Home Blog Page 4591

મુંબઈમાં આ વર્ષે જાહેરસ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

મુંબઈઃ દિવાળી તહેવાર આડે હવે માત્ર જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે એ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે કોરોના વાઈરસ રોગચાળો ફેલાતાં કટોકટી ઊભી થઈ છે અને એને કારણે સરકારે અનેક નિયંત્રણો નાખ્યા છે તેથી આ વખતે દિવાળીની ઉજવણી અલગ પ્રકારની રહેશે. બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે ઉજવણીના સંદર્ભમાં માર્ગદર્શિકા જાહેર કરી છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગના જણાવ્યાનુસાર, મંદિરોને હજી ફરી ખોલવામાં આવ્યા નથી અને લોકોને પોતપોતાના ઘરોમાં જ પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે. નાગરિકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે એમણે આ વખતે દિવાળીની ઉજવણી સાદાઈથી કરવી અને જાહેર સ્થળોએ ભેગા થવું નહીં. જે લોકો એમના ઘરની બહાર નીકળે એમણે મોઢા પર માસ્ક પહેરવો પડશે અને સેનિટાઈઝર્સનો પણ ઉપયોગ કરવાનો રહેશે.

સરકારે અપીલ કરી છે કે ફટાકડા ફોડવા નહીં, કારણ કે એનાથી પર્યાવરણને હાનિ પહોંચશે અને હવા પ્રદૂષિત થશે.

સરકારે લોકોને એમ પણ કહ્યું છે કે આ રોશનીનો તહેવાર હોવાથી તેમણે પર્યાવરણના રક્ષણ માટે ફટાકડા ફોડવાને બદલે માટીના દીવડા પેટાવવા.

કોરોના વાઈરસ બીમારીને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાહેર કાર્યક્રમો યોજવા દેવામાં નહીં આવે. સરકારે લોકોને વિનંતી કરી છે કે તેમણે ઓનલાઈન કાર્યક્રમોમાં ભાગ લેવો.

સરકારે વધુમાં લોકોને કહ્યું છે કે દિવાળીના સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે રક્તદાન અને સ્વચ્છતા જેવી ઝુંબેશ યોજવી.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ જાહેરાત કરી છે કે આ વખતે દિવાળી ઉજવણી દરમિયાન જાહેર સ્થળોએ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. જે કોઈ આ માર્ગદર્શિકાઓનો ભંગ કરશે એમને દંડ ફટકારવામાં આવશે જે વિશેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, એમ મુંબઈના અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સ IPL2020ની ફાઈનલમાં: ટ્રેન્ટ બોલ્ટ ઈજાગ્રસ્ત

દુબઈઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ક્વાલિફાયર-1 મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમને પરાજય આપીને આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગઈ છે. મુંબઈએ ગઈ કાલે દુબઈમાં રમાઈ ગયેલી મેચમાં દિલ્હીને 57-રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 200 રન કર્યા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરમાં 8-વિકેટ ગુમાવીને 143 રન કરી શકી હતી.

હવે આજે અબુ ધાબીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની એલિમિનેટર મેચની વિજેતા સામે 8 નવેમ્બરની (ક્વાલિફાયર-2) મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો થશે.

પરંતુ, મુંબઈ ટીમ માટે એક નિરાશાજનક સમાચાર એ છે કે એનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ઈજાગ્રસ્ત થયો છે. એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. આ ન્યૂઝીલેન્ડનો બોલર ગઈ કાલે માત્ર બે જ ઓવર ફેંકી શક્યો હતો. એણે પહેલી જ ઓવરમાં પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણેને આઉટ કર્યા હતા. એ બંને બેટ્સમેન ઝીરો પર આઉટ થયા હતા.

મેન ઓફ ધ મેચ બન્યો હતો ટીમનો અન્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, જેણે 4 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

ક્વાલિફાયર-2 મેચમાં જે ટીમ જીતશે એની સામે 10-નવેમ્બરની ફાઈનલમાં મુંબઈનો મુકાબલો થશે.

બોલ્ટની ઈજા વિશે જોકે મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ફાઈનલ સુધીમાં એ સાજો થઈ જશે. ત્રણ દિવસનો આરામ મળશે એટલે એ મેદાન પર પાછો આવી જશે.

બુમરાહ અને બોલ્ટ સમગ્ર સ્પર્ધા દરમિયાન જોરદાર ફોર્મમાં રહ્યા છે.

પોતાના પરિવર્તનથી સંસારનું પરિવર્તન

(બી. કે. શિવાની)

અન્ય પ્રત્યે શુભ ભાવના ઉત્પન્ન કરવાની નથી હોતી. એવું નહીં કે બેસીને અન્ય પ્રત્યે વિચારું  કે તેની સાથે બધુ સારું થાય. આને શુભ ભાવના નહીં કહેવાય. શુભ ભાવના એ છે કે અન્ય પ્રત્યે કોઈ પણ નકારાત્મક પ્રકારના વિચાર ન ચાલે અને આપણે મનથી શાંત રહીએ. જેવી રીતે પરિસ્થિતિ આવી અને પરિસ્થિતિ ગઈ. પરંતુ પરિસ્થિતિએ મારા ઉપર કોઈ પ્રભાવ ન પાડ્યો , તો તે મનની સ્થિરતા છે. ઋતુમાં પરિવર્તન આવ્યું અને હું તે પરિવર્તનને સ્વસ્થતા પૂર્વક પસાર કરી શકી, તે છે સ્થિરતા. તેવી જ રીતે કોઈ વ્યક્તિના વ્યવહારમાં પરિવર્તન આવ્યું, પરંતુ તેનો પ્રભાવ મારા ઉપર ન પડ્યો. શું આ શક્ય છે કે નહીં ? તો આપણે આવો પ્રયત્ન કરીને જોઈએ.

એક ભાઈ મારી પાસે આવ્યા, તેઓએ કહ્યું કે મેં વર્ષોથી મારી માતા સાથે વાત નથી કરી. મેં પૂછ્યું કેમ વાત નથી કરી? તેઓએ જણાવ્યું કે મારી માતાએ મારા જીવનમાં ઉથલ-પાથલ લાવી દીધી, જેના કારણે  હું, મારી પત્ની અને મારી માતા ત્રણે બહુ જ દુઃખી છીએ. મેં કહ્યું કે આજે પ્રોગ્રામ પછી તમારી માતા સાથે વાત કરી લો. તેઓએ કહ્યું  કે આનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. હું ક્યારેય માતા સાથે વાત નહીં કરું, કારણ કે તેઓએ મારી સાથે આટલો બધો ખરાબ વ્યવહાર કર્યો.

આ પરિસ્થિતિમાં ગંભીરતા પૂર્વક વિચાર કરીએ તો આપણે અનુભવી શકીએ છીએ કે તેમની પાસે બે જ વિકલ્પ છે. તો હંમેશા આ પ્રકારે દુઃખમાં જીવતા રહે અથવા તો જઈને પોતાની માતા સાથે વાત કરે. તેઓ પ્રોગ્રામ પછી ગયા અને માતા સાથે વાત કરી અને હળવા થઈ ગયા. શું આ અઘરું લાગ્યું ? જ્યારે આ પ્રકારે કોઈ પણ પગલું ભરીએ છીએ ત્યારે વિચારીએ છીએ કે આ મારી કમજોરી છે. પરંતુ વાસ્તવમાં આ મારી શક્તિ છે કે હું તેમની સાથે ધીરજ તથા સ્નેહથી થી વાત કરી શકું.

જો મારું જીવન અને મારું મન મારા વશમાં છે તો જીવનમાં દરેક પરિસ્થિતિમાં સુખ, શાંતિ, આનંદ નો અનુભવ નિશ્ચિત છે. આ માટે જે ઘટના બની તેની ઉપર પૂર્ણ વિરામ મૂકો અને સ્થિતિને મધુર બનાવો. જો આપણે ઓફિસમાં પોતાના બોસ  અંગે નકારાત્મક વિચારો ચાલુ રાખીશું તો આપણે જીવનમાં દુઃખ-દર્દ તથા સિનિયર અધિકારી પ્રત્યે કડવાપન સાથે કામ કરીશું, તો તે ફક્ત આપણા પૂરતું  મર્યાદિત નહિ રહે પરંતુ ઘેર જઈશું તો પરિવારના સભ્યો પર ગુસ્સાના રૂપમાં બહાર આવશે. આ રીતે આપણે આપણા જીવનની ક્વોલિટી બનાવી રહ્યા છીએ. આની શરૂઆત આપણા વિચાર થી થાય છે. આપણે પોતાના મનને સકારાત્મક  બનાવીએ. બીજાને જે રીતે વાત કરવી હોય તે રીતે કરવા દઈએ. બીજાને માફ કરીને સ્વયંને દુઃખ-દર્દથી મુક્ત કરી શકીએ છીએ.  અન્ય વ્યક્તિને ગુસ્સો કરવો હોય તો કરવા  દઈએ. પરંતુ મેં જો પોતાના મનને કહી દીધું કે મારે એકરસ સ્થિતિમાં રહેવું છે. તો મેં સ્વયંને દુઃખ-અશાંતિ-હતાશાથી બચાવી લીધી. સાંજે ઘરે આવીશું ત્યારે આપણને કેવો અનુભવ થશે ? જો આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ વાતને પકડી નહીં રાખીએ અને માફ કરીશું તો આપણે સહજ રહી  શકીશું.

આમ છતાં પણ જો તેઓ આપણા ઉપર ગુસ્સો કરે છે તો તે તેમની બાબત છે.  આપણે નારાજ કે દુઃખી થઈશું તો શું તેઓ ઠીક થઈ જશે ? આનાથી વિપરીત જો આપણે સારી રીતે વાત કરીશું તો તેમનો વ્યવહાર પોતાની જાતે જ સારો થઈ જશે. આપણે આખો દિવસ શું કરીએ છીએ! શું હું નારાજ થઈશ તો તેઓ બદલાઈ જશે? ક્યારેય નહીં. જીવનની આ યાત્રામાં મનુષ્ય એક બીજાને બદલવા ઈચ્છે છે. પ્રાપ્તિ નો અર્થ સારી નોકરી, સારુ લગ્ન જીવન કે  ધનની પ્રાપ્તિ નથી. પ્રાપ્તિ નો અર્થ છે હું દિવસ દરમિયાન માનસિક રીતે કેવો અનુભવ કરું છું?

જીવનના દરેક તબક્કામાં જેવી રીતે ઘરથી બહાર જવા માટે આપણે તૈયાર થઈએ છીએ, શરીરની અને ગાડી ની તૈયારી કરીએ છીએ, જરૂરી તમામ વસ્તુઓ ની તૈયારી કરીએ છીએ, તેવી જ રીતે મનને પણ તૈયાર કરીએ. હવે આપણે આ બાબતનો અભ્યાસ કરીશું. આપ દરરોજ દરેક કાર્ય શરૂ કરતા પહેલા બે-ત્રણ મિનિટ નો સમય કાઢી તેનો અભ્યાસ કરશો. જેનાથી આપને ખૂબ જ ફાયદો થશે. આપનો દિવસ ખુશી પૂર્વક પસાર થશે.

વધુ આવતા અંકમાં.

 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.) 

કોરોનાના કેસોની સંખ્યા 84 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 84 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,638 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 670 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 84,11,724 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,24,985  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 77,65,966 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,20,773એ પહોંચી છે. પાછલા 24 કલાકમાં 54,157 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 92.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

કોવાક્સિન સુરક્ષિત અને અસરકારક

કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર સર્મિથત કોરોનાની રસી વહેલામાં વહેલી ફેબ્રુઆરી મહિના સુધીમાં લોન્ચ કરી શકાશે. ભારતીય કંપની ભારત બાયોટેક અને સરકાર સંચાલિત ICMR દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવાક્સિનની છેલ્લા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ મહિનાથી શરૂ થઇ રહી છે અને અત્યાર સુધીનાં પરિણામો દર્શાવે છે કે કોવાક્સિન સુરક્ષિત અને અસરકારક છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રજનીકાંતે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થાય એ પહેલાં લોકોને કોરોનાની રસી આપવી કે કેમ એ અંગેનો નિર્ણય આરોગ્ય મંત્રાલયે કરવાનો છે. પ્રાણીઓ પરના પ્રયોગો અને પહેલા તથા બીજા તબક્કાની હ્યુમન ટ્રાયલમાં પરિણામ સુરક્ષિત અને અસરકારક રહ્યાં છે. તેથી આ રસી સુરક્ષિત તો છે, પરંતુ ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી તમે છાતી ઠોકીને દાવો કરી શકો નહીં.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

વોટ્સએપથી પણ પેમેન્ટ કરી શકાશેઃ સરકારે મંજૂરી આપી

નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં તબક્કાવાર રીતે પેમેન્ટ્સ (ચુકવણી) સેવા ‘વોટ્સએપ પે’ શરૂ કરવાની ગઈ કાલે મંજૂરી આપી દીધી છે. કંપનીને સૌથી પહેલાં UPIમાં મહત્તમ 20 લાખ રજિસ્ટર્ડ યુઝર્સની સાથે પે સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં પેટીએમ, ગૂગલ પે અને ફોન પે ડિજિટલ ચુકવણી બજારમાં મોટા ખેલાડીઓ છે.

વોટસએપ પેની તુલનામાં ફોનપે હાલમાં જાહેરાત કરી હતી કે કંપનીને 25 કરોડ યુઝર્સના આંકડાને પાર કર્યા છે.

NPCIએ હાલમાં ઘોષણા કરી હતી કે જાન્યુઆરી, 2021થી પ્રારંભ કરતાં કંપનીના ભવિષ્યના બધા પ્રકારની UPI લેવડદેવડમાં કોઈ ત્રીજા પક્ષકાર પર માત્ર 30 ટકા હિસ્સાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

દેશમાં UPI વ્યવહારોમાં 40 ટકા હિસ્સાની લેવડદેવડ અને મર્યાદાની સૌથી વધુ અસર ગૂગલ પે અને ફોનપે પર અસર પડશે. હાલમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ ફેસબુકના વોટ્સએપની સામેનો કેસ ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ દેશના ડિજિટલ ચુકવણી બજારમાં વિસ્તરણ માટે એના ટોચના સ્થાનનો દુરુપયોગ નથી કર્યો. ઓગસ્ટમાં CCIએ ઓર્ડરમાં જણાવ્યું હતું કે એને કંપની વિરુદ્ધ  એન્ટ્રી ટ્રસ્ટ કાયદાઓનું કોઈ ઉલ્લંઘન જોવા નથી મળ્યું. જોકે કંપનીએ વાસ્તવિક રીતે બજારમાં પદાર્પણ નથી કર્યું, કેમ કે કંપનીએ હજી એની સેવાઓ પૂર્ણ રીતે શરૂ નથી કરી.

વોટ્સએપ માટે ભારત જરૂરી બજાર

ભારત વોટ્સએપ માટે એક મહત્ત્વનું બજાર છે. વિશ્વના પ્લેટફોર્મમાં 1.5 અબજ યુઝર્સમાંછી 40 કરોડ ભારતના છે. હાલમાં UPI આધારિત પેમેન્ટ્સ સર્વિસ આપતી 45થી વધુ થર્ડ પાર્ટી એપ્સ છે, જેમાં ગૂગલ પે, એમેઝોન પે, ફ્લિપકાર્ટ પે અને ફોન પે સામેલ છે. આ સિવાય 140 બેન્ક જેમ કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક, એરટેલ પેમેન્ટ્સ બેન્ક અને એક્સિસ બેન્ક પણ આ સેવાઓ આપે છે.

 

 

 

 

ગેરકાયદેસર મતોને ગણતરીમાં લેવાયા છેઃ ટ્રમ્પનો આરોપ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈ મોડી રાતે જાહેરમાં આવ્યા હતા અને એવો આરોપ મૂક્યો હતો કે પ્રમુખપદની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો મને બીજી મુદતમાં આવતો રોકવા માટે ડેમોક્રેટ્સ દ્વારા ઘડાયેલા એક બહોળા ષડયંત્રનો હિસ્સો છે.

હજી અમુક રાજ્યોમાં મતગણતરી પૂરી થઈ નથી.

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પે એમની હરીફ ડેમોક્રેટિક પાર્ટી પર નવેસરથી આરોપ મૂક્યો છે કે તેઓ ચૂંટણીને ચોરી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વ્હાઈટ હાઉસ ખાતેના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે જો તમે કાયદેસર મતોની ગણતરી કરો તો હું આસાનીથી જીતી જાઉં. જો તમે ગેરકાયદેસર મતોની ગણતરી કરો તો તમે અમારી પાસેથી ચૂંટણી ચોરવાનો પ્રયત્ન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પ્રમુખ બનવા માટે કુલ 538 ઈલેક્ટોરલ વોટ્સમાંથી 270 વોટ જીતવા પડે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડન અત્યાર સુધીમાં 264 ઈલેક્ટોરલ વોટ જીતીને સરસાઈમાં છે. ટ્રમ્પના ભાગે 214 મત આવ્યા છે.

ટપાલના મતોની ગણતરી સામે ટ્રમ્પે અવાજ ઉઠાવ્યો છે. એમણે કહ્યું છે કે જે મતો મોડેથી આવ્યા હતા એની જ ગણતરીને અટકાવવા તેઓ ઈચ્છે છે. મેલ-ઈન (ટપાલ) બેલટ એકતરફી કેવી રીતે બની ગયા છે એ મને સમજાતું નથી. ‘મતગણતરી બંધ કરો’ એમ કહીને તેમણે અવાજ ઉઠાવ્યો છે.

બીજી બાઈડનનું કહેવું છે કે પ્રત્યેક મતને ગણતરીમાં લેવાવા જોઈએ. હું સૌને અપીલ કરું છું કે શાંતિ જાળવજો. પ્રક્રિયા હજી ચાલુ છે. આ તો મતદારોની ઈચ્છાનો મામલો છે.

ગુજરાતની આ ‘શોલે’ વિશે તમે જાણો છો?

આજથી 45 વર્ષ પહેલાં ‘શોલે’ રિલીઝ થઈ એના અઠવાડિયા બાદ જેનાં મંડાણ થયાં એ ગુજરાતી ચિત્રપટને રમેશ સિપ્પીની ‘શોલે’ સાથે કંઈ લેવાદેવા ખરી?

હા… ખરી.

હેય ફ્રેન્ડ્સ… હેડિંગ વાંચીને એવું નહીં માની લેતા કે આ તો ‘યોયો ગુજરાતી’વાળા બ્રહ્મ રાવલના ખડખડ હસાવતા સંવાદવાળી ગુજરાતી ‘શોલે’ની વાત છે.

ના, આ તો હરકિસન મહેતાની નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પરથી સર્જાયેલી અને ગુજરાતી ચલચિત્રનો પ્રવાહ પલટી નાખનારી ફિલ્મની વાત છે. નામઃ ‘ડાકુરાણી ગંગા’.

હમણાં, 15 ઑગસ્ટ 2020ના દિવસે ‘શોલે’ની રિલીઝનાં 45 વર્ષ થયાની ઠેર ઠેર ઉજવણી થઈ, પરંતુ ગુજરાતી ચિત્રપટસૃષ્ટિ માટે આવી જ એક અવિસ્મરણીય ઘટના એ જ અરસામાં બનેલી એ વિશે ખાસ કંઈ લખાયું નથી. અને હા, હિંદી-ગુજરાતી સિનેમાના ઍક્ટર-ડિરેક્ટર કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત ભૂખણવાળા દિગ્દર્શિત આ ફિલ્મને અને ‘શોલે’ને જોડતી એક રસપ્રદ ટ્રિવિયા પણ છે.

બન્યું એવું કે 1975મા સ્વાતંત્ર્યદિનના દિવસે ‘શોલે’ રિલીઝ થઈ એના થોડા દિવસ બાદ નાળિયેરી પૂર્ણિમાના મંગળ દિવસે ‘ડાકુરાણી ગંગા’નું મુહૂર્ત થયું. (બાય ધ વે, કર્મકાંડી બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરીને નારિયેળ વધેરે ત્યાર બાદ જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે એનું મહત્વ કદાચ આજની ઈન્સ્ટાગ્રામ જનરેશનને ખબર નહીં હોય…

તો ચાલો, પહોંચી જઈએ પિસ્તાળીસ વર્ષ પહેલાંની રક્ષાબંધનના દિવસે મુંબઈના ‘નટરાજ સ્ટુડિયો’માં. આશરે એક હજાર મહેમાનો હાજર છે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા. કોનાં કોનાં નામ છે ગેસ્ટ લિસ્ટમાં? ફિલ્મનાં હીરો-હીરોઈન રાજીવ-રાગિણી અને દિગ્દર્શક કે.કે. થી લઈને ગુજરાતી રંગભૂમિનાં શીર્ષસ્થ નામ પ્રવીણ જોશી, સરિતા જોશી, વિજય દત્ત, લાલુ શાહ, હિંદી સિનેમાના બિગ્ગીઝ એવા શક્તિ સામંત, તાહિર હુસૈન, ગોવિંદ સરૈયા, સંગીતકાર કલ્યાણજી-આણંદજી, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર, વાંકાનેરના મહારાજા સાહેબ, મધુરીબહેન કોટક, વગેરે. સૌની નજર સ્ટુડિયોના મેન ગેટ પર છે. ત્યાંથી જ પ્રવેશવાના છે મુહૂર્ત ક્લૅપ આપનાર મુખ્ય મહેમાન.

બરાબર અગિયાર વાગ્યે શુભ ચોઘડિયામાં એક કાર સ્ટુડિયોમાં પ્રવેશી. એમાંથી ઊતર્યા અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલી અને હિંદી સિનેમાના ઈતિહાસમાં માઈલસ્ટોન બનવા તરફ કૂચ કરી રહેલી ફિલ્મ ‘શોલે’ના ઠાકૂર બલદેવસિંહ એટલે કે સંજીવકુમાર. એમને જોવા-મળવા ભીડ બેકાબૂ બની ગઈ ત્યારે સફારી સુટમાં સજ્જ, કપાળ પર કંકુનો ચાંદલો ને હાથમાં 3-4 રાખડી બંધાવીને પધારેલા સંજીવભાઈએ મહેમાનોની સંખ્યા જોઈને સવાલ કર્યો કે ‘આજે કેટલી ફિલ્મનાં મુહૂર્ત છે’…? પછી હસતાં હસતાં ક્લૅપ આપ્યો.

શિરસ્તા મુજબ કલ્યાણજીભાઈએ કૅમેરાની સ્વિચ ઑન કરી અને… રાજીવ-રાગિણી પર લેવામાં આવેલો શૉટ ઓકે થયો. તાળીના ગડગડાટ, પેંડાની વહેંચણી ને ત્યાર બાદ નજીકની હોટેલમાં પાર્ટી…

21 ઑગસ્ટ, 1975ના મુહૂર્ત બાદ ‘ડાકુરાણી ગંગા’નું શૂટિંગ શરૂ થયું 15 સપ્ટેમ્બર, 1975ના રોજ વાંકાનેર પેલેસથી. રાજીવ-રાગિણી ઉપરાંત ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, અરવિંદ જોશી, ઊર્મિલા ભટ્ટ, દિનેશ હિંગુ, કિશોર જરીવાલા, બિપિન કોટક, જયંત વ્યાસ, વગેરે હતા, તો સંગીત દિલીપ ધોળકિયાનું હતું. સુરતની જેલ, ડુમસના દરિયાકિનારે, ભીમપોર, ઉકાઈ ડેમ… એમ અનેક ઠેકાણે શૂટિંગ થયું.

અને, 1976માં અમદાવાદમાં ‘ડાકુરાણી ગંગા’નો પ્રીમિયર યોજાયો. ફિલ્મ પહેલા દિવસે જ સુપરહીટ જાહેર થઈ. રસિકજનો કહેવા લાગ્યાઃ આ તો ગુજરાતની ‘શોલે’ છે. એ વર્ષે એને ગુજરાત સરકારના આઠ એવૉર્ડ્સ મળ્યા.

તો મિત્રો, હવેથી દર શુક્રવારે આપણે મનોરંજનની દુનિયાની આવી ખાટીમીઠી વાતો મમળાવીશું આ જ જગ્યાએ. ચાલો ત્યારે, મળીએ છીએ આવતા શુક્રવારે, ત્યાં સુધીઃ જયહિંદ.

(કેતન મિસ્ત્રી)

 

Chitralekha Gujarati – November 16, 2020

PDF Version Password for PDF- CG16112020

૬ નવેમ્બર ૨૦૨૦

૬ નવેમ્બર ૨૦૨૦

મારે જાવું પેલે પારઃ સંજીવ કુમાર

હરિહર જેઠાલાલ જરીવાલા યાને સંજીવ કુમાર આ જગત છોડી ગયા એને ૩૫ વર્ષ થયા. ૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ મુંબઈમાં માત્ર ૪૭ વર્ષની વયે એમનું નિધન થયું હતું. ‘દસ્તક’, ‘કોશિશ’ ના નેશનલ એવોર્ડ્ઝ હોય કે ‘શોલે’ના ઠાકુર હોય, ચાહકો એમને હંમેશા એક મહાન અભિનેતા તરીકે યાદ રાખશે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ કલાકારે રોમેન્ટિકથી માંડી થ્રીલર એમ પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એ બહુ જ સારી કોમેડી પણ કરી શકતા હતા. પાત્રોની વિવિધતા માટે સંજીવ કુમારને હંમેશા યાદ કરાશે.

૯ જુલાઈ ૧૯૩૮ના રોજ સુરતમાં લેઉઆ પાટીદાર પરિવારમાં એમનો જન્મ. મુંબઈ જઈ ઇપ્ટામાં હિન્દી નાટકો અને આઈએનટીમાં ગુજરાતી નાટકો ભજવીને હરિભાઈએ કરિયરની શરૂઆત કરી. ગુજરાતી ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’, જે હિન્દીમાં ‘ખિલૌના’ રૂપે આવી, એમાં ભજવેલી ભૂમિકાથી એમને ખૂબ લોકપ્રિયતા મળી. દિગ્દર્શક ગુલઝારની ‘કોશિશ’, ‘આંધી’, ‘મૌસમ’, ‘અંગુર’ કે ‘નમકીન’માં સંજીવ કુમાર સોળે કળાએ ખીલ્યા. તેમણે ગુલઝાર સાથે નવ ફિલ્મ કરી હતી.

તો, ‘નયા દિન નઈ રાત’ માં સંજીવ કુમારે નવ ભૂમિકા અદા કરી, જે શિવાજી ગણેશને તમિલ ફિલ્મ ‘નવરાથ્રી’માં ભજવી હતી. મોટા ગજાના સ્ટાર્સ સામે એ હંમેશા પડકાર બનતા, પછી એ રાજેશ ખન્ના, શશી કપૂર, અમિતાભ બચ્ચન કે દિલીપ કુમાર ય કેમ ન હોય!

સંજીવ કુમાર આજીવન કુંવારા રહ્યા. એમના હૃદયમાં જન્મજાત ખામી હતી. ફક્ત ૪૭ વર્ષની ઉંમરે એમને હૃદય રોગનો ભારે હુમલો આવ્યો, જેમાંથી એ બચી ન શક્યા. વિધિની એ વક્રતા જ હતી કે ઘણી ફિલ્મોમાં વૃદ્ધની ભૂમિકા કરનારા આ મહાન અભિનેતા પોતે જીવનના ૫૦ વર્ષ પણ પાર કરી શક્યા નહોતા!

(નરેશ કાપડીઆ-સુરત)