Home Blog Page 39

અમેરિકાની ચૂંટણીઃ આ જાણી લો…

વિશ્વ આખાની નજર આજકાલ અમેરિકાની ચૂંટણી પર છે. હોવી સ્વાભાવિક ય છે, કેમ કે આંતરરાષ્ટ્રીય તખ્તે કાયમ જગત જમાદારની ભૂમિકામાં રહેતા અમેરિકામાં ઘરઆંગણે શું સ્થિતિ છે એ જાણવામાં જગતને રસ હોય જ. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે જો આ ચૂંટણી એ હારી જશે તો વર્ષ 2028ની ચૂંટણી નહીં લડે. અર્થાત, ટ્રમ્પભાઇ માટે આ ‘કરો યા મરો’ નો જંગ છે. એની સામે, અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું માન મેળવવા કમલા હેરીસ પણ કોઇ કચાશ નહીં છોડે એ દેખીતું છે.

આમ તો આપણે ત્યાં કે ફોર ધેટ મેટર બીજા કોઇપણ દેશમાં ચૂંટણી વખતે પ્રતિસ્પર્ધી ઉમેદવારો એકબીજા પર આક્ષેપબાજીમાં તૂટી પડે એવું જ અમેરિકામાં પણ ચાલી રહ્યું છે એટલે એમાં કાંઇ નવું નથી. ફરક ફક્ત ચૂંટણી પધ્ધતિમાં છે, પ્રચારની પધ્ધતિ તો લગભગ બધે એકસમાન જ હોય છે!

હમણાં અમેરિકાની બન્ને મુખ્ય પાર્ટી, ડેમોક્રેટીક અને રિપબ્લિકનના કમ્પેઇન સાથે જોડાયેલી બે પોલિટીકલ એક્સપર્ટ્સ ગુજરાત-ભારતની મુલાકાતે હતી. ડેમોક્રેટ્સમાંથી દેશેકા રફિન અને રિપબ્લિકન્સમાંથી એલિસન વિલિયમ્સ. એકબીજાથી તદ્દન વિરોધી વિચારધારા ધરાવતી હોવા છતાં, અમેરિકામાં એમના પ્રમુખપદના ઉમેદવારો એકબીજા પર ખુલ્લેઆમ બોલતાં હોવા છતાં આ માનુનીઓ અમેરિકાથી ભારત સાથે સફર કરી રહી હતી! દેશના વિવિધ પોલિસી મેકર્સ-જૂથના લોકોને સાથે મળી રહી હતી!

(ડાબે: એલિસન વિલિયમ્સ- જમણે: દેશેકા રફિન )

એટર્ની અને પોલિટીકલ એક્સપર્ટ તરીકેનો વીસ વર્ષનો અનુભવ અનુભવ ધરાવતી દેશેકા રફિન ગુગલના કમ્યુનિટી એન્ગેજમેન્ટ વિભાગની ગ્લોબલ હેડ છે. અગાઉ ઓબામા ફોર અમેરિકા, હિલેરી ફોર અમેરિકા જેવા કેમ્પેઇનમાં સક્રિય ભાગ લઇ ચૂકી છે. રિપબ્લિકનનો ગઢ ગણાતી અલબામા અને જ્યોર્જિયાની બે સેનેટ બેઠકને ડેમોક્રેટીકની બેઠક બનાવવામાં એનો ફાળો છે. તો, એલિનસ વિલિયમ્સ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કન્સલ્ટન્ટ છે અને અર્કાન્સસના ભૂતપૂર્વ ગવર્નર સાથે મહત્વના વિષયો પર કામ કરી ચૂકી છે. આ રાજ્યના મહિલા કમિશનનું નેતૃત્વ કરીને વર્કફોર્સમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં એનું મહત્વનું યોગદાન છે.

અમદાવાદમાં એમની સાથે અમેરિકાની ચૂંટણીના વિવિધ પાસાં અંગે જે લંબાણપૂર્વક ચર્ચા થઇ એમાંથી તારવેલા કેટલાક મુદ્દાઓ આ રહ્યાઃ

એકઃ કમલાએ પાસાં પલટ્યાં 

હરીફ હોવા છતાં રિપબ્લિકન એક્સપર્ટ એલિસન વિલિયમ્સ નિખાલસતાથી સ્વીકારે છે કે, કમલા હેરીસની એન્ટ્રીથી બાજી બદલાઇ છે. બાઇડન અને ટ્રમ્પ વચ્ચે જે તફાવત હતો (જેમાં ટ્રમ્પ ખાસ્સા આગળ હતા) એ ઘણો ઘટ્યો છે. સામે પક્ષે, રફિન આશાવાદ સેવે છે કે કમલાના આગમનથી મહિલા મતદારો ડેમોક્રેટ્સ તરફ ઝુકશે. હેરીસને કેમ્પેઇન માટે ખૂબ ઓછો સમય મળ્યો હોવા છતાં એની મહિલા મતદારો પર અપીલ અને એનું ‘વુમન ઓફ કલર (એટલે કે નોન-વ્હાઇટ મહિલા) હોવું’ એ ફેક્ટર અસર કરશે જ. અલબત્ત, દેશેકા રફિન વ્યક્તિગત રીતે અન્ય ડેમોક્રેટ્સની જેમ મિશેલ ઓબામાથી પ્રભાવિત હોવા છતાં કહે છે કે, ‘ડેમોક્રેટ્સમાંથી ઘણા મિશેલને ઉમેદવાર જોવા માગતા હતા, પણ ખુદ મિશેલે જ કમલાને ટેકો જાહેર કર્યા પછી પાર્ટીમાં આંતરિક રીતે એ મુદ્દો જ નથી.’

બેઃ ટ્રમ્પ પર હુમલા અને સહાનુભૂતિ

બે વખત હુમલાનો સામનો કરી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ બેબાક વક્તા છે. સાથે એટલા જ લોકપ્રિય છે, ખાસ કરીને જમણેરી સમર્થકોમાં. હુમલાના બનાવ પછી સમર્થકો ટ્રમ્પને સહાનુભૂતિનો લાભ મળશે એવી આશા જરૂર રાખે છે, પણ ફક્ત એ એક જ બાબત પર મદાર રાખીને નથી બેઠા. એલિસન વિલિયમ્સના મતે, સહાનુભૂતિના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા વધી છે, પણ રિપબ્લિકન્સના કાર્યકરો પાર્ટીની લોકપ્રિયતા પર મત મેળવવા ય એટલી જ મહેનત કરી રહ્યા છે.

ટ્રમ્પની લોકપ્રિયતાની સાથે એમની એન્ટી-મુસ્લિમ ઇમેજની વાત નીકળતાં એલિસન સ્પષ્ટતા કરે છે કે, ‘ટ્રમ્પ એન્ટી-મુસ્લિમ નહીં, એન્ટી-ટેરેરીઝમ છે.’ ટ્રમ્પ ત્રાસવાદ સામે સખત વલણ અપનાવે છે, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર શબ્દો ચોર્યા વિના બોલે છે, તડ ને ફડ કરે છે એટલે લોકોને ગમે છે.

ત્રણઃ મુદ્દાઓ અને વિદેશનીતિ શું અસર કરે છે?

આપણને અહીં બેઠાં બેઠાં અમેરિકાની ચૂંટણી એટલે ટ્રમ્પ અને હેરીસના નિવેદનો એટલું જ દેખાય, પણ અમેરિકામાં ગ્રાઉન્ડ પર ફક્ત નિવેદનો કામ નથી કરતા. મુદ્દાઓ પણ નિર્ણાયક હોય છે. બન્ને એક્સપર્ટ્સ સ્વીકારે છે કે, આ ચૂંટણીમાં ઇકોનોમી, બેરોજગારી, વિમેન રિપ્રોડક્ટીવ હેલ્થ અને ઇમિગ્રેશન પોલિસી જેવા મુદ્દાઓ ચર્ચામાં છે અને બન્ને પાર્ટી એના પર ફોકસ કરી રહી છે.

સરપ્રાઇઝીગલી, વિદેશનીતિનો મુદ્દો અમેરિકનો માટે એટલો મહત્વનો નથી. ડેમોક્રેટ્સ કે રિપબ્લિકન્સની વિદેશનીતિ શું છે એની સાથે મતદારોને ખાસ લેવાદેવા નથી. રફિન અને એલિસન બન્નેના મતે, આ મુદ્દો ખાસ ચર્ચામાં પણ નથી. હા, આમ છતાં ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષમાં અમેરિકાનું સ્ટેન્ડ અને ટ્રમ્પનું વલણ થોડાઘણા અંશે અમેરિકનોને પ્રભાવિત કરી શકે ખરું.

ચારઃ પોપ્યુલર વોટ વર્સિસ ઇલેક્ટોરલ

અમેરિકાની ચૂંટણી એટલી અટપટી છે કે ઘણા રાજકીય સમીક્ષકો ગોથાં ખાઇ જાય છે. અત્યારે ટ્રમ્પ કે હેરીસ બેમાંથી લોકપ્રિયતામાં કોઇ આગળ હોય એનો મતલબ એ નથી કે ચૂંટણીમાં એ જ જીતશે! જાણી લો કે, અમેરિકન ચૂંટણીમાં પોપ્યુલર વોટ અને ઇલેક્ટોરલ વોટ એ બે અલગ ચીજ છે. જૂદા જૂદા રાજ્યમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરીના આધારે પ્રમુખપદનો વિજેતા નક્કી થાય છે એટલે ઘણીવાર બને કે, લોકપ્રિય ઉમેદવાર હારી પણ જાય. વર્ષ 2000ની ચૂંટણીમાં જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચેની લડાઇમાં અલ ગોર લોકપ્રિયતામાં ખૂબ આગળ હતા, પણ પ્રમુખ બુશ બન્યા. એ જ રીતે, વર્ષ 2016માં ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનમાંથી લોકપ્રિયતાની રેસમાં હિલેરી ક્યાંય આગળ હતા, પણ જીત્યા ટ્રમ્પ. પેન્સિલવેનિયા, મિશિગન, નવાડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, ફ્લોરિડા જેવા સ્વિંગ સ્ટેટ્સ ગણાતા રાજ્યોના ઇલેક્ટોરલ્સ પ્રમુખપદની જીત નક્કી કરે છે.

પાંચઃ મતદાનનું પ્રમાણ

અમેરિકનો એટલે ભણેલા-ગણેલા, લોકશાહીના સમર્થક અને જાગૃત મતદારો એવી ધારણા તમારા મનમાં હોય તો કાઢી નાખજો. રફિન અને એલિસન કહે છે એમ, આજે પણ ‘મતદારોની બેલેટ પેપર એક્સેસ’ (તમામ મતદારો સુધી બેલેટ પહોંચાડવાની પ્રક્રિયા) એ અમેરિકાની ચૂંટણીનો સૌથી મોટો પડકાર છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં સરેરાશ 55 થી 59 ટકા જ મતદાન નોંધાયું છે. એની સામે ભારતનો મતદાનનો રેકોર્ડ વધારે ઉજળો છે. અને હા, અમેરિકામાં પણ પુરુષો કરતાં મહિલાઓમાં મતદાનનું પ્રમાણ 4 થી 5 ટકા જેટલું વધારે છે.

 

છઃ કમ્યુનિકેશનના લાભ-ગેરલાભ

સોશિયલ મિડીયાના પ્રભાવથી દુનિયાના લગભગ કોઇ દેશની ચૂંટણી બચી શકી નથી, પણ અમેરિકા એમાં ય એક ડગલું આગળ છે. અગાઉની ચૂંટણીઓમાં રશિયાની દખલગિરીના આક્ષેપો જૂના નથી. આ વખતે તો પહેલીવાર ટ્વીટર (હવે એક્સ) જેવા પ્લેટફોર્મના માલિક અને વારંવાર ચર્ચામાં રહેતા એલોન મસ્કે ટ્રમ્પની ખુલ્લેઆમ તરફદારી કરીને એ હદ ય વટાવી દીધી છે. એલિસન વિલિયમ્સ કહે છે એમ, સોશિયલ મિડીયામાં ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતીનું પ્રમાણ વધવાથી રાજકીય પાર્ટીઓ માટે અસરકારક અને પરફેક્ટ કમ્યુનિકેશન એક પડકાર છે.

સાતઃ કમલાનું ‘ફોરેન ઓરિજિન’ ફેક્ટર

આપણાં ચશ્માથી અમેરિકન ચૂંટણી જોઇએ તો કમલા હેરીસના ભારતીય મૂળનું હોવું એ ચૂંટણીમાં બહુ મોટો મુદ્દો લાગે, પણ રફિન કે એલિસનના મતે કમલાનાં મૂળ એ અમેરિકનો માટે કોઇ મુદ્દો જ નથી! રફિન કહે છે એમ, કમલા ઇઝ અમેરિકન. ધેટ્સ ઇટ. એનાથી આગળ એ કોણ છે એ અમેરિકનો માટે મહત્વનું નથી. ઉલ્ટાનું, ‘વુમન ઓફ કલર’ તરીકેની એની ઓળખના કારણે નેટીવ અમેરિકન મતદારોનો ઝોક એના તરફ ઢળે એવા ચાન્સ વધારે છે. એનાં કૂળ કરતાં એનું કામ મેટર કરે છે, અમેરિકન મહિલાઓ માટે શું કરી શકે છે, એ પડકારોનો સામનો કરવા સક્ષમ છે કે કેમ એ વધારે મહત્વનું છે.

હા, સૌથી વધુ મહત્વનું ફેક્ટર છેઃ ડીબેટ. પરસ્પર વિરોધી વિચારધારના પ્રતીકો પણ એક મંચ પર આવીને ચર્ચા કરે, વિવિધ મુદ્દે પોતાનો મત રજૂ કરે એ પરંપરા અમેરિકાની ચૂંટણીની વિશેષતા છે. પરસ્પરની અસહમતિ છતાં સાથે ચાલવાની આ સ્વસ્થ પરંપરાના કારણે જ રફિન અને એલિસન એક સાથે પ્રવાસ કરે છે, એક સાથે ચર્ચામાં ભાગ લઇને પોતાનો મત રજૂ કરે છે. છૂટા પડતી વખતે આ મુદ્દે વાત નીકળી તો જવાબમાં બન્નેએ સરસ કહ્યુઃ ‘વિરોધી હોવા છતાં અમે સાથે છીએ કેમ કે, વી લવ અમેરિકા!’

છે ને આપણાવાળાઓએ ગાંઠે બાંધવા જેવી વાત?

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)   

આ ઐતિહાસિક વાવમાં બિરાજમાન છે માતા ભવાની

અહમદશાહ બાદશાહએ વસાવેલી ઐતિહાસિક નગરી એટલે આજનું અમદાવાદ. પહેલાંના સમયમાં કોટ વિસ્તારની અંદર શહેર અને બહાર ચારેય તરફ અનેક ગામડાં અને કસ્બા વસેલા હતા. ઝડપથી થતાં શહેરીકરણના કારણે આજે અનેક ગામડાંઓ શહેરમાં સમાઈ જઈને તેનો એક વિસ્તાર બની ગયા છે. એમાનું એક ગામ કસ્બો એટલે આજનો અસારવા વિસ્તાર. હાલ સરકારી કચેરીઓ, રેલવે યાર્ડ, સિવિલ હોસ્પિટલના જુદા-જુદા વિભાગ, જૂની મિલો, નાના-મોટાં ઉદ્યોગોથી અસારવા વિસ્તાર ધમધમી રહ્યો છે.

આ જ અસારવા વિસ્તારમાં પૌરાણિક મંદિર અને વાવ પણ આવેલા છે. અસારવાથી ચામુંડા બ્રિજ તરફના માર્ગ પરના તળાવને અડીને આવેલી માતા ભવાનીની વાવ એક આગવું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વાવમાં ટાંકેલી માહિતી અનુસાર માતા ભવાનીની આ વાવ 11મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી. સોલંકી યુગમાં રાજા કરણે 1083 થી 1093 દરમિયાન આ કુવા, ઝરુખા સાથેની કલાત્મક બહુમાળી વાવ બનાવી હોવાનું અનુમાન છે. વાવની અંદર માતા ભવાની બિરાજમાન છે. આ સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. શિવલિંગ સાથે મહાદેવજી પણ આ ઐતિહાસિક વાવમાં છે. માતા ભવાનીની વાવની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં નવરાત્રિએ વાવમાં આસ્થાથી ગરબાની માંડવીઓને સજાવવામાં આવે છે. દીપોત્સવના તહેવારોમાં પણ આખીય વાવને સજાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

બોટાદ જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી

રાજ્યમા થોડા દિવસો પહેલા સુરતના કીમ-કોલંબા સ્ટેશન વચ્ચે પ્રમોશનની લાલચમાં હાજરો લોકો જીવ જોખમમાં મુકી ટ્રેન ઉથલાવવાનું કાવતર સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ પ્રકાશમાં છે. બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર કોઈએ મોડી રાત્રીના રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા લોખંડના પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના કારણે બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર મોડી રાત્રીના ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન બંધ થયું હતું..

આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી. જ્યારે ટ્રેન સહીસલામત રીતે રેલવે ટ્રેક પર ઊભી રહી જતા હજારો જીવ બચ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને લઈને રેલવે બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે અધિકારીઓ, રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી, ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જિન અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. ત્યાર બાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ LCB, SOG સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે દેશમાં બે મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 23મો પ્રયાસ છે. અગાઉ 20 સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ કરવામાં આવી હતી. ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડ્યંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે. આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે.

મતદાનની વચ્ચે ઉમર અબદુલ્લા, કોંગ્રેસની વચ્ચે મતભેદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં છ જિલ્લાની 26 સીટો પર મતદાન જારી છે. સવારે 11 કલાક સુધી 24.10 ટકા મતદાન થયું હતું. આમાં 25.78 લાખ મતદાતાઓ મતદાન કરી શકશે. સીટ વહેંચણી અનુસાર NC 51 સીટો પર, કોંગ્રેસ 32 સીટો પર અને CPI (M) એક સીટ પર ચૂંટણી લડી રહી છે.

રાજ્યમાં મતદાનની વચ્ચે NCના ઉમર અબદુલ્લાએ રાહુલ ગાંધીને કાશ્મીર ચૂંટણી પ્રચાર ખતમ કરવા અને જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે માત્ર કાશ્મીરમાં જ પ્રચાર કરવાને બદલે કોંગ્રેસે જમ્મુને પ્રાથમિકતા આપવી જોઈએ. જ્યાં એની પાસે મોટા ભાગની સીટો છે. મને આશા છે કે રાહુલ કાશ્મીરમાં એક-બે સીટો પર પ્રચાર કર્યા પછી જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ કાશ્મીરમાં શું કરશે એ મહત્ત્વનું નથી, પણ કોંગ્રેસ જમ્મુમાં શું કરે છે, એ મહત્ત્વનું છે.

તેમણે કહ્યું હતું કે અમે 10 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. પહેલા તબક્કાનું મતદાન સારું રહ્યું હતું. અમને બીજા તબક્કામાં પણ સારા મતદાનની અપેક્ષા છે. એ ઉત્સાહજનક રહ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં છ જિલ્લાના 26 મતવિસ્તારોમાં 239 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.  ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે અને મતોની ગણતરી આઠ ઓક્ટોબરે પૂરી થશે.

 

વકફ બિલ પર દેશને ગુમરાહ કરવાનું ષડયંત્ર

નવી દિલ્હીઃ વકફ બિલ પર સૂચનો આપવાની સમયમર્યાદા ખતમ થઈ ચૂકી છે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સૂચનોને લઈને મોટો દાવો કર્યો છે.  વકફ સંશોધન બિલ પર JPCના વરિષ્ઠ સભ્ય નિશિકાંત દુબેએ JPCના અધ્યક્ષ જગદમ્બિકા પાલને પત્ર લખ્યો છે.

દુબેએ પાલને પત્ર લખીને ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે JPCને મળેલા સવા કરોડ પત્રોની ભાષા એક જેવી છે, જેમાં વકફ સંશોધન બિલને તત્કાળ અસરથી રદ કરવાની માગ કરવાની વાત કરવામાં આવી છે. આ સૂચનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. એને આંતરરાષ્ટ્રીય સ્તરેથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને દેશની અંદર માહોલ ખરાબ કરવાની આંતરરાષ્ટ્રીય કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ પત્ર તેમણે રાષ્ટ્રીય અખંડતિતા પર જોખમ ગણાવ્યું હતું.

આની પાછળ આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક સંગઠન છે, જે દેશની વ્યવસ્થા બરબાદ કરવા ઇચ્છે છે. ભાગેડુ ઇસ્લામિક કટ્ટરપંથી જાકિર નાઇક અને અમારા દેશના યુવાઓની વચ્ચે ભ્રમ ફેલાવીને વકફ સંશોધન બિલ દ્વારા સરકારની વિરુદ્ધ કરવાની યોજના છે, એમ તેમણે કહ્યું હતું.

જાકિર નાઇક JPCને સબમિશનથી ભરવામાં તેના નેટવર્કની કોઈ પ્રકારે મિલીભગત છે એની તપાસ કરવામાં આવવી જોઈએ.આ દેશની સુરક્ષાના મુદ્દે તરીકે જોવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે વકફ સંશોધન બિલની વિરુદ્ધ ISI, ચીન અને જમાતે-એ-ઇસ્લામી બંગલાદેશ અને તાલિબાન જેવાં કટ્ટરપંથી સંગઠનો, વિદેશી અભિનેતાઓની સંડોવણી એક ગંભીર ચિંતાનો વિષય છે.

 

અમદાવાદ આવ્યું રોગચાળાની ઝપેટમાં, 23 દિવસમાં 6000થી વધુ તાવના કેસ નોંધાયા

અમદાવાદ: રાજ્યમાં મચ્છરજન્ય બીમારીમાં સતત વધારો નોંધઈ રહ્યો છે. આ ઉપરાંત તાવના કેસમાં દિવસને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. સૂત્રોના આંકડા પ્રમાણે સપ્ટેમ્બરના 23 દિવસમાં સખત તાવને કારણે 6000થી વઘુ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. આમ, પ્રતિ દિવસે 370 જ્યારે પ્રતિ કલાકે 16 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.

ગુજરાતમાં વધતી બીમારીના આંકડાએ લોકોને ચિંતિત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર 2023માં સપ્ટેમ્બર 23 દિવસમાં સખત તાવને કારણે 6893 વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેની સરખામણીએ આ વખતે સખત તાવની સમસ્યા ધરાવતા દર્દીમાં 23.36 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં અમદાવાદ જિલ્લામાં 2424, સુરતમાં 969, રાજકોટમાં 432 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 105 વ્યક્તિને સખત તાવની સમસ્યાને કારણે ‘108’ની મદદ લેવી પડી છે.  બીજી તરફ જુલાઇ-ઓગસ્ટ મહિનામાં સખત તાવના 14945 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 23348 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં ખસેડાયા છે. જુલાઇ-ઓગસ્ટ દરમિયાન અમદાવાદ જિલ્લામાં 3842 કેસ નોંધાયા હતા. ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સખત તાવને કારણે 12987ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મેથી દાણાનું શાક

પલાળેલા મેથી દાણાનું શાક સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. મેથીને પલાળી હોવાથી તેમાં કડવાશ નથી લાગતી, પણ તેમાં પૌષ્ટિકતા વધી જાય છે.

સામગ્રીઃ

  • મેથી દાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • ટામેટાં 2-3
  • કાંદા 2
  • આદુ-લસણ-મરચાં અધકચરા વાટેલાં 2 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • તેલ ટે.સ્પૂન

રીતઃ મેથી દાણાને 2 પાણીએથી ધોઈ લીધા બાદ પાણીમાં આખી રાત માટે પલાળી રાખવા. અથવા 6-7 કલાક માટે પણ પલાળી શકાય છે.

મેથી દાણા પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી લેવું.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરો. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલાં આદુ-મરચાં-લસણ નાખીને જરા સાંતળી લીધા બાદ કાંદા સમારીને નાખો. 2 મિનિટ બાદ ટામેટાંને સમારીને તેમાં નાખો. 4-5 મિનિટ બાદ તેમાં મરચાં, હળદર તેમજ ધાણાજીરૂ પાઉડર ઉમેરીને 5 મિનિટ થવા દો. તેલ છૂટું પડે એટલે પલાળેલા મેથી દાણા તેમાં મિક્સ કરીને 2 મિનિટ જેવું સાંતળીને 1 ગ્લાસ જેટલું પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની મધ્યમ આંચે શાક ચઢવા દો. મેથી દાણા પલાળેલા હોવાથી 4-5 મિનિટમાં ચઢી જશે. તે છતાં તપાસી જુઓ. શાક ન તૈયાર થયું હોય તો ફરીથી 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ઉતારી લો.

આ શાક ગરમાગરમ ફુલકા રોટલી સાથે ઘણું જ સારું લાગે છે.

મનની ગાંઠોને ખોલો

સત્સંગનો અર્થ થાય છે સત્યનો સંગ, સત્યના સંપર્કમાં રહેવું. જે ફક્ત તમે સમજી ના શકો એવા અમુક જટિલ ગીત ગાવા વિશે નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ તર્કને સમજવાનો છે. ત્રીજો ભાગ છે વિશ્રામ કરવો અને પોતાની સાથે ગહન ધ્યાનમાં જવું. તો સાચો સંગ કયો છે? જે તમને હળવાશનો અનુભવ કરાવે છે, જે તમને અનુભવ કરાવે છે કે તમે વિચાર્યું તેના કરતા સમસ્યા ઘણી નાની છે. તે સત્સંગ નથી જે તમને સમસ્યાનો અતિશયોક્તિપૂર્ણ દૃષ્ટિકોણ આપે છે. આ તે સંગ છે જ્યાં તમે લોકો તમારા વિશે શું વિચારે છે તે ભાવ છોડી શકો છો અને પ્રામાણિક બની શકો છો. સામાન્ય રીતે, જેઓ ઉજવણીમાં હોય છે તેઓ કેન્દ્રિત હોતા નથી, જ્યારે મૌનનો અનુભવ કરતા લોકો સામાન્ય રીતે ઉજવણી કરતા નથી. જો કે, સત્સંગ એ છે જ્યારે આપણે મૌન અને ઉજવણી બંનેને મહત્ત્વ આપીએ છીએ. સંગીતનો હેતુ તમારી અંદર ગહન મૌન ઉત્પ્ન્ન કરવાનો છે અને મૌનનો હેતુ જીવનમાં ગતિશીલતા લાવવાનો છે.

સંગીત ‘લય યોગ’ છે. લય એટલે વિલીનીકરણ. આ સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ છે (ભગવાન સાથે એકતા). ધ્વનિ એ ઊર્જાનું એક સ્વરૂપ છે. તમારું આખું શરીર અણુઓથી બનેલું છે. જ્યારે તમે ભજન ગાઓ છો, ત્યારે ધ્વનિ ઉર્જાનું સ્પંદન તમારા શરીરના દરેક કણમાં ફેલાય છે. જેમ માઇક્રોફોન ધ્વનિને શોષી લે છે અને તેને વીજળીમાં રૂપાંતરિત કરે છે, તેમ શરીર સ્પંદનોને શોષી લે છે અને તેને ચેતનામાં પરિવર્તિત કરે છે. જો તમે બેસીને વાતચીત અથવા ઉત્તેજક સંગીત સાંભળો છો, તો તે તમારા શરીર દ્વારા શોષાય છે અને સારી લાગણી નથી સર્જાતી. જ્યારે તમે જ્ઞાન સાંભળો છો, અથવા તમારા પૂરા હૃદયથી જપ કરો છો, ત્યારે તે તમારી ચેતનાને ઊંચાઈ પર લઈ જાય છે.

જ્યારે તમે સત્સંગમાં બેસો છો, ત્યારે તમારું આખું શરીર ઊર્જાથી તરબોળ થઈ જાય છે અને પરિવર્તન થાય છે. આ સત્ય સાથે જીવવાથી તમારી અંદર ઊર્જા પ્રજ્વલિત થાય છે અને ચેતના જાગૃત થાય છે કારણ કે ધ્વનિ ઊર્જા મનમાં ખૂબ જ સરળતાથી પ્રવેશ કરે છે. શરીર પાંચ તત્વોનું બનેલું છે – પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ. આકાશની પ્રકૃતિ ધ્વનિ છે. અને ધ્વનિ એક થાય છે. અવાજ તમારા શરીરના સમગ્ર આકાશતત્વમાં પડઘો પાડે છે. આ રીતે મન અને ચેતના બને છે. આપણું મન અને ચેતના ખૂબ જ જૂની અને પ્રાચીન છે; હજારો વર્ષ જુના. જ્યારે તમે ચેતનાના વિવિધ સ્તરોમાં જાઓ છો, ત્યાં વિવિધ ભાષાઓ હોય છે.

આપણી ચેતનાનું સૌથી પ્રાચીન સ્તર વિશ્વની સૌથી પ્રાચીન ભાષા – સંસ્કૃતને સમજી શકે છે. જ્યારે આપણે બેસીએ છીએ, વિચારીએ છીએ અથવા વાત કરીએ છીએ, ત્યારે દરેક મન અલગ રીતે વિચારે છે, કોઈ એકસરખું વિચારતું નથી. આપણે સંસ્કૃત સ્તોત્રો ગાઈએ છીએ, ત્યારે આપણું મન જે ખૂબ પ્રાચીન છે, તે બધા જૂના સ્તોત્રોના પ્રભાવને ઓળખે છે. આપણી ચેતના ક્યાંક ઊંડે સુધી એક થઈ જાય છે અને વહેંચાઈ છે. અને ભજન અથવા મંત્રો મનમાં ઊંડી છાપ છોડી દે છે જ્યાં તેઓ લાંબા સમય સુધી રહે છે. તે બ્રશ જેવા છે. દરેક વાળને એકસાથે જોડીને મનની બધી ગાંઠો સાફ કરી શકાય છે.

આ જ કારણ છે કે જો આપણે કેટલાક શબ્દોના અર્થ જાણતા ન હોય તો પણ આપણે તેનો જપ કરીએ છીએ કારણ કે તેનો જાપ કરવાથી સકારાત્મક અસર થાય છે. આ અર્થ મહત્વપૂર્ણ નથી. એકલો અવાજ પૂરતો છે. તેથી જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે આપણે કેટલું ગાઈએ છીએ, ક્યાં ગાઈએ છીએ તે જોવાની જરૂર નથી. બસ તમારી આંખો બંધ કરો અને સંગીત, અવાજ સાથે એક થઈ જાઓ. તમે ભજન દ્વારા તે અવકાશમાં ભળી જાઓ.

આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે ભજન માત્ર ગાવાનું છે. એવું નથી. ભજન એટલે વહેંચવું. ભગવાન પ્રેમ છે અને જ્યારે તમે તે પ્રેમમાં ખીલો છો, ત્યારે તમે પ્રેમ વહેંચો છો. ભગવાન દયાળુ છે, અને જ્યારે તમે દયાળુ હો, ત્યારે તમે વખાણ કરો છો. જ્યારે મન સો ભાગમાં વહેંચાઈ જાય છે ત્યારે તે દુ:ખનું કારણ બને છે. એ જ મન, જ્યારે એક થાય છે, ત્યારે એક એકમ બની જાય છે, પછી આનંદ થાય છે. જ્યારે તમે સત્સંગમાં બેસો છો, જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમે તમારી જાતને આંતરિક સંગીત, આનંદના સ્ત્રોતની નજીક લાવો છો. અને એકવાર ચેતના એકીકૃત અને એક થઈ જાય – તે ચેતનાની સ્થિતિને આનંદ કહેવાય છે. પ્રકૃતિ લય સાથે ચાલે છે! આપણું શરીર લય સાથે ચાલે છે! જ્યારે જ્ઞાન, ધ્યાન અને સંગીત સુમેળમાં ચાલે છે, ત્યારે જીવન ખૂબ સુમેળભર્યું બને છે. અને જ્યારે આપણી લય પ્રકૃતિ સાથે સુમેળમાં હોય છે, ત્યારે જીવન એક ખૂબ જ સુંદર અનુભવ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 86 : વિક્રમભાઈ મહેતા

86 વર્ષની ઉંમરે ‘ગુજરાતની પાંજરાપોળ’ વિષય ઉપર ત્રીજી પી.એચ.ડી.નો મહાન-નિબંધ સબમીટ કરવા જઈ રહેલા વિક્રમભાઈ મહેતાની વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

દાદા પાલનપુરના નવાબના વજીર. પિતા નવાબના બેગમના કારભારી. તેઓ ત્રણ ભાઈઓ. મોટાભાઈ ENT-સર્જન, બીજા ભાઈ એમ.એ.એલ. એલ.બી. અને તેઓ એમ.કોમ. બે પી.એચ.ડી. (ત્રીજીપી. એચ.ડી. સબમીટ કરશે). એસ.એસ.સી. સુધી પાલનપુરમાં ભણ્યા. પછી પુના યુનિવર્સિટીમાંથી એમ.કોમ. કર્યું. 1961થી 2006 સુધી મુંબઈમાં એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં સરસ ધંધો કર્યો. 1970થી 97 સુધી નાસિકમાં એમ.બી.એ.ના વિદ્યાર્થીઓને ભણાવતા. 73-74માં એમ.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે ટેક્સ-બુકનો (‘વસ્તુ વ્યવસ્થાપન’) ઈંગ્લીશમાંથી મરાઠીમાં અનુવાદ કર્યો. ચાર વર્ષ હોસ્ટેલમાં રહીને ભણ્યા. બે વર્ષ તે જ હોસ્ટેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી. છાપાં-મેગેઝિનોમાં મટીરીયલ્સ-મેનેજમેન્ટ પર આર્ટીકલ લખતા. વિદ્યા સહકારી બેંક લિમિટેડમાં ફાઉન્ડર-ડાયરેક્ટર હતા. એમ.કોમ. અને એમ.બી.એ. ફેકલ્ટીમાં એક્ઝામિનર અને પેપર સેટર હતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ક્યારેય નિવૃત્ત થયા જ નથી! રોજ સવારે 10થી સાંજે છ સુધી ઓફિસમાં હોય. જૈન ધાર્મિક સંસ્થાઓમાં અને અન્ય સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોય. સાત કોલેજો, 11000 વિદ્યાર્થીઓ, આર્ટસ-સાયન્સ-કોમર્સ-લો-ફાઇન-આર્ટસ-બી.સી.એ.-એમ.બી.એ. જેવી ફેકલ્ટી ધરાવતી, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળમાં 15 વર્ષથી ટ્રસ્ટી (છેલ્લા બે વર્ષથી ચેરમેન) છે. ભગવાન-મહાવીર સેવા-સમિતિ બ્લડ-બેન્કમાં ચેરમેન છે, મહાજન હોસ્પિટલમાં તથા મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટી છે, નવસારી કેન્સર-કેર ફાઉન્ડેશનમાં તથા નવસારીના ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ-ટ્રસ્ટમાં 20 વર્ષથી ટ્રસ્ટી છે, જ્યાં તેઓ ડોનેશન લેતા નથી. મેડિકલ-કેમ્પ અને ખેડૂતોનાં સભા-સંમેલન યોજે છે. બાળકોને પર્યાવરણનું શિક્ષણ આપે, સાથેસાથે નાસ્તો-યુનિફોર્મ પણ આપે. ડેફ-ડમ્બ-બ્લાઇન્ડ સ્કૂલ માનવ કલ્યાણ-ટ્રસ્ટમાં તેઓ લાંબા સમયથી ટ્રસ્ટી છે. જેમ્સ-એન્ડ-જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે, કારગિલ વખતે અને ગુજરાતના ધરતીકંપ વખતે ઘણું કામ કર્યું. આર્મીના બાળકો માટે કલીનામાં હોસ્ટેલ બનાવી.

શોખના વિષયો : 

સેવા એ જ શોખ! મહારાષ્ટ્ર-ગુજરાતની 100 જેટલી સેવાભાવી સંસ્થાઓમાં કામ કરે છે, તેમને પૈસા ભેગા કરવામાં મદદ કરે છે. ફરવાનો શોખ હતો. ભારતમાં અને વિદેશમાં ઘણું ફર્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

એકવડો બાંધો, ઓછું વજન અને ઘરનું ટિફિન એટલે તબિયત સારી છે. 2000ની સાલમાં હૃદયમાં બે સ્ટેન્ટ મૂક્યા હતા, 2006 અને 2023માં ફરી એકએક સ્ટેન્ટ  મૂકવો પડ્યો, પણ ગાડી સરસ ચાલે છે! 10થી છ ઓફિસ એટેન્ડ કરી શકે છે! કોલેજમાં કસરત કરતા પણ હવે કસરત કરતા નથી. સવાર-સાંજ થોડું ચાલે છે. હોટલમાં જતા નથી તથા દારૂ-સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહે છે.

યાદગાર પ્રસંગ: 

સાદગીથી લગ્ન કર્યા હતા, તે યાદ છે. અભ્યાસ માટે મહારાષ્ટ્રીયન  શિક્ષકો-પ્રોફેસરોએ ઘણી મદદ કરી હતી તે યાદ છે. હોસ્ટેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ઘણું કામ કર્યું. ધ્વજવંદન અને પિકનિક જેવા પ્રોગ્રામો શરૂ કર્યા. વિદ્યાર્થીઓને ટ્યુટર તરીકે ભણાવતા. સાયરસ પુનાવાલા અને શરદ પવારને ટ્યુટર તરીકે ભણાવ્યા હતા. એકવાર ગણપતિના પ્રસંગે વિદ્યાર્થીઓ ફાળો લેવા આવ્યા. તેમને હતું કે આ ગુજરાતી માણસ ગણપતિ માટે ફાળો આપશે નહીં. વિક્રમભાઈએ પૂછ્યું કે કેટલો ફાળો આપું? વિદ્યાર્થીઓએ 51 રૂપિયા (1961ની વાત છે) માંગ્યા. વિક્રમભાઈએ 101 રૂપિયા આપ્યા. બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરવાનું એટલે ટેકનોલોજીનો તો ઉપયોગ કરવો જ પડે. ઈમેલ અને whatsapp વગેરે સહેલાઈથી વાપરે છે. મોટા કામો માટે સંસ્થાઓના મદદનીશનો લાભ લે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ ભણતા ત્યારે 1000 વિદ્યાર્થીમાં 10 છોકરીઓ હોય! એમના 180ના ક્લાસમાં ત્રણ છોકરી હતી અને તે પણ સાડીમાં આવતી! હવે 3,500 વિદ્યાર્થીઓમાં 1700-1800 છોકરીઓ છે, અને  કેવા વસ્ત્રો પહેરે છે! દૂરથી ખબર પણ ન પડે કે છોકરો છે કે છોકરી! અમારી વખતે હાજરી માટે બહુ આગ્રહ રહેતો. હવે 15-20% વિદ્યાર્થીઓ જ ક્લાસ ભરે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘણી સંસ્થાઓમાં કામ કરે, વળી ભણે અને ભણાવે એટલે યુવાનો સાથે સારા સંપર્કમાં છે. નાસિકથી વિદ્યાર્થીઓને મુંબઈ બોલાવી ત્રણ દિવસનો સેમિનાર કરે અને ભણવા સિવાયની પણ ઘણી વસ્તુઓ શીખવે. આજના વિદ્યાર્થીઓ મહેનત નથી કરતા, ફોકસ નથી કરતા અને તેમનું વાંચન ઘણું ઓછું છે.

સંદેશો :  

યુવાનોએ એકાગ્રતા કેળવવી જોઈએ. આ કરું કે તે કરું તેવી અનિશ્ચિત દૂર કરવી અને શું કરવું છે તે નક્કી કરવું. દિલ્હી જવું છે કે દમણ તે નક્કી કરશો તો ત્યાં પહોંચી જશો!