મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં બહુચર્ચિત મોડલ અને એક્ટ્રેસ ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના મામલાએ હવે રાષ્ટ્રીય સ્તરે કાનૂની અને રાજકીય ગરમાવો પકડી લીધો છે. સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓની કાર્યવાહી પર ઉઠી રહેલા ગંભીર સવાલો વચ્ચે હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સીધો હસ્તક્ષેપ કર્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી વિશેષ બેન્ચે આ કેસમાં કોઈ અરજી વિના જ સીધું જ સ્વેચ્છાએ (Suo Motu) સંજ્ઞાન લીધું છે.

સુપ્રીમ કોર્ટની સત્તાવાર કાર્યસૂચિ અનુસાર, આગામી સોમવાર એટલે કે 25 May ના રોજ આ હાઈપ્રોફાઈલ કેસની પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત ઉપરાંત આ મહત્વપૂર્ણ ખંડપીઠમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી જેવા વરિષ્ઠ ન્યાયાધીશો સામેલ છે. સર્વોચ્ચ અદાલતે આ આખી બાબતને અત્યંત સંવેદનશીલ ગણાવીને તેને સત્તાવાર રીતે ‘યુવતીની વૈવાહિક ઘરમાં થયેલી અસ્વાભાવિક મોતમાં સંસ્થાકીય પક્ષપાત અને પ્રક્રિયાગત વિસંગતતાઓના આક્ષેપ’ એવું કાનૂની શીર્ષક (ટાઈટલ) આપ્યું છે.
સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી દ્વારા ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવેલી વિસ્તૃત કાનૂની નોંધ (નોટ) માં મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી તપાસની નિષ્પક્ષતા પર મોટા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સત્તાવાર નોટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતક અભિનેત્રી ટ્વિશા શર્માના સાસુ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે અને તેઓ એક નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ (Retired District Judge) છે. આ જ કારણોસર સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર કથિત રીતે પ્રભાવ હેઠળ આવીને સંસ્થાકીય સ્તરે આ આખા કેસને રફેદફે કરવા અથવા દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.


