Home Blog Page 4601

પશ્ચિમ એશિયાની તંગદિલીએ ભારતીય શેરબજારમાં પાડયો કડાકોઃ ક્રૂડના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંકટના કારણે આજે હાહાકાર મચી ગયો. BSE Sensex અને NIFTY જોરદાર પછડાયા. સપ્તાહના પ્રથમ સત્રમાં જ સેન્સેક્સ 787.98 અંક જ્યારે નિફ્ટી 233.60 અંક સુધી નીચે આવી ગયા. શેર બજારમાં આવેલા આ ભારે ઘટાડાના કારણે રોકાણકારોના એક જ દિવસમાં 3.36 લાખ રુપિયા ડૂબી ગયા. અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર કાસીમ સુલેમી માર્યા ગયા બાદ બંન્ને દેશો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ઈરાને આનો બદલો લેવાની વાત કહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવી સ્થિતિમાં ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સોમવારના રોજ બ્રેંટ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો. આ સીવાય અન્ય કારણોથી પણ શેર બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. શેર બજારમાં ઘટાડાના કારણે લોકોએ સેફ હેવન માનવામાં આવતા સોનામાં રોકાણ કર્યું. ત્યારે આના કારણે ગોલ્ડની કીંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. વિષ્લેષણો અનુસાર ક્રૂડ ઓઈલની કીંમતોમાં આવેલી તેજીથી ભારતીય બજાર વધારે રિએક્ટ કરી રહ્યું છે.

સોનુ 720 રુપિયાની તેજી સાથે પોતાના અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર 41,730 રુપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. બ્રેંટ ક્રુડ ઓઈલનું ફ્યૂચર સોમવારના રોજ આશરે 2 ટકા વધીને 69.81 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ છે. દિવસના વ્યાપારમાં ભારતીય મુદ્રા 24 પૈસા તૂટીને 72.04 રુપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચી ગઈ છે. શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિઓલમાં પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. યૂરોપીય બજારમાં પણ શરુઆતી સત્રમાં લાલ નિશાના પર રહ્યા.

ચીનની ‘ફ્લાયઝૂ હોટેલ’, જ્યાં સ્ટાફ તરીકે રોબોટ્સ સેવા બજાવે છે…

ચીનના હોંગ્ઝૂ શહેરમાં આવેલા અલી પાર્કમાં કીન ચેંગ લી શોપિંગ સેન્ટર છે. એમાં જ્યારથી નવી હોટેલ શરૂ કરવામાં આવી છે ત્યારથી લોકોનું આ સ્થળ માટેનું આકર્ષણ વધી ગયું છે.

ઈ-કોમર્સ અને મિડિયા ક્ષેત્રના મહારથી અલીબાબા ગ્રુપે આ પાર્કમાં અત્યંત હાઈ-ટેક હોટેલ શરૂ કરી છે જેનું નામ છે ‘ફ્લાયઝૂ’. આને ફ્યૂચર ફીચરવાળી હોટેલ કહેવામાં આવે છે, કારણ કે આ હોટેલમાં કોઈ રિસેપ્શનિસ્ટ હોતી નથી કે મહેમાનોને આવકારવા માટે કોઈ હોટેલ કર્મચારી હોતા નથી.

ફ્લાયઝૂ હોટેલ ચીનના મુખ્ય શહેરોમાંના એક, શાંઘાઈથી 170 કિ.મી. દૂર આવેલા હાંગ્ઝૂ શહેરમાં આવેલી છે. અલીબાબા ગ્રુપના મુખ્યાલયથી આ હોટેલ ચાલતા જઈ શકાય એટલા જ અંતરે છે.

ચાવીવિહોણી, રોકડવિહોણી હોવા છતાં આ હોટેલ એકદમ સરસ રીતે ચાલે છે? કઈ રીતે?

રોબોટ્સ વડે.

આ હોટેલમાં મહેમાનોને રોબોટ્સ આવકારે છે, ચેક-ઈન કરવામાં એમને મદદ કરે છે અને એમને તેમના રૂમ સુધી લઈ જાય છે. એ ઉપરાંત બીજી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે, મદદ કરે છે.

આ બ્રાન્ડ-ન્યૂ હોટેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ પર સંચાલિત છે. હોટેલ ઉદ્યોગમાં કર્મચારીઓના ઊંચા પગાર પરવડતા નથી, વળી મહેમાનો માટેની સેવાઓ અને સુવિધાઓમાં એકરાગતા રહેવી જોઈએ, તો એ બધાયનો જવાબ આ ફ્લાયઝૂ હોટેલ છે. એ વધારે સ્માર્ટ છે, વધારે સ્વયંસંચાલિત છે અને ભવિષ્યના ડિજિટલ પ્રવાસીઓ માટે એક પ્રેરણાસમાન છે.

હોટેલના કર્મચારીનો ચહેરો લિફ્ટ પાસે સ્કેન થઈ રહ્યો છે

આ હોટેલમાં કામકાજો માટે અને મહેમાનોની સહાયતા માટે એક-મીટર ઊંચા કદવાળા રોબોટ્સ છે, જેમને જીની નામ આપવામાં આવ્યું છે. આ રોબોટ્સ મહેમાનોને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે, એમના ઓર્ડર્સ લે છે, માગેલી ચીજવસ્તુઓ એમને પહોંચાડે છે, લોન્ડ્રી માટેનાં કપડાં પણ ઉઠાવે છે. આ બધું કામ તેઓ વોઈસ કમાન્ડ મારફત કે સ્પર્શ મારફત કે સાદા ઈશારાઓ દ્વારા કરે છે.

ગ્રાહકોએ રૂમની ચાવી અને કાર્ડની ચિંતા કરવાની રહેતી નથી. સોફ્ટવેર બેસાડેલું હોય છે તે મુજબ ચહેરાની ઓળખ પરથી જ રૂમનો દરવાજો આપોઆપ ખૂલી જાય છે. કોઈ સ્વિચ કે નોબ્સ (બટન) હોતાં નથી. રૂમની અંદર પણ બધા સાધનો અવાજ અનુસાર એક્ટિવેટ કે ડીએક્ટેવેટ કરી શકાય છે.

ફ્લાયઝૂ હોટેલમાં કુલ 290 રૂમ્સ છે. આ હોટેલે ગ્રાહકોને એકદમ નવો અને અનોખો અનુભવ કરાવવામાં આગેવાની લીધી છે.

એકદમ ઓછી ડિઝાઈન છતાં હોટેલમાં આધુનિકીકરણ જોવા મળે છે, લેટેસ્ટ ટેક્નોલોજીઝ છે અને મૂળ પરસ્પર માનવ વ્યવહાર અત્યંત ઘટાડી દેવામાં આવ્યો છે.

ફ્લાયઝૂ હોટેલના સીઈઓ વાંગ ક્યૂન કહે છે, આ ફ્યૂચરિસ્ટિક ફીચર્સ અપનાવવા પાછળનો અમારો હેતુ કુશળતા, ગ્રાહકો માટે રિસ્પોન્સ ટાઈમ વધારવાનો અને ખર્ચાળ કર્મચારીગણમાં ઘટાડો કરવાનો છે. અમે રિસેપ્શન અને ગેટકીપર (કોન્સીર્જ) ડેસ્ક માનવરહિત રહેશે, ત્યાં રોબોટ કામગીરી બજાવશે, પરંતુ રસોડા અને સફાઈ કામકામજો માટે માનવ કર્મચારીઓ જ રાખવામાં આવ્યા છે.

આ અત્યાધુનિક સુવિધાસંપન્ન હોટેલમાં સાત થીમ્ડ રૂમ છે, જે ખાસ વિદેશીઓ માટે જ અને વિશિષ્ટ રોકાણના અનુભવ માટે અલાયદા રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે, બ્રિટિશ રૂમને યુનિયન જેકથી સુશોભિત કરાયો છે.

હોટેલ ઉદ્યોગમાં રોબોટનો ઉપયોગ કર્યો હોય એવી બીજી કેટલીક હોટેલ્સ છે, પરંતુ આખી તથા સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત હોય એવી અલીબાબા ગ્રુપની ફ્લાયઝૂ હોટેલ પહેલી જ છે.

બીજિંગમાં ‘ઈન્ટરકોન્ટિનેન્ટલ’ હોટેલે બાઈદુ સાથે ભાગીદારી કરી છે જે વોઈસ-કન્ટ્રોલ્ડ આસિસ્ટન્સનો ઉપયોગ કરે છે તો ટોકિયોમાં ‘હેન ના’ હોટેલ પણ રોબોટ તથા અન્ય AI-ફીચર્સનો ઉપયોગ કરે છે.

ફ્લાયઝૂ હોટેલમાં બુકિંગ સેવા 2018ના ડિસેંબરથી જ શરૂ કરવામાં આવી છે.

ચીન એવો દેશ છે જ્યાં ડેટા-શેરિંગ ટેક્નોલોજી સામે લોકોને બહુ વાંધો નથી. ઊલટાનું, લોકો આવી ટેક્નોલોજીના ઉપયોગમાં ઉત્સાહ બતાવે છે.

મહેમાનો જ્યારે હોટેલમાં પ્રવેશ કરે છે ત્યારે એમના ચહેરાનું સ્કેનિંગ કરવામાં આવે છે. સાથોસાથ એમના પાસપોર્ટ તથા અન્ય ઓળખપત્રોનું પણ સ્કેનિંગ કરવામાં આવે છે અને તે દ્વારા ચેકઈન કરે છે. ચીની નાગરિક ઓળખપત્ર ધરાવનારાઓ તો ચેકઈન કરતી વખતે એમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને એમનો ચહેરો સ્કેન કરાવવાનો રહે છે.

લિફ્ટ (એલિવેટર) પણ મહેમાનોનાં ચહેરાને સ્કેન કરે છે અને ચકાસણી કરે છે કે એમને કયા માળ પર જવાનું છે. ત્યારબાદ બીજા ફેસ સ્કેન સાથે મહેમાનની રૂમનો દરવાજો ખૂલે છે.

રૂમની અંદર પણ ટેમ્પરેચર વધ-ઘટ કરવું હોય કે બારીના પડદા પાડવા હોય કે ઉઘાડવા હોય, રૂમની લાઈટિંગને એડજસ્ટ કરવી હોય અથવા રૂમ સર્વિસને ઓર્ડર આપવો હોય તો બધા જ કામ માટે અલીબાબાની વોઈસ કમાન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

હોટેલની રેસ્ટોરન્ટમાં પણ, ઊંચા કદનાસ રેપ્સ્યૂલ આકારના રોબોટ મહેમાનોને એમણે ફ્લાયઝૂ એપ્લિકેશન મારફત ઓર્ડર કરેલી ખાદ્યસામગ્રીઓ ડિલીવર કરે છે.

બીયર બાર ખાતે, વિશાળ રોબોટિક આર્મ જુદા જુદા ટાઈપના 20થી વધારે કોકટેલ મિક્સ કરી શકે છે.

ચેકઆઉટ કરતી વખતે મહેમાનોએ ફ્લાયઝૂ એપ પરનું એક બટન દબાવવાનું હોય છે જ્યારબાદ રૂમ લોક થઈ જાય છે અને એમને અલીબાબાના ઓનલાઈન વોલેટ મારફત પેમેન્ટની વિગતો આપોઆપ મળી જાય છે. પેમેન્ટ થઈ જાય તે પછી મહેમાનોનાં ફેસિયલ સ્કેન ડેટા અલીબાબાની સિસ્ટમ્સમાંથી તત્કાળ ડીલીટ થઈ જાય છે.

‘ફ્લાયઝૂ’નો અર્થ શું થાય?

આ નામને ચીનના એક શ્લેષપ્રયોગમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે – ‘અહીં તો રહેવું જ જોઈએ.’

હોટેલની લોબીઓમાં તમે ચાલતા જાવ ત્યારે ક્યાંય કોઈ કર્મચારી ન દેખાય. બધું કામ ટેક્નોલોજી પ્રમાણે, ચહેરાની ઓળખ પ્રમાણે અને રોબોટની સહાયતા વડે થતું હોય છે.

અલીબાબા ફ્યૂચર હોટેલ મેનેજમેન્ટના સીઈઓ એન્ડી વાંગનું કહેવું છે કે અમારી હોટેલમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં કુશળતા અને સાતત્ય જળવાય છે, કારણ કે માનવીઓનાં મૂડથી રોબોટ ક્યારેય વિચલીત થતાં નથી. ક્યારેક એવું બનતું હોય છે કે ગ્રાહકનો મૂડ સારો ન હોય અથવા કર્મચારીનો મૂડ ઠીક ન હોય, પરંતુ AI સિસ્ટમ અને રોબોટ હંમેશાં મૂડમાં જ હોય છે.

ટ્રેસી લી નામનાં એક મહેમાને કહ્યું કે આ સિસ્ટમ બહુ જ ઝડપી અને સુરક્ષિત છે. હું મારી સુરક્ષાને સૌથી વધારે પ્રાધાન્ય આપું છું. માત્ર મારાં ચહેરાની ઓળખથી જ મારી રૂમનો દરવાજો ખૂલી શકે છે એનાથી મને બેહદ ખુશી અને રાહત છે.

(જુઓઃ તો ચાલો જઈએ ફ્લાયઝૂ હોટેલની અંદર)

 

પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના મોટા રેકેટનો પર્દાફાશ

કચ્છઃ ગુજરાતના કચ્છમાં જખૌ જળ સીમાથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. કોસ્ટગાર્ડ, એસઓજી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાં લાવવામાં આવી રહેલા કરોડોના ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ 5 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. બોટમાં કુલ 175 કરોડ રુપિયાના 35 જેટલા ડ્રગ્સના પેકેટ રાખવામાં આવ્યા હતા જેને જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના સંવેદનશીલ દરિયાઇ વિસ્તારમાં આ અગાઉ પણ 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. મધદરિયે ઝડપી લેવામાં ડ્રગ્ના જથ્થાને ડ્રગ માફીયાઓએ બોટમાંથી દરીયામાં ફેંકી દીધુ હતું. તેનું સર્ચ ઓપરેશન મહિનાઓ સુધી ચાલ્યું હતું અને ધીમે-ધીમે કચ્છના દરીયાકાંઠેથી પલળી ગયેલ કરોડો રૂપિયાનું ડ્રગ તપાસનીશ એજન્સીઓના હાથમાં આવ્યું હતું.

કચ્છના સંવેદનશીલ દરીયાઇ વિસ્તારમાં વારંવાર પ્રતિબંધીત ડ્રગ તેમજ બિનવારસી પાકિસ્તાની બોટો મળી આવી છે. આ અગાઉ પણ કોસ્ટગાર્ડના દિલધડક ઓપરેશનમાં 1000 કરોડનું ડ્રગ ઝડપાયું હતું. આ ડ્રગના જથ્થાની તપાસ હજુ પણ ચાલુ છે અને તપાસનો રેલો સંવેદનશીલ મનતા નલીયા-હાજીપીર સુધી પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ પોલીસ, ગુજરાત અઝજ અને ભારતીય કોસ્ટગાર્ડે ગત મધરાત્રે ભારતીય જળસીમામાં એક વિશેષ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 પાકિસ્તાની ઘુસણખોરોની ધરપકડ કરી છે. કચ્છની જળસીમામાંથી અગાઉ પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયેલો છે. કેટલાંક પાકિસ્તાનીઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતમાં ડિલિવરી કરવાની તાકમાં હોવાની બાતમી મળી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ, એટીએસના 3 ડીવાયએસપી અને કોસ્ટગાર્ડે ગત રાત્રે સમુદ્રમાં આ બોટને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે, આજે સવારે મધદરીયેથી આ બોટને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બોટમાંથી પોલીસે ડ્રગ્સના 35 પેકેટ કબ્જે કર્યાં છે. આ ડ્રગ્સ કયા પ્રકારનું છે તે જાણવા નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. તોલંબિયાના જણાવ્યા મુજબ ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના રેટ મુજબ કરોડો રૂપિયામાં પહોંચે તેવો અંદાજ છે. પાકિસ્તાનીઓ ડ્રગ્સના પેકેટ દરીયામાં ફેંકી ના દે કે બોટને સળગાવી પોતે પણ સમુદ્રમાં કૂદી ના પડે તેનો ખાસ ખ્યાલ રાખી પોલીસે ભારે ગુપ્તતા સાથે આ ઓપરેશન હાથ ધર્યું હતું. જે સફળ રહ્યું છે.હાલ પોલીસ ટીમ દરીયામાં છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઝડપાયેલાં પાકિસ્તાનીઓની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થવાનો અંદાજ છે.

નાગરિકતા બિલઃ વિરોધનો રેલો પહોંચ્યો છેક પેરિસ સુધી…

પેરિસ: દેશમાં લાગુ કરાયેલા નાગરિકતા બિલ અને એનઆરસીનો વિરોધ હવે દેશ પુરતો જ મર્યાદીત નથી રહ્યો આ વિરોધનો વંટોળ સાત સમંદર પાર કરીને પરદેશમાં પણ પહોંચ્યો છે. પચાસ લોકોનું એક ટોળું શાંતિપ્રિય રીતે બેનર્સ સાથે પેરિસના એફીલ ટાવર અને ઈન્ડિયન એમ્બેસી પેરિસ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું.

આ વિરોધ પેરિસમાં કોઈ માગણીને લઈને નહીં પરંતુ ભારતમાં લાગુ કરાયેલા સીએએ અને એનઆરસીનો હતો. વિદેશમાં રહેતા ભારતીયોએ દેશમાં પોલીસ દ્વારા કરાયેલી બર્બરતાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. આ લોકોએ હાથમાં બેનર્સ સાથે વિરોધ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, ભારત તેની અખંડીતતા અને એક્તા માટે જાણીતું છે… તેના ભાગલા ન કરો…. મહત્વનું છે કે, છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજી વખત પેરિસમાં સીએએ-એનઆરસી મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે.

આ લોકોએ પ્રેમનું પ્રતીક મનાતા એફીલ ટાવર નીચે ઉભા રહીને ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું ગૌરવપૂર્ણ વાંચન અને અન્ય ગીતો ગાયા હતા. તો ભારતીય દૂતાવાસ સામે ઉભા રહીને ભારતનું રાષ્ટ્રગાન પણ ગાયુ હતું. આ લોકોએ અહીં સીએએની સમજ આપવા માટે અન્ય મુસાફરોને પણ પત્રિકાઓ વહેંચી હતી. આ વિરોધ પ્રદર્શન દ્વારા આયોજકોનું આંતરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્તરણ કરવાનું લક્ષ્ય છે. વિશ્વના ધર્મનિરપેક્ષ પ્રકૃતિને સુરક્ષિત રાખવા માટે ભારતીયોની એક્તા જ સૌથી મોટી લોકશાહી છે તેવું તેમનું માનવું છે.

આ પ્રદર્શનકારીઓ દ્વારા ભારત સહિતના આંતરાષ્ટ્રીય સાથીઓને પણ વિનંતી કરાઈ હતી ખાસ કરીને ફ્રાન્સમાં રહેતા લોકોને. તેમનું કહેવું છે કે, ભારતમાં ભારતીય બંધારણના અધિકારોને ટેકો આપો અને તેના ઉલ્લંઘનનો વિરોધ. ધર્મને ધ્યાનમાં લીધા વગર નાગરિકતા હકોને સુરક્ષિત કરો. બીજી તરફ વિરોધકર્તાઓને ધમકીનો પણ સામનો કરવો પડયો હતો. ભારજ તરફી સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, પ્રદર્શનકારીઓએ તેનો જવાબ ગીત ગાઈને આપ્યો હતો. તેમણે હમ હોંગે કામ્યાબ…એ ગીતથી શાંતિપૂર્ણ સ્વભાવ જાળી રાખ્યો હતો.

પેરિસના સંશોધન વિદ્ધાન ડેમિયન કે જે નવી દિલ્હીના છે તેમણે કહ્યું કે, સીએએ મૂળભૂત રીતે ભેદભાવકારક અને નાગરિકતાને ધર્મને આધારે વર્ગીકરણ કરાઈ હોય તેનું આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. વિરોધીઓ એવું પણ માને છે કે, આ સુધારણા ભારતના બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે. જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, કાયદો તમામ લોકોનું રક્ષણ કરે છે.

હાલ પેરિસમાં રહેતા અને મૂળ ગુજરાતના વતની સાહિલ કહે છે કે, એક એવો પણ વર્ગ છે જે કહે છે કે સીએએમાં કંઈ ખોટું નથી, પણ એનઆરસી સાથે મળીને સમગ્રપણે ભારતભરમાં જોતાં એ ભારતની બિનસાંપ્રદાયિક અને વિવધતામાં એકતાની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

જેએનયુ મુદ્દે ટ્વિંકલ ખન્ના: વિદ્યાર્થીઓ કરતા ગાયોને વધુ સુરક્ષા!!

નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં છેલ્લા થોડા દિવસોથી કેટલાક બુકાનીધારી લોકોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરી રહ્યા છે. જેએનયુ કેમ્પસમાં થયેલા અચાનક હુમલામાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ પણ થયા છે. આ હિંસા મામલે દેશની જનતાની સાથે સાથે બોલીવૂડના સેલેબ્સની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. બોલીવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ સરકાર પર નિશાન તાક્યું છે.

ટ્વિંકલ ખન્નાએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, ભારતમાં ગાયોને વિદ્યાર્થીઓ કરતા વધારે સુરક્ષા પ્રાપ્ત છે. આ એ દેશ છે જેણે ડરમાં જીવવાથી ઈનકાર કર્યો છે. તમે હિંસા કરીને લોકોને ન દબાવી શકો…આનાથી વધારે વિરોધ થશે, વધારે પ્રદર્શન થશે. મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી જશે. ટ્વિંકલના આ ટ્વીટ પર લોકોની જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે.

આ ઉપરાંત બોલીવૂડ એક્ટ્રેસ રેણુકા શહાણેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, સમગ્ર રીતે કાયદાની વિરુદ્ધ છે, બુકાનીધારી હુમલાખોર જેએનયુ કેમ્પસમાં કેવી રીતે ઘુષણખોરી કરી શકે છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કેવી રીતે હુમલો કરી શકે છે. દિલ્હી પોલીસ શું કરી રહી છે. માત્ર હથિયાર વગરના લોકો પર હુમલો કરતા આવડે છે ? જે કાયદાનો જાહેરમાં ભંગ કરી રહ્યા છે તેમને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે શું ? અવિશ્વસનીય, ડરામણું, શરમજનક.

ઉલ્લેખનીય છે કે, જેએનયુમાં રવિવારે લાકડીઓ સજ્જ લગભગ 50 બુકાનીધારી લોકોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો. હુમલાવરોમાં મહિલાઓ પણ સામેલ હતી. અરોપીઓએ હોસ્ટેલમાં તોડફોડ કરી અને ત્યાં પાર્ક કરેલી કારને પણ નુકસાન પહોંચાડ્યું. આ હુમલામાં JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ ખરાબ રીતે ઘાયલ થઈ છે. આ ઉપરાંત કુલ 24 લોકો ઘાયલ થયા છે જેમાં 5 શિક્ષકો અને 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે જણાવ્યું તમામ ઘાયલોની સ્થિતિ સુધારા પર છે.

ગીરના આ નેહડે જયારે અંધારા ઉલેચાયાં ને પથરાયાં અજવાળાં

જુનાગઢઃ ગીરમાં એટલે સાવજની ધરતી સાથે જ અહીંયા અદ્ભૂત નેસની સંસ્કૃતિ પણ છે. જંગલમાં નેસડામાં રહેતા લોકોના જીવનમાં ડોકિયું કરવા જેવું છે. ત્યાં સ્ટ્રીટ-લાઈટ તો સ્વાભાવિકપણે જ હોય નહીં અને નેસમાં પણ વીજળીની મંજૂરી ન હોય. પરિણામે વર્ષોથી નેસવાસીઓનું જીવન અંધારામાં જ વીત્યું છે. પરંતુ હવે સોલાર એનર્જીનો પ્રભાવ વધતાં અને તેનાથી ચાલતા બલ્બ, પંખા, ટ્યૂબલાઇટ ઉપલબ્ધ થતાં સોલર લાઈટે અંધારા ઉલેચ્યા છે અને અત્યારે ગીરમાં ઠેરઠેર સોલાર પેનલના દ્રશ્યો સાંપડે છે.

75 થી 100 જેટલાં નેસ હાલમાં આ રીતે સોલાર પેનલથી પ્રકાશિત થયા છે. આંબાગાળા નેસના રહેવાસી મનસુખ વાઘેલાએ જણાવ્યું કે, વીજળીના અભાવે અત્યાર સુધી રાતના અંધારામાં તકલીફ પડતી હતી. એ ઉપરાંત ગરમીની સિઝનમાં પંખા વગર, મોબાઈલ ચાર્જ માટે વગેરે પણ તકલીફ હતી. જો કે સૌરઊર્જાથી હવે ઘણો લાભ મળતો થયો છે.

જંગલમાં ઇલેક્ટ્રિસિટીના દોરડા તો હોય નહી એટલે લાઈટ ઉપરાંત વીજળી વિનાની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ છે. ચાંચઈના માલધારી રાજ ભરવાડે કહ્યું કે, મનોરંજનના સાધનો પણ સોલાર પેનલથી ચાર્જ થાય છે. પરિણામે ગીત – સંગીત સાંભળવાથી માંડી ફિલ્મો જોવાનું સુગમ અને સરળ બન્યું છે. જો કે તેનાથી મોબાઈલનો ઉપયોગ હવે અમારા નેસડામાં વધી ગયો છે. કારણકે ચાર્જિંગ એકદમ હાથવગુ બની ગયું છે. યુવાનો તો મોટાભાગે સાથે નાની સોલર પેનલ લઈને જ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે.

અગાઉના સમયે દીવા, ફાનસનો રાત્રે ઉપયોગ થતો હતો, તે દ્રશ્યો પણ ‘સાવજના ઘરમાં’ બદલાયા છે. ગીરમાં નેસના ખોરડા કાચી માટીના, લીંપી-ગુંપીને તૈયાર કરેલા છે. છત ઉપર નળિયા, ઘાસના પૂળા વચ્ચે સોલાર પેનલથી નેસ સંસ્કૃતિ કંઈક અલગ જ જોવા મળે છે. જે ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યું નથી.  21મી સદીની આધુનિકતાની અસર બધે થતી હોય, તો પછી તેમાંથી સોહામણું ગીર કેવી રીતે બાદ રહી શકે?!

(જિજ્ઞેશ ઠાકર-ભાવનગર)

ઈરાનની ખુલ્લેઆમ વિફર્યુંઃ પરમાણુ સમજૂતીનું પાલન હવે નહીં કરવાની જાહેરાત

નવી દિલ્હીઃ અમેરિકા સાથે વધતા તણાવ બાદ હવે ઈરાને ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે કે તે વર્ષ 2015ની પરમાણુ સમજૂતી અંતર્ગત લાગુ કરવામાં આવેલી કોઈપણ શરતને નહી માને. તહેરાનમાં ઈરાની મંત્રીમંડળની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે. ઈરાન દ્વારા આ મોટી પ્રતિક્રિયા ત્યારે આવી છે કે જ્યારે તાજેતરમાં જ બગદાદમાં અમેરિકી એરસ્ટ્રાઈકમાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે.

મંત્રી મંડળની બેઠક બાદ કહેવામાં આવ્યું કે, હવે તે પરમાણુ સંવર્ધન માટે પોતાની ક્ષમતા, તેનું સ્તર, તેને સમૃદ્ધ કરવા માટે અન્ય સામગ્રીનો ભંડાર કરવા, વગેરે સહિતની કોઈપણ રોકનું પાલન નહી કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2018 માં આ સમજૂતીને રદ્દ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે અમે ઈરાન સાથે સમજૂતી કરવા નથી ઈચ્છતા જે તેના પરમાણુ કાર્યક્રમ અમે બેલેસ્ટિક મિસાઈલના વિકાસ પર અનિશ્ચિતકાલીને રોક લગાવશે. ઈરાને આ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને બાદમાં સમજૂતી અંતર્ગત કરવામાં આવેલા પોતાના વાયદાઓથી પીછેહટ કરી હતી.

ઈરાને હંમેશા એ વાત પર જોર આપ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે પરંતુ સંદેહ હતો કે પરમાણુ બોમ્બ વિકસિત કરવાનો કાર્યક્રમ હતો. બાદમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અમેરિકા અને યૂરોપીય સંઘે 2010 માં ઈરાન પર પાબંદી લગાવી હતી. વર્ષ 2015 માં ઈરાનની 6 દેશો સાથે સમજૂતી થઈ, આ દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ચીન, રશિયા અને જર્મની હતા. આ સમજૂતી અંતર્ગત ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમોને સીમિત કર્યા.

ઓસ્ટ્રેલિયાઃ જંગલોમાં લાગેલી વિકરાળ આગથી બચવા કાંગારુની શહેર તરફ દોટ

સિડની: ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગને કાબૂમાં લેવામાં માટે રેસ્ક્યૂ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે. 4 મહિનાથી લાગેલી આગમાં લગભગ 50 કરોડ પશુ-પક્ષી બળીને ખાખ થઈ ચૂક્યા છે અને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કોઆલા (જાનવરોની એક પ્રજાતિ) પર આગની સૌથી ખરાબ અસર જોવા મળી છે. ન્યુ સાઉથ વેલ્સના મધ્ય-ઉત્તરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોઆલા રહે છે આ આગને કારણે કોઆલાની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે.

ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી હતી જે હજુ સુધી કાબૂમાં આવી નથી. યુનિવર્સિટી ઓફ સિડનીના ઈકોલોજિસ્ટનું અનુમાન છે કે, અત્યાર સુધીમાં 48 કરોડ જાનવરોના મોત થયા છે. આગની ઝપેટમાં આવનારા જાનવરોમાં સ્તનધારી પશુ, પક્ષી અને અન્ય જીવોનો સમાવેશ થાય છે. જાનવરોને બચાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે. જંગલમાં વિકરાળ આગને પગલે રાષ્ટ્રીય પક્ષી કાંગારુ જીવ બચાવવા માટે શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે.

કોઆલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં વૃક્ષો પર વસવાટ કરતા દુલર્ભ પ્રજાતિના જાનવર છે. કોઆલાની ફેસકોલાર્કટિડાએ (Phascolarctidae) પ્રજાતિ અંતિમ દુર્લભ જાનવર છે. ખાસ કરીને આ પ્રજાતિ પૂર્વ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના કાંઠા વિસ્તારોમાં જોવા મળી છે. 20મી સદીમાં ઓસ્ટ્રેલિયાના મોટાભાગના કોઆલાને મારી નાખવામાં આવ્યા હતા પણ ત્યારપછી તેને સંરક્ષિત કરવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી. અનેક સમાજસેવી સંસ્થાઓ કોઆલા પ્રજાતિના રીંછને બચાવવા માટે અત્યારે ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે.

આ સપ્તાહે કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહેલી આગમાં અત્યાર સુધીમાં 200થી વધુ ઘર પણ બળીને ખાખ થઈ ગયા છે. આગની અસર હવે સિડનીમાં પણ જોવા મળી રહી છે જેને પગલે હજારોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં આ સિઝનમાં આગથી સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આ આગ એટલી વિકરાળ છે કે, તેની અસર ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળી રહી છે અહીં લોકો ઈમરજન્સી સેવા પર સતત ફોન કરીને સુવિધા માંગ કરતા આકાશમાં નારંગી રંગના ધૂમાડો દેખાતો હોવાની સૂચના આપી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ દ્વીપના મોટાભાગનો વિસ્તાર આગના ધૂમાડાથી ઢંકાઈ ગયો છે જેના કારણે સફેદ હિમનદીઓ ભૂરા રંગની દેખાવા લાગી છે. ધીમે ધીમે આ ધૂમાડો હવે દ્વીપના ઉત્તરી ભાગ તરફ પહોંચી ગયો છે. આકાશમાં ઝાકળ દેખાતા પોલીસે લોકોને 111 (ઈમરજન્સી નંબર) પર આ નારંગી રંગના ધૂમાડાની સૂચના આપવા માટે વારંવાર કોલ નહીં કરવા અપીલ કરી છે.

JNU હિંસા મામલે બોલીવુડ એક્ટર્સ આકરા પાણીએઃ કોણે શું કહ્યું?

નવી દિલ્હીઃ ગઈકાલે રાત્રે દિલ્હીની જેએનયૂ યુનિવર્સિટીમાં કેટલાક અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર હુમલો કરી દીધો છે. આ હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને ટીચર્સ ઘાયલ થયા છે. આ હુમલા પર માત્ર સામાન્ય લોકોએ જ નહી પરંતુ બોલીવુડ સ્ટાર્સે પણ રોષ વ્યક્ત કર્યો છે. બોલીવુડના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને આ ઘટનાની નિંદા કરી છે.

જેએનયૂ હિંસાની આ ઘટના પર સ્વરા ભાસ્કર, તાપસી પન્નૂ, અનુરાગ કશ્યપ, શબાના આઝમી, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, અનુભવ સિન્હા, અપર્ણા સેન, વિશાલ દદલાની, વિશાલ ભારદ્વાજ, નેહા ધૂપિયા, કોંકણા સેન શર્મા અને આર માધવન જેવા બોલિવૂડ સ્ટાર્સે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

કૃતિ સેનને લખ્યું છે કે, જેએનયૂમાં જે થયું તેને જોઈને મને ઠેસ પહોંચી છે. ભારતમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ખૂબ બીહામણું છે. વિદ્યાર્થીઓ અને ટીચર્સ પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને ડરપોક નકાબધારીઓ દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. સતત એક-બીજા પર આરોપો લગાવાઈ રહ્યા છે. પોલિટિકલ એજન્ડાઓ એટલા નીમ્ન સ્તરે પહોંચી ગયા છે. હિંસાથી ક્યારેય કોઈ સમાધાન આવતું નથી. આપણે લોકો આટલા અમાનવીય કેમ બની ગયા છીએ?

તાપસી પન્નૂએ હિંસાનો એક વિડીયો શેર કરતા કહ્યું છે કે, અંદર આવી સ્થિતિ છે ત્યારે શું આપણે એક આવી જગ્યાએ કહી શકીએ કે અહીંયા અમારું ભવિષ્ય ઉજ્વળ બનશે. આ અત્યંત બિહામણું છે અને આ નુકસાનની ભરપાઈ ન થઈ શકે. આ શું કરવામાં આવી રહ્યું છે અને આપણે આ શું જોવું પડી રહ્યું છે? દુઃખદ…

સોશિયલ મુદ્દાઓ પર હંમેશા વાત કરનારા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે લખ્યું કે, હિંદુત્વ આતંકવાદ ખુલીને સામે આવ્યો છે.

એક્ટ્રેસ શબાના આઝમીએ સ્વરા ભાસ્કરનો વિડીયો શેર કરતા લખ્યું કે, આ ચોંકાવનારું છે. માત્ર આ મામલે નિંદા જ ન કરવી જોઈએ પરંતુ તરત જ એક્શન લેવાની જરુર છે.

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે; 11 ફેબ્રુઆરીએ પરિણામ

નવી દિલ્હી – 70 સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન આવતી 8 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. મતગણતરી અને પરિણામ માટે 11 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ જાહેરાત વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આજે અહીં ચૂંટણી પંચ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કરી હતી.

આજે ચૂંટણીની તારીખ જાહેર થવા સાથે જ દિલ્હીમાં ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે, જેનું નેતૃત્ત્વ અરવિંદ કેજરીવાલ લઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણી જીતવા માટે જોરદાર રીતે કમર કસી રહી છે. તો કેજરીવાલ અને એમની પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટિબદ્ધ છે.

દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ મતદારો છે.

દિલ્હીમાં તમામ 70 બેઠકો માટે 2,689 સ્થળો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 13,797 પોલિંગ બૂથ ઊભા કરવામાં આવશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી સરળતાપૂર્વક પાર પડે એ માટે ચૂંટણી પંચ કુલ 90 હજાર અધિકારીઓને તહેનાત કરશે, એમ પણ સુનીલ અરોરાએ જણાવ્યું.

દિલ્હીમાં વર્તમાન વિધાનસભાની મુદત 22 ફેબ્રુઆરીએ પૂરી થાય છે. 70-સભ્યોની વિધાનસભાની ચૂંટણી તે પહેલાં યોજાઈ જવી જોઈએ.