Home Blog Page 4711

અનલોક-3 માટે માર્ગદર્શિકાઃ 1 ઓગસ્ટથી રાત્રિકર્ફ્યુનો અંત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-3 માટેની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. એ ગાઇડલાઇન્સ પ્રમાણે બહારની કામગીરીને મોટા ભાગે ખોલવામાં આવી છે. એની સાથે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બાકીના હિસ્સાઓમાં રાત્રિ કરફ્યુ પણ હટાવવામાં આવશે. જોકે સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસિસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.

 યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી

રાત્રિ દરમ્યાન આવ-જા પરનો પ્રતિબંધ (રાત્રિ કરફ્યુ) દૂર કરવામાં આવ્યો છે. યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓ પર માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરીને લોકો જઈ શકશે. સ્વતંત્ર્યતા દિવસના કાર્યક્રમમાં પણ લોકો સામાજિક અંતરનું પાલન કરીને સામેલ થઈ શકશે.

આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી

વંદે ભારત મિશન હેઠળ સીમિત પ્રકારે પેસેન્જરોને આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી છે.

નીચેની પ્રવૃત્તિઓ છોડીને બાકીની બધી કામગીરી માટે બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.

  • મેટ્રો રેલવે
  • સિનેમા હોલ સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને એ પ્રકારનાં સ્થાન
  • સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્ય અને અન્ય મોટી મંડળીઓ- એ બધાને ખોલવા માટે સ્થિતિને આધારે નિર્ણય લેવામાં આવશે.
  • કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું સખતાઈથી લાગુ પડશે. બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રખાશે, પણ સામાજિક અંતર અને માસ્કનું પાલન કરવાનું રહેશે.
  • આ માર્ગદર્શિકા બધા કલેક્ટરો અને રાજ્ય સરકારોની વેબસાઇટ પર જારી કરવામાં આવશે.

દેશનાં બધાં કન્ટેનમેન્ટ ઝોનની નિગરાની કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારોને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રવૃત્તિઓ પર નિર્ણય લેવાનો રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરી શકે છે.

કોઈ પણ રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકો અને ચીજવસ્તુઓના આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આના માટે અલગથી મંજૂરી અથવા ઈ-પરમિટ લેવાની જરૂર નહીં પડે. અનલોક-3માં કોવિડ-19 પર કેન્દ્ર સરકાર દ્વારા જારી થયેલા બધા પ્રોટોકોલ સંપૂર્ણ રીતે લાગુ પડશે. બધી દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ દુકાનદારોએ ગ્રાહકોની વચ્ચે પર્યાપ્ત સામાજિક અંતરનું ધ્યાન રાખવાનું રહેશે. લોકોએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. બીમાર વ્યક્તિઓ, સિનિયર સિટિઝનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બને ત્યાં સુધી પોતાના ઘરમાં રહેવું પડશે.

 

 

 

કોરોના કાળમાં શટલની સવારી..ને..નિયમો નેવે!

અમદાવાદ: શહેરમાં હજારો ઓટો રિક્ષા ચાલકો શટલ સર્વિસ ચલાવી પેટિયું રળે છે. શહેરના જમાલપુર, નારોલ, નરોડા જેવા જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી શટલ રિક્ષાઓનો જમાવડો જોવા મળે છે. કોરોના ની મહામારી વચ્ચે પણ શટલીયાઓનો ધમધોકાર ચાલે છે.  શહેરમાં ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાની ખામીઓ અને બીજી તરફ રોજગારી માટે માર્ગો પર વધતી રિક્ષા ઓના કારણે શટલીયાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.

ચારરસ્તા ઉપર, બ્રિજ ના છેડે, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન જેવા અનેક સ્થળોએ શટલ રિક્ષા ઓનો જમાવડો જોવા મળે છે. રિક્ષા એસોસિએશન સાથે સંકળાયેલા હોદ્દેદારો ચિત્રલેખા.કોમને કહે છે શટલ રિક્ષાથી ગરીબ, શ્રમજીવી , મધ્યમ વર્ગ ને ખૂબજ ફાયદો થાય છે. નોકરી, ધંધા કે કામ પરથી છુટ્યા બાદ જો શટલીયા મળી જાય તો બેસવાની જગ્યા પણ મળી જાય અને સસ્તા ભાડામાં જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી પણ શકાય. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોમાં ચોક્કસ સ્ટેન્ડ પર જ ઉતરવું પડે છે.

બીજી તરફ પેસેન્જર મેળવવાની પડાપડીમાં જમાલપુર અને નારોલ ચોકડી જેવા વિસ્તારોમાં માર્ગોની વચ્ચે જ ઓટો રિક્ષાઓ ઉભેલી જોવા મળે છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારોમાં ટીઆરબી, હોમગાર્ડઝ, પોલીસની ઉપસ્થિતિમાં જ શટલીયા રિક્ષાઓ ચાલે છે. શટલીયા રિક્ષા ચાલકોની રોજગારી માટે કે અન્ય કારણસર તંત્ર દ્વારા આંખ આડા કાન થઇ રહ્યા છે, કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાવચેતી એટલી જ જરૂરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રફાલ બનાવનાર કંપની સાથે ભારતનો 67 વર્ષ જૂનો નાતો

નવી દિલ્હી: ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે પાંચ રફાલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યા છે. આ પાંચેય રફાલ ફાઈટર જેટનું હરિયાણાના અંબાલા એરબેઝ પર ભવ્ય આગમન થયું. આ રફાલ લડાકુ વિમાન ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશન એ બનાવ્યા છે. દસોલ્ટ એવિએશન લશ્કરી અને નાગરિક જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાતા વિમાનો બનાવે છે. દસોલ્ટ સાથે ભારતનો સંબંધ 67 વર્ષ જૂનો છે. એટલે કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીનો.

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુના સમયે, 1953માં દસોલ્ટ એવિએશને ‘તૂફાની’ બોમ્બર વિમાન ભારતને આપ્યા હતા. તે સમયે ભારતે 113 તૂફાની વિમાન ખરીદ્યા હતા. આ સમય દરમિયાન ભારત દસોલ્ટનું પ્રથમ વિદેશી ગ્રાહક બન્યું હતું. ભારત દ્વારા દિવ ટાપુને પોર્ટુગલથી આઝાદ કરાવવા માટે 1961માં તૂફાની વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ લડાકુ વિમાનનો ઉપયોગ 1962 માં આસામ અને નાગાલેન્ડમાં આતંકવાદીઓને હાંકી કાઢવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારપછી 1962 માં ચીન સામેના યુદ્ધ વખતે પણ આ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, 1965 માં, આ વિમાનોનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો કારણ કે 1957 માં 100 Mystère IV A લડાકુ વિમાન ખરીદવામાં આવ્યા હતા, જે તૂફાની કરતાં વધુ શક્તિશાળી અને ઘાતક હતા.

1960માં ભારતે દસોલ્ટ પાસેથી એલિઝ વિમાન ખરીદ્યા હતા જે એન્ટી સબમરીન વિમાન હતા. 1978માં ભારતે ફ્રાંસ પાસેથી 40 રેડી ટુ ફ્લાય જગુઆર બોમ્બર વિમાન ખરીદ્યા અને 120 જગુઆરનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવ્યું. જેની શ્રીલંકા અને કારગિલના યુદ્ધમાં મહત્વપૂર્ણની ભૂમિકા રહી હતી.

1982માં 49 ‘મિરાજ 2000’ ફાઇટર એરક્રાફ્ટ અંગે કરાર થયો. ‘મિરાજ 2000’ની કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા રહી હતી. મિરાજ 2000નો ઉપયોગ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, બાલાકોટમાં આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. હવે રફાલની ભારતમાં એન્ટ્રીથી દસોલ્ટ સાથે વર્ષો જૂના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

મહત્વનું છે કે, પ્રથમ રફાલ વિમાન ઓક્ટોબર 2019માં ભારતને સોંપી દેવામાં આવ્યું હતું. આ એક ટ્રેનર વિમાન હતું જેમાં ભારતીય પાઇલટ્સને તાલીમ આપવામાં આવી રહી હતી. આજે ભારત પહોંચેલા પાંચ વિમાનોમાંથી ત્રણ સિંગલ-સીટર લડાકુ વિમાન છે જ્યારે બે ટ્રેનર અને ટૂ-સીટર વિમાન છે.

પરિવારથી દૂર રહેવાને બદલે વોર્નર કદાચ ક્રિકેટને છોડી દેશે

સિડની: કોરોના વાઈરસને કારણે ક્રિકેટ પર લાગેલો બ્રેક પૂરો થઈ ગયો છે. તેમ છતાં, ખેલાડીઓ માટે કોરોના કાળમાં રમવું એટલું સરળ નથી, કારણ કે તેમને ઘણા પ્રતિબંધોમાંથી પસાર થવું પડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમો અને પ્રોટોકોલ મુજબ, ખેલાડીઓને બાયો-સુરક્ષિત બબલમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમના બહાર નીકળવા પર અથવા કોઈને પણ મળવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં ખેલાડીઓ તેમના પરિવારને કોઈપણ ટૂર પર નહીં લઈ જઈ શકે. આ પ્રતિબંધોને જોતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નરને લાગે છે કે આ સ્થિતિમાં ખેલાડીઓ પરિવારથી દૂર રહેવાને બદલે સંન્યાસ લેશે.

33 વર્ષીય વોર્નરનું માનવું છે કે, ખેલાડીઓ માટે તેમના પરિવારથી દૂર રહેવું સરળ નથી. તેણે ESPNcricinfo સાથે વાત કરતાં કહ્યું કે, ‘મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કારકિર્દીનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારે હંમેશાં સૌથી પહેલા તમારા પરિવાર વિશે વિચારવું જોઈએ અને જ્યારે આવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે તમારે ગંભીર નિર્ણયો લેવા પડતા હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવ્યો છે. હવે જ્યારે ટી -20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે ત્યારે મારે તેના વિશે ફરીથી વિચાર કરવો પડશે.વોર્નરે વધુમાં કહ્યું કે, ‘મારે દરેક મુદ્દા પર વિચારવું પડશે. જેમ કે, શું મારી દીકરીઓ શાળાએ જઇ રહી છે, મારી પત્ની તબિયત બરાબર છે, મારે આ બધા વિશે વિચાર કરવો પડશે. આમાંથી ઘણું બધુ મારા નિર્ણયનો એક ભાગ છે. એવા અવસરો આવે છે જ્યારે તમે બહાર જાવ છો અને તમારા પરિવારને યાદ કરો છો. વર્તમાન સંજોગોમાં, કોઈપણ ટૂર્નામેન્ટ વખતે અમને પરિવારને સાથે રાખવાની મંજૂરી નઈ મળી શકે અને ભવિષ્ય ખૂબ જ ડરામણું બનવાનું છે. પરિવારને ધ્યાનમાં રાખીને જ હું ભવિષ્ય અંગે નિર્ણય લઈશ.

79 ટી-20 ક્રિકેટ મેચોમાં 2,207 રન બનાવનાર વોર્નરે મે મહિનામાં કહ્યું હતું કે 2021માં ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ બાદ તે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. તેણે કહ્યું હતું કે, “સતત બે ટી-20 વર્લ્ડ કપ રમવાના છે અને ટી-20 ક્રિકેટ સાથે કારકિર્દી શરૂ કર્યા પછી, મને લાગે છે કે હવે યુવા ખેલાડીઓને તક મળવી જોઈએ.”

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ તરફથી રમતા ડેવિડ વોર્નરે 84 ટેસ્ટ મેચોમાં 48.95 એવરેજથી 7244 રન બનાવ્યા છે. તો એકદિવસીય ક્રિકેટ (વન-ડે)માં 123 મેચોમાં 45.41 ની સરેરાશથી 5,267 રન બનાવ્યા છે. વોર્નરે ટેસ્ટમાં 24 સદી અને વન ડેમાં 18 સદી ફટકારી છે. તો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વોર્નરના નામે એક સદી અને 17 અડધી સદી છે.

દેશમાં 34 વર્ષે શિક્ષણ નીતિમાં કરાયા મહત્ત્વના ફેરફારઃ જાણો…

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે, એમ કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રમેશ પોખરિયાલે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની બેઠકમાં 21મી સદીની નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. આ બહુ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે છેલ્લાં 34 વર્ષોમાં શિક્ષણ નીતિમાં કોઈ બદલાવ નથી થયો મને આશા છે કે દેશવાસીઓ એનું સ્વાગત કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઉચ્ચ શિક્ષણ માટે એક નિયામક

ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરેએ કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ માટે એક નિયામક હશે, એમાં મંજૂરી અને નાણા માટે અલગ-અલગ વર્ટિકલ હશે. એ નિયામક ઓનલાઇન સેલ્ફ ડિસ્કલોઝર બેઝ્ડ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ પર કામ કરશે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમમાં પહેલા વર્ષ પછી સર્ટિફિકેટ, બીજા વર્ષ પછી ડિપ્લોમા અને ત્રણ-ચાર વર્ષ પછી ડિગ્રી આપવામાં આવશે. ચાર વર્ષના ડિગ્રી કાર્યક્રમ પછી MA અને અને પછી M.phil કર્યા વગર PhD કરી શકાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે ત્રણ વર્ષથી 18 વર્ષનાં બાળકોનો શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 હેઠળ લાવવામાં આવશે. આગામી સમયમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1:30નો રહેશે. નવી શિક્ષણ નીતિમાં વાર્તા, રંગમંચ, સામૂહિક વાચન, વાચન, ચિત્રોના ડિસ્પ્લે, લેખન કુશળતા, ભાષા અને ગણિત પર ભાર હશે. આ નવા શિક્ષણ નીતિ હેઠળ દેશમાં શિક્ષણનો અર્થ બદલાઈ જશે. આમાં ના યુવાનો માટે શિક્ષણને લઈને નવી તકો મળશે, બલકે રોજગાર પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.

નવી શિક્ષણ નીતિમાં મોટા સ્તરે સલાહ લેવામાં આવી

નવી શિક્ષણ નીતિ માટે મોટા પાયે સલાહ લેવામાં આવી છે. અઢી લાખ ગ્રામ પંચાયતો, 6600 બ્લોક્સ, 676 જિલ્લાથી સલાહ લેવામાં આવી હતી.

એક કોર્સની વચ્ચે બીજા કોર્સની છૂટ  

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ કોઈ વિદ્યાર્થી એક કોર્સની અંદર વચમાં જો કોઈ બીજો કોર્સ કરવા ઇચ્છે તો પહેલા કોર્સથી સીમિત સમયમાં બ્રેક લઈને કરી શકે છે.

અમિક ખરેએ કહ્યું હતું કે અમે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે GDPના છ ટકા શિક્ષણ ક્ષેત્રે લગાવવામાં આવે, જે હાલ 4.43 ટકા છે. અમે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન લાવી રહ્યા છીએ એમાં માત્ર સાયન્સ જ નહીં બલકે સોશિયલ સાયન્સને પણ સામેલ થશે. આ મોટા પ્રોજેક્ટ્સનું ફાઇનાન્સિંગ કરશે. આ શિક્ષણની સાથે રિસર્ચમાં આપણને આગળ આવવામાં મદદ કરશે.

નવી શિક્ષણ નીતિ હેઠળ સરકાર યુવા એન્જિનિયરોને ઇન્ટર્નશિપને તક આપવાના ઉદ્દેશથી શહેરી સ્થાનિક એકમો માટે એક કાર્યક્રમ શરૂ કરવાની યોજના બની રહી છે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. ટોપ 100 યુનિવર્સિટી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. એની પણ યોજના તૈયાર થઈ રહી છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’એ કહ્યું હતું કે અમારી જે શિક્ષણ નીતિ આવી રહી છે, એ અનેક બાબતોએ સમાધાન કરશે. શિક્ષણ નીતિમાં સરકાર ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. એની સાથે યુવાનો ઉચ્ચ શિક્ષણ લેવા માટે પહેલાં કરતાં ઘણું સરળ થઈ જશે.

સ્મશાનમાં કોરોના દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર…

કોરોના વાઈરસનો ભોગ બનેલા એક દર્દીના મૃતદેહના 29 જુલાઈ, બુધવારે મુંબઈના જોગેશ્વરીની ઓશિવરા સ્મશાનભૂમિમાં ત્યાંના કર્મચારીઓએ કેન્દ્ર સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર પીપીઈ કિટ પહેરીને તથા અન્ય સાવચેતીના પગલાં લઈને તેમજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા. કોરોના વાઈરસનો ચેપ ફેલાય નહીં એટલા માટે મૃતકના માત્ર 20 નિકટનાં સગાંઓને જ સ્મશાનભૂમિમાં પ્રવેશવા દેવામાં આવે છે. એમણે પણ આરોગ્યને લગતા નિયમોનું કડક રીતે પાલન કરવું પડે છે. મૃતકનાં અસ્થિથી રોગના ચેપનું જોખમ હોતું નથી તેથી સગાંઓ અંતિમ સંસ્કાર બાદ તે લઈ જઈ શકે છે. (તસવીરોઃ દીપક ધુરી)

પનીરની ઈન્સ્ટન્ટ મીઠાઈ

કોરોના સંક્રમણ તેમજ લૉકડાઉનને કારણે આ રક્ષા બંધનમાં તમને મીઠાઈ બહારથી લેવામાં મુશ્કેલી પડતી હોય તો તમે ઈન્સ્ટન્ટ મીઠાઈ ઘરે જ બનાવી શકો છો!

સામગ્રી:

1 કપ દૂધ, 1 કપ પનીર (નાના ટુકડામાં તોડેલું અથવા ખમણેલું), 1 કપ કાજૂ, 1 કપ સાકર, 1/4 ટી. સ્પૂન એલચી પાવડર, 2 ટે. સ્પૂન ઘી, 1/2 કપ બદામ પિસ્તાની કાતરી

કાજૂને મિક્સીમાં બારીક પીસી લો. ત્યારબાદ પનીર ઉમેરીને એ પણ ક્રશ કરી લો. હવે એમાં સાકરનો પણ બારીક પાવડર કરી લેવો.

એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને પનીર- કાજૂનું મિશ્રણ ગઠ્ઠા ના થાય તે રીતે ધીરે ધીરે મિક્સ કરી દો. એલચી પાવડર પણ ઉમેરી દો.

હવે ઝારા વડે આ મિશ્રણને એકસરખું હલાવતા રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો અને હાથમાં લઈ એના ગોલા વળે છે કે નહીં એ જોઈ લો. જો ગોલા વળે તો ગેસ બંધ કરી દો. થોડીવાર બાદ મિશ્રણ થોડુ ઠંડુ થયા બાદ એને એક થાળીમાં ઘી ચોપડીને પાથરી દેવું. બદામ પિસ્તાની કાતરી ઉપરથી સજાવી દો . અડધો કલાક પછી એના ચોસલા પાડવા. તમે એના ગોલા વાળીને પેંડા પણ બનાવી શકો છો.

રિયા ચક્રવર્તિ SCને: સુશાંત કેસની તપાસ મુંબઈમાં ટ્રાન્સફર કરાવો

મુંબઈઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુની ઘટનામાં તપાસની માગણી સાથે એના પિતાએ દીકરાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તિ સામે ગઈ કાલે પટનામાં પોલીસ એફઆઈઆર નોંધાવ્યા બાદ રિયાએ સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવી છે અને કોર્ટને વિનંતી કરી છે કે આ કેસની તપાસ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવે. સુશાંતના પિતા કે.કે. સિંહે પટના શહેરમાં રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિયાનાં વકીલ સતિષ માનશિંદેએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે કેસની તપાસ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવે એ માટે એમણે રિયાની વતી સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવી છે.

‘મેરે ડેડ કી મારુતિ’ ફિલ્મની અભિનેત્રી રિયાએ એવી માગણી કરી છે કે જ્યાં સુધી પોતાની પીટિશન પર સુપ્રીમ કોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી સુશાંતના પિતાએ નોંધાવેલી એફઆઈઆર પર બિહારની પોલીસને તપાસ કરતા અટકાવવી જોઈએ.

‘કેદારનાથ’, ‘રાબતા’, ‘છીછોરે’, ‘દિલ બેચારા’ ફિલ્મોનાં અભિનેતા સુશાંતના પિતાએ નોંધાવેલી ફરિયાદ ઉપર રિયા સામે ઈન્ડિયન પીનલ કોડની અનેક કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક કલમ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાને લગતી છે. સુશાંતના પિતાએ રિયા પર એવો પણ આરોપ મૂક્યો છે કે એ સુશાંતનો ઉપયોગ પોતાનાં નાણાકીય ફાયદા માટે કરતી હતી અને પ્રેમના બહાને એની પાસેથી પૈસા પડાવતી હતી. 2020ની 8 જૂને રિયા જ્યારે સુશાંતના ઘેરથી ચાલી ગઈ તે પહેલા એણે સુશાંતના રોકડ નાણાં, એના લેપટોપ્સ, ક્રેડિટ કાર્ડ, એનો પિન નંબર, મહત્ત્વના દસ્તાવેજો તથા સુશાંતના મેડિકલ રિપોર્ટ્સ પોતાના કબજામાં લઈ લીધા હતા.

બિહાર પોલીસે ચાર-ઈન્સ્પેક્ટરોની તપાસ ટીમની રચના કરી છે. જે ‘બેન્ક ચોર’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘જલેબી’ ફિલ્મોની અભિનેત્રી રિયાની પૂછપરછ કરશે.

રિયાએ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ટ્વીટ દ્વારા વિનંતી કરી હતી કે સુશાંતના મૃત્યુના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. એણે એ વખતે પોતાને સુશાંતની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવી હતી. એણે અમિત શાહને વિનંતી કરી છે કે સુશાંતે કયા દબાણને કારણે આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું હતું એ જાણવા માટે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવી જરૂરી છે.

મહારાષ્ટ્રમાં 95.30 ટકા વિદ્યાર્થીઓએ એસએસસી પરીક્ષા પાસ કરી

મુંબઈઃ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડની એસએસસી (10મા ધોરણ)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ઓવરઓલ 95.30 ટકા પરિણામ આવ્યું છે. સફળતાની આ યાત્રામાં છોકરીઓએ છોકરાઓને ફરી પાછળ રાખી દીધાં. ગયા માર્ચ મહિનામાં લેવાયેલી 10મા ધોરણની પરીક્ષામાં કુલ 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠાં હતાં.

12મા ધોરણની જેમ કોંકણ વિભાગે આ પરીક્ષામાં પણ મહારાષ્ટ્રના અન્ય 8 વિભાગ કરતાં સારો દેખાવ કર્યો છે. આ વિભાગમાં 98.77 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વખતની એસએસસી પરીક્ષામાં કુલ 15 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયાં છે. એમાં, 4,723 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા છે. તો 1 લાખ 20 હજારથી વધારે વિદ્યાર્થીઓએ 85-90 ટકા સુધી માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 57,913 વિદ્યાર્થીઓએ 80-85 ટકા માર્ક્સ મેળવ્યા છે.

કોંકણ કેન્દ્રનો સક્સેસ રેટ 98.77 ટકા છે. ત્યારપછીના નંબરે કોલ્હાપુર આવે છે – 97.64 ટકા. પુણે વિભાગમાં 97.34 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં પાસિંગ રેટ 92.73 ટકા છે.

આ વર્ષે 96.91 ટકા છોકરીઓ પાસ થઈ છે જ્યારે છોકરાઓનો પાસિંગ રેટ 93.90 ટકા છે.

રાજ્યમાં આશરે 8,360 શાળાઓમાં 100 ટકા રિઝલ્ટ આવ્યું છે.

પરીક્ષાનું પરિણામ આ વેબસાઈટ પર જાણી શકાશે. mahresult.nic.in

9 વિભાગોના પરિણામની ટકાવારીઃ

કોંકણ – 98.77 ટકા

કોલ્હાપુર – 97.64 %

પુણે – 97.34 %

મુંબઈ – 96.72 %

અમરાવતી – 95.14 %

નાગપુર – 93.84 %

લાતુર – 93.9 %

નાશિક – 92.73 %

ઔરંગાબાદ – 92 % 

મુખ્ય પ્રધાન ઠાકરેએ આપ્યા અભિનંદન

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એસએસસી બોર્ડ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે. ટ્વીટમાં એમણે લખ્યું છે કે એસએસસી પરીક્ષાની મહત્ત્વની સિદ્ધિ પાર કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. ધારો કે પરિણામ તમારી અપેક્ષા મુજબનું ન આવ્યું હોય તો પણ જરાય નિરાશ થશો નહીં, કારણ કે જીવન અવસરોથી ભરેલું છે. આપ તમામને મારી શુભેચ્છા છે.

આનંદોઃ અંબાલા એરબેઝ પર પાંચ રફાલ વિમાનનું ભવ્ય આગમન

અંબાલાઃ ભારત એરફોર્સની શક્તિમાં વધારો થયો છે. ફ્રાંસથી ઉડાન ભર્યા પછી પાંચ રફાલ લડાકુ વિમાન ભારતીય જમીન પર પહોંચી ગયા છે. હરિયાણાના અંબાલા એરબેઝમાં રફાલ વિમાન લેન્ડ થયા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત  વોટર સેલ્યુટની સાથે કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન એરફોર્સના વડા RKS ભદોરિયા હાજર રહ્યા હતા. ફ્રાંસથી મળનારા રફાલ વિમાનોની આ પહેલી ખેપ છે.

ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશનની ઉત્પાદન એકમથી રફાલ વિમાનોએ સોમવારે ટેકઓફ કર્યું હતું. આ વિમાન આશરે 7000 કિલોમીટરનું અંતર કાપીને અંબાલા પહોંચ્યાં હતાં. આ વિમાનોમાં ત્રણ એક બેઠકકવાળા અને બે વિમાન બે સીટવાળા છે. રફાલ લડાકુ વિમાન એરફોર્સના 17મા સ્કવોડ્રનનું નામ Golden Arrows છે.

સંરક્ષણપ્રધાનના મંત્રાલયે પણ ટ્વીટને રફાલ ભારતમાં પ્રવેશ્યા હોવાની માહિતી આપી હતી.

 

રફાલની સુરક્ષામાં બે SU30 MKI વિમાન પહોંચ્યા હતાં

ભારતીય વાયુ ક્ષેત્રમાં પ્રવેશ કરતાં રફાલ વિમાનોની સુરક્ષામાં બે SU30 MKI વિમાન આકાશમાં પહોંચ્યા હતાં. સંરક્ષણ મંત્રાલય દ્વારા આના બે વિડિયો જારી કરવામાં આવ્યા હતા.

રફાલની ખૂબીઓ

  • રફાલને વિશ્વના સૌથી શક્તિશાળી લડાકુ વિમાન માનવામાં આવે છે. રફાલ સેંકડો કિલોમીટર સુધી અચૂક નિશાન લગાવી શકે છે.
  • સૂત્રોનું માનીએ તો રફાલમીં હવાથી હવામાં અને હવાથી જમીન પર નિશાન લગાવવાની ક્ષમતા છે. હાલમાં ચીન અને પાકિસ્તા-બંનેની એરફોર્સ પાસે આવી ક્ષમતાનાં એરક્રાફ્ટમાં નથી.જેથી ચીન અને પાકિસ્તાન કરતાં ભારત આગળ નીકળી ગયું છે.
  • રફાલમાં મીટિયોર મિસાઇલ-હવાથી હવામાં માર કરી શકે છે. એની મારક ક્ષમતા 150 કિલોમીટરની છે. રફાલ દુશ્મન દેશની સીમા પાર કર્યા વગર દુશ્મન વિમાનને નષ્ટ કરી શકે છે.
  • ભારત જમીન જલ અન  નભમાં શક્તિશાળી બની ગયું છે.
  • રફાલની બીજી મિસાઇલ છે સ્કાલ્પ મિસાઇલ. સ્કાલ્પની મારક ક્ષમતા 600 કિલોમીટરની છે. સ્કાલ્પ મિસાઇલ દ્વારા રફાલ વડે દુશ્મન દેશ પર આટલા અંતરેથી નિશાન લગાવી શકે છે. સ્કાલ્પ અચૂક મારક ક્ષમતાવાળા મિસાઇલ છે.
  • ત્રીજું મિસાઇલ છે હૈમર મિસાઇલ- ચીન સાથેના વિવાદ પછી ભારતીય એરફોર્સે હૈમર મિસાઇલ ફ્રાન્સથી ખરીદવાનો ઓર્ડર પ્રોસેસ કર્યો હતો.
  • હેમર મિસાઇલની મારક ક્ષમતા 60-70 કિલોમીટરની છે. હૈમર મિડિયમ રેન્જની હવાથી જમીનમાં માર કરી શકવાની મિસાઇલ છે. એને ફ્રાન્સની એરફોર્સ અને નેવી માટે ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યાં છે.
  • ભારતે ફ્રાન્સથી રફાલ સોદા હેઠળ 36 વિમાન ખરીદ્યાં છે. આમાં પહેલી પાંચ વિમાન આજે અંબાલા એરફોર્સ સ્ટેશને આવી ચૂક્યાં છે. બાકીનાં 31 રફાલ વિમાન 2022 પહેલાં ભારતને મળી જશે.