Home Blog Page 40

૨૪ મે ૨૦૨૬

વિકાસ ફક્ત આંકડામાં નહીં, વિશ્વાસમાં પણ દેખાવો જોઈએ

ભગવદ ગીતાના અધ્યાય ૧૬માં દૈવી અને આસુરી ગુણોની જે વિશદ ચર્ચા થાય છે, તે આજના વિકાસમોડેલ માટે અરીસા સમાન છે. અહિંસા, ક્ષમા, કરુણા, દાન, અર્જવ અને સ્વાધ્યાય જેવા દૈવી ગુણો માત્ર આધ્યાત્મિક સાધનાના વિષયો નથી; તેઓ સંસ્થાગત સંસ્કૃતિના મૂળભૂત સ્તંભ બની શકે છે.

આજના સમયમાં વિકાસને ઘણીવાર GDP, માર્કેટ શેર, વેલ્યુએશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માપવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વૃદ્ધિ માનવીય મૂલ્યોને મજબૂત કરે છે કે કમજોર? કોર્પોરેટ જગતમાં જ્યારે નફો એકમાત્ર ધ્યેય બની જાય છે, ત્યારે કર્મચારીઓ ‘રિસોર્સ’ બની જાય છે; પરંતુ જ્યારે નેતૃત્વ કરુણાને વ્યૂહરચના સાથે જોડે છે, ત્યારે કર્મચારીઓ ‘સહભાગી’ બને છે.

ઉદાહરણ તરીકે, કેટલીક સંસ્થાઓ કટોકટીના સમયમાં છટણી કરવાની જગ્યાએ પગારમાં તાત્કાલિક સમાન ઘટાડો સ્વીકારી સમગ્ર ટીમને બચાવે છે — આ ક્ષમાશીલ અને સહાનુભૂતિપૂર્ણ નેતૃત્વનું પ્રતીક છે. ESG (Environmental, Social, Governance) જેવા માપદંડો હવે વૈકલ્પિક રહ્યા નથી; રોકાણકારો પણ મૂલ્યઆધારિત વ્યવહારને મહત્વ આપે છે.

માનવ વર્તનમાં પણ વિકાસ અને મૂલ્યો વચ્ચેનો તણાવ સ્પષ્ટ દેખાય છે. સ્પર્ધાની દોડમાં વ્યક્તિ ઘણીવાર સંબંધો, આરોગ્ય અને આત્મસંતુલન ગુમાવે છે. જો પ્રગતિ સાથે અહિંસા અને કરુણા જોડાય, તો સફળતા એકલવાઈ ન રહે, પરંતુ સહઅસ્તિત્વ બને.

નવી દિશા એ છે કે મૂલ્યોને ‘સોફ્ટ’ બાબત માનવાની માન્યતા તોડી નાખવી — કારણ કે વિશ્વાસ, નૈતિકતા અને પારદર્શિતા વિના કોઈ પણ બ્રાન્ડ લાંબા ગાળે ટકી શકતી નથી. સાચું નેતૃત્વ તે છે, જે નફાને નકારી ન કાઢે, પરંતુ તેને ધર્મ સાથે સંતુલિત કરે. એ વિકાસ જ અર્થપૂર્ણ છે, જે માનવગૌરવ, પર્યાવરણ અને સમાજને સાથે લઈને આગળ વધે.

અંતે, સંસ્કૃતિ એ સંસ્થાનો આત્મા છે; અને જો આત્મા શુદ્ધ હોય, તો વિકાસ ફક્ત આંકડામાં નહીં, વિશ્વાસમાં પણ દેખાય છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

શૉટ ગ્લાસના ‘ચિયર્સફૂલ’ સંગ્રાહક….

એમના ઘરમાં પ્રવેશ કરો એટલે એક નવી જ દુનિયામાં પ્રવેશી ગયા હો એવું લાગે. ચાંદીની ટ્રે, એરોપ્લેન, દેવી-દેવતાઓની મનમોહક મૂર્તિઓ, રોલ્ય રોયસ કારની પ્રતિકૃતિથી માંડીને દુનિયાભરના દેશોની યાદ અપાવતી જાતભાતની સુવેનિયર ચીજોથી શોભતા એમના દીવાનખંડમાં થોડાક વધારે નજીક આવો એટલે અલકમલકની ડિઝાઇન ધરાવતા શૉટ ગ્લાસિસ (Shot Glass) તમને ચિયર્સ કરીને તમારું સ્વાગત કરે.

જો જો, આ ચિયર્સ એટલે બીજું કાંઇ ન સમજી લેતા! વાત ચિયર્સ કરવાના ગ્લાસની જ છે, પણ એ પીણાંથી નહીં, શોખથી છલકાતા ગ્લાસની છે!

વાત અમદાવાદમાં રહેતા અમિતભાઇની છે. પ્રવાસ-પ્રેમી અમિત દોશીની. દુનિયાનો છેડો ગણાતા ઘરમાં દુનિયાભરની ઓળખસમી ચીજો એકત્ર કરનાર અમિત દોશીની. લગભગ 105થી વધારે દેશોમાંથી અલગ અલગ આકાર-કદ-ડિઝાઇનના 700થી વધારે શૉટ ગ્લાસ એકત્ર કરીને અમિતભાઇએ સંગ્રાહક (Art Collector) તરીકે એક નવો જ રેકોર્ડ સર્જયો છે. એમના આ સંગ્રહની નોંધ વિવિધ રેકોર્ડઝ બુકે પણ લીધી છે.

કાચ, મેટલ, લાકડું, પથ્થર, લેધર જેવા અલગ અલગ મટિરિયલમાંથી બનેલા, જે તે દેશના નકશા કે જાણીતા સ્થળો-વ્યક્તિઓની તસવીર-પ્રતિકૃતિ ધરાવવા આ ગ્લાસની વેરાઇટી જોઇને જ તમે દંગ રહી જાવ છો. અમિતભાઇના આ અદભૂત કલેક્શનમાં તમને ચીનના માઓ (Mao) થી લઇને અમિતાભ બચ્ચન, તાજમહાલથી લઇને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (Statue of Liberty), રેડક્રોસના પ્રતીકથી લઇને ઓસ્ટ્રેલિયાના કાંગારૂ સુધીની અઢળક રેન્જ ધરાવતા શૉટ ગ્લાસિસ મળી આવે.

સેન્ટ ઝેવિયર્સ અને આઇઆઇએમ-અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણીને કોર્પોરેટ જગતમાં સીઇઓ, સીઓઓ, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર જેવી મહત્વની પોઝીશન પર કામ કરતા આવેલા અમિતભાઇ હાલ તો આઇઆરએમ ગ્રુપ ઓફ કંપનીઝમાં સીઓઓ તરીકે કાર્યરત છે, પણ કોર્પોરેટ વર્લ્ડની આ ઓળખ એમની બીજી ઓળખ છે. એમને નજીકથી ઓળખતા સ્વજનો-મિત્રવર્તુળમાં એમની પહેલી ઓળખ શૉટ ગ્લાસના સંગ્રાહક તરીકેની જ છે.

મેનેજમેન્ટ એમનો વ્યવસાય છે, શૉટ ગ્લાસનો સંગ્રહ એમનો શોખ. આ શોખ એમના માટે સૌથી મોટો સ્ટ્રેસ બસ્ટર એટલે કે તણાવ દૂર કરવાનો ઉપાય છે. આ શોખ જ એમને તાજગી આપે છે. કદાચ એટલે જ, ગ્રાન્ડ ચિલ્ડ્રન મોટા થવા આવ્યા છતાં એમના શરીર કે ઉત્સાહ પર ક્યાંક થાક કે ઉમર વર્તાતી નથી.

એમ જ વાતચીતમાં અમિતભાઇ કહે છેઃ ‘જ્યારે જ્યારે હું મારું આ કલેક્શન જોઉં ત્યારે મને જે તે સ્થળની મુલાકાત યાદ આવે. એકે એક ગ્લાસ મારા માટે એ સ્થળની મુલાકાત સમયે લખાયેલી ડાયરી છે. ગ્લાસ પર નજર પડે એટલે મેં એ ગ્લાસ લીધો હોય એ સમયના દ્રશ્યો નજર સામે તરવરે. મનમાં ચાલતા ટેન્શન ઘડીકવાર ભૂલાઇ જાય. એ પ્રવાસની યાદગિરી બધું ભૂલવાડી દે.’

લગભગ 1997માં, પહેલીવાર અમેરિકા ગયા અને નાયગ્રા ફોલ્સથી પહેલીવાર સુવેનિયર ગ્લાસ લીધો એ ઘટનાથી માંડીને હમણાં એમનો ગ્રાન્ડ સન નાનકડો આરવ ગીરના જંગલના પ્રવાસે ગયો ત્યાંથી એક ગ્લાસ લાવ્યો ત્યાં સુધીની એમની આ સંગ્રહની જર્નીના એક એક મુકામ એમને યાદ છે. આરવની જેમ ઘણીવાર તો એમના મિત્રો પણ ફરવા ગયા હોય ત્યાંથી એમના માટે આવો એકાદ ગ્લાસ કે અન્ય કોઇ સુવેનિયર આઇટમ લેતા આવે. આ રીતે એમનું કલેક્શન સમૃધ્ધ થતું ગયું છે.

અફકોર્સ, શૉટ ગ્લાસિસ એમના સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે, પણ એની સાથે સાથે એમના સંગ્રહમાં બીજી અનેક યાદગાર સુવેનિયર આઇટમ્સનો પણ સમાવેશ થાય છે. ઓરિસ્સાના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફિનની લાકડાની પ્રતિકૃતિ, અમેરિકન બનાવટના અપાચે હેલિકોપ્ટરની રેપ્લિકા, એકે-47ની સાચકલી કાર્ટરેજમાંથી બનાવેલી ટેન્ક, ચાંદીના તારમાંથી બનાવેલા શીપથી માંડીને ટેમ્પલ અને ચર્ચની પ્રતિકૃતિઓ જેવી અનેક ચીજો એમના ખજાનામાં શોભે છે.

એમાંથી કેટલીક ચીજો તો એમના માટે એક યા બીજી રીતે યાદગાર બની ચૂકી છે. વર્ષો પહેલાં એ રાજસ્થાનના પ્રવાસે ગયા ત્યારે જયપુરમાં એક રોયલ પરિવારમાં સચવાયેલો ચેસ એમને ગમી ગયો. લાકડા પર માર્બલની શીટથી બનાવેલું બોર્ડ અને સિલ્વરના પ્યાદાં. અમિતભાઇને ચેસ ગમી તો ગયો, પણ એ સમયે ખરીદવા જેટલા પૈસા નહોતા કે પછી એટલી બધી રકમ એમને આ ચેસબોર્ડ પાછળ ખર્ચ કરવાનું યોગ્ય ન લાગ્યું. પરંતુ આ ચેસબોર્ડ એમને એટલું ગમી ગયેલું કે કંપનીના કામે જ્યારે જયપુર જવાનું થાય ત્યારે એ જોયા કરે. એક વખતે એમના પત્નિ સોનલબહેન એમની સાથે જયપુર ગયા અને એમને આ વાતની ખબર પડી. પતિની પેશનને સારી રીતે ઓળખતાં સોનલબહેને સહેજપણ વિચાર કર્યા વિના એ ચેસબોર્ડ ખરીદીને એમને ગિફ્ટ કર્યો.

એવી જ રીતે પાન-મસાલા રાખવાની ચાંદીની ટ્રે સાથે એમની લાગણી જોડાયેલી છે. એકસો વર્ષ જૂની આ ટ્રે એમના ગ્રાન્ડ મધરની મેરેજ સમયની ટ્રે છે. આ જ ટ્રે અમિતભાઇને પોતાના મેરેજ વખતે દાદીમા તરફથી ગિફ્ટમાં મળી!

એમના સંગ્રહની દરેક ચીજ સાથે, દરેક ગ્લાસ સાથે આવી કંઇ કેટલીય યાદો જોડાયેલી છે. તમે ગ્લાસ પર હાથ મૂકો એટલે અમિતભાઇ એ ક્યાંથી, કેવી રીતે લાવ્યા એની વાત ઉત્સાહથી સંભળાવવા માંડે કે, ફ્લેમિંગોનું પેઇન્ટીંગ ધરાવતો આ ગ્લાસ તો હું સિંગાપોરથી લાવેલો, જે એક ફિઝીકલી ચેલેન્જ્ડ છોકરાએ મને તાત્કાલિક બનાવી આપેલું. આ જે કટ ગ્લાસ દેખાય છે એ તો મને જાપાની ફેક્ટરીવાળાએ મને ગમે એ રીતે ડિઝાઇન કરીને બનાવડાવી આપેલો!

એ આવું વર્ણન કરતાં હોય ત્યારે તમને એમ જ લાગે કે જાણે અત્યારે એ સિંગાપોરની એ સ્ટ્રીટ પર કે જાપાનની એ ફેક્ટરીમાંથી જ વાત કરી રહ્યા છે! આર્ટ અને ક્રાફ્ટ (Art and Craft) માટેનો એમનો લગાવ, સંગ્રહ માટેની એમની એમની પેશન તમને એમની આંખોમાં, એમના ચહેરા પર, એમની બોડી-લેંગ્વેજમાં દેખાઇ આવે.

પણ, કાંઇ નહીં ને આ શૉટ ગ્લાસનું જ કલેક્શન કરવાનો વિચાર તમને કેમ આવ્યો, અમિતભાઇ?

અમિતભાઇ કહે છે, ‘હું 1997માં નાયગ્રા ફોલ્સ (Niagara Falls) પરથી પહેલો ગ્લાસ ખરીદવાનું વિચારતો હતો ત્યારે મારા એક આન્ટીએ મને સજેસ્ટ કરેલું કે, બેટા, ગ્લાસ પારદર્શિતાની નિશાની છે અને તારું વ્યક્તિત્વ પારદર્શક છે એટલે તું ગ્લાસ જ લેજે.. બસ, એમાંથી આ ગ્લાસ એકત્ર કરવાનું શરૂ થયું!’

– તો ચિયર્સ, અમિતભાઇ!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

પંચાંગ 24/05/2026

ટ્રમ્પની રહસ્યમય પોસ્ટથી વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આક્રમક અંદાજ અને ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતા છે, પરંતુ તાજેતરમાં તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો રાજદ્વારી વિવાદ છેડી દીધો છે. ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અત્યંત રહસ્યમય અને વિવાદાસ્પદ તસવીર શેર કરી છે, જેણે પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વના સંરક્ષણ નિષ્ણાતોને ચિંતામાં મૂકી દીધા છે. આ શેર કરાયેલી તસવીરમાં ઈરાનના ભૌગોલિક નકશાની અંદર અમેરિકાનો રાષ્ટ્રધ્વજ (સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઈપ્સ) દેખાઈ રહ્યો છે અને તેની ઉપર મોટા અક્ષરોમાં ‘United States of Middle East’ (યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ મિડલ ઈસ્ટ) એવું લખવામાં આવ્યું છે.

ટ્રમ્પે આ ગંભીર ફોટો સાથે કોઈ મોટો કેપ્શન કે લખાણ લખ્યું નથી, પરંતુ માત્ર એક જ ગ્રાફિક ઈમેજે વૈશ્વિક મંચ પર હલચલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થતાં જ લોકો તેની અલગ-અલગ કડીઓ જોડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મામલાઓના વિશ્લેષકોના એક જૂથનું માનવું છે કે ટ્રમ્પ આ પોસ્ટ દ્વારા મિડલ ઈસ્ટમાં અમેરિકાની સર્વોપરિતા અને સૈન્ય તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે બીજા જૂથના મતે આ ઈરાન સરકાર પર આર્થિક અને રાજદ્વારી દબાણ લાવવાની અમેરિકાની એક સુનિયોજિત મનોવૈજ્ઞાનિક રણનીતિ (Psychological Warfare) નો ભાગ હોઈ શકે છે.

વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો

ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી આત્મનિર્ભરતાની ક્રાંતિ હવે વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા માટે સજ્જ થઈ ગઈ છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે ભારતના ડિફેન્સ સેક્ટરના અભૂતપૂર્વ અને વ્યાપક વિસ્તારને લઈને એક અત્યંત સનસનાટીભર્યું અને આત્મવિશ્વાસથી સભર નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લી ચેતવણીના સૂર સાથે જણાવ્યું છે કે, આગામી 25 થી 30 વર્ષોમાં ભારત દુનિયાનો સૌથી મોટો હથિયાર નિકાસ કરનારો સુપરપાવર દેશ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે અને ભારતને આ લક્ષ્ય પ્રાપ્ત કરતા રોકવાની તાકાત વિશ્વની કોઈ પણ શક્તિમાં નથી.

 

મહારાષ્ટ્રના અહલિયાનગર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળ શિરડી (Shirdi) ખાતે એક ખાનગી દારૂગોળો અને ઓટોમેશન ઉત્પાદન યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત મેદની અને લશ્કરી અધિકારીઓને સંબોધિત કરતા રક્ષામંત્રીએ આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓ હવે બદલાઈ ચૂકી છે અને અમારો આગામી મુખ્ય લક્ષ્યાંક દેશના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં પ્રાઈવેટ સેક્ટરની હિસ્સેદારી વધારીને સીધી 50% સુધી લઈ જવાનો છે. ભૂતકાળને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, “એક સમય હતો જ્યારે વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ માત્ર વિદેશી હથિયારો અને મિસાઈલો આયાત (Import) કરનારા દેશ તરીકેની હતી, પરંતુ આજે ચિત્ર બદલાયું છે. પાયાના સ્તરે થયેલા સુધારાના કારણે હવે ભારત આત્મનિર્ભર બનીને દુનિયાને હથિયારો વેચવા માટે તૈયાર છે.”

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ભારતીય ઉદ્યોગ જગતની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, “ભારતને આગામી સમયમાં ગોળા-બારૂદ, ડ્રોન અને ઓટોમેશન ટેકનોલોજીનું વૈશ્વિક હબ (Global Hub) બનાવવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રે એક થઈને ખભેથી ખભો મિલાવી કામ કરવું પડશે. જ્યારે વડાપ્રધાનની દૂરદર્શિતા અને ખાનગી ક્ષેત્રનું ઇનોવેશન (નવીનતા) એક મંચ પર સાથે આવે છે, ત્યારે દેશ પ્રગતિના નવા આકાશો સર કરે છે.”

ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની એન્ટ્રી

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં બહુચર્ચિત મોડલ અને એક્ટ્રેસ ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના મામલાએ હવે રાષ્ટ્રીય સ્તરે કાનૂની અને રાજકીય ગરમાવો પકડી લીધો છે. સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓની કાર્યવાહી પર ઉઠી રહેલા ગંભીર સવાલો વચ્ચે હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સીધો હસ્તક્ષેપ કર્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી વિશેષ બેન્ચે આ કેસમાં કોઈ અરજી વિના જ સીધું જ સ્વેચ્છાએ (Suo Motu) સંજ્ઞાન લીધું છે.

સુપ્રીમ કોર્ટની સત્તાવાર કાર્યસૂચિ અનુસાર, આગામી સોમવાર એટલે કે 25 May ના રોજ આ હાઈપ્રોફાઈલ કેસની પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત ઉપરાંત આ મહત્વપૂર્ણ ખંડપીઠમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી જેવા વરિષ્ઠ ન્યાયાધીશો સામેલ છે. સર્વોચ્ચ અદાલતે આ આખી બાબતને અત્યંત સંવેદનશીલ ગણાવીને તેને સત્તાવાર રીતે ‘યુવતીની વૈવાહિક ઘરમાં થયેલી અસ્વાભાવિક મોતમાં સંસ્થાકીય પક્ષપાત અને પ્રક્રિયાગત વિસંગતતાઓના આક્ષેપ’ એવું કાનૂની શીર્ષક (ટાઈટલ) આપ્યું છે.

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી દ્વારા ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવેલી વિસ્તૃત કાનૂની નોંધ (નોટ) માં મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી તપાસની નિષ્પક્ષતા પર મોટા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સત્તાવાર નોટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતક અભિનેત્રી ટ્વિશા શર્માના સાસુ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે અને તેઓ એક નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ (Retired District Judge) છે. આ જ કારણોસર સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર કથિત રીતે પ્રભાવ હેઠળ આવીને સંસ્થાકીય સ્તરે આ આખા કેસને રફેદફે કરવા અથવા દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.

PM મોદી અને માર્કો રુબિયો વચ્ચે વૈશ્વિક સુરક્ષા-વેપાર પર મહામંથન

ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજદ્વારી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ચાર દિવસના મહત્વપૂર્ણ ભારત પ્રવાસે આવેલા અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રુબિયોએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ હાઈ-પ્રોફાઈલ બેઠકની તસવીરો શેર કરીને મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, શ્રી માર્કો રુબિયોનું ભારતમાં સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે.

વડાપ્રધાને બેઠકની વિગતો આપતા આગળ જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Global Strategic Partnership) માં થઈ રહેલી સતત પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાદેશિક તેમજ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સાથે જોડાયેલા વર્તમાન પડકારો અને મુદ્દાઓ પર પણ બંને નેતાઓ વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને અમેરિકા આગામી સમયમાં પણ વૈશ્વિક ભલાઈ અને માનવતાના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં માત્ર દ્વિપક્ષીય સંબંધો પર જ ચર્ચા નહોતી થઈ, પરંતુ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૂંક સમયમાં અમેરિકા આવવાનું અને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાનું સત્તાવાર આમંત્રણ પણ પાઠવ્યું હતું. આ હાઈ-લેવલ મીટિંગમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિત બંને દેશોના અનેક વરિષ્ઠ રાજદ્વારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદી ઉપરાંત, ભારતમાં અમેરિકાના રાજદૂત (Ambassador) સર્જિયો ગોરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ બેઠકની સુંદર તસવીરો શેર કરી હતી. તેમણે બેઠકની સફળતા અંગે માહિતી આપતા લખ્યું કે, “વડાપ્રધાન મોદી સાથેની આ મહત્વપૂર્ણ બેઠકમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે સામેલ થવું એ મારા માટે ગર્વની બાબત છે. અમે બંને દેશો વચ્ચે સુરક્ષા, દ્વિપક્ષીય વેપાર અને ક્રિટિકલ ટેકનોલોજી (મહત્વપૂર્ણ તકનીકી ક્ષેત્રો) માં સહયોગને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે અત્યંત સાર્થક ચર્ચા કરી છે. આ એવા મુખ્ય ક્ષેત્રો છે જે ભારત અને અમેરિકા બંનેના પાયાને મજબૂત બનાવે છે. વૈશ્વિક મંચ પર ભારત અને અમેરિકા એક અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય ભાગીદાર છે.

દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વિનેશ ફોગાટ પરથી હટ્યો પ્રતિબંધ

ભારતીય રમતગમત જગત અને ખાસ કરીને કુસ્તીના મેદાનમાંથી એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતની દિગ્ગજ મહિલા રેસલર વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટે શનિવારે મોટી ખુશખબર આપી છે. હાઈકોર્ટે વિનેશ ફોગાટને આગામી એશિયન ગેમ્સ 2026 ના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની સત્તાવાર પરવાનગી આપી દીધી છે. આ અગાઉ ભારતીય કુસ્તી મહાસંઘે વિનેશ પર ગંભીર આક્ષેપો કરીને તેને 26 જૂન 2026 સુધી ઘરેલું સ્પર્ધાઓમાં ભાગ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. હાઈકોર્ટે ડબલ્યુએફઆઈ (WFI) ની આ પસંદગી નીતિને બહિષ્કારી અને પક્ષપાતી ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે મેટરનિટી બ્રેક બાદ વાપસી કરી રહેલી વિનેશ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત ખેલાડીના અધિકારો પર તરાપ મારવાનો મહાસંઘને કોઈ હક નથી.

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે ગત 22 May ના રોજ આ મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો હતો, જેને શનિવારે કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી 30 અને 31 May 2026 ના રોજ યોજાનારા એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટ પૂરી તાકાત સાથે હિસ્સો લઈ શકશે. આ સાથે જ ભવિષ્યમાં કોઈ પક્ષપાત ન થાય તે માટે કોર્ટે આદેશ આપ્યો છે કે આ આખી ટ્રાયલ પ્રક્રિયાની WFI દ્વારા ફરજિયાત વframework હેઠળ વીડિયોગ્રાફી કરવામાં આવે. એટલું જ નહીં, આ પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ભારતીય રમતગમત સત્તામંડળ (SAI) અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના એક-એક સ્વતંત્ર સુપરવાઈઝર પણ ત્યાં વ્યક્તિગત રીતે હાજર રહેશે.

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ લેવા ખેડૂતોની કતારો 

રાજકોટ: મધ્ય એશિયાના યુધ્ધની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવો પર પડી છે. ભાવમાં વધારો થયો તેની સાથે સૌરાષ્ટ્રના ગામોમાં ખાસ કરીને ડીઝલ મેળવવામાં લોકોને લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર અને અધિકારીઓ પૂરતો જથ્થો હોવાનો દાવો કરી લોકોને કોઈ અફવામાં ન દોરવા અપીલ કરી રહ્યા છે.
છેલ્લા સપ્તાહમાં બે તબક્કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેઇન ખોરવાઈ નથી પણ ટૂંક સમયમાં મળતું બંધ થઈ જશે અથવા મર્યાદિત મળશે તેવી અફવાથી લોકો ડિમાન્ડ વધારી રહ્યા છે.સૌરાષ્ટ્રના ગામડાઓમાં જેતપુર, હળવદ, ભાવનગર, ગોંડલ , ધોરાજી સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા ખેડૂતોની લાંબી કતારો છે. ચાર કે પાંચ કલાક સુધી કતારમાં ઊભા રહ્યા બાદ ડીઝલ મળે છે. હાલ ખરીફ સિઝન હોય ખેડૂતોને ટ્રેક્ટર ચલાવવાનું હોય છે તે કામ ખોરંભે પડ્યા છે.દરમિયાન રાજકોટ કલેક્ટર ઓમપ્રકાશના જણાવ્યા મુજબ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે લોકો કોઈ પેનિક ઊભું ન કરે જરૂર પૂરતું જ ખરીદ કરે. રાજકોટના સંસદસભ્ય પરસોતમ રૂપાલાએ પણ એવું નિવેદન આપ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો હાલ પૂરતો સ્ટોક છે અને એ જળવાય રહે તેવી વ્યવસ્થા તંત્રે ગોઠવી છે. લોકો કોઈ અફવાથી ગેરમાર્ગે ન દોરાય.દરમિયાન ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશન ના હોદેદારોએ જણાવ્યું છે કે રાજ્યમાં 4900 જેટલા પેટ્રોલ પંપ છે તેમા 20 ટકા ખાનગી અને 80 ટકા સરકાર હસ્તકની કંપનીના છે. હાલ ડીલર ની ડિમાન્ડ મુજબ જથ્થો મળે છે પણ પેનિક બાય ના કારણે ડિમાન્ડ વધુ છે તેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. કેટલાક પેટ્રોલ પંપ પર મર્યાદિત જથ્થો આપવામાં આવી રહ્યો છે.વર્તમાન સ્થિતિમાં ખેડૂતોમાં રોષ છે. કોંગ્રેસે જેતપુરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસ્વીર – નિશુ કાચા)