Home Blog Page 2918

ભારત-બ્રિટન લશ્કરના જવાનો દ્વારા સંયુક્ત કવાયત

ભારતીય સેના અને બ્રિટિશ આર્મી તેમના જવાનો માટે દર બે વર્ષે સંયુક્ત કવાયત યોજે છે, જેને ‘અજેય વોરિઅર-2023’ નામ આપવામાં આવ્યું છે. આ વખતે આ સાતમી આવૃત્તિની સંયુક્ત કવાયતનું આયોજન બ્રિટનના સેલિસબરી મેદાન વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તે દરમિયાન બંને સેનાના જવાનો અનેક વ્યૂહાત્મક ડ્રિલ્સ ઉપર સંયુક્તપણે તાલીમ લઈ રહ્યા છે. આ કવાયત 27 એપ્રિલથી શરૂ થઈ છે અને 11 મે સુધી ચાલશે. આ વખતની કવાયતમાં બ્રિટિશ સેનાના રોયલ ગોરખા રાઈફલ્સ દળના જવાનો અને ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટના જવાનો જોડાયા છે.

ગયા વખતે – 2021ના ઓક્ટોબરમાં આ સંયુક્ત કવાયત ઉત્તરાખંડમાં યોજવામાં આવી હતી.

(તસવીર સૌજન્યઃ @adgpi)

આપના અધ્યક્ષ ઇસુદાન ગઢવીના ટ્વીટ પર FIR નોંધાઈ

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા કરી લીધા છે. એને લઈને 30 એપ્રિલે એક સત્તાધારી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી, ત્યારે વિપક્ષી પાર્ટીએ એની ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ‘મન કી બાત’ને લઈને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે એક કાર્યક્રમનો ખર્ચ રૂ. 8.30 કરોડ કર્યો હતો. આ ટ્વીટને લઈને અમદાવાદ સાઇબર ક્રાઇમે FIR નોંધી હતી.

ઇસુદાન ગઢવીએ 28 એપ્રિલે જે ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે ‘મન કી બાત’ કાર્યક્રમના એક એપિસોડનો ખર્ચ રૂ. 8.30 કરોડ છે અને આ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. આપ નેતાના ટ્વીટ પછી PIB ફેક્ટ ચેક દ્વારા એનું ખંડન કરતાં એને ખોટી જણાવી હતી.

PIBના ટ્વીટ પછી આ મામલામાં જનતાને ગુમરાહ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમે ઇસુદાન ગઢવીની સામે IT એક્ટ હેઠળ મામલો નોંધી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચના ACP જિતુ યાદવે કહ્યું હતું કે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ટ્વિટર હેન્ડલ ઇસુદાનનું છે કે કોઈ બીજાનું. આ સિવાય ટ્વીટ કોણે કર્યું હતું. એને લઈને તપાસ કરવામાં આવશે.

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં 650 પોલીસ સ્ટેશન છે, જેને પણ પરેશાની હોય, એ ફરિયાદ આપી શકે છે. આ મામલો નોંધવામાં આવ્યો છે. આ મામલે હવે તપાસ કરવામાં આવશે. જોકે ઇસુદાન ગઢવીએ ટ્વીટને ડિલીટ કરી દીધું હતું.

 

 

 

 

 

 

GST : એપ્રિલ 2023માં GST કલેક્શને ઈતિહાસ રચ્યો

એપ્રિલ 2023માં જીએસટી કલેક્શનના આંકડાએ ઈતિહાસ રચ્યો છે. GST કલેક્શનના આંકડા સામે આવ્યા છે, જે મુજબ એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે, જે અત્યાર સુધીનો ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે એપ્રિલ 2022માં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શનમાં રૂ. 19,495 કરોડ વધુ જીએસટી એકત્ર થયો છે.


GST કલેક્શનનો ડેટા જાહેર કરતાં નાણાં મંત્રાલયે કહ્યું કે એપ્રિલ 2023માં GST કલેક્શન ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ 12 ટકા વધુ છે. 20 એપ્રિલ, 2023ના રોજ એક દિવસમાં 9.8 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં એક જ દિવસમાં 68,228 કરોડ રૂપિયાનો જીએસટી એકત્ર કરવામાં આવ્યો હતો. અગાઉ, એક દિવસમાં ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ ગયા વર્ષે 20 એપ્રિલ 2022 ના રોજ હતો, જ્યારે એક દિવસમાં 9.6 લાખ વ્યવહારો થયા હતા, જેમાં 57,846 કરોડ GST વસૂલાત જોવા મળી હતી.

ડેટા અનુસાર, એપ્રિલમાં કુલ 1,87,035 કરોડના GST કલેક્શનમાં CGST કલેક્શન રૂ. 38,440 કરોડ, SGST કલેક્શન રૂ. 47,412 કરોડ, IGST રૂ. 89,158 કરોડ અને સેસ તરીકે રૂ. 12.025 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ જીએસટી કલેક્શન પર ટ્વીટ કર્યું કે ભારતીય અર્થતંત્ર માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. નીચા કર દર હોવા છતાં, કર સંગ્રહ દર્શાવે છે કે GST એકીકરણ અને પાલનમાં કેવી રીતે સફળ રહ્યું છે.

જો કે, આ પહેલીવાર છે જ્યારે GST કલેક્શન રૂ. 1.75 લાખ કરોડને વટાવી ગયું છે. માર્ચ 2023માં 9 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા જ્યારે ફેબ્રુઆરીમાં 8.1 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જો આપણે એપ્રિલ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક પર નજર કરીએ તો, નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્રની આવક રૂ. 84,304 કરોડની સીજીએસટી રહી છે, જ્યારે રાજ્યો માટે એસજીએસટી રૂ. 85,371 કરોડ છે.

શ્રીકૃષ્ણ જન્મભૂમિ- ઇદગાહ મામલે મુસ્લિમ પક્ષને કોર્ટમાંથી મોટો આંચકો

લખનઉઃ શ્રીકૃષ્ણ-જન્મભૂમિ ઈદગાહ વિવાદ મામલે મુસ્લિમ પક્ષને હાઇકોર્ટમાંથી મોટો આંચકો છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે અને ફરીથી નવી સુનાવણીની વાત કરી છે. હવે આ મામલે મથુરાના જિલ્લા જજની સામે ફરી એક વાર બંને પક્ષોએ પોતાની દલીલો મૂકવી પડશે. હવે એ મુસ્લિમ પક્ષ માટે આંચકો એટલા માટે છે, કેમ કે તેઓ ફરીથી દલીલો નથી મૂકવા ઇચ્છતી હતી.

આ વિવાદ ત્યારે શરૂ થયો હતો, જ્યારે સિવિલ કોર્ટે સિવિલ સુટને ફગાવી દીધી હતી. એ ચુકાદાથી નારાજ શ્રીકૃષ્ણ વિરાજમાને એક વધુ અરજી જિલ્લા જજની સામે દાખલ કરી દીધી હતી. એ પછી એ મામલે સુનાવણી કરતાં સિવિલ કોર્ટના ચુકાદાને રદ કરવામાં આવ્યો હતો અને ફરી સુનાવણીની વાત કરી હતી, પણ આદેશથી મુસ્લિમ પક્ષ સંતુષ્ટ નથી અને એણે હાઇકોર્ટમાં આ મામલે પડકાર આપ્યો હતો. હવે એ કેસમાં હાઇકોર્ટને ઇદગાહ ટ્રસ્ટ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

આ વિવાદ શો છે?

મથુરામાં શાહી ઇદગાહની મસ્જિદ 13.37 એકરની જમીનને લઈને વિવાદ છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવદેવનું મંદિર તોડ્યા પછી અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી. 1803માં અંગ્રેજો મથુરા આવ્યા હતા અને તેમણે 1815માં કટરા કેશવદેવની જમીનને લિલામ કરી દીધી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલે રૂ. 1410માં ખરીદી હતી. તેઓ આ જમીન પર મંદિર બનાવવા ઇચ્છતા હતા. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજોએ આ જમીનનો હિસ્સો મુસ્લિમોને સોપ્યો હતો. આ જમીનને લઈને બંને પક્ષોમાં વિવાદ છે.

 

 

 

 

 

 

આજે ગુજરાત સ્થાપના દિવસ, PM મોદીએ પાઠવી શુભકામના

1લી મે, 2023ના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલા ગુજજરો ભારતનાં પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા.

બનાસકાંઠામાં ભારત – પાકિસ્તાન સીમા પર રવિવારના સંધ્યા સમયે રાસ ગરબા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો સાથે ઉજવણી કરવામાં આવી. BFSના જવાનોએ સીમા પર પરેડ યોજી લોકો સાથે ગરબે ઘુમી ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી કરી. મુખ્યમંત્રીને સ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ,  શહેર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવા બા જાડેજા કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત રહ્યા


ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા, મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ, કર્ણદેવની નગરી કર્ણાવતી (હાલનું અમદાવાદ), સિધ્ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, સો કરતાં પણ વધુ દેશી રજવાડાઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે.

અમુક સદીઓ પહેલા મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું. પણ કેટકેટલીય વાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક જીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું. રાજપૂતો અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધતું રહ્યું.

 

પીએમ મોદીએ ટ્વિટથી પાઠવી શુભકામના

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.


આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ. આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ગાંધીજી અને સરદાર સાહેબની આ ભૂમિ આગામી સમયમાં પણ એ જ લગન અને સમર્પણ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને ગુજરાત દિવસની શુભકામના પાઠવી છે.


મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને પાઠવી શુભકામના

અમેરિકાના નિયામકોએ ફર્સ્ટ રિપબ્લિક બેન્કને સીઝ કરી

વોશિંગ્ટનઃ અમેરિકાની ફર્સ્ટ રિપબ્લિક બેન્કને રેગ્યુલેટર્સે નિયંત્રણમાં લઈ લીધી છે. બેન્કને ડૂબવાથી બચવા માટેના પ્રયાસોને નિષ્ફળ રહ્યા પછી રેગ્યુલેટર્સે આ પગલું લીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બેન્કને જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીને વેચવામાં આવશે. કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશન (DFPI)એ એક નિવેદનમાં કહ્યું હતું કે જેપી મોર્ગન ફર્સ્ટ રિપબ્લિકની મોટા ભાગની સંપત્તિઓ અને જમા રકમની જવાબદારી લેશે, એમાં એ જમા રકમ પણ સામેલ છે, જેનો વીમો નથી. DFPIએ સેન ફ્રાન્સિસ્કોની વડી મથકવાળી બેન્ક માટે ફેડરલ ડિપોઝિટલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનને રિસીવર નિયુક્ત કર્યા છે. DFPIએ એક નિવેદનમાં કહ્યું હતું કે બધી જમા રકમ લાગુ સીમા સુધી FDIC દ્વારા ઇન્શ્યોર છે.

જેપી મોર્ગન અમેરિકાની સૌથી મોટી બેન્ક છે. આ વ્યવહાર પછી એ હવે વધુ મોટી બેન્ક બની જશે. અત્યાર સુધી અમેરિકી રેગ્યુલેટર્સ જેપી મોર્ગનની એવી સ્થિતિને મૂકવામાંથી બચતા રહ્યા હતા. હાલના નિયામકીય પ્રતિબંધ, જેપી મોર્ગનને અમેરિકામાં કદ અને ડિપોઝિટને સામાન્ય પરિસ્થિતિઓમાં વધુ વધવાથી રોકે છે.

ફર્સ્ટ રિપબ્લિક કોઈ પણ અસરકાર બચાવ પ્લાન આપવામાં નિષ્ફળ રહ્યું હતું. ગયા સપ્તાહે એ જાહેરાત કરી હતી કે બેન્કને 100 અબજ ડોલરની ડિપોઝિટનું પહેલા ત્રિમાસિકમાં નુકસાન ભોગવવું પડ્યું હતું. જેનાથી બેન્કના શેરમાં કડાકો બોલી ગયો હતો. આ બેન્કની 80થી વધુ બ્રાન્ચ હતી. વર્ષ 2022ના અંત સુધી બેન્કમાં આશરે 7200થી વધુ લોકો કામ કરતા હતા. આ પહેલાં માર્ચમાં  અમેરિકામાં સિલિકોન વેલી અને સિગ્નેચર બેન્ક નાદાર જાહેર થઈ હતી. ફર્સ્ટ રિપબ્લિક આ વર્ષે નાદાર જનારી ત્રીજી અમેરિકી બેન્ક છે.

અમેરિકામાં ફર્સ્ટ રિપબ્લિક બેન્ક બીજી મોટી બેન્ક છે, જેની સંપત્તિ 233 અબજ ડોલર છે અને એ નિષ્ફળ થઈ હોય. આ પહેલાં 2008માં લેહમેન બ્રધર્સ બેન્ક નાદાર જાહેર થઈ હતી.

 

 

 

 

‘યશસ્વી જાયસ્વાલ છે ભારતીય ક્રિકેટનો નવો સુપરસ્ટાર’

મુંબઈઃ ભૂતપૂર્વ ક્રિકેટર રોબીન ઉથપ્પાનું માનવું છે કે યુવા બેટર યશસ્વી જાયસ્વાલ ભારતીય ક્રિકેટના નવા સુપરસ્ટાર્સમાંનો એક છે. આઈપીએલ-2023માં રાજસ્થાન રોયલ્સ વતી રમતા ઓપનર જાયસ્વાલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગયા રવિવારની મેચમાં જોરદાર સદી ફટકારી હતી. એણે 62 બોલમાં 18 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 124 રન ફટકાર્યા હતા. આ વખતની આઈપીએલ મોસમમાં આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બન્યો છે. આઈપીએલમાં આ તેની પહેલી જ સદી છે.

જિયોસિનેમા પર આઈપીએલ એક્સપર્ટ રોબીન ઉથપ્પાએ જાયસ્વાલની પ્રશંસા કરતાં કહ્યું કે, તેણે એના દાવના આરંભથી જ એનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. એણે નિર્ભય બેટિંગ કરી. તેનો અભિગમ અત્યંત બહાદૂરીભર્યો હતો. એ ચોક્કસપણે ભારતીય ક્રિકેટનો નવો સુપરસ્ટાર છે.

 

ભારતમાં 14 મેસેજિંગ એપ પર પ્રતિબંધ : આતંકવાદીઓ આ રીતે કરે છે એપનો ઉપયોગ

ભારત સરકારે ભારતમાં આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દ્વારા પ્રતિબંધિત 14 મોબાઈલ એપ્સ તમામ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્સ છે. પાકિસ્તાની આતંકવાદીઓ આ એપ્સનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં પોતાનો આતંક ફેલાવવા માટે કરી રહ્યા હતા. આ એપ્સ દ્વારા આતંકીઓને પાકિસ્તાનથી મેસેજ આવતા હતા. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આતંકવાદીઓ એવી એપનો ઉપયોગ કેવી રીતે કરે છે જેના વિશે કોઈને જલ્દી ખબર જ ન પડે…

કઈ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

  1. Crypviser
  2. Enigma
  3. Safeswiss
  4. Wickrme
  5. Mediafire
  6. Briar
  7. BChat
  8. Nandbox
  9. Conion
  10. IMO
  11. Element
  12. Second line
  13. Zangi
  14. Threema

આમાં સૌથી લોકપ્રિય એપ IMO છે. ભારતીય યુઝર્સ પણ લાંબા સમયથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે જ્યારે વોટ્સએપની વિડિયો કોલ એટલી એડવાન્સ ન હતી, ત્યારથી આખો દેશ IMO એપનો ઉપયોગ કરી રહ્યો છે. IMO પાસે વોટ્સએપ જેવા સ્ટિકર્સ અને કોલિંગની સુવિધા પણ છે. IMO એપની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તેની નાની સાઈઝને કારણે ઓછી રેમ અને ઓછી સ્ટોરેજવાળા ફોન પર પણ સરળતાથી કામ કરે છે. આમાં એક સાથે 20 લોકો વીડિયો કોલ કરી શકશે. આ એપને પેજબાઈટસ ઈન્ક નામની એક કંપનીએ વિકસાવી છે જે એક અમેરિકન કંપની છે.

આ મેસેજિંગ એપ્સ ગુપ્ત રીતે કેવી રીતે કામ કરે છે?

સામાન્ય રીતે સાયબર ચોર અને આતંકવાદીઓ એવી એપ્સનો ઉપયોગ કરે છે જે ઓછી લોકપ્રિય હોય છે. આવી સ્થિતિમાં સરકારને આ એપ્સ વિશે ઝડપી માહિતી મળતી નથી. આ સિવાય આતંકવાદીઓ ડાર્ક નેટ દ્વારા ચેટિંગ પણ કરે છે. આવી સ્થિતિમાં તેમને ટ્રેક કરવા ખૂબ મુશ્કેલ છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આતંકીઓ પહેલા ટેલિગ્રામ એપનો ઉપયોગ કરતા હતા. ટોર બ્રાઉઝર દ્વારા આતંકવાદીઓ મોટાભાગે તેમના સાથીદારો સાથે વાત કરે છે. ટોર બ્રાઉઝરમાં IP સરનામું સતત બદલાતું રહે છે. આવી સ્થિતિમાં કોઈને ટ્રેક કરવું મુશ્કેલ છે.

આવતીકાલે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ થશે જાહેર

આવતીકાલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB 12નું વિજ્ઞાન પરિણામ 2023 અને GUJCETનું પરિણામ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ, gseb.org પર જાહેર કરવામાં આવશે. અહેવાલો મુજબ આવતી કાલે બંને પરીક્ષાઓનું પરિણામ જાહેર  થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB ટૂંક સમયમાં GSEB 12મા વિજ્ઞાનનું પરિણામ જાહેર કરી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ માર્ચ- 2023માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12(વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.02/05/2023ના રોજ સવારના 09:00 કલાકે જાહેર કરવામાં આવશે.

GSEB HSC Science Result 2023 પરિણામ લિંક gseb.org 12th Result Name Wise

WhatsApp Numberથી પણ જાણી શકશે પરિણામ

અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ તેઓનુ પરિણામ પરીક્ષાની બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ગુણપત્રક અને પ્રમાણપત્ર ટૂંક સમયમાં મોકલી અપાશે

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને 5K શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દકતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે તેમ જણાવવામા આવ્યું છે.

CM શિંદેએ મરીન ડ્રાઈવ પરિસરનું નિરીક્ષણ કર્યું, અધિકારીઓને સૂચના આપી

મુંબઈઃ મુંબઈને સુંદર અને સુશોભિત કરીને તેની એક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર બનાવવાની મહારાષ્ટ્ર સરકારની નેમ છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને મહત્ત્વની સૂચના આપી હતી. તેમણે નોંધ્યું હતું કે આ સ્થળે દરરોજ સવારે મોર્નિંગ વોક માટે અનેક લોકો આવતાં હોય છે. પરંતુ માત્ર એક જ જાહેર શૌચાલય કે સ્વચ્છતાગૃહ છે. તેમણે એ શૌચાલયની સાફસફાઈનું પણ નિરીક્ષણ કર્યું હતું.

બધું જોયા બાદ એમણે અધિકારીઓને સૂચના આપી હતી કે મરીન ડ્રાઈવ ખાતે ફરવા અને મોર્નિંગ વોક કરવા દરરોજ હજારો લોકો આવતાં હોય છે. તે છતાં અહીં માત્ર એક જ સ્વચ્છતાગૃહ છે તે પર્યાપ્ત નથી. તેની સંખ્યા વધારવી જોઈએ.

શિંદેએ તે ઉપરાંત મરીન ડ્રાઈવ જેટ્ટી પાસેની જગ્યાને સુંદર અને સુશોભિત કરવાની પણ અધિકારીઓને સૂચના આપી હતી. એ વખતે શિંદેની સાથે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર, પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢા, મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.

(તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)