Home Blog Page 42

શેરબજાર ઓલટાઈમ હાઈ, નિફ્ટી પહેલી વખત 26 હજાર પાર

આજે શેરબજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શ્યા બાદ આજે ભારતીય શેરબજાર ઉપલા સ્તરથી થોડું નીચે બંધ થયું હતું. આજે શેરબજારના બંધમાં BSE સેન્સેક્સ માત્ર 14.57 પોઈન્ટ ઘટીને 84,914.04 ના સ્તરે અને NSE નિફ્ટી 1.35 પોઈન્ટ વધીને 25,940.40 ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં આ સ્તરો આ સમયે સ્થાનિક શેરબજારની મજબૂતાઈ દર્શાવે છે અને શેરબજાર માટે આ સુવર્ણ સમયગાળો છે.

શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો

બપોરે 3 વાગ્યે ભારતીય શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે અને નિફ્ટીએ પ્રથમ વખત 26,000ને પાર કરી લીધો છે. નિફ્ટીએ 37 ટ્રેડિંગ સેશનમાં આ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે અને આ સમયગાળા દરમિયાન તે 25,000 થી 26,000 સુધી પહોંચી ગયો છે. નિફ્ટીએ 26,011.55ની રેકોર્ડ સપાટી હાંસલ કરી છે.

BSE સેન્સેક્સે 85,163.23 ની નવી ઊંચી સપાટી બનાવી છે અને આ સર્વકાલીન ઉચ્ચ સ્તર પણ છે. બેન્ક નિફ્ટીમાં 54,247.70ની નવી જીવનકાળની ઊંચી સપાટી જોવા મળી છે અને આ શેરબજારને નવી ગતિ આપી રહી છે.

મુંબઈ: સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદને લઈને વિવાદ, ઉંદરો દેખાતાં ટ્ર્સ્ટે આપ્યું નિવેદન

મુંબઈ: તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદને લઈને એક વીડિયો ક્લિપ સામે આવી છે. વીડિયોમાં મંદિરના પ્રસાદ લાડુમાં ઉંદરોના બચ્ચા જોવા મળ્યા હતા. આ અંગે મામલો વધ્યા બાદ મંદિર ટ્રસ્ટનું નિવેદન સામે આવ્યું છે.

મંદિર ટ્રસ્ટનો દાવો છે કે આ ક્લિપ અમારા મંદિરની નથી, પરંતુ બહાર ક્યાંક રાખવામાં આવી છે. કોઈએ પ્લાસ્ટિકની થેલીઓમાં ઉંદરોને રાખ્યા છે. ટ્રસ્ટે કહ્યું કે આ મામલાની તપાસ ડીસીપી સ્તરના પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે. આ ક્લિપ ક્યારે બની, ક્યાં બનાવવામાં આવી, બેગ ક્યાંથી આવી અને કોણે રાખી તે તપાસમાં બહાર આવશે.

ટ્રસ્ટે ઉમેર્યુ કે, જો કોઈ મંદિર પરિસરમાં આવું કરે છે, તો તમામ સીસીટીવી પણ તપાસવામાં આવશે. જ્યાં લાડુનો પ્રસાદ બનાવવામાં આવે છે ત્યાં તપાસ થશે, લાડુ માટે ઉચ્ચ ગુણવત્તાનું ઘી અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું BMC લેબમાં પરીક્ષણ કરવામાં આવે છે, તેથી આ ક્લિપની તપાસ થશે. ટ્રસ્ટનો પ્રસાદ હંમેશા સાફ હોય છે. ટ્રસ્ટ વિરુદ્ધ ષડ્યંત્ર પણ હોય શકે. તપાસમાં જે પણ દોષિત ઠરશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

જે વીડિયો બહાર આવ્યો છે એમાં પ્રસાદનું એક કેરેટ દેખાઈ રહ્યું છે, જેને છીણવામાં આવ્યું છે. કેરેટના એક ખૂણામાં ઉંદરના બચ્ચાં જોવા મળે છે. રિપોર્ટ અનુસાર સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ 50 હજાર લાડુ બનાવવામાં આવે છે. તહેવારોના સમયમાં પ્રસાદની માંગ વધુ વધી જાય છે. પ્રસાદ માટેના પેકેટમાં બે લાડુ હોય છે.

તિરુપતિ લાડુ વિવાદ પર બે દિગ્ગજ અભિનેતા આમને-સામને

તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળને લઈને બે દિગ્ગજ કલાકારો વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું છે. પીઢ કલાકાર પ્રકાશ રાજે તિરુપતિ મંદિર પ્રસાદ કેસમાં 11 દિવસનું ‘પ્રાયશ્ચિત’ કરી રહેલા નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પર ટિપ્પણી કરી હતી. અભિનેતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે તમે તેને રાષ્ટ્રીય સ્તરે કેમ બનાવવા માંગો છો દેશમાં પહેલેથી જ ઘણો સાંપ્રદાયિક તણાવ છે.

પવન કલ્યાણે પ્રકાશ રાજના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, મારે આ બાબતો પર કેમ ન બોલવું જોઈએ? પ્રકાશ રાજ, હું તમારો આદર કરું છું, અને જ્યારે ધર્મનિરપેક્ષતાની વાત આવે ત્યારે તે પરસ્પર હોવું જોઈએ. મને સમજાતું નથી કે તમે શા માટે મારી ટીકા કરો છો? શું હું તેના વિશે બોલી શકતો નથી. સનાતન ધર્મ પરના હુમલાથી આ પાઠ શીખવો જોઈએ.

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓની હવે ખેર નથીઃ CM યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં હવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવાવાળાઓની ખેર નથી. CM યોગી આદિત્યનાથે હોટેલ, ઢાબા અને રેસ્ટોરાં માટે નવો આદેશ જારી કર્યો છે. CMના નિર્દેશો મુજબ ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારના અપશિષ્ટ કે ભેળસેળ કરવાવાળાની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લા કેટલાંક દિવસોમાં દેશના વિવિધ ભાગોથી મંદિરોના પ્રસાદથી માંડીને ખાદ્ય પદાર્થોમાં અન્ય ચીજવસ્તુઓની સેળભેળ કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

CM યોગી આદિત્યનાથે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને એની શુદ્ધતાને સુનિશ્ચિત કરવા માટે પ્રદેશના સિનિયર અધિકારીઓની સાથે મીટિંગ કરી છે. આ બેઠકમાં CMએ પ્રદેશની બધી હોટેલો, ઢાબાઓ, રેસ્ટોરાં અને અન્ય જગ્યાઓ પર ખાદ્ય પદાર્થોની સુરક્ષા અને મિલાવટ રહિત હોવા માટે તપાસ કરવા માટે તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય સામાન્ય લોકોની સુવિધા, વિશ્વાસ અને આરોગ્યનું ધ્યાન રાખતાં બધાં આવશ્યક પગલાં ઉઠાવવાના સખત નિર્દેશ આપવામાં આવ્યા છે.

CM યોગીએ નિર્દેશ આપતાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં દેશના વિવિધ ભાગોમાં જ્યુસ, ખાદ્ય પદાર્થો સામાનથી માંડીને પ્રસાદમાં પણ મિલાવટ, માનવ થૂંક મેળવવા જેવી ઘટનાઓ થઈ છે. એને અટકાવવા માટે સખત પગલાં લેવાં જરૂરી છે.  બધાં ઢાબા, રેસ્ટોરાં, હોટેલ અને ખાદ્ય પદાર્થો વેચવાની જગ્યાએ CCTV કેમેરાની વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની છે.

CMએ એ પણ નિર્દેશ આપ્યા હતા કે CCTV માત્ર ગ્રાહકોના બેસવાની જગ્યાએ નહીં, પણ કિચન અને ખાણીપીણી તૈયાર થતા હોય, ત્યાં CCTV હોવા જરૂરી છે. એ સાથે દરેક પ્રતિષ્ઠાન સંચાલકે CCTVની ફીડને સુરક્ષિત રાખશે. જરૂરિયાત મુજબ પોલીસ કે સ્થાનિક વહીવટી તંત્ર કે ખાદ્ય વિભાગના અધિકારીઓના કેમેરાનું ફુટેજ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી છે.

કોઈ પણ સંજોગોમાં ભારતમાં આ ફિલ્મને રિલીઝ નહીં થવા દઈએ: રાજ ઠાકરે

મુંબઈ:પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાની કલાકારોની ફિલ્મોને ભારતમાં કેમ રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે છે?

રાજ ઠકારેએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું કે કળાની કોઈ રાષ્ટ્રીય સીમા હોતી નથી, જે અન્ય મામલોમાં ઠીક છે, પરંતુ પાકિસ્તાન માટે આ બિલકુલ કામ નહીં કરે. ભારતથી નફરતના જોરે અલગ થયેલા દેશમાંથી અભિનેતાએને નાચવાં-ગાવાં અને તેમની ફિલ્મને બતાવવા લાવવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે? સરકારને આ મહારાષ્ટ્ર તો શું દેશના કોઈ પણ રાજ્યમાં રિલીઝ ન થવા દેવી જોઈએ.

થિયેટર માલિકોને રાજ ઠાકરેની ચેતવણી
તેમણે એમ પણ કહ્યું હતું કે, “બાકીના રાજ્યોએ શું કરવું જોઈએ? હાલ તો એ વાત ચોક્કસ છે કે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે. આ પહેલા પણ જ્યારે આવી ઘટનાઓ બની હતી ત્યારે મહારાષ્ટ્રે આપેલો ફટકો બધાને યાદ છે. નવનિર્માણ સેના, હવે થિયેટર માલિકોને નમ્રતાપૂર્વક વિનંતી કરવામાં આવે છે કે તેઓ ફિલ્મોના સ્ક્રીનિંગની દુવિધામાં ન પડે.”

રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ રીલિઝ થવાની આસપાસ નવરાત્રીનો તહેવાર શરૂ થશે. હું મહારાષ્ટ્રમાં કોઈ સંઘર્ષ નથી ઈચ્છતો અને આ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકની ઈચ્છા નથી અને અમે ઘર્ષણ ઇચ્છતા પણ નથી, તેથી આપણે સમયસર પગલાં લેવા જોઈએ અને જોવું જોઈએ કે આ ફિલ્મ આપણા દેશમાં રિલીઝ ન થાય.”

તેમણે ઉમેર્યુ કે,”એ ન ભૂલવું જોઈએ કે જો થિયેટર માલિકો, જેઓ મરાઠી ફિલ્મો માટે થિયેટર આપવામાં આનાકાની કરે છે, જો તેઓ પાકિસ્તાની સિનેમાને તેમની ધરતી પર આવવા દે, તો આ ઉદારતા મોંઘી સાબિત થશે. હું ઈચ્છું છું કે કોઈપણ રાજ્ય પાકિસ્તાની માટે થિયેટર ઉપલબ્ધ કરાવે. સિનેમામાં કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ અને મને ખાતરી છે કે સરકાર તેના પર યોગ્ય ધ્યાન આપશે.”

તમને જણાવી દઈએ કે ફવાદ ખાનની ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ પાકિસ્તાન અને અન્ય દેશોમાં રિલીઝ થઈ છે અને પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. હવે ભારતમાં ઝી સ્ટુડિયોએ તેના કોપી રાઈટ્સ ખરીદી લીધા છે, જે તેને 2જી ઓક્ટોબરે રિલીઝ કરી રહ્યાં છે.

માતૃશ્રાદ્ધ માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ બિંદુ સરોવર

ભાદરવા મહિનાનો કૃષ્ણપક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. શ્રાદ્ધ એટલે ‘શ્રદ્ધાયા યાયત્ ક્રિયતે- તત્- શ્રાદ્ધમ્ । શ્રધ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં છે, તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અર્થર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્ય કન્યા રાશીમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અપર્ણ કરવાથી દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. માતૃશ્રાદ્ધ : દેવી ભાગવતમાં કહેવાયુ છે માં જગ દમ્બા નવમીનાદિવસે પૃથ્વિ ઉપર પ્રગટ થયા હતા આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે.

ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એકમાત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને મોક્ષ અપાવવાનો પ્રયત્ન કરે છે.

ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ તરીકે પણ જાણીતું હતું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું.

ભગવાન પરશુરામે તેમના માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કરેલું. બિંદુ સરોવરને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે, અહીં માત્ર માતૃશ્રદ્ધા જ થાય છે, તેવું વિધાન છે. બિંદુસરોવર ભારતનાં પાંચ શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોમાનું એક છે. જ્યા પહેલાં કપિલમુનિનો આશ્રમ હતા. અહીં કદર્પઋષિએ અનેક વરસો સુધી તપશ્ચર્યા કરી હતી. કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કદર્પૂ ઉપરની કરુણાથી ભગવાનનાં નેત્રોથી અશ્રુઓનાં બિંદુઓ આ સ્થળ ઉપર પડયા. જેથી આને બિંદુસરોવર કહેવામાં આવે છે. આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે.

વર્ષ 2012માં અહીં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યૂઝિયમ, પાર્કિંગ, કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી-જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત રુદ્રમહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, વી.આઈ.પી રૂમ, ઓફિસ બિલ્ડિંગ, પ્રવેશ દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકસાવવામાં આવ્યા હતા. આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પુરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજા-વિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.

MUDA જમીન કૌભાંડઃ ગવર્નરના ઓર્ડર પર સ્ટે આપવાનો HCનો ઇનકાર

બેંગલુરુઃ હાઇકોર્ટે કર્ણાટકના CM સિદ્ધારમૈયાની MUDA લેન્ડ સ્કેમમાં કેસ ચલાવવાના ગર્વનરના નિર્ણયને રદ કરવાની સંબંધિત અરજી રદ થઈ ગઈ છે. હાઇકોર્ટમાં જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ જજ સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલે તપાસ જરૂરી છે અને રાજ્યપાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આ કેસમાં હાઇકોર્ટે 12 સપ્ટેમ્બરે કેસની સુનાવણી પૂરી કરીને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે અરજીમાં દર્શાવવામાં આવેલાં તથ્યોની તપાસ કરવાની જરૂર છે, એમ કહેતાં હાઇકોર્ટે અરજી ફગાવી દીધી છે. આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે કેસ ચલાવવાની મંજૂરી આપવા માટે રાજ્યપાલ સક્ષમ છે.વાસ્તવમાં આ કેસ જમીનના એક ટુકડાનો છે, જેનું માપ 3.14 એકર છે. જે સિદ્ધારમૈયાના પત્ની પાર્વતીને નામે છે. ભાજપ આ કેસમાં CM અને તેમની સરકાર પર સતત હુમલા કરી રહ્યો છે અને CM સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે અને તેમના રાજીનામાની માગ કરી રહ્યો છે. આ કેસમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોત, સિદ્ધારમૈયાની વિરુદ્ધ મંજૂરી આપી ચૂક્યા છે.

બીજી તરફ સિદ્ધારમૈયા અત્યાર સુધી આ બધા આરોપેને ફગાવતા આવ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જણાવ્યો હતો. ત્યાર બાદ તેમણે રાજ્યપાલના નિર્ણયને કાયદા પડકારતા કોર્ટમાં ધા નાખી હતી. CMએ કહ્યું હતું કેરાજ્યપાલ સરકારને સાંખી નથી શકતા અને હટાવવાની પ્રયાસ કરી રહ્યા છે.

શું છે MUDA કૌભાંડ?

વિપક્ષનો આરોપ છે કે CMની પત્નીને વળતર આપવા માટે મોંઘા વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવી હતી. આરોપોનો જવાબ આપતાં CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ ફાળવણી 2021માં ભાજપના કાર્યકાળ દરમિયાન જ કરવામાં આવી હતી. MUDA એ કર્ણાટકની રાજ્ય સ્તરીય વિકાસ એજન્સી છે, જેની રચના મે, 1988માં થઈ હતી. MUDAનું કાર્ય શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું, ગુણવત્તાયુક્ત શહેરી માળખાકીય સુવિધા પૂરી પાડવાનું, પોસાય તેવા આવાસ પૂરા પાડવા, આવાસનું નિર્માણ વગેરે કરવાનું છે.

 

 

 

 

 

 

 

સરદાર સરોવરમાંથી 75,000 ક્યુસેક પાણી છોડાયું

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યુ છે. ત્યારે આ વર્ષ લલનીનોને કારણે મેઘરાજા મન મુકી વરસ્યા હતા. ભારે વરસાદને પગલે રાજ્યના તમામ જળાશયમાં પાણી ધરખમ આવક નોંધાય છે. ત્યારે સરદાર સરોવર સિઝનમાં એક વખત ઓવરફ્લો પણ થઈ ચૂક્યો છે. હાલમાં સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં મંગળવારે સવારે 75,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સરકારી આંકડા પ્રમાણે આજે સવારે સરદાર સરોવર ડેમની સપાટી 138.25 મીટર નોંધાઈ હતી. ડેમની સપાટીમાં વધારો થતા મંગળવારે સવારે 75000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાથી તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને પણ જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત ત્રણ મહિના પહેલાં 207 ડેમમાંથી 86 ડેમ તળિયાઝાટક હતા, એની સામે 119 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા અને ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે એટલું પાણી આવી ચૂક્યું છે. હાલ બંને ડેમમાંથી રૂલ લેવલ જાળવવા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. નર્મદા ડેમમાંથી રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે ઉકાઈ ડેમમાં 86.31 ટકાનો જળસંગ્રહ છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં આગામી બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મના નિર્માતાએ નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી

મુંબઈ: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ થિયેટરોમાં સારી કમાલ કરી શકી નહોતી. ફિલ્મની નિષ્ફળતાથી નિર્માતાઓ અને કલાકારો હતાશ હતા. ફિલ્મ રિલીઝ થયાના કેટલાક દિવસો બાદ તે ફરી ચર્ચામાં આવી છે. ‘બડે મિયાં છોટે મિયાં’ના નિર્માતા અને નિર્દેશક વચ્ચે અણબનાવના સમાચારે જોર પકડ્યું છે. બંને વચ્ચે પૈસાનો વિવાદ એટલો વધી ગયો છે કે હવે બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. જ્યારે ડિરેક્ટર અલી અબ્બાસે તેના પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે હવે એનઆરઆઈ પ્રોડ્યુસર્સ વાશુ અને જેકી ભગનાનીએ પણ અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર મામલો
પૂજા એન્ટરટેઈનમેન્ટના માલિકો વાશુ અને જેકી ભગનાનીએ 3 સપ્ટેમ્બરે અલી અબ્બાસ ઝફર પર ફંડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. વાશુ ભગનાની અને જેકી ભગનાનીએ પણ અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે અલી અબ્બાસ ઝફર પર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ દરમિયાન અબુ ધાબી સત્તાવાળાઓ પાસેથી મળેલી સબસિડી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં અલી અબ્બાસ ઝફરની સાથે હિમાંશુ મેહરા અને આક્ષ રાણાદિવેનું નામ પણ સામે આવ્યું છે. એફઆઈઆરની નકલમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો છેતરપિંડી, ચોરી, બ્લેકમેઈલિંગ, ખંડણી, મની લોન્ડરિંગ અને છેતરપિંડીનો છે. નિર્માતાઓનું કહેવું છે કે આ કેસમાં 9.50 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ છે.

અલી અબ્બાસ ઝફરે પણ આક્ષેપો કર્યા હતા
નોંધનીય છે કે આ પહેલા અલી અબ્બાસ ઝફરે નિર્માતાઓ પર 7.35 કરોડ રૂપિયા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો ગઈકાલથી ચર્ચામાં છે, જ્યારે નિર્માતાઓએ આ જ મામલે 3 સપ્ટેમ્બર 2024ના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નિર્માતાનો દાવો છે કે દિગ્દર્શક પોતાને સાચો સાબિત કરવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યો છે. આ રિપોર્ટ ફરિયાદ પછી શરૂ થયો, ત્યારબાદ હવે બાંદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિરેક્ટરને ટૂંક સમયમાં સમન્સ મોકલવામાં આવી શકે છે. નોંધનીય છે કે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને દર્શકો અને વિવેચકો બંનેએ રિજેક્ટ કરી હતી. તે જ સમયે અલી અબ્બાસ ઝફરે યશરાજ ફિલ્મ્સ પછી કોઈ સફળ ફિલ્મ કરી નથી.

સ્વચ્છતા પખવાડિયું : જાગૃતિ માટે માનવ સાંકળ

અમદાવાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે. વડાપ્રધાન બનતાની સાથે જ તેમણે સ્વચ્છ ભારત માટે જુદી-જુદી સંસ્થાઓ, સેલિબ્રિટીઓને સાથે લઈ જબરજસ્ત ઝુંબેશ શરૂ કરી, જેના સારા પરિણામ પણ જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી મહાત્મા ગાંધીજીની જયંતી 2જી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે. સ્વચ્છતા માટેના આ પખવાડિયા માટે અમદાવાદ શહેર કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા એક માનવ સાંકળ તૈયાર કરવામાં આવી હતી.સ્વચ્છતા ઝુંબેશની આ માનવ સાંકળના આયોજક સેનેટરી ઇન્સ્પેક્ટર વિજયભાઈ મકવાણા ચિત્રલેખા.કોમને કહે છે, “આપણો વિસ્તાર, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ અને સુંદર રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ સ્કૂલ, ફિરદોશ અમૃત સ્કૂલના વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નાગરિકોએ સ્વચ્છતા માટેની માનવ સાંકળમાં ભાગ લીધો હતો.”

આ માનવ સાંકળનું કેન્ટોનમેન્ટથી એરપોર્ટ સર્કલ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર રવિન્દ્ર ખટલે ( આઈ.એ.એસ. ), સુદામ મંચલવાર ( ડિફેન્સ એસ્ટેટ ઓફિસર), વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સ્વચ્છતા માટે સંદેશ આપ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)