Home Blog Page 41

બંગાળમાં બકરી ઇદ પર હવે માત્ર એક દિવસની જ રજા

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આ વખતે ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઇદની સરકારી રજાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં રાજ્યમાં બે દિવસની રજા રહેશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે બકરી ઇદના અવસરે માત્ર 28 મે, ગુરુવારે જ સરકારી રજા રહેશે. 29 મેએ તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ સામાન્ય રીતે ખુલ્લી રહેશે. જણાવવામાં આવે છે કે રાજ્યમાં સરકાર બદલાયા બાદ અનેક પ્રશાસનિક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

બકરી ઇદ પર પહેલાં બે દિવસની રજાની જોગવાઈ હતી

રાજ્યમાં નવી સુવેન્દુ સરકારે મમતા બેનર્જી સરકારના તે જૂના આદેશમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં બકરી ઇદ પર બે દિવસની રજાની જોગવાઈ હતી. હવે રાજ્યમાં આ તહેવાર માટે માત્ર એક દિવસની જ રજા આપવામાં આવશે. દેશભરમાં આ વર્ષે બકરી ઇદ 28 મેએ ઊજવાશે. બીજી તરફ  બકરી ઇદ પહેલાં પશુ કુરબાની સંબંધિત અરજીઓ પર કલકત્તા હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરીને તેનો નિકાલ કર્યો છે. કોર્ટે પશ્ચિમ બંગાળ પશુ વધ નિયંત્રણ અધિનિયમ 1950 હેઠળ ધાર્મિક આધારે છૂટ આપવાની તેમ જ ભેંસ, બળદ સહિત અન્ય પશુઓની કુરબાનીને મંજૂરી આપવાની માગ ફગાવી દીધી છે.

કલકત્તા હાઈકોર્ટે સરકારને આપ્યા નિર્દેશ

જોકે હાઈકોર્ટે રાજ્ય સરકારને આ પણ નિર્દેશ આપ્યો છે કે બકરી ઇદના અવસરે 24 કલાકની અંદર આ બાબતે વિચાર કરવામાં આવે કે કોઈ પ્રકારની છૂટ આપવી જરૂરી છે કે નહીં. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય લઈ શકે છે. આ મુદ્દે આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના પ્રમુખ હુમાયુ કબીરએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે છેલ્લાં 1400 વર્ષોથી વિશ્વભરના મુસ્લિમો કુરબાની આપે છે અને તેનો ધાર્મિક મહત્ત્વ છે. તેમણે કહ્યું હતું કે આ કુરાનનો નિર્દેશ છે અને અલ્લાને ખુશ કરવા માટે મુસ્લિમો આ પરંપરાનું પાલન કરે છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના

અમદાવાદ: ફરી એકવાર શહેરમાં આગની ઘટના સામે આવી છે. સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રત્નાકર-3 હાઈરાઈઝ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિગતો મુજબ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આવેલા એક મકાનમાં આગ ભભૂકી ઊઠતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આગના ધુમાડા દૂર સુધી દેખાતા બિલ્ડિંગની આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી હાથ ધરી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન લોકોમાં ભારે દોડધામ જોવા મળી હતી.કલાકોની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

PM મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બદલ UP કોંગ્રેસઅધ્યક્ષ વિરુદ્ધ FIR

લખનૌઃ ઉત્તર પ્રદેશ કોંગ્રેસઅધ્યક્ષ અજય રાય વિરુદ્ધ કેસ નોંધાયો છે. અજય રાય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. અજય રાય સિવાય ભૂતપૂર્વ કોંગ્રેસ કમિટી સચિવ બૃજરાજ અહિરવાર અને કોંગ્રેસ પાર્ટીના 30 અજાણ્યા સમર્થકો વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. આ FIR મહોબા જિલ્લામાં 22 મેએ યોજાયેલી એક રાજકીય સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી અને જાહેર વ્યવસ્થા ભંગ કરવાના આરોપસર નોંધવામાં આવી છે.

મહોબાના કોતવાળી નગર પોલીસ સ્ટેશનમાં ભાજપ જિલ્લા કાર્યકારી સમિતિના સભ્ય અને સામાજિક-રાજકીય કાર્યકર નીરજ રાવત દ્વારા નોંધાવવામાં આવેલી FIR મુજબ સમદનગર વિસ્તારમાં રાજકુમાર અહિરવારના નિવાસસ્થાને ભૂતપૂર્વ પ્રશાસનિક મંજૂરી વિના કાર્યક્રમ યોજાયો હતો. નીરજ રાવતે FIRમાં આરોપ લગાવ્યો છે કે અજય રાય 15-16 વાહનોના કાફલા અને અંદાજે 25-30 સમર્થકો સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ વાહનો જાહેર માર્ગ પર અવ્યવસ્થિત રીતે પાર્ક કરવામાં આવ્યાં હતાં, જેને કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો અને સ્થાનિક લોકોને અસુવિધા પડી હતી.

ફરિયાદ મુજબ કથિત ટિપ્પણીઓનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેને કારણે સ્થાનિક ભાજપ કાર્યકરો અને રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. આ FIRમાં એવો પણ આરોપ છે કે કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલાં નિવેદનો જાતિ આધારિત વિવાદોને પ્રોત્સાહન આપી શકે છે અને સામ્પ્રદાયિક સૌહાર્દ બગાડી શકે છે. પુરાવા તરીકે કથિત વાયરલ વિડિયો ધરાવતી પેન ડ્રાઇવ પણ ફરિયાદ સાથે સોંપવામાં આવી હતી.

મહોબાની વધારાની પોલીસ અધિક્ષક વંદના સિંહે જણાવ્યું કે ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમાં કલમ 126 (2) (ગેરકાયદે રીતે રોકવું), 132 (સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ પહોંચાડવા હુમલો અથવા બળનો ઉપયોગ), 189 (2) (ગેરકાયદે સભા), 196 (1) (સમૂહોમાં વૈરભાવ ફેલાવવો) અને 352 (શાંતિ ભંગ કરવી)નો સમાવેશ થાય છે.

ઇરાન પર મોટા હુમલાની તૈયારીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે અત્યંત નાજુક તબક્કે પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ  ઈરાન પર ફરી એક વાર વધુ મોટા હુમલાઓ કરવાની “ગંભીરતાથી વિચારણા” કરી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો છેલ્લી ક્ષણ સુધી ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં કોઈ ઉકેલ નહીં આવે તો અમેરિકા સૈન્ય કાર્યવાહીનો માર્ગ પસંદ કરશે. તણાવની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વીકએન્ડે તેમના પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પના લગ્નમાં જવાનો કાર્યક્રમ પણ રદ કરી દીધો છે, જેથી તેઓ વ્હાઇટ હાઉસમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી શકે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે સરકાર સાથે જોડાયેલી પરિસ્થિતિઓ અને દેશ પ્રત્યેની પોતાની ફરજને કારણે તેઓ આ વીકએન્ડે વોશિંગ્ટન ડી.સી. સ્થિત વ્હાઇટ હાઉસમાં જ રહેશે અને પોતાના પુત્રના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. અગાઉ તેઓ ન્યુ જર્સીના બેડમિનસ્ટર ગોલ્ફ ક્લબમાં વીકએન્ડ પસાર કરવાના હતા, પરંતુ શુક્રવાર સાંજે તેઓ ફરી વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા.

વ્હાઇટ હાઉસમાં બેઠક અને કૂટનીતિનો અંતિમ પ્રયાસ

શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાની સિનિયર નેશનલ સિક્યોરિટી ટીમ સાથે અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરી હતી બે અમેરિકન અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે આ બેઠકમાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને ભવિષ્યની વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સંરક્ષણપ્રધાન,  CIA ડિરેક્ટર અને વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

ટ્રમ્પની નારાજગી  ‘નિર્ણાયક’ સૈન્ય ઓપરેશનની યોજના

ટ્રમ્પના નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે  રાષ્ટ્રપતિ હવે એક અંતિમ અને “નિર્ણાયક” મોટા સૈન્ય ઓપરેશનની શક્યતા પર વિચાર કરી રહ્યા છે. તેમની યોજના એવી છે કે આ અંતિમ હુમલા બાદ તેઓ પોતાની જીતની જાહેરાત કરી શકે અને આ યુદ્ધને હંમેશા માટે સમાપ્ત થયેલું જાહેર કરી શકે. હાલમાં વિશ્વની નજર છેલ્લી ક્ષણની આ કૂટનીતિક કોશિશો પર ટકી છે, કારણ કે જો વાતચીત નિષ્ફળ જશે તો મધ્ય પૂર્વમાં વધુ એક વિનાશકારી સૈન્ય અથડામણ શરૂ થઈ શકે છે.

મુંબઈમાં માધુરીની ‘મા બહેન’ફિલ્મની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાઈ

મુંબઈમાં માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી અભિનીત આગામી ક્રાઈમ કોમેડી ડ્રામા ફિલ્મ ‘મા બહેન’ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાઈ હતી. ભવ્ય ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી, રવિ કિશન અને ધરના દુર્ગા સહિતની સ્ટારકાસ્ટ હાજર રહી હતી. આ OTT ફિલ્મની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. હવે, ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

જિયો હોટસ્ટારની વેબ સિરીઝ દેશપાંડેમાં સીરીયલ કિલરની ભૂમિકા ભજવ્યા બાદ બી-ટાઉનની ‘ધક-ધક ગર્લ’ માધુરી દીક્ષિત ક્રાઈમની દુનિયામાં ફરી પ્રવેશ કરી રહી છે. આ વખતે ક્રાઈમ અને કોમેડીના અદુભૂત મિશ્રણ સાથે માધુરી પરત ફરી છે.

ટ્રેલરની શરૂઆત માતા રેખા (માધુરી) અને પુત્રીઓ જયા (તૃપ્તિ ડિમરી) અને સુષ્મા (ધરના દુર્ગા) વચ્ચે સતત ઝઘડાથી થાય છે. રેખાના પાડોશી, ગુપ્તાજી (રવિ કિશન) તેના પર પાગલ છે. એક દિવસ ગુપ્તાજીનો મૃતદેહ તેમના જ ઘરમાં મળી આવતાં તેમના જીવનમાં ઉથલપાથલ મચી જાય છે.

આ રહસ્યને છુપાવવાની શોધમાં આ ત્રણેયને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 2 મિનિટ 46 સેકન્ડનું ટ્રેલર કોમેડી અને સસ્પેન્સથી ભરેલું છે. દર્શકો ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

 

સુરેશ ત્રિવેણી દ્વારા દિગ્દર્શિત ‘મા બેહન’થિયેટરોમાં નહીં પણ સીધા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ 4 જૂન, 2026 થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, તૃપ્તિ દીક્ષિત, ધરણા દીક્ષિત અને રવિ ઉપરાંત અરુણોદય સિંહ અને ગીતાંજલિ કુલકર્ણી પણ છે.

 

(તસવીર: માનસ સોમપુરા)

 

વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાતે, વેપાર, ઊર્જા સુરક્ષા મુદ્દે થશે વાટાઘાટ

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયો  શનિવારે સવારે કોલકાતા પહોંચ્યા હતા. છેલ્લાં 14 વર્ષમાં કોઈ ટોચના અમેરિકન રાજદૂતની પૂર્વીય મહાનગરમાં આ પહેલી મુલાકાત છે. રુબિયો ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે.

લેન્ડિંગ બાદ તરત જ રુબિયોએ મધ્ય કોલકાતામાં આવેલા મિશનરીઝ ઓઇ ચેરિટી (Missionaries of Charity)ના વૈશ્વિક મુખ્યાલય ‘મધર હાઉસ’ની મુલાકાત લીધી હતી. એ સાથે જ નજીકમાં આવેલા ચિલ્ડ્રન્સ હોમની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રતિકાત્મક અને સાંસ્કૃતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોલકાતાની મુલાકાત લેનારી છેલ્લી અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન હતાં, જેમણે મે, 2012માં આ શહેરની મુલાકાત લીધી હતી.

રુબિયોની ભારતની આ પહેલી સત્તાવાર મુલાકાત વેપાર, ટેક્નોલોજી, રક્ષા, ઊર્જા સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના જેવાં ક્ષેત્રોમાં વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેના સહકારને વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે વધી રહેલા વ્યૂહાત્મક તાલમેલ વચ્ચે આ પ્રવાસ ખાસ મહત્વ ધરાવે છે. એ સાથે જ 26 મેએ નવી દિલ્હીમાં યોજાનારી ક્વાડ ના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં આ મુલાકાત થઈ રહી છે. દેશમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ કોલકાતા એરપોર્ટ પર રુબિયોના સ્વાગત માટે હાજર રહ્યા હતા. રુબિયોના આગમનની માહિતી તેમણે X પર પોસ્ટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રુબિયો બાદમાં વડા પ્રધાન મોદી  અને અન્ય વરિષ્ઠ ભારતીય નેતાઓ સાથે ચર્ચા કરવા નવી દિલ્હીની મુલાકાત લેશે.

અમેરિકન રાજદૂતના જણાવ્યા અનુસાર આવનારી બેઠકોમાં સંરક્ષણ ભાગીદારી, અદ્યતન ટેક્નોલોજી, વેપાર સંબંધો અને QUAD માળખા હેઠળના સહકાર જેવા મુખ્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ મુલાકાત પહેલાં જ રુબિયોએ ગુરુવારે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન ભારત સાથે ઊર્જા ભાગીદારીમાં મોટા પાયે વધારો કરવા ઇચ્છુક છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા ભારત જેટલી ઊર્જા ખરીદવા તૈયાર હશે તેટલો સપ્લાય આપવા તૈયાર છે.

માતા લક્ષ્મીને પાછલા બારણેથી નહીં, મુખ્ય દ્વારેથી ઘરમાં પ્રવેશ આપવો

હું જ્યારે પણ ભગવદ્ ગીતાનું વાંચન કરું છું ત્યારે મન શાંત થઈ જાય છે. ખરું પૂછો તો, જ્યારે પણ મન ખિન્ન થઈ જાય છે ત્યારે હું ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કરી દઉં છું. મનને શાંત કરવા માટેના અનેક ઉપાયોમાંનો એક ઉપાય શાસ્ત્રોનું, ખાસ કરીને ભક્તિયોગનું, પઠન કરવાનો છે. આપણે જે પણ કંઈ કરીએ છીએ એ ભગવાનનું કાર્ય છે એવું મનને કહેતાં રહેવું. આપણે કર્તા નહીં, પરંતુ ઈશ્વરનું માધ્યમ છીએ. આ રીતે જીવવાનો રસ્તો ઘણો સારો છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભગવાનનું માધ્યમ બનીને કર્મ કરવાથી મન પર કોઈ સૂક્ષ્મ પ્રભાવ રહેતો નથી.

ધન કમાવા અને ખર્ચવાની બાબતે આ મનઃસ્થિતિમાં આવવું એ શબ્દોમાં વર્ણવી શકાય નહીં એવો અનુભવ છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો આ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરવો એ પણ એક જાતની અપેક્ષા જ છે. તો શું અપેક્ષા વગર કોઈ વસ્તુ શક્ય નથી? શું યોગિક વેલ્થ પણ એક ભ્રમ છે કે પછી કોઈ વાસ્તવિકતા છે?

સમાજમાં રહેવા માટે ધનની જરૂર પડે છે. આપણે પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે. આપણા દેશમાં કોઈ પણ અતિથિ આપણા આંગણેથી ભૂખ્યો જાય નહીં એ વાતનો મહિમા વર્ણવાયો છે. એટલું જ નહીં, આપણને જ્ઞાન આપનારા અને માર્ગદર્શન કરનારા સાધુ-સંતોનું ભરણપોષણ કરવું એ પણ આપણો ધર્મ છે.

પોતાની જવાબદારીઓનું નિર્વહન કરવા માટે ધન કમાવું આવશ્યક છે. એ ધનનો ઉપયોગ પરિવારજનો, સ્વજનો, સંબંધીઓ, સાધુ-સંતો, સૃષ્ટિ પરના અન્ય જીવો અને પર્યાવરણ — એ બધા માટે કરવાનો હોય છે. આ રીતે ઉપયોગ કરવાથી મન શાંત થાય છે. આપણે દર વર્ષે પોતાની કુલ કમાણીમાંથી અમુક હિસ્સો આવી જવાબદારીઓ નિભાવવા માટે ફાળવીશું એવો સંકલ્પ કરવો જોઈએ.

બીજું એ કે ધન રળવાનું કાર્ય પણ નૈતિક રીતે કરવાનું હોય છે. કોઈને પણ છેતર્યા વગર કે કાળાં-ધોળાં કર્યા વગર શુદ્ધ ધનની પ્રાપ્તિ કરવાનું માહાત્મ્ય છે. એટલું જ નહીં, ધનમાંથી આવશ્યક કરવેરાની ચૂકવણી પણ કરવી જોઈએ. માતા લક્ષ્મીને પાછળના દ્વારેથી નહીં, મુખ્ય દ્વારેથી ઘરમાં પ્રવેશ આપવો. લક્ષ્મીજીનું આગમન ઉત્સવ, ઉમંગ અને ગૌરવનો વિષય છે. સદ્કર્મો થતાં હોય ત્યાં જ લક્ષ્મીજી વાસ કરે છે. લક્ષ્મીજીના પ્રવેશ બાદ મનુષ્યનો સ્વભાવ બદલાય છે. જો ઉચિત રીતે ધન કમાયું નહીં હોય તો એ પચાવવું મુશ્કેલ બને છે.

ધનવાન હોવું અને ખાનદાની-કુલીન વ્યક્તિ હોવું — એ બન્ને વચ્ચે તફાવત છે. ધન યોગ્ય માર્ગે રળવામાં આવે ત્યારે શાલીનતા આવે છે. તમે જોયું હશે કે ઘણા પરિવારોમાં પેઢીઓથી ધનસંપત્તિ ટકી રહે છે. એનું એક કારણ એ હોય છે કે તેઓ સમાજને પણ કંઈક આપે છે અને સંપત્તિનો દેખાડો કરતા નથી. તેઓ ધનથી નહીં, કુલીનતાથી ઓળખાય છે. તેઓ નમ્ર, શાંત અને ચારિત્ર્યવાન હોય છે. આ ગુણો માત્ર ઉંમર વધવાથી નહીં, પરંતુ ઘરના સંસ્કારોને કારણે આવે છે. તેમાંના ઘણા લોકો ટોચના ધનકુબેરોની યાદીમાં સ્થાન ન પામતા હોય, છતાં એમને જોઈને લાગે કે તેઓ ખરા અર્થમાં ધનવાન છે. એમની સંપત્તિ સમાજ સાથે જોડાયેલી હોય છે. તેઓ સમાજના નામે કમાય છે અને સમાજના હિતમાં ખર્ચે છે.

ઈશ્વરને પ્રાર્થના કરજો કે તમને યોગિક વેલ્થ આપે, પ્રસન્નતા અને શાશ્વત આનંદ આપે એવી સંપત્તિ તમને બક્ષે. આપણે જેમ જેમ વધુ ધનની પ્રાપ્તિ કરીએ તેમ તેમ લક્ષ્મીજીના વધુ ને વધુ આશીર્વાદ પ્રાપ્ત થાય, એમનું પ્રાગટ્ય થાય અને મન વધુ શાંત તથા શીતળ બને. જીવનનો હેતુ માત્ર સંપત્તિ રળવાનો નથી. સંપત્તિ તો જીવનના અર્થ સુધી પહોંચવાનું એક માધ્યમ છે. સુખ-શાંતિ આપે એવો હેતુ શોધી કાઢો, તમને સુખ-શાંતિ આપનારી સંપત્તિ મળી જશે. આને જ યોગિક વેલ્થ કહેવાય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ટ્રમ્પની પુત્રી ઇવાન્કાને મારવાનું ષડયંત્ર નિષ્ફળ, આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના કાવતરાનો ખુલાસો થયો છે. અમેરિકી તપાસ એજન્સીઓ મુજબ IRGC સાથે જોડાયેલા એક આરોપીએ ઇવાંકા ટ્રમ્પની હત્યાની યોજના બનાવી હતી. ઝડપાયેલો આરોપી ઇવાંકાના ઘરના નકશા સાથે ફરી રહ્યો હતો.

કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માગતો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી કથિત રીતે ઈરાની સૈન્ય કમાન્ડર કાસમ સુલેમાનીના મોતનો બદલો લેવા માગતો હતો. આરોપીની ઓળખ મોહમ્મદ બાકેર અલ-સાદી તરીકે થઈ છે, જે ઇરાકનો નાગરિક છે. તે કતાઈબ હિજબુલ્લા નામના સંગઠનનો સિનિયર સભ્ય હોવાનું જણાવવામાં આવ્યું છે. કતાઈબ હિજબુલ્લા અમેરિકામાં વિવિધ સ્થળોએ વિસ્ફોટ કરવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે.

ટ્રમ્પ પરિવાર IRGCના નિશાને?

અહેવાલ મુજબ આતંકી અલ-સાદી ઇવાંકા ટ્રમ્પના ઘરના નકશા સાથે ફરતો હતો. સંભવિત હુમલાને લઈને અમેરિકી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. તેમને આશંકા છે કે ટ્રમ્પ પરિવારના સભ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ શકે છે.

ફ્લોરિડામાં ઇવાંકાની હત્યાની યોજના

રિપોર્ટ મુજબ 32 વર્ષીય મોહમ્મદ બાકેર સાદ દાઉદ અલ-સાદીએ ઇવાંકા ટ્રમ્પને મારી નાખવાના કસમ ખાધા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર તેની પાસેથી ફ્લોરિડામાં આવેલ ઇવાંકા ટ્રમ્પના ઘરની બ્લુ પ્રિન્ટ પણ મળી આવી છે. અલ-સાદીનો હેતુ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવાનો હતો.

 ટ્રમ્પથી બદલો લેવા પુત્રીને નિશાન બનાવવાનો પ્લાન

વોશિંગ્ટનમાં આવેલ ઇરાકી દૂતાવાસના ભૂતપૂર્વ અધિકારી એંતિફાધ કાનબારે જણાવ્યું હતું કે કાસિમ સુલેમાનીની હત્યા બાદ અલ-સાદી લોકોમાં કહેતો ફરતો હતો કે અમારે ઇવાંકા ટ્રમ્પને મારી નાખવી જોઈએ, જેથી ટ્રમ્પના ઘરને પણ એ જ પ્રકારનું દુઃખ પહોંચાડવામાં આવે, જેમ તેમણે અમારા ઘરને પહોંચાડ્યું છે.

કુણાલ ગાંજાવાલાના હોઠ માટે ‘મર્ડર’નું ગીત લખાયું હતું!

કુણાલ ગાંજાવાલા (Kunal Ganjawala)ની ગાયક તરીકેની કારકિર્દીનો ખરો જન્મ ફિલ્મ મર્ડર (Murder) (2004) ના ‘ભીગે હોઠ તેરે…’ ગીતથી થયો હતો. કુણાલે ક્યારેય પ્રોફેશનલ ગાયક બનવાનું વિચાર્યું નહોતું.

સ્કૂલ પૂરી કરીને જ્યારે તે કોલેજમાં આવ્યો ત્યારે યુનિફોર્મમાંથી મુક્તિ મળી અને ટી-શર્ટ પહેરીને ફરવાની આઝાદી મળ્યાનો આનંદ હતો. કોલેજ સવારે શરૂ થઈને બપોરે પૂરી થઈ જતી હતી. જો સીધો ઘરે જાય તો વહેલો પહોંચી જવું પડે. પરંતુ કુણાલને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં રીગલ થિયેટરની આસપાસ મિત્રો સાથે વધુ સમય વિતાવવો હતો. તેથી મોડા સુધી બહાર રહેવાનું એક યોગ્ય બહાનું શોધવા માટે તેણે એક્ટિંગ ક્લાસમાં પ્રવેશ લઈ લીધો, જેથી માતા-પિતાને કહી શકે કે એક્ટિંગના ક્લાસ ક્યારેક રાત્રે આઠ વાગ્યા સુધી પણ ચાલે છે.

એક્ટિંગનો કોઈ ખાસ શોખ નહોતો. માત્ર મોજ-મસ્તી માટે આ ઉપાય કર્યો હતો. એ જ એક્ટિંગ ક્લાસમાં તેની મુલાકાત જાણીતા અભિનેતા અને વીજે લ્યુક કેની સાથે થઈ, જે ત્યાં સિનિયર હતા.

એક દિવસ એક્ટિંગ સ્કૂલના ડાયરેક્ટર આવ્યા નહોતા. તે સમયે કુણાલ કોલેજમાં સીટી વગાડી રહ્યો હતો ત્યારે એક સિનિયરે તેને પકડી લીધો અને ગાવા માટે દબાણ કર્યું. આખરે કુણાલે ગાવું પડ્યું. તેનો અવાજ સાંભળીને સિનિયર્સ એટલા પ્રભાવિત થયા કે તેને સીધા કોલેજના કલ્ચરલ સેક્રેટરી પાસે લઈ ગયા અને નામ નોંધાવી દીધું કે આ છોકરો કોલેજ ફંક્શનમાં ગાશે.

તે ફંક્શન પછી કુણાલ અવારનવાર ઇન્ટર-કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગ્યો. 1992માં એક સ્પર્ધા દરમિયાન પૂર્ણિમા શ્રેષ્ઠાની નજર કુણાલ પર પડી. તેઓ તેના અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેને સીધા ફિલ્મ સેન્ટર અને મોટા સ્ટુડિયોઝમાં લઈ ગયા. તેમણે કુણાલની મુલાકાત અનુ મલિક (anu malik), આનંદ-મિલિંદ, લુઈસ બેંક્સ અને રણજીત બારોટ જેવા મોટા સંગીતકારો સાથે કરાવી. ત્યારબાદ કુણાલ જિંગલ્સ અને કેટલાક ગીતો ગાવા લાગ્યો.

ત્યારબાદ આવ્યું મર્ડરના ‘ભીગે હોઠ તેરે…’ ગીતનું પ્રકરણ, જેની કહાની ખૂબ રસપ્રદ છે. અસલમાં આ ગીત કોઈ બીજા ગાયકના અવાજમાં રેકોર્ડ થવાનું હતું. દિવાળીના દિવસોમાં અનુ મલિકે કુણાલને તાત્કાલિક સ્ટુડિયોમાં બોલાવ્યો અને અડધા કલાકમાં જ રેકોર્ડિંગ પૂર્ણ કરી દીધું.

જ્યારે પહેલી વખત કુણાલે ગીતના શબ્દો વાંચ્યા ત્યારે તે ગભરાઈ ગયો હતો. તેને ડર હતો કે આ ગીત અશ્લીલ ગણાશે તો તેની કારકિર્દી પર શું અસર પડશે? પરંતુ અનુ મલિકે તેને વધુ વિચારવાનો કે રિહર્સલ કરવાનો સમય આપ્યો નહોતો.

ગીત રેકોર્ડ થયા પછી જ્યારે કુણાલે પોતાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે ફરી ગાવાની જીદ કરી. પરંતુ અનુ મલિક અને મુકેશ ભટ્ટ ગીતથી એટલા ખુશ હતા કે તેમણે ના પાડી દીધી. મુકેશ ભટ્ટે તો ત્યાં સુધી કહી દીધું હતું કે નવા સ્ટારનો જન્મ થઈ ચૂક્યો છે.

ગીત તૈયાર થયા પછી અનુ મલિકે જ્યારે ચેક આપ્યો ત્યારે તેમાં પહેલાં બીજા કોઈનું નામ લખાયેલું હતું અને તેના પર સફેદો મારીને કુણાલનું નામ લખવામાં આવ્યું હતું. અનુ મલિક અને મુકેશ ભટ્ટે સ્વીકાર્યું હતું કે આ ગીત કોઈ બીજા ગાયક માટે હતું. જોકે, તેમણે ક્યારેય તે ગાયકનું નામ જાહેર કર્યું નહીં.

પરંતુ આ એક જ ગીતે કુણાલ ગાંજાવાલાને બોલિવૂડના ટોચના ગાયકોની યાદીમાં લાવીને મૂકી દીધો.

10 દિવસમાં ત્રીજી વાર પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો, CNG પણ મોંઘો

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કર્યો છે. આ મહિને ઇંધણના ભાવમાં વધારો થવાનો આ ત્રીજો પ્રસંગ છે. ઇરાન સંઘર્ષને કારણે કાચા તેલના વધતા ભાવથી થતા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારે આ પગલું લીધું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જે પછી તેની કિંમત 99.51 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 91 પૈસા મોંઘું થઈ 92.49 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

દિલ્હી-એનસીઆરના લોકો પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા બાદ હવે સીએનજી (CNG) પણ મોંઘો થયો છે. દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પછી નવી કિંમત 81.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

એક મહિનામાં ત્રણ વખત વધ્યા ભાવ

આ પહેલાં પણ આ જ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. એ બીજી વખતનો વધારો હતો, જે એક અઠવાડિયામાં કરવામાં આવ્યો હતો. તેના થોડા દિવસ પહેલાં જ ઇંધણના ભાવમાં લગભગ ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઉછાળો અને પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવને કારણે આ અસર જોવા મળી રહી છે.

હકીકતમાં, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ જળસંધિ આસપાસ સપ્લાય અંગે વધતી ચિંતાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત વધી રહ્યા છે. બીજી તરફ, ભાવવધારા મુદ્દે વિરોધ પક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યો છે. તાજેતરના ભાવવધારા બાદ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા એ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.