Home Blog Page 4793

વાહ ભાઈ વાહ! ૨૪ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૪ મે, ૨૦૨૦

Chitralekha Marathi – June 01, 2020

PDF Version
This post is only available to members.

ભારત નજીકના ભવિષ્યમાં કોઈ ટુર્નામેન્ટનું આયોજન નહીં કરે

નવી દિલ્હીઃ પાછલા કેટલાક સમયથી કોરોના વાઇરસથી વિશ્વઆખું ઝઝૂમી રહ્યું છે. આ રોગચાળાને ખતમ કરવા માટે હજી સુધી કોઈ નક્કર દવા શોધાઈ નથી. જેથી લોકો ડરની સાથે જીવી રહ્યા છે. હાલ તો આ ડરની સાથે રમતનાં મેદાનો ફરી એક વાર ખેલાડીઓથી ઊભરાઈ રહ્યા છે. સ્પોર્ટ્સપ્રધાન કિરણ રિજીજુએ પણ કહ્યું છે કે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખતાં ભારતે નજીકના ભવિષ્યમાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું યજમાનપદ નહીં કરે અને વગર દર્શકોએ સ્ટેડિયમમાં રમાતી રમતોનો આનંદ લેવા માટે શીખવું પડશે.

T20 વિશ્વ કપ સ્થગિત થવાની સ્થિતિમાં

રિજીજુની આ વાતનો સૌથી વધુ પ્રભાવ સૌથી વધુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)  પર પડશે. ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત T20 વિશ્વ કપને સ્થગિત થવાની સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ઓક્ટોબર-નવેમ્બરમાં એનું આયોજનની યોજના બનાવી રહ્યું છે.

રિજીજુએ કહ્યું છે કે અમે સ્પોર્ટ્સ એક્ટિવિટી ફરી શરૂ કરવા માટે ઘણા સમયથી કામ કરી રહ્યા છે, પણ આ પહેલાં અમારે પ્રેક્ટિસ અને ટ્રેનિંગ માટે વિચારવું પડશે. આપણે હાલ તુરંતમાં કોઈ ટુર્નામેન્ટ શરૂ કરવાની સ્થિતિમાં નથી.

ખાલી સ્ટેડિયમમાં રમવાની આદત પાડવી પડશે

તેમણે કહ્યું હતું કે આપણે એવી સ્થિતિ સાથે રહેતા શીખવું પડશે, જ્યાં સ્ટેડિયમો ખાલી હશે અને દર્શકો વિના સ્પોર્ટ્સ એક્ટિવિટીનું સંચાલન કરવું પડશે. કોવિડ-19 રોગચાળાને કારણે અનિશ્ચિત કાળ માટે IPLની 13મી આવૃત્તિ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે દેશમાં કોઈ પણ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવાનો વિશેષાધિકાર સરકારની પાસે છે.

સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે

તેમણે કહ્યું હતું કે દેશમાં આ વિશે સરકારે નિર્ણય લેવાનો છે અને એ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેશે. અમે સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને રમતોનું આયોજન ન કરી શકીએ. તેમણે કહ્યું હતું કે અમારું ધ્યાન કોવિડ-19થી લડવા પર કેન્દ્રિત છે અને સ્થિતિને સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ. કોઈ પણ તારીખ બતાવવી એ મુશ્કેલ છે, પણ મને વિશ્વાસ છે આપણે આ વર્ષે કેટલીક રમતોનું આયોજન કરી શકીશું.

મુંબઈમાં હવે 24 કલાકમાં જ કોરોના ટેસ્ટનું પરિણામ મળશે

મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં કોરોનાનું કેન્દ્રબિંદુ મુંબઈ શહેર છે. મુંબઈના નવા મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ હોદ્દો સંભાળી લીધા બાદ તરત જ સક્રિય બન્યા છે.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) કમિશનર ચહલે તમામ ખાનગી લેબોરેટરીઓને આદેશ આપ્યો છે કે વિદેશી પાછા ફરેલા લોકો તથા હોમ ક્વોરન્ટાઈન શંકાસ્પદોનું તેઓ 14 દિવસના ક્વોરન્ટાઈન પીરિયડમાં સંપૂર્ણ ટેસ્ટિંગ કરે.

સાથોસાથ, મહાપાલિકાએ એવો પણ આદેશ આપ્યો છે કે સેમ્પલ એકત્ર કરીને 24 કલાકની અંદર જ કોરોના ટેસ્ટનું પરિણામ આપવાનું રહેશે અને તેને ICMR વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે.

ગયા શુક્રવારે એક જ દિવસમાં મુંબઈમાં કોરોનાનાં વધુ 1,751 કેસો નોંધાયા હતા. એ સાથે જ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને 27,251 થઈ ગઈ હતી.

મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રાતે જ એક સર્ક્યૂલર બહાર પાડીને મુંબઈમાં ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સમાં 80 ટકાથી વધારે પલંગ રિઝર્વ કરી લીધા હતા. આનાથી દર્દીઓ માટે સરકારને વધુ 4,400 પલંગ ઉપલબ્ધ થઈ શક્યા છે.

રાજ્ય સરકારે આ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે ફીની રકમ પણ નક્કી કરી દીધી છે.

મુંબઈમાં સૌથી વધારે કોરોના દર્દીઓ ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નોંધાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 1,327 કેસો થયા છે અને 56 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના 41,642 કેસો છે. એમાંના 61 ટકા જેટલા કેસ એકલા મુંબઈમાં છે. દેશના કુલ કોરોનાગ્રસ્તોમાં મુંબઈના દર્દીઓનો હિસ્સો 22 ટકા છે. જોકે મહારાષ્ટ્રમાં આ બીમારીમાંથી 12,583 લોકો સાજા પણ થઈ ગયા છે.

લોકડાઉન હટાવશો નહીં: 7 રાજ્યોને WHOની ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસો ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આ વાઇરસના કેસોમાં થતા સતત વધારાથી સરકાર ચિંતામાં આવી ગઈ છે. દેશમાં ગઈ કાલે આ વાઇરસના એક જ દિવસમાં 6654 નવા કેસ સામે આવ્યા હતા જે દેશમાં નવો રેકોર્ડ બન્યો છે.  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા મુજબ 7 રાજ્યો – મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, તામિલનાડુ, બિહાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં છેલ્લા બે સપ્તાહ દરમ્યાન જે રીતે કોરોના વાઇરસની સંખ્યામાં વધારો થયો છે, તે જોતાં ત્યાં લોકડાઉનના નિયંત્રણો જારી રાખવાની જરૂર છે. WHOની સલાહ છે કે જે રાજ્યોમાં પાંચ ટકાથી વધુ કોરોના સંક્રમિત દર્દી છે, ત્યાં લોકડાઉનને સખતાઈપૂર્વક જારી રાખવું જોઈએ.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકામાં માત્ર 50 ટકા રાજ્યોથી લોકડાઉન ઉઠાવી શકાય છે. આ જ રીતે ભારતનાં 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 21 ટકા આ શ્રેણીમાં આવે છે.

કયા રાજ્યમાં કેટલા દર્દીઓની ટકાવારી

જોન હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસમાં ભારતનાં 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 21 ટકા આ શ્રેણીમાં આવે છે. પાછલી સાત મેના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગાણામાં 7 ટકા, ચંડીગઢમાં છ ટકા, તામિલનાડુમાં પાંચ ટકા અને બિહારમાં પાંચ ટકા કોરોના પોઝિટિવ કેસ છે. આ બધાં રાજ્યોમાં WHOના માપદંડો કરતાં વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે.  

WHOની એડવાઇઝરી મુજબ સંપૂર્ણ રાજ્ય પર લાગુ નહીં

WHOની એડવાઇઝરી મુજબ સંપૂર્ણ રાજ્ય પર લાગુ નથી થતી, કેમ કે રાજ્યોના કેટલાક જિલ્લા જ કોરોના સંક્રમિત છે. રાજ્યોના કન્ટેન્ટમેન્ટ ઝોન્સ અને હોટસ્પોટ વિસ્તારોમાં- કે જે મોટા ભાગના શહેરી વિસ્તારોમાં લોકકડાઉનનું સખતાઈથી પાલન કરવામાં આવવું જોઈએ. આ ઉપરાંત જ્યાં સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા હોય ત્યાં કેવી રીતે આ વાઇરસનો ફેલાવો ઓછો કરી શકાય એ માટે કામ કરવું જોઈએ.

દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો સવા લાખને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસથી 137 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી 3720 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના વાઇરસના સતત વધતા કેસોને જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દેશના સાત રાજ્યોમાં લોકડાઉનમાં રાહત ન આપવાની સલાહ આપી છે.

લૉકડાઉનમાં ગ્રામીણ મહિલાઓ માટે રોજગાર સર્જન

સુરત: લૉકડાઉનની એક સારી અસર એ થઇ કે એવા અનેક લોકો સેવા કાર્યોમાં જોડાયા છે જેમણે જીવનમાં ક્યારેય સેવાના કાર્યો કર્યા નથી. અલબત્ત એક હકીકત તો સ્વીકારવી જ રહી કે દરેક શહેર અને ગામમાં ચાલેલા રસોડાએ સમાજની અને સરકારની લાજ રાખી લીધી છે. લાખો લોકોને જો આ સ્વયંસેવી સંસ્થાઓ અને વ્યક્તિઓએ ભોજન ન આપ્યું હોત તો? દ્રશ્યની કલ્પના જ ભયાવહ છે. ખેર, આ વાત એટલે કરી કે નવા સમાજ સેવકો તો અનેક આવ્યા પણ જે પેહલેથી જ ધૂણી ધખાવીને બેઠા છે એ શું કરે છે?

છેલ્લા એક દાયકામાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ગ્રામીણ મહિલાના ઉત્થાન અને સુખાકારી માટે અનેક પ્રવૃત્તિ કરનાર શક્તિ ફાઉન્ડેશન અને એના સ્થાપક ડૉ સોનલ રોચાણીએ લૉકડાઉન ના આ સમયમમાં પણ ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે એનું ધ્યાન રાખ્યું છે. આમ તો હજારો મહિલા વચ્ચે એમણે સ્વયંસેવી સંગઠનો બનાવેલા છે. કોરોનાના ની આફત વખતે આ ગરીબ ગ્રામીણ મહિલાઓ ભૂખે ન મરે એટલે શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ બેહનો પાસે કોટન માસ્ક બનાવડાવ્યા, આ માસ્કનું વેચાણ 10 લાખનું થયું.

આ શક્ય બન્યું કારણ કે 300 થી વધુ મહિલા સ્વ-સહાય જૂથને શક્તિ ફાઉન્ડેશન દ્વારા પેહલેથી સિલાઈની તાલીમ મળી હતી અને એમને આ કામ આવડતું હતું. સાથે જ એ આ એક સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. 10 લાખના માસ્કની મહત્તમ આવક આ ગરીબ ગ્રામીણ બેહનો માટે હાલ તો સંજીવની જેવી છે. અને યાદ રહે આ કામ બીજા બધા કરતા પહેલા એપ્રીલના પ્રથમ અઠવાડીયે જ શરૂ કરેલું, બીજા અનેક કરતા અગાઉ.

આ તો થયું એક કામ. શક્તિ ફાઉન્ડેશનને ફૂડ ડિલિવરી માટે જાણીતા “ઝોમેટો”એ 5000 અનાજની કીટ છેક દિલ્હીથી મોકલાવી હતી, એ ગ્રામીણ વિસ્તારમાં વિતરણ કરવા માટે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં યુવા દંપતી ઋષિત અને પૂર્વજા મસરાણીના અને મિત્રોના માધ્યમથી 1200 કીટ નું વિતરણ થયું તો શક્તિના અન્ય સંપર્કો થી માંડવી, નિઝર, ઉચ્છલ જેવા ગરીબ આદિવાસી વિસ્તારમાં બાકીની કીટ વિતરિત થઇ રહી છે. એકલી રાશન કીટ નહિ આ આદિવાસી વિસ્તારમાં માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ પણ કર્યું છે. લગભગ 400 જેટલા પરપ્રાંતીય શ્રમિકોની વતન વાપસીમાં પણ શક્તિ ફાઉન્ડેશનના ડૉ સોનલબહેન માધ્યમ બન્યા અને એમની તમામ વ્યવસ્થા કરી હતી.

લૉકડાઉનના સમયમાં પણ એકલા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આવી અનેક પ્રકારની કામગીરી કરી છે. ગ્રામ ઉત્થાન માટે સતત કાર્યરત શક્તિ ફાઉન્ડેશનમાં નિવૃત સરકારી અધિકારી, ડૉક્ટર,વકીલ, પ્રોફેશનલ જેવા લોકો છે પણ આ બધા માં શક્તિ  ફાઉન્ડેશન અને એના સ્થાપક ડૉ સોનલ રોચાણીની કથા પણ રોચક છે. અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કરીને થોડા વર્ષો પત્રકારત્વ કાઢીને એ હવે પૂર્ણ સમય સમાજસેવી છે. અન્યાય સામે અવાજ ઉઠાવવો અને સાચો વિકાસ ગામડા થકી જ થઇ શકે એવું દ્રઢતાથી માને છે અને એ બાબતે કાર્યશીલ પણ છે. લૉકડાઉનના સમયગાળામાં પણ એ સતત કાર્યરત છે જેમની સાથે કામ કર્યું છે એ મહિલાઓને લૉકડાઉનમાં પણ રોજગારી મળી રહે એની ચિંતા કરતા રહે છે.

(ફયસલ બકીલી)

હું જીવતી છું અને એકદમ સ્વસ્થ છું: મુમતાઝની સ્પષ્ટતા

મુંબઈ:  બોલીવુડની પીઢ અભિનેત્રી મુમતાઝ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગયા વરસની જેમ આ વરસે પણ તેમના અવસાનની અફવા ચગી છે. આ વખતે તો પંજાબના એક મિનિસ્ટરે ઉતાવળા થઈને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી દીધી. આ અફવાને રદિયો આપતાં સ્વયં મુમતાઝે કહ્યું છે કે, ‘હું સ્વસ્થ અને મસ્ત છું. હજી જીવતી છું. અને લોકો સમજે છે એટલી બુઢ્ઢી પણ નથી થઈ. તમારા બધાની દુઆઓને કારણે હું હજુ પણ સારી દેખાઉં છું.

73 વર્ષીય મુમતાઝ હાલ લંડનમાં રહે છે. તેમણે કહ્યું છે કે, ‘મને ખબર નથી પડતી કે શું કામ કોઈ આવું જાણીજોઈને કરે છે. ગયા વર્ષે પણ આવી અફવાને કારણે મારો પરિવાર ચિંતામાં આવી ગયો હતો. હાલ લોકડાઉનને કારણે લંડનમાં હું મારાં પતિ, દીકરીઓ, જમાઈ અને તેમના બાળકો, એમ બધાં સાથે જ છીએ.’ મુમતાઝના મૃત્યુના સમાચાર ગુરુવારથી ફરી રહ્યા હતા અને એવું પણ જણાવાઈ રહ્યું હતું કે તેમની અંતિમવિધિ શનિવારે છે.

મુમતાઝની દીકરી તાન્યા માઘવાનીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુમતાઝને નિવેદન કરતાં દર્શાવતો એક વિડિયો શેર કર્યો છે. ખોટી અફવાઓ ન ફેલાવાનો આગ્રહ કરતા તાન્યાએ લખ્યું કે, મારી માતા તરફથી તેમના પ્રશંસકો માટે એક સંદેશ! જે તસવીરોને ફેલાવીને તેમને વૃદ્ધ બતાવવામાં આવી રહ્યા છે તે ઘણા વર્ષો પહેલા તેને કેન્સરની બિમારી હતી એ સમયની છે.

મુમતાઝે વધુમાં જણાવ્યું કે, ‘મને કેમ મારવા ઈચ્છે છે લોકો? જ્યારે સમય આવશે ત્યારે જાતે જ જતી રહીશ. મરીશ ત્યારે મારો પરિવાર ઓફિશિયલી બધાને જાણ કરી દેશે. તે કોઈ સિક્રેટ નહીં રહે. બધાને ખબર પડી જશે અને આ વાત મને ખબર છે અને તેની ખાતરી પણ છે. જીવનની જેમ મૃત્યુ પણ એક હકીકત છે અને દરેક જણે કોઈક દિવસ તો મરવાનું જ છે.’

50 ટકા કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધા આપશે ફેસબુક

કેલિફોર્નિયાઃ કોરોના કાળમાં મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા પ્રદાન કરી રહી છે, પરંતુ ફેસબુક વર્ક-ફ્રોમ-હોમની આ નીતિને કાયમ ચાલુ રાખવા ઇચ્છે છે. વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી કંપની ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગનું કહેવું છે કે આગામી 10 વર્ષોમાં કંપનીના આશરે 50 ટકા કર્મચારી રિમોટ વર્કિંગ કરશે, એમણે ઓફિસ જવાની જરૂર નહીં રહે. ફેસબુકનો આ નિર્ણય કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે, પણ આમાં એક ટ્વિસ્ટ પણ છે.  

જે કર્મચારીઓને વર્ક-ફ્રોમ-હોમનો વિકલ્પ આપવામાં આવશે, તેમના સેલરી પેકેજમાં ઘટાડો થવાની શક્યતા છે. ઝુકરબર્ગનું કહેવું છે કે અમે બહુ સારી સેલરી આપીશું, પણ એ માર્કેટ રેટ પર આધારિત હશે અને એ લોકેશનને અનુસાર અલગ હોઈ શકે. વર્ક-ફોર્મ-હોમથી કપનીનાં ભોજન, વીજળી અને ઓન-કેમ્પસ સુવિધાઓ પર થતા ખર્ચમાં પણ ઘટાડો થશે, પરંતુ તેણે કર્મચારીઓને આવશ્યક ઉપકરણ પ્રદાન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ નિર્ણયનો કંપનીની નાણાકીય સ્થિતિ અને કર્મચારી પેકેજો પર શી અસર પડશે.

માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે એમને વિશ્વાસ છે કે 60 ટકા કર્મચારીઓને ફ્લેક્સિબલ વર્ક એન્વાયર્નમેન્ટ પસંદ આવશે અને જો વિકલ્પ આપવામાં આવશે તો આમાંથી 50 ટકા કોઈ અન્ય શહેરમાં જવાનું પસંદ કરશે. આવું એટલા માટે પણ સંભવ છે કે જો કંપની વર્ક-ફ્રોમ-હોમ પોલિસી પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને કર્મચારીઓના સેલરી પેકેજમાં ઘટાડો કરશે તો અપેક્ષા અનુસાર મોંઘાં શહેરોમાં રહેતા કર્મચારીઓ પ્રમાણમાં નાનાં શહેરોમાં જવાનું પસંદ કરશે. ફેસબુક રિમોટ હાયરિંગ પણ શરૂ કરશે, જેને અત્યાર સુધીનું સૌથી મોટું રિમોટ હાયરિંગ માનવામાં આવી રહ્યું છે. આ પહેલાં ટ્વિટર અને માઇક્રોસોફ્ટે પણ ઘોષણા કરી હતી કે કંપની કર્મચારકીઓને આગામી નોટિસ સુધી ઘરમાંથી કામ કરવા દેશે.

ટ્રમ્પને ભરોસો છે એ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા જાન માટે જોખમી

ન્યૂયોર્ક: કોરોના વાઈરસને રોકતી રસી હજુ સુધી શોધાઈ નથી પણ કોરોનાની સારવાર કરવામાં એન્ટી-મેલેરિયલ દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) ઘણી મદદગાર સાબિત થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19ના ઉપચાર માટે આને અસરકારક ગણાવી છે, જોકે, બીજી તરફ આ દવાનો વિરોધ પણ થઈ રહ્યો છે.

મેડિકલ જર્નલ લૈન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, એન્ટી મલેરિયલ ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દર્દીઓમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. લૈન્સેટ અભ્યાસના લેખકોએ સૂચન આપ્યું છે કે, દવાને ક્લીનિકલ ટ્રાયલ ઉપરાંત કોવિડ-19ના ઉપચાર માટે ઉપયોગ ન કરવો જોઈએ.

હોસ્પિટલમાં દાખલ કોવિડ-19ના 96 હજારથી વધુ લોકો પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું કે, આ દવા અને આના જેવી ક્લોરોક્વાઈનનો ઉપયોગ જે દર્દીઓ પર કરવામાં આવ્યો તેમાં HCQ નહીં લેનાર દર્દીઓની તુલનામાં જીવનું જોખમ વધારે જોવા મળ્યું.

લૈન્સેટ અભ્યાસમાં 671 હોસ્પિટલોના આંકડાઓ જોવા મળ્યા જેમાં 14,888 દર્દીઓને એન્ટીબાયોટિક મૈક્રોલાઈડની સાથે કે વગર હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે ક્લોરોક્વીન દવા આપવામાં આવી હતી, જ્યારે 81,144 દર્દીઓને આ દવાઓ આપવામાં આવી ન હતી.

મહત્વનું છે કે, ટ્રમ્પે એપ્રિલની શરુઆતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાઈરસના ઉપચારમાં ઉપયોગી ગણાવી હતી, ત્યારપછીથી જ આ દવાની માગ વધી ગઈ. આ સપ્તાહની શરુઆતમાં ટ્રમ્પે એ વાતનો સ્વીકાર કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ કે તે કોરોનાથી બચવા માટે આ દવા લઈ રહ્યા છે.

લેખકોએ કહ્યું કે, દવા લેવાથી કોરોના વાઈરસના દર્દીઓને કોઈ ફાયદો થયો હોય એ વાતની ખાતરી નથી થઈ શકી. એટલું જ નહીં અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એપ્રિલમાં આ દવાના ઉપયોગને લઈને ચેતવણી પણ જાહેર કરી હતી.

મુંબઈને રામરામ… વતન ગયે જ છૂટકો…

કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે બે મહિનાથી મુંબઈમાં ફસાઈ ગયેલા સેંકડો પરપ્રાંતીય મજૂર-કામદારો 23 મે, શનિવારે મુંબઈના દહિસર ચેકનાકા ખાતે એમના વતન જવા માટેની એસ.ટી. બસ આવવાની રાહ જોતા બેઠાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)