Home Blog Page 4540

રાશિ ભવિષ્ય 09/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય,


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી શહીદોનાં કુટુંબીજનોને સહાય

મુંબઈ – શહેરમાં પ્રભાદેવી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ તરફથી જમ્મુ-કશ્મીરના પુલવામા વિસ્તારમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા દેશના જવાનોનાં કુટુંબીજનોની મદદ અર્થે રૂ. 51 લાખની રકમનું દાન મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવ્યું છે.

સીઆરપીએફના અધિકારી સંજય લાટકરને ચેક સુપરત

મંદિર ટ્રસ્ટે આ ઉપરાંત મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનસામગ્રીઓની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાનું બીજું દાન પણ આપવામાં આવ્યું છે.

આ બંને દાનની રકમના ચેક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સુપરત કરવામાં આવ્યા હતા જે બાદમાં સંબંધિત વિભાગને સુપરત કરી દેવામાં આવ્યા હતા.

ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો માટે રૂ. 51 લાખની સહાયતાના દાનનો ચેક ઠાકરેને સુપરત કરવામાં આવ્યો એ વખતે સીઆરપીએફ માટેના પોલીસ અધિકારી સંજય લાટકર પણ ઉપસ્થિત હતા. ઠાકરેએ એ ચેક લાટકરને સુપરત કર્યો હતો.

એ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંદેકર તથા અન્ય સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને ચેક સુપરત

મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક ઉપકરણોની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાની રકમનો ચેક ઉદ્ધવ ઠાકરેના હસ્તે મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને સુપરત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના શનિવારે સંસદમાં રજૂ કરાશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. 2019માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપનું આ પહેલું પૂરા-વર્ષનું બજેટ હશે.

1 ફેબ્રુઆરીના શનિવારે મુંબઈ શેરબજાર (બીએસઈ) ખુલ્લું રાખવામાં આવશે. શનિવાર સામાન્ય રીતે બીએસઈમાં રજાનો દિવસ હોય છે તે છતાં આ વખતે બજેટનો દિવસ હોઈ શેરબજાર ચાલુ રાખવામાં આવશે, એમ બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહામે આજે એક બિઝનેસ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.

કેન્દ્રીય બજેટ દર વર્ષે ફેબ્રુઆરીના આખરી કામકાજના દિવસે સંસદમાં રજૂ કરવાની બ્રિટિશ હકૂમતના વખતની પ્રથા દાયકાઓ સુધી ચાલુ રખાઈ હતી, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે એ પ્રથાનો 2017માં અંત લાવી દીધો હતો અને જાહેરાત કરી હતી કે બજેટ હવેથી વહેલું, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

આ નિર્ણય લેવા પાછળ સરકારનો આઈડિયા એવો છે કે બજેટને લગતી તમામ પ્રક્રિયા 31 માર્ચ સુધીમાં પૂરી થઈ જાય તેથી યોજનાઓના અમલ માટે ખર્ચ કરવાનું 12-મહિનાનું કામકાજ 1 એપ્રિલથી શરૂ થઈ શકે.

નાણાં મંત્રાલયના સૂત્રોએ અગાઉ એવો નિર્દેશ કર્યો હતો કે આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે એવી ધારણા છે અને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે દેશનું અર્થતંત્ર વિકાસ પામી શકે એ માટે બજેટ અંગે તેમને જે કોઈ સૂચન, ઈચ્છા, માગણી કે અપેક્ષા હોય તો તેઓ સરકારને જણાવી શકે છે.

કેન્દ્રીય બજેટ દેશની 130 કરોડની જનતાની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના વિકાસનો માર્ગ નક્કી કરે છે. તેથી હું આપણને આમંત્રણ આપું છું કે તમે આ વર્ષના બજેટ માટે તમારા વિચારો અને સૂચનો MyGov ઉપર અને આ લિન્ક પર શેર કરો. https://www.mygov.in/group-issue/inviting-ideas-and-suggestions-union-budget-2020-2021/https://t.co/zVCL06TdLn

ગુજરાતમાં ફરીથી ઉઠી અનામતની માંગ, આ સમાજના લોકોએ એકઠા થયા

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યમાં ફરીથી એકવાર અનામતની માંગ મજબૂત રીતે ઉઠી છે. રાજકોટ ખાતે લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થયો હોવાના આરોપો સાથે રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો હજારોની સંખ્યામાં લોકો રાજકોટ ખાતે એકઠા થયા હતા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા અનામતની માંગને લઈને જાહેરસભા કરવામાં આવી હતી. તમામ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માગ કરી હતી.

રબારી, ભરવાડ અને ચારણ સમાજ દ્વારા કરવામાં આવેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી રહી છે. અને સંબોધન બાદ હજારોની સંખ્યામાં તે રેલીનું સ્વરૂપ લેશે. જો કે, હજુ સુધી પોલીસે આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી.

પણ ત્રણેય સમાજ ભેગા મળી અનુસુચિત જાતિમાં સમાવવા અંગે કલેક્ટરને આવેદન આપવા માટે જશે. લોકરક્ષક દળની ભરતીમાં માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યો છે. અને ભરતીમાં માલધારી સમાજને સતત અન્યાય થયો હોવાનો તેઓ જણાવી રહ્યા છે.

મોરબી રોડથી કલેક્ટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ રેલી કાઢશે. સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણેય સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. જો કે, LRD ભરતી પહેલાં પણ માલધારી સમાજ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માટે પ્રદર્શન થતું આવ્યું છે.

અમદાવાદમાં ABVP-NSUI કાર્યકર્તાઓના ઘર્ષણને લઈને પ્રિયંકા ગાંધીનું નિવેદન

અમદાવાદ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણ મુદ્દે બુધવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. પ્રિયંકાએ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો ટ્વીટ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લો ટેકો આપી રહી છે. પહેલા તેમના મંત્રી ગુંડાઓને જેલમાંથી છૂટ્યા બાદ ફૂલોની માળા પહેરાવતા હતા અને હવે તો રોડ પર જ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યાં છે. પ્રિયંકાએ વીડિયોનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, સ્પષ્ટ જોઈ શકાય છે કે ABVPના ગુંડા તત્વો શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા NSUIના કાર્યકર્તાઓને ફટકારી રહ્યાં છે અને પોલીસ ચૂપચાપ ઉભી છે.

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની હતી. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

આ ઘટનાની વિગતો જોઈએ તો મંગળવારે ABVPનાં કાર્યકર્તાઓ CAAના સમર્થન માટે અને NSUIનાં કાર્યકર્તાઓ વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. અહીં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઇ હતી અને હળવો પથ્થરમારો પણ થયો હતો. ABVPનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં અને પછી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે. જેને પગલે નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે.

દીપિકા JNUની મુલાકાતે ગઈ એમાં કંઈ ખોટું નથી: પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી – બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ મંગળવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની મુલાકાત લીધી એમાં ઊભા થયેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મહત્ત્વનું નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે છે અને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરી શકે છે, એમાં કોઈને વાંધો શા માટે હોઈ શકે?

આજે પત્રકારો સાથેની વાતચીતમાં જાવડેકરને જ્યારે દીપિકાની મુલાકાતને પગલે થયેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે ભારત લોકતાંત્રિક દેશ છે. કોઈ કલાકાર શું કામ, કોઈ પણ સામાન્ય માનવી પણ ગમે ત્યાં જઈ શકે છે અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. આમાં કોઈ વાંધો ન હોય, કોઈએ ક્યારેય વાંધો ઉઠાવ્યો પણ નથી. હું પોતે ભાજપનો પ્રધાન છું અને પ્રવક્તા પણ છું અને હું પોતે જ આમ કહી રહ્યો છું.

એક અન્ય સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું કે દેશના કોઈ પણ ભાગમાં હિંસા થાય તો આપણે એને વખોડી કાઢીએ છીએ. આપણો દેશ પરિપક્વ લોકશાહીવાળો છે અને તમામ લોકોને એમના મંતવ્યો વ્યક્ત કરવાની તક મળે છે. તેથી દેશમાં હિંસાને કોઈ સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે, જેએનયૂમાં ગઈ પાંચ જાન્યુઆરીના રવિવારે કેટલાક બુકાનીધારી શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મારપીટ કરી હતી. એ હિંસામાં 18 જણ ઘાયલ થયા હતા. દિલ્હીની પોલીસ હજી સુધી એ બુકાનીધારી હુમલાખોરોને શોધી શકી નથી. એ હુમલા કરાવ્યાનું આરએસએસ-સંચાલિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંગઠન અને ડાબેરી વિચારસરણી હેઠળના વિદ્યાર્થી સંગઠનોએ એકબીજા પર દોષારોપણ કર્યું છે. એ હુમલાને પગલે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.

દીપિકા પદુકોણ હિંસાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના સમર્થન માટે મંગળવારે જેએનયૂમાં વિદ્યાર્થીઓએ યોજેલા દેખાવોમાં હાજરી આપવા ગઈ હતી અને વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષા આઈશી ઘોષ તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ ભાજપના અમુક નેતાઓએ દીપિકાની ટીકા કરી છે તો ટ્વિટર ઉપર ભાજપ તરફી ઘણા લોકોએ દીપિકાની ‘છપાક ફિલ્મનો બહિષ્કાર કરો’ (boycottChhapak) એવી ઝુંબેશ શરૂ કરી છે.

ભાજપના દિલ્હી એકમના પ્રમુખ તેજિન્દર બગ્ગાએ દેખાવકારોનું સમર્થન આપવા બદલ દીપિકાની ટીકા કરી હતી. એમણે દીપિકાની છપાક ફિલ્મનો બહિષ્કાર કરવાની લોકોને અપીલ કરી હતી. એમની અપીલને પગલે સોશિયલ મિડિયા પર દીપિકાની ફિલ્મનો બહિષ્કાર કરવાની વ્યાપક ઝુંબેશ શરૂ થઈ ગઈ છે.

4 કંપની કમર્શિયલ પેપર્સ BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ., કોટક મહિન્દ્રા પ્રાઈમ લિ., મન્નપુરમ ફાઈનાન્સ લિ. અને જેએમ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ લિ.એ તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.5,200 કરોડ, રૂ.4,050 કરોડ, રૂ.100 કરોડ અને રૂ.50 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 9 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 68 ઈશ્યુઅરોના રૂ.1,52,090 કરોડના કમર્શિયલ પેપર્સના 474 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 144 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.12 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (8 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.4,79,057 કરોડ (66.81 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,30,592 કરોડનું ભંડોળ (32.10 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (8 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,37,074 કરોડ (130.45 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

અમદાવાદમાં એક કાર માલિકને 27.68 લાખ રૂપિયાનો દંડ

અમદાવાદઃ શહેર ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યારસુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે. નવા ટ્રાફિક નિયમો હેઠળ બુધવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં વિવિધ લક્ઝુરિયસ કારો ડિટેન કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ, ગાડીના દસ્તાવેજ રજૂ ના કરી શકનારા લોકોની ગાડીઓને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી છે.

ત્યારે હવે એવા સમાચાર મળ્યા છે કે આ ડ્રાઇવ હેઠળ ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો 27.68 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ લાખો રૂપિયાની કિંમતની પોર્ષ ગાડી પોલીસે જપ્ત કરી હતી. પોલીસે ટ્વીટર પર પણ આ અંગે માહિતી શેર કરી છે. કાર ચાલક જ્યારે ભરવાપાત્ર દંડની રકમ જાણવા માટે ગયો હતો તો કાર માલિકની આંખો પણ ફાટી ગઇ હતી.

માહિતી મુજબ બે વર્ષથી ગાડી ટેક્ષ ભર્યા વગર ફરી રહી હતી. રૂ.16 લાખ આજીવન રોડ ટેક્ષ, અન્ય રૂ.7.68 લાખ વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કાર ચાલક દ્વારા અમદાવાદ RTOમાં ટેક્ષ ભરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રાફિક પોલીસે ડ્રાઇવામાં લક્ઝુરિયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી. અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.

તેહરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા યુક્રેનના વિમાનના તમામ 176 પ્રવાસીઓનાં મરણ

તેહરાન – ઈરાનના આ પાટનગર શહેરમાં આજે તૂટી પડેલા યુક્રેનના એક બોઈંગ 737 વિમાનના તમામ 176 પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે. કોઈક ટેક્નિકલ સમસ્યાને કારણે વિમાન તૂટી પડ્યું હોવાનું કહેવાય છે.

તેહરાનના ઈમામ ખોમેની એરપોર્ટથી ઉપડ્યાની અમુક જ મિનિટમાં જેટ વિમાન તૂટી પડ્યું હતું.

વિમાનમાં 167 પ્રવાસીઓ અને 9 ક્રૂ મેમ્બર્સ હતા.

મૃતકોમાં 82 ઈરાની, 63 કેનેડિયનનો સમાવેશ થાય છે.

વિમાન તૂટી પડ્યું એની પહેલાં મોટો ધડાકો થયો હતો અને વિમાન આકાશમાં આગના ગોળા જેવું બની ગયું હતું.

વિમાને તેહરાનના સમય મુજબ સવારે 6.12 વાગ્યે ટેક ઓફ્ફ કર્યું હતું. એ યુક્રેનના કાઈવ શહેર તરફ જવા ઉપડ્યું હતું, પરંતુ ટેક ઓફ્ફ કર્યાની 8 મિનિટમાં જ એ તૂટી પડ્યું હતું.