Home Blog Page 4613

બુલેટ-ટ્રેન પ્રોજેક્ટમાં L&Tને મળ્યો 25,000 કરોડનો કોન્ટ્રાક્ટ

નવી દિલ્હીઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટ્રુબ્રો (L&T) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી ઓછી બોલી લગાવનાર કંપની તરીકે ઊભરી આવી છે. રૂ. 24,985 કરોડના કરારમાં L&T સૌથી મોટા સિવિલ કરાર મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. L&T સાથે બે અન્ય કંપનીઓ રેસમાં છે. L&T અમદાવાદથી મુંબઈ સુધીના 508 કિલોમીટરની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવતા 237 કિલોમીટરના પૂલની ડિઝાઇન અને બાંધકામ માટેના ટેન્ડરમાં L&T સૌથી ઓછી બોલી લગાવનાર કંપની છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ રેલવે પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે, જેને જાપાનના સહયોગથી બનાવવામાં આવી રહ્યો છે.

NHSRCLએ કહ્યું હતું કે આ ટેન્ડર હેઠળ કુલ સાત કંપનીઓ મળીને ત્રણ ટેન્ડર જમા કર્યાં હતાં. એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇરકોન ઇન્ટરનેશનલ અને જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયાએ સાથે મળીને ટેન્ડર ભર્યું હતું. એ જ રીતે NCC-ટાટા પ્રોજેક્ટ-જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટસ, HSRએ સાથે મળીને ટેન્ડર ભર્યું હતું. લાર્સન એન્ડ ટુબ્રોએ એકલીએ જ ટેન્ડર ભર્યું હતું.

 83 ટકા જમીન હસ્તગત

આ 237 કિમી લાંબા કોરિડોરમાં 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ આવશે. આ જગ્યા ગુજરાતમાં છે, જ્યાં 83 ટકાથી વધુ જમીન હસ્તગત થઈ ચૂકી છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું હતું કે માર્ચ, 2020થી પહેલાં ભૂમિ હસ્તાંતરણનું કામ પૂરું થઈ જવાનું હતું, પણ મહારાષ્ટ્રમાં કેટલીક અડચણોને કારણે એ નથી થઈ શક્યું. આ પૂરો પ્રોજેક્ટ 508 કિમીનો છે, જેનો આશરે 349 કિમી હિસ્સો ગુજરાતમાં છે.

237 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ  

આ ટેન્ડર હેઠળ વાપી (મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે જરોલી ગાંવ) અને વડોદરાની વચ્ચે 237 કિમી લાંબા કોરિડોરનું બાંધકામ થવાનું છે. આમાં ચાર સ્ટેશન- વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ સામેલ છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનો કુલ ખર્ચ રૂ. 1.08 લાખ કરોડ છે અને એના માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી ફન્ડિંગ કરી રહી છે.

વર્ષ 2019માં રેલવેપ્રધાન પીયૂષ ગોયલે રાજ્યસભાને જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે જાપાનથી 24 બુલેટ ટ્રેનો ખરીદવામાં આવશે. જ્યારે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે 24 બુલેટ ટ્રેન્સમાંથી છ ભારતમાં એસેમ્બલ કરવાની યોજના છે.

આજે સાંજે મોદીનું સંબોધન: તરેહ તરેહની અટકળો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરવાના છે. આ જાણકારી એમણે પોતે જ ટ્વિટરના માધ્યમથી આપી છે.

વડા પ્રધાનની આ જાહેરાતને પગલે જાતજાતની અટકળો થવા લાગી છે કે આજે તેઓ દેશવાસીઓને શું સંદેશ આપશે?

આ વર્ષે મોદીનું આ સાતમું રાષ્ટ્રીય સંબોધન હશે. કોરોના વાઈરસ મહાબીમારી ફેલાયાના કટોકટીકાળમાં આ પહેલાં મોદી છ વાર રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે.

સોશિયલ મિડિયા પર મોદીના આગામી ભાષણના મુદ્દે ઘણા લોકો જાતજાતના અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક રસપ્રદ-રમૂજી મીમ્સ પણ મૂકી રહ્યા છે.

કેટલાક લોકોનું માનવું છે કે વડા પ્રધાન મોદી આજે કોરોનાની રસી વિશે દેશવાસીઓને કોઈક સંદેશ આપશે. અથવા તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે તો એમાં કોરોનાથી બચવા કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ એ વિશે લોકોને સલાહ-સૂચન કરશે, જાણકારી આપશે.

કોરોનાના 46,790 નવા કેસ, 587નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 75 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,790 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 587 લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 75,97,063 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,15,197 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 67,33,328 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,48,538એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

અડધી જનસંખ્યા કોરોનાથી સંક્રમિત

દેશમાં કોરોના વાઇરસ રોગચાળાનો પ્રકોપ હજુ પણ યથાવત છે. હવે રોગચાળાના ફેલાવાને લઈને ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલ નિષ્ણાતોની એક પેનલે મોટો ખુલાસો કર્યો છે. પેનલે અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ભારતની અડધી જનસંખ્યા કોરોનાથી સંક્રમિત થઈ ગઈ હશે.

દેશની અંદાજે 30 ટકા જનસંખ્યા સંક્રમિતઃ પેનલ

પેનલના સભ્યો અને આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે કહ્યું કે અમારા ગાણિતિક મોડલનું આકલન કહે છે કે અત્યાર સુધી દેશમાં અંદાજે 30 ટકા જનસંખ્યા સંક્રમિત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે. પેનલે એ પણ કહ્યું કે, દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા તહેવારોની સીઝનમાં કોરોનાને કેસ વધી શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રેડ સિલ્ક જેકેટ, પેન્ટઃ હિના ખાનનો નવરાત્રી ફેસ્ટિવ લૂક…

હાલ નવરાત્રી તહેવાર ચાલે છે ત્યારે અભિનેત્રી હિના ખાને રૂ. 22,000ની કિંમતના ચેરી રેડ સિલ્ક જેકેટ અને રેડ પેન્ટમાં સજ્જ થઈને ફેસ્ટિવલ લૂક માટે કેટલાક પોઝ આપ્યાં છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર એણે શેર કરતાં પ્રશંસકોએ તરફથી અઢળક લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે.

લાલ રંગના આઉટફિટમાં આ તસવીરો પોસ્ટ કરીને એણે લખ્યું છે કે, ‘હંમેશાં દેશી ગર્લ…’ જોકે આ લૂક એણે સલમાન ખાન સંચાલિત ‘બિગ બોસ 14’ રિયાલિટી શો માટે અપનાવ્યો છે, જેમાં એ તુફાની સિનિયર બની છે. હિનાએ બિગ બોસ 11માં પણ ભાગ લીધો હતો અને એમાં તે રનર-અપ બની હતી.

હિના ખાન તાજેતરમાં ‘ટાઈમ્સ ટોપ-20 મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓન ટીવી’ની યાદીમાં ટોપ પર હતી.

હિના ખાન ટીવી સિરિયલ ‘નાગિન-5’માં જોવા મળી હતી.

CAA ટૂંક સમયમાં લાગુ કરાશેઃ જેપી નડ્ડા

સિલિગુડીઃ દેશમાં ‘સિટિઝન એમેડમેન્ટ એક્ટ’ (CAA) ટૂંક સમયમાં લાગુ થશે. પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધતાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે CAA લાગુ કરવામાં કોરોના વાઇરસ રોગચાળાને કારણે મોડું થયું હતું, પણ હવે ટૂંક સમયમાં આ કાયદો લાગુ કરવામાં આવશે. ‘સિટિઝન એમેડમેન્ટ એક્ટ’ બિલ સંસદમાં પાસ થઈ ગયા પછી કાયદો બની ગયું છે અને ભાજપ એને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું.

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સભાને સંબોધિત કરતાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે તમને CAA મળશે એ નક્કી છે. જોકે હજી નિયમ બની રહ્યા છે. કોરોનાને કારણે થોડી અડચણ આવી છે. જેમ-જેમ કોરોનાનો પ્રકોપ ઓછો થશે. બહુ જલદી તમને એની સેવા મળશે. એને અમે લાગુ કરીશું. ‘નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ’ (NRC) અને CAAના પક્ષમાં સ્થાનિક લોકોની ભાવના જોડાયેલી છે. આને લીધે ભાજપને ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરી છે.

ભાજપના મુખ્ય મુદ્દાઓમાં CAA સામેલ

પાછલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ ક્ષેત્રની આઠમાંથી સાત સીટો જીતી હતી. રાજ્ય વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. જેથી ભાજપે સ્થિતિ મજબૂત કરવા મુખ્ય વિપક્ષી પાર્ટીના રૂપમાં સ્થાપિત કરી છે. મમતા બેનરજી સત્તામાં વાપસી માટે પ્રયત્નશીલ છે. CAAને લઈને પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં નડ્ડાએ સંકેત આપ્યા હતા કે આગામી ચૂંટણીમાં ભાજપના મુખ્ય મુદ્દાઓમાં એ સામેલ રહેશે. તૃણમૂલ કોંગ્રેસે સંસદથી સડક સુધી CAAનો પુરજોશથી વિરોધ કર્યો હતો.

‘ભાગલા પાડો અને રાજ કરો’

આ સભામાં  જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પર ચાલવાનો આરોપ મૂક્યો હતો અને આગામી સરકાર ભાજપની બનશે, એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. નડ્ડાએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના રાજમાં આટલા સમય સુધી હિન્દુ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. હવે જ્યારે સમજમીં આવ્યું છે ત્યારે દરેક સમાજને એક કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ એ લોકો છે, જે માત્ર વોટબેન્કનું રાજકારણ કરે છે, માત્ર સત્તામાં રહેવા માટે રાજકારણ કરે છે.

‘સૌનો સાથે, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’

તેમણે કહ્યું હતું કે ભાજપ અને વડા પ્રધાન મોદીની મૂળ નીતિ છે- ‘સૌનો સાથે, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ,’ જ્યારે અન્ય પાર્ટીઓની નીતિ છે- ‘ભાગલા પાડો, સમાજમાં ભાગલા પાડો,’ અલગ-અલગ કરીને રાખો, ‘અલગ-અલગ માગ કરો અને રાજ કરો.’ સૌનો સમાવેશ કરીને ચાલવાની તાકાત માત્ર મોદીજીમાં છે. ભાજપ સમાજને જોડે છે, જ્યારે તે લોકો સમાજને તોડીને વોટબેન્કનું રાજકારણ કરે છે.

 

 

 

તેલંગણા સરકારનું BSE, ગ્લોબલલિંકર સાથે જોડાણ

મુંબઈઃ તેલંગણા રાજ્ય સરકારે ગ્લોબલલિંકર સાથે મળીને BSE સાથે સમજૂતી કરાર કર્યો છે. સમજૂતી કરાર હેઠળ BSE લિસ્ટિંગના લાભ અને મહત્ત્વ અંગે તેલંગણા રાજ્યના MSMEsમાં જાગૃતિ લાવવા માટેનો ટેકો પૂરો પાડશે.

રાજ્યમાં MSMEsના ડિજિટલાઈઝેશન માટે તેલંગણા સ્ટેટ ગ્લોબલલિંકર પોર્ટલની સ્થાપના કરી હતી. રાજ્યમાં MSMEsના વિકાસને વેગ આપવા તેલંગણા સરકાર પોર્ટલને ફ્રી ઈ કોમર્સ સ્ટોર, પેમેન્ટ ગેટવે અને અન્ય લોજિસ્ટિક્સ પૂરું પાડે છે, જેથી ખરીદદારો અને વેચાણકર્તાઓ એકબીજાનો સંપર્ક કરી શકે.

તેલંગણા રાજ્યના મુખ્ય સચિવ જયેશ રંજને આ પ્રસંગે કહ્યું કે અમે BSE સાથે ભાગીદારી કરવાનો હર્ષ છે. આ જોડાણ રાજ્યના MSMEsને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. રાજ્યે MSMEs કામગીરીનો વિસ્તાર કરી અન્યો માટે ઉદાહરણરૂપ બની રહે એ માટેની વિવિધ પહેલો કરી છે. અત્યારે તેલંગણાના બહુ થોડા MSMEs સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને અમે લિસ્ટેડ MSMEsની સંખ્યા વધારવા માગીએ છીએ.

ગ્લોબલલિંકરના સ્થાપક અને સીઈઓ સમીર વકીલે કહ્યું કે અમે SMEsના વેપારને વધારવા અને તેમને નફાકારક બનાવવા કટિબદ્ધ છીએ. આમ કરવા તેલંગણા રાજ્ય સરકાર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. SMEના વિકાસ માટે તેમને સરળતાથી મૂડી ઉપલબ્ધ થાય એ જરૂરી છે.  BSE SME સાથેની ગોઠવણ તેલંગણા સ્ટેટ ગ્લોબલલિંકરના મેમ્બર્સને મૂડી એકત્ર કરવામાં અને તેમના વેપારના મેનેજમેન્ટને સુધારવામાં સહાયક બનશે.

BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું કે તેલંગણા રાજ્યના MSMEs રાજ્યના આર્થિક વિકાસમાં મહત્ત્વનો રોલ અદા કરે છે. રોજગારી ક્ષેત્રમાં તેમનું યોગદાન  મહત્ત્વનું છે. MSMEs માટે વૈકલ્પિક મૂડી સ્રોતો મર્યાદિત છે તેને કારણે તેમણે ડેટ પર વધુ નિર્ભર રહેવું પડે છે પરિણામે તેમના મૂડી માળખા અને કેશ ફ્લોને વિપરીત અસર થાય છે. આ જોડાણથી રાજ્યના MSMEsને ઈક્વિટી ફાઈનાન્સ પ્રાપ્ત કરવાની તક ઉપલબ્ધ થશે, જેના વડે તેઓ તેમના વેપારને વિસ્તારી શકશે.

રાશિ ભવિષ્ય 20/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.

૨૦ ઓક્ટોબર ૨૦૨૦

૨૦ ઓક્ટોબર ૨૦૨૦

આઇપીઓમાં રોકાણ કરતી વખતે કઈ કઈ ભૂલો નિવારવી? 

ભારતીય શેરબજારની પ્રાઇમરી માર્કેટ છેલ્લા થોડા વખતથી ધમધમી રહી છે. એમસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસીસ લિ, કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ, રોઝરી બાયોટેક લિ, હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નૉલૉજીસ લિ, રુટ મોબાઇલ લિમિટેડ વગેરે કંપનીઓનાં ભરણાં બજારમાં આવ્યાં. કોઈપણ કંપની પહેલી વાર પોતાના શેર ઇસ્યૂ કરે એ પ્રસંગ રોકાણકારો માટે યાદગીરી સમાન બની જતો હોવાનો અત્યાર સુધીનો અનુભવ છે.  

ઘણા રોકાણકારો માને છે મોટા-મોટા આઇપીઓ સતત આવ્યા કરે એ બજાર માટે સારી વાત નથી, કારણ કે તેને લીધે બજારમાંથી નાણાંની પ્રવાહિતા ઘણી ઓછી થઈ જાય છે. એક સમયે બજારમાં આવું થતું હતું, પરંતુ આજકાલ મોટા મોટા ઇસ્યૂ આવ્યા પછી પણ બજારમાં પ્રવાહિતા ટકેલી જોવા મળે છે.

સારા સંચાલકો અને મજબૂત નાણાકીય સ્થિતિ અને રેકર્ડ ધરાવતી કંપનીઓના આઇપીઓ આવે ત્યારે તેમના શેર ખરીદવા માટે મોટી સંખ્યામાં ખરીદદારો તૈયાર જ હોય છે. આઇપીઓના શેર માટે ઉંચી માગ રહે એ સ્થિતિ સંબધિત શેરના લિસ્ટિંગના દિવસે નફો કમાવા માગતા લોકો તથા લાંબા ગાળા માટે એ શેર રાખી મૂકવા માગતા લોકો એ બન્ને માટે સારી હોય છે.  

વર્ષ 2020માં આવેલા ટોચના 10 આઇપીઓ પર નજર નાખીએ તોઃ

કંપનીનું નામ  ઇસ્યૂ સાઇઝ  કેટલા ગણો ભરાયો 
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ.  443  157.41 
હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નૉલૉજીસ લિ.  702  150.98 
કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ  318  149.3 
રોઝરી બાયોટેક લિ.  496  79.37 
રુટ મોબાઇલ લિ.  600  73.3 
કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ.  2244  46.99 
એસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસીસ લિ.  10354  26.54 
માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ  4500  12.96 
લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ.  61  9.5 
એન્જલ બ્રોકિંગ લિ.  600  3.94 

 

વોરેન બફેટે કહ્યું છે કે શેરબજાર એ અધીરા લોકો પાસેથી ધીરજવાન લોકો સુધી નાણાં પહોંચાડવા માટેનું સાધન છે. આ વાત પ્રાઇમરી અને સેકન્ડરી એમ બન્ને માર્કેટને લાગુ પડ છે.

જો કે, આઇપીઓમાં રોકાણ કરવા સંબંધે અનેક ગેરલાભ પણ છે. ખાસ કરીને નવા રોકાણકારો લિસ્ટિંગના દિવસે લાભ મળવાની ધારણાએ રોકાણ કરતા હોય છે. તેઓ જાણ્યે-અજાણ્યે કેવી ભૂલો કરે છે તેના વિશે વાત કરીએ, જેથી આગામી સમયમાં લોકો એ ભૂલોનું પુનરાવર્તન કરતાં અટકે.  

1) ફક્ત લિસ્ટિંગના દિવસે લાભ થાય એ માટે રોકાણ કરવાનું ટાળોઃ 

રોકાણજગતના માંધાતા વોરેન બફેટે કહ્યું છે કે જો તમે 10 વર્ષ સુધી કોઈ શેર રાખી મૂકવાની ધીરજ ધરાવતા ન હો તો તમારે એ શેર દસ મિનિટ માટે પણ પોતાની પાસે રાખવો નહીં. કેટલાક આઇપીઓમાં અનેક ગણી અરજીઓ આવી જતી હોય છે, પરંતુ લિસ્ટિંગ થાય ત્યાર સુધીમાં બજારનું માનસ બદલાઈ જવાને કારણે લિસ્ટિંગના દિવસે નફો મળે નહીં એ શક્ય છે. આવામાં મહેનતની કમાણી ફસાઈ જવાની શક્યતા રહે છે. આમ છતાં, જો તમે લિસ્ટિંગના દિવસના નફાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે રોકાણ કર્યું હોય તો તમારો સ્ટોપ-લોસ નક્કી કરો અને બજારમાંથી ક્યારે નીકળી જવું છે એ પણ નક્કી કરો.  

2) માર્કેટિંગની માયાજાળમાં ફસાવું નહીં: 

કોઈપણ આઇપીઓ આવે ત્યારે તેનું મોટાપાયે માર્કેટિંગ થતું હોય છે. રોકાણની દૃષ્ટિએ આઇપીઓ નબળો હોય તો પણ તેને આકર્ષક બનાવવામાં કોઈ કચાશ રખાતી નથી. આ કામ કરતા અંડરરાઇટર્સનું તો કામ જ રોકાણકારોને એમનો ઇસ્યૂ વેચવાનું હોય છે. આથી માર્કેટિંગની આવી માયાજાળમાં ફસાવું નહીં.  

3) મોટા બ્રાન્ડ નેમમાં રોકાણઃ 

ઘણી વાર રોકાણકારો કંપનીનું મોટું નામ જોઈને આઇપીઓમાં નાણાં રોકવા તૈયાર થતા હોય છે. એમને કહેવાનું કે વાસ્તવિક જગતનાં ઉદાહરણોને તેમણે ધ્યાનમાં લેવાં જોઈએ. દા.ત. વર્ષ 2008માં સબ-પ્રાઇમ ક્રાઇસીસ આવ્યા બાદ આવેલો રિલાયન્સ પાવરનો આઇપીઓ. તેની ઘણી પબ્લિસિટી કરવામાં આવી અને કંપનીનું નામ પણ મોટું હતું. લિસ્ટિંગમાં તો ઘણો નફો થયો, પરંતુ પછીથી કંપની નબળી પડી. આ ઉદાહરણ પરથી ધ્યાનમાં લેવાનું કે ક્યારેક નામ બડે, દર્શન ખોટે જેવો ઘાટ ઘડાઈ શકે છે.  

4) ગ્રે માર્કેટ પર વધુ પડતો ભરોસોઃ 

આઇપીઓ આવતાં પહેલાં ગ્રે માર્કેટમાં તેની કેટલી માંગ છે તેના આધારે લોકો રોકાણ કરવાનો નિર્ણય લેતા હોય છે. જો કે, ગ્રે માર્કેટ કદી સંપૂર્ણપણે વિશ્વસનીય હોઈ શકે નહીં. બજારમાં સ્થિરતા હોય ત્યારે કદાચ એની માંગનો અંદાજ સાચો પડે, પણ અનિશ્ચિતતાભર્યા સમયમાં એના પર ભરોસો કરાય નહીં.  

5) આંધળું અનુકરણઃ 

તમારા મિત્રો કે સંબંધીઓ નવા આઇપીઓ માટે ઘણા ઉત્સાહી છે એ જોઈને તમારો ઉત્સાહ વધી જાય અને તમે એમનું આંધળું અનુકરણ કરો એ ઇચ્છનીય નથી. તમે માર્કેટ વિશે પૂરતી જાણકારી ધરાવતા ન હો અને બીજાને અનુસરો ત્યારે ભૂલ થવાની શક્યતા વધારે હોય છે. તેજીના સમયમાં બધા જ આઇપીઓ ઓવરસબ્સ્ક્રાઇબ થતા હોય છે, પરંતુ બધામાં લિસ્ટિંગનો નફો મળતો નથી.  

6) વધારે પડતી બિડ કરવી નહીં: 

સેબીએ આઇપીઓના શેરની ફાળવણી બાબતે અનેક ફેરફાર કર્યા છે. આજકાલ બે લાખ રૂપિયા કરતાં ઓછું રોકાણ કરનારા રિટેલ અરજદારોને સમાન સ્તરે ગણીને શેરની ફાળવણી થાય છે. આથી રોકાણ માટેની અરજી નાની રકમની હોય કે પ્રમાણમાં મોટી હોય, તેનો કોઈ ફરક પડતો નથી. ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં ફાળવણીની શક્યતા બન્ને બાજુ સરખી હોય છે. વધુ પડતી અરજીઓ કરીને રોકાણકારો નાહકના મોટી રકમ બ્લોક કરી દેતા હોય છે. વાસ્તવમાં, ફાળવણીની સંભાવના સરખી જ રહે છે.  

આઇપીઓ માટે તમે ભલે કંપનીઓની સ્થિતિ જૂઓ, પરંતુ જ્યારે તમારા પર્સનલ ફાઇનાન્સની વાત આવે ત્યારે આઇપીઓમાં રોકાણ કરતી વખતે અનેક બાબતોને લક્ષમાં લેવી પડે છે. આથી તમારા ફાઇનાન્શિયલ પ્લાનર કે કોચ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.  

હાલની આઇપીઓની મોસમ માટે આપ સૌને શુભેચ્છા. તમે ઉપરોક્ત ભૂલોને ટાળો એ અગત્યનું છે.  

(ખ્યાતિ મશરૂ-વસાણી)

 

પંચાંગ 20/10/2020

(મયંક રાવલ)