાયે થાય છે. એના કારણે જ કદાચ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે. અહીં ઘણા બાળકોની મુંડન વિધિ થાય છે. ઘણાં ચૌલ ક્રિયા પણ કરે છે. ધાર્મિક સામાજિક પ્રસંગોમાં માટે ઉત્કંઠેશ્વર મંદિરની આસપાસ ધર્મશાળાઓ પણ આવેલી છે. જરુરીયાત મુજબ આ પ્રસંગોમાં જમણ તૈયાર કરી આપનાર માણસો અને જગ્યાની પણ સુવિધા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર ધાર્મિક સ્થળોની સાથે ‘વન ડે પિકનિક’ માટે પણ જાણીતું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વખત અલગ-અલગ જગ્યાએ મત આપ્યા: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને “એચ ફાઇલ્સ” નામનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે મત ચોરીના મુદ્દાને ફરીથી ઉજાગર કર્યો. તેમણે જણાવ્યું હતું કે હરિયાણામાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાની અસંખ્ય ફરિયાદો મળી હતી. “અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ આવા જ અનુભવો જોયા.” રાહુલ ગાંધીએ કહ્યું, “હરિયાણામાં, અમને અમારા ઉમેદવારો તરફથી ફરિયાદો મળી હતી. બધી આગાહીઓ ખોટી સાબિત થઈ ગઈ. અમે તપાસ કરી કે શું થયું. પાંચ મુખ્ય એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસની જીતની આગાહી કરવામાં આવી હતી. હરિયાણામાં પહેલીવાર, પોસ્ટલ બેલેટ વાસ્તવિક પરિણામથી અલગ હતા.”

રાહુલ ગાંધીએ નકલી મતદાનનો દાવો કરતા જણાવ્યું, “હરિયાણામાં એક યુવતીએ અલગ-અલગ નામનો ઉપયોગ કરીને 22 મત આપ્યા. ક્યારેક સીમા, ક્યારેક સ્વીટી અને ક્યારેક સરસ્વતી તરીકે મતદાન કર્યું.” રાહુલ ગાંધીએ “નકલી મતદાન” કરવા માટે ઉપયોગમાં લેવાતો છોકરીનો ફોટો પણ જાહેર કર્યો. તેમણે કહ્યું કે આ ફોટો પણ નકલી છે કારણ કે આ એક બ્રાઝિલિયન મોડેલનો છે.

બ્રાઝિલિયન મોડેલના નામે 22 મત
રાહુલ ગાંધીએ પુરાવા રજૂ કરતા જણાવ્યું કે, હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં એક મહિલાએ 22 મત આપ્યા છે, દરેક મત અલગ અલગ નામથી અને 10 મતદાન મથકો પર નોંધાયેલા છે. આઘાતજનક રીતે, આ મહિલા બ્રાઝિલિયન મોડેલ મેથ્યુસ ફેરેરો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 22,789 મતોથી હારી ગઈ, જે દર્શાવે છે કે ચૂંટણી કેટલી નજીકની હતી. હરિયાણામાં આ પહેલી વાર હતું જ્યારે પોસ્ટલ બેલેટ વાસ્તવિક પરિણામથી અલગ હતા. અગાઉ, પાંચ મુખ્ય એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસની જીતની આગાહી કરવામાં આવી હતી.

‘યુવા પેઢીનું ભવિષ્ય ચોરી…’
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક મોટું ષડયંત્રનો આરોપ લગાવતા, રાહુલ ગાંધીએ દાવો કર્યો, “અમારા ઉમેદવારોની ફરિયાદો બાદ તપાસ બાદ, બધી આગાહીઓ ઉલટાવી દેવામાં આવી હતી. તપાસમાં એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. કોંગ્રેસની મોટી જીતને હારમાં ફેરવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.”

તેમણે વધુમાં દાવો કર્યો કે હરિયાણામાં 2.5 મિલિયન મતોની ચોરી કરવામાં આવી હતી અને 5,21,000 ડુપ્લિકેટ મતદારો હતા. હરિયાણામાં કુલ 20 મિલિયન મતદારો છે અને આમ, મત ચોરીની ટકાવારી 12% છે, એટલે કે દર આઠ મતદારોમાંથી એક નકલી છે. રાહુલે આને યુવા પેઢીના ભવિષ્યની ચોરી ગણાવી.

નાયબ સિંહ સૈનીના વીડિયો પર પ્રશ્નો
રાહુલ ગાંધીએ નાયબ સિંહ સૈનીના એક વિડિયોનો પણ પ્રેસ કોન્ફરન્સમાં બતાવ્યો. જેમાં તેઓ કથિત રીતે કહેતા સાંભળવામાં આવે છે કે, “અમારી પાસે બધી વ્યવસ્થા છે. અમે જીતી રહ્યા છીએ. ભાજપ એકતરફી સરકાર બનાવી રહી છે.” તેમણે આ વીડિયોને ષડયંત્રનો ભાગ ગણાવ્યો.

નકલી મતદાર કાપલીઓના ‘પુરાવા’
રાહુલ ગાંધીએ મતદાર કાપલીઓના બીજા પાનાનો ઉલ્લેખ કર્યો, જેમાં ઘણી વિસંગતતાઓ હતી. તેમણે દાવો કર્યો, “નવ સ્થળોએ એક પુરુષનું નામ હતું, પરંતુ ફોટો એક મહિલાનો હતો. એક નાના બાળકનો ફોટો હતો, પરંતુ તેની ઉંમર 70 વર્ષથી વધુ હતી. ફોટામાં એક વૃદ્ધ માણસ દેખાતો હતો, પરંતુ તેની ઉંમર યુવાન તરીકે સૂચિબદ્ધ હતી. ફોટો નકલી હતો, નામ નકલી હતું, પરંતુ તેને ચાર અલગ અલગ બૂથ પર મતદાર તરીકે ઉમેરવામાં આવ્યો હતો.”

ચૂંટણી પંચ પર વિડિયો ફૂટેજ ડિલીટ કરવાનો આરોપ 
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચે વિડિયો ફૂટેજ ડિલીટ કરી દીધા છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે દરેકે કેટલી વાર મતદાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી પંચ પાસે ડુપ્લિકેટ બૂથ દૂર કરવા માટે સોફ્ટવેર છે, પરંતુ તે ચલાવવાનો ઇનકાર કરી રહ્યું છે કારણ કે તે ભાજપને મદદ કરી રહ્યું છે.

યુપી અને હરિયાણામાં એક જ વ્યક્તિ મતદાન કરી રહ્યો છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બીજો મોટો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને હરિયાણા બંનેમાં હજારો ભાજપ કાર્યકરો મતદાન કરી રહ્યા છે. દાલચંદ નામના એક વ્યક્તિના બે અલગ-અલગ પિતાના નામ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં એક જ ફોટા સાથે નોંધાયેલા છે. તેમણે દાવો કર્યો કે આ સંખ્યા હજારોમાં છે. મથુરાના ભાજપના સરપંચ પ્રહલાદ પણ ઉત્તર પ્રદેશ અને હરિયાણા બંનેમાં પોતાનો મત આપી રહ્યા છે.

ચૂંટણી પંચ પર ભાજપને મદદ કરવાનો આરોપ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર સીધા જ નકલી મતદારોને દૂર ન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જો તેઓ આમ કરે તો ચૂંટણીઓ નિષ્પક્ષ થશે, પરંતુ ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણીઓ ઇચ્છતું નથી. તેમણે કહ્યું કે આ ભાજપ શું કરી રહ્યું છે તેનો સ્પષ્ટ પુરાવો છે.

રાહુલ ગાંધીએ ફોડ્યો ‘હાઈડ્રોજન બોમ્બ’, હરિયાણામાં 25 લાખની વોટ ચોરી

નવી દિલ્હી: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ​​તેમની ખૂબ જ ચર્ચિત પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર ભાજપ અને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં ગુરુ નાનક દેવજીનું નામ લીધું. “એચ-ફાઇલ્સ”નો ઉલ્લેખ કરતા, તેમણે દાવો કર્યો કે આ મુદ્દો ફક્ત એક વિધાનસભા મતવિસ્તાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ દરેક રાજ્યમાં મત ચોરી થઈ રહી છે.

મતદાર યાદીમાં છેતરપિંડીનો દાવો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રાહુલ ગાંધીએ બિહાર મતદાર યાદી પર સીધો પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે બિહારમાં પણ વ્યાપક પ્રમાણમાં મતદાર યાદીમાં છેતરપિંડી થઈ છે. તેમણે દાવો કર્યો કે છેલ્લી ઘડીએ મતદાર યાદી કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવી હતી. બિહારના કેટલાક મતદારોને સ્ટેજ પર બોલાવ્યા અને દાવો કર્યો કે મતદાર યાદીમાંથી આખા પરિવારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જેમ હરિયાણામાં લાખોની સંખ્યામાં મત ચોરી થઈ હતી, તેમ બિહારમાં પણ લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીના દાવાએ બિહાર ચૂંટણી પહેલા મતદાર યાદીની પારદર્શિતા અંગે એક નવો વિવાદ ઉભો કર્યો છે. તેમણે પરોક્ષ રીતે આરોપ લગાવ્યો કે આ બધું ભાજપને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ સનસનાટીભર્યા ખુલાસો કર્યો 

રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મોટા મતદાર યાદીમાં ગોટાળાનો સનસનાટીભર્યો દાવો કર્યો, જેમાં ચૂંટણી પંચ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણા ચૂંટણીમાં 25 લાખ મતોની ચોરી થઈ હતી અને તેની પાછળનો હેતુ ભાજપને મદદ કરવાનો હતો.

મતદાર યાદીમાં ગોટાળા પર મુખ્ય ખુલાસો

રાહુલ ગાંધીએ આંકડા અને ઉદાહરણો ટાંકીને અનેક ચોંકાવનારા દાવા કર્યા. તેમણે કહ્યું કે એક જ બૂથ પર એક જ મહિલાનું નામ 223 વખત નોંધાયેલું હતું. તેમણે ચૂંટણી પંચને પૂછ્યું કે તે મહિલાએ કેટલી વાર મતદાન કર્યું. પ્રેસ કોન્ફરન્સમાં એક યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો, જેના પર રાહુલ ગાંધીએ 22 અલગ અલગ સ્થળોએ મતદાન કરવાનો આરોપ લગાવ્યો હતો, ક્યારેક ‘સીમા’ નામથી તો ક્યારેક ‘સરસ્વતી’ નામથી. તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલિયન મહિલા શું કરી રહી હતી. તેમણે દાવો કર્યો કે 5,21,000થી વધુ ડુપ્લિકેટ મતદારો અને 1,24,177 નકલી ફોટાવાળા મતદારો મળી આવ્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે મતદાનના દિવસે થયેલી ગેરરીતિઓ જાહેર ન થાય તે માટે બૂથમાંથી સીસીટીવી ફૂટેજ કાઢી નાખવામાં આવ્યા હતા.

દર 8 મતદારોમાંથી 1 નકલી?

રાહુલ ગાંધીના મતે, હરિયાણામાં કુલ આશરે 20 મિલિયન મતદારો છે. 2.5 મિલિયન મતોની ચોરીનો અર્થ એ છે કે દર 8 મતદારોમાંથી એક નકલી હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ આ અનિયમિતતાને કારણે હારી ગઈ. તેમણે જનરલ-ઝેડને અપીલ કરી હતી કે લોકશાહીમાં આ ગોટાળાની સત્યતાનો પર્દાફાશ કરવા માટે તેમણે આ મત ચોરીની તપાસ કરવી જોઈએ.

હરિયાણા ચૂંટણી પર ગંભીર આરોપો

હરિયાણાના ચૂંટણી ઇતિહાસનો ઉલ્લેખ કરતા, રાહુલ ગાંધીએ પોસ્ટલ બેલેટ અને વાસ્તવિક મતો વચ્ચેના તફાવત અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે સામાન્ય રીતે પોસ્ટલ બેલેટ અને વાસ્તવિક મતોની દિશા સમાન હોય છે, પરંતુ હરિયાણામાં આવું બન્યું નથી.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો ફક્ત પોસ્ટલ બેલેટના પરિણામો પર વિચાર કરવામાં આવે, તો કોંગ્રેસ 76 બેઠકો જીતી શકી હોત અને ભાજપ ફક્ત 17 બેઠકો જીતી શકી હોત. તેમણે એક ચોક્કસ મતવિસ્તારનો ઉલ્લેખ કર્યો જ્યાં એક્ઝિટ પોલ અને પોસ્ટલ બેલેટ બંનેએ કોંગ્રેસ માટે વિજયની આગાહી કરી હતી, પરંતુ અંતે 22,779 મતોથી હારી ગયા. તેમણે રાજ્યમાં કુલ 1,00,000 થી વધુ મતોના તફાવતનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે તેમની પાસે મત ચોરીના નક્કર પુરાવા છે. રાહુલ ગાંધીના આ આરોપોએ ફરી એકવાર ચૂંટણી પારદર્શિતા અને મત ગણતરી પર વિવાદ ઉભો કર્યો છે.

3 દિવસ બાદ મહાદેવ ભારતી બાપુ જંગલ વિસ્તારમાંથી મળ્યા

જૂનાગઢ: પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગત 2 નવેમ્બરના રોજ વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા. તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 3 દિવસની  શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગીરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા.

સર્ચ ઑપરેશનની શરૂઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓ જેવી કે જટાશંકર મંદિર, વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.

આ ઉપરાંત, પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરિફિકેશન પણ કર્યું હતું. ત્રણ દિવસની અથાગ મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આશ્રમમાં અનેક લોકોના આડા સંબંધનો દાવો

આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહીવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ  સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

અનેક લોકોએ માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ

મહાદેવ ભારતીએ હિતેષ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્વર ભારતી તથા અમદાવાદના નિલેશભાઈ ડોડીયા અને રોનક સોનીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટમાં લખ્યું છે કે, આ બધાને તેમના કર્મની સજા મળે કે જેથી બીજા કોઈનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે.

મને સમાધિ ન આપતા પણ દેહદાન કરી દેજો, જંગલમાં જઉં છું જેથી મારું શરીર પશુઓને કામ આવેઃ સ્યુસાઈડ નોટમાં અપીલ  

ભારતી આશ્રમના લઘુ મહંત અને મહા મંડલેશ્વર મહાદેવ બાપુએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, હું બધાના ત્રાસથી મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું, હું આજે જંગલમાં ગિરનારીના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું, મારી એવી ઈચ્છા છે કે મારે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ન આવ્યું હોય પણ મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે એટલા માટે હું જંગલમાં જઈ રહ્યું છું, કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો. કેમ કે, મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં દેહદાનનો સંકલ્પ પણ કર્યો છે, સિવિલમાં ફોર્મ ભરવું હતું પરંતુ શક્ય ન બનતા સંજયભાઈ સાથે ફોનમાં વાત કરી છે અને તેનું રેકોર્ડિંગ પણ છે.

રાશિ ભવિષ્ય 03/11/2025 થી 09/11/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રેહતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

ઝોહરાન મમદાની ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય મૂળના મેયર બન્યા

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉગ્ર વિરોધ છતાં, ડેમોક્રેટિક સમાજવાદી ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. આ હાઇ-વોલ્ટેજ સ્પર્ધામાં, ભારતીય મૂળના ઝોહરાન મમદાનીએ ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવ્યા.‘વૈચારિક સંઘર્ષ’ બની ગયેલી ચૂંટણી

આ ચૂંટણી ફક્ત મેયરની રેસ વિશે જ નહોતી પણ ડેમોક્રેટિક પાર્ટીની અંદર પેઢીગત અને વૈચારિક સંઘર્ષનું પણ પ્રતીક હતી. 34 વર્ષીય મમદાનીનો વિજય પ્રગતિશીલ ડાબેરી રાજકારણ માટે એક મોટી જીત માનવામાં આવી રહ્યો છે.ટ્રમ્પનો વિરોધ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા એન્ડ્રુ કુઓમોને ખુલ્લેઆમ ટેકો આપ્યો. ટ્રમ્પે મતદારોને મમદાનીને મત ન આપવાની અપીલ કરી, તેમને સામ્યવાદી, યહૂદી વિરોધી અને ખતરો પણ ગણાવ્યો. તેમણે ચેતવણી આપી હતી કે જો મમદાની મેયર બનશે, તો તેઓ ફેડરલ ભંડોળને ન્યૂયોર્ક સુધી મર્યાદિત કરશે.

કુઓમોનો પરાજય

ટ્રમ્પના સમર્થનથી પણ એન્ડ્રુ કુઓમોનો વિજય થયો ન હતો, જેમણે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં મામદાની સામે હાર્યા બાદ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

ઝોહરાન મામદાનીનો ઐતિહાસિક વિજય

યુગાન્ડામાં જન્મેલા અને ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મામદાની ન્યૂયોર્ક શહેરના ઇતિહાસમાં અનેક રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે:

  • તેઓ ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બનશે.
  • તેઓ દક્ષિણ એશિયન મૂળના પ્રથમ મેયર પણ બનશે.
  • તેઓ એક સદીથી વધુ સમયમાં શહેરના સૌથી યુવા મેયર બનશે.

મામદાનીનું અભિયાન મુખ્યત્વે પ્રગતિશીલ વચનો પર કેન્દ્રિત હતું. જેમ કે ભાડા નિયંત્રણનો વિસ્તાર કરવો, જાહેર પરિવહનને સબસિડી આપવી અને રહેઠાણ સંકટનો અંત લાવવો. આ ચૂંટણીમાં 50 વર્ષમાં પ્રથમ વખત 2 મિલિયનથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું.